પાલઘર લિન્ચિંગ : સાધુની હત્યા મામલે પોલીસે કોની ધરપકડ કરી?

    • લેેખક, કીર્તિ દુબે
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

મહારાષ્ટ્રના પાલઘરના ગઢચિંચલે ગામમાં 16 એપ્રિલે થયેલા સાધુ પર મૉબ લિન્ચિંગનો વીડિયો બહુ વાઇરલ થયો હતો. સાથે જ આ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાના પ્રયાસો પણ થયા.

ગુરુવારે મોડી રાતે ભીડે ત્રણ લોકોની માર મારીને હત્યા કરી નાખી, જેમાં બે સાધુની ઓળખ 70 વર્ષીય મહારાજ કલ્પવૃક્ષગીરી, 35 વર્ષીય સુશીલગીરી મહારાજ અને તેમના એક ડ્રાઇવર નીલેશ તેલગાણેના રૂપમાં થઈ છે.

પાલઘર પોલીસે આ મામલે 110 લોકોની ધરપકડ કરી છે, જેમાં 9 સગીર છે. તેમજ બે પોલીસવાળાને પણ સસ્પેન્ડ કરાયા છે.

ફેસબુક પરના વીડિયોમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે ધરપકડ કરાયેલા 101 લોકોની યાદી જાહેર કરી અને ઘટનાને કોમી રંગ ન આપવા કહ્યું.

એમણે એમ પણ કહ્યું કે, જે વિઘ્નસંતોષીઓ આ ઘટનાને કોમી રંગ આપવાની પૂરી કોશિશ કરી રહ્યાં હતા તેઓ આ યાદીને ધ્યાનપૂર્વક વાંચે.

આ ઘટનાના વીડિયોના ઘણા નાનાનાના ભાગ પણ વાઇરલ થયા છે, જેમાં સાધુ રોતાંરોતાં હાથ જોડીને ભીડ સામે કરગરી રહ્યા છે, પરંતુ ટોળું, જેમના હાથમાં ડંડા છે, તેઓ સાધુ પર હુમલો કરી દે છે.

આ વીડિયોમાં પોલીસ પણ જોવા મળે છે, જે સાધુઓને બચાવવાની કોશિશ કરતી નથી દેખાતી.

બીબીસીએ એ જાણવા-સમજવાની કોશિશ કરી કે આખરે આ ગામની વસતી કેવી છે?

કેવું છે ગઢચિંચલે ગામ

2011ની વસતીગણતરી પ્રમામે ગઢચિંચલે ગામમાં 248 પરિવાર રહે છે અને કુલ વસતી 1208ની છે.

ચૂંટણી સર્વે કરનારી મુંબઈની સંસ્થા પોલડાયરીએ ગઢચિંચલે ગામની જનસંખ્યા અને અહીંનાં સામાજિક પાસાંઓનું અધ્યયન કર્યું છે. જે પ્રમાણે આ ગામમાં 1198 પરિવારો આદિવાસી છે અને માત્ર એક જ પછાત જાતિનો પરિવાર રહે છે.

56 ટકા વસતી કોકણ આદિવાસી સમુદાય, 34 ટકા વર્લી સમુદાય, 6 ટકા કતકારી સમુદાય અને 4 ટકા મલ્હાર જાતિના લોકો છે.

પોલડાયરીના 2019ના લોકસભા ચૂંટણીના આંકડાથી સ્પષ્ટ થાય છે કે આ ગામમાં મુસલમાન વસતીનો કોઈ વસવાટ નથી.

કેવી રીતે ઘટનાને સાંપ્રદાયિક રંગ અપાયો?

રવિવારે આ ઘટનાનો 45 સેકન્ડનો વીડિયો ઘણો શૅર થવા લાગ્યો અને દાવો કરાયો કે આ વીડિયોમાં 43મી સેકન્ડે ઉગ્ર ભીડ કહી રહી છે, "માર શોએબ માર."

સુદર્શન ન્યૂઝના એડિટર સુરેશ ચવ્હાનકે અને ફિલ્મમેકર અશોક પંડિત જેવા ઘણા લોકોએ આ દાવો કર્યો કે વીડિયોમાં "શોએબ" બોલાઈ રહ્યું છે.

ફૅક્ટ ચેકિંગ વેબસાઇટ આલ્ટ ન્યૂઝના રિપોર્ટ અનુસાર, 43મી સેકન્ડ પર સાધુઓને મારતી ભીડમાંથી કોઈ પાછળથી બૂમો પાડી રહ્યું છે, "ઓય બસ, ઓય બસ", જેને સોશિયલ મીડિયામાં પર કેટલાક લોકો "માર શોએબ માર" બતાવી રહ્યા છે.

એ રાતે શું થયું હતું?

સોમવારે આ આખી ઘટના પર મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ વીડિયોના માધ્યમથી નિવેદન આપીને સ્પષ્ટ કર્યું કે આ સાંપ્રદાયિક હિંસાનો મામલો નથી. આ ગામમાં છેલ્લા કેટલાક દિવસથી અફવા ફેલાઈ હતી કે કેટલાક લોકો બાળકોની ચોરી કરીને તેમની કિડની કાઢી રહ્યા છે.

સીએમના જણાવ્યા અનુસાર, બે સાધુ ગાડી લઈને એક અંતિમસંસ્કારમાં સામેલ થવા સુરત જઈ રહ્યા હતા, પરંતુ લૉકડાઉનને કારણે તેઓને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં રોક્યા હતા.

સેલવાસ ગુજરાત-મહારાષ્ટ્રની સીમા પર આવેલું છે. જ્યારે તેઓ પરત આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં ગઢચિંચલે ગામના લોકોએ બાળકચોરીની આશંકાએ તેમની ગાડી રોકી હતી.

બાદમાં આ ટોળાંના ભયાનક રૂપનો વીડિયો દેશની સામે આવ્યો હતો. આ હિંસામાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે.

જોકે હવે આ મામલે અલગઅલગ વીડિયો અને દાવાના માધ્યમથી તેને સાંપ્રદાયિક રંગ આપવાની કોશિશ ખોખલી સાબિત થઈ રહી છે.

મહારાષ્ટ્ર સરકારે પાલઘર મામલાની તપાસ રાજ્યની સીઆઈડીને સોંપી દીધી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો