TOP NEWS : હીરાઉદ્યોગમાં મંદી : સુરત છોડી 15,000 રત્નકલાકારો સૌરાષ્ટ્ર પરત ફર્યા

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

દિવાળી વેકેશન અગાઉ સુરતના હીરાઉદ્યોગમાં કામ કરતા રત્નકલાકારો પોતાના વતન સૌરાષ્ટ્ર પરત ફર્યા છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે સુરતમાં 15 હજારથી વધુ લોકો સૌરાષ્ટ્ર પરત ફર્યા છે.

ગુજરાત ડાયમંડ વર્કર્સ યુનિયન (GDWU)એ દાવો કર્યો છે કે સૌરાષ્ટ્રના 15,000થી વધુ રત્નકલાકારોએ સુરત છોડી દીધું છે.

દિવાળીના વૅકેશનને હજુ વાર છે તે પહેલાં જ રત્નકલાકારોએ શહેર છોડવાનું શરૂ કરી દીધું છે.

ગુજરાત ડાયમંડ વર્કર્સ યુનિયનનો દાવો છે કે શહેર છોડીને જનારા લોકોમાં કેટલાક બેરોજગારો તો કેટલાકના પગારમાં ઘટાડો કરી દેવાયો છે.

GDWUના અધ્યક્ષ રણમલ જિલારિયાએ જણાવ્યું, "ઇતિહાસમાં પહેલી વાર આવું બન્યું છે કે દિવાળી પહેલાં આ ઉદ્યોગમાંથી આટલી મોટી સંખ્યામાં કારીગરોએ શહેર છોડી દીધું હોય."

"આ બાબત હીરાઉદ્યોગની વાસ્તવિક સ્થિતિને દર્શાવે છે. આ ઉદ્યોગ છેલ્લા દોઢ વર્ષથી ભયંકર મંદીમાંથી પસાર થઈ રહ્યો છે."

GDWUના ઉપાધ્યક્ષ ભાવેશ ટાંકે કહ્યું કે દરરોજ 200થી વધુ હીરાના કારીગરો સૌરાષ્ટ્ર પરત ફરી રહ્યા છે. અમને એ ભય સતાવી રહ્યો છે કે હીરાઉદ્યોગની મંદીને જોતાં પરત ગયેલા લોકોમાંથી 20 ટકાથી વધુ કારીગરો પાછા નહીં આવે.

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતમાં

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે સુરતની કોર્ટમાં ગુનાહિત માનહાનિના એક કેસમાં હાજર થશે.

રાહુલ ગાંધી સામે કથિત રીતે 'બધા ચોરની અટક મોદી કેમ હોય છે' એવું નિવેદન આપવાના મુદ્દે ફરિયાદ કરાઈ છે.

ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવેલી ફરિયાદને સ્વીકારતા ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ બી. એચ. કાપડિયાએ રાહુલ ગાંધીને સમન્સ જારી કર્યું હતું.

સુરત પશ્ચિમના ધારાસભ્યે કરેલી ફરિયાદમાં તેમણે રાહુલ ગાંધી પર આરોપ મૂકતા કહ્યું હતું કે 'બધા ચોરની અટક મોદી કેમ હોય છે' આવું નિવેદન આપીને તેમણે સમગ્ર મોદી જ્ઞાતિનું અપમાન કર્યું છે.

2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર માટે કર્ણાટકના કોલારમાં રાહુલ ગાંધીની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રેલીમાં રાહુલ ગાંધીએ કથિત રીતે કહ્યું હતું કે 'નિરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી, દરેકને મોદી અટક કેમ છે, દરેક ચોરની મોદી અટક કેમ હોય છે.'

મૉબ લિંચિંગ મુદ્દે પત્ર લખનારી હસ્તીઓને રાહત

મૉબ લિંચિંગ મામલે વડા પ્રધાન મોદીને પત્ર લખનારી 49 જાણીતી હસ્તીઓ સામે કેસ દાખલ કરનારા સુધીરકુમાર ઓઝા સામે હવે બિહાર પોલીસ ઍક્શન લેશે.

મુઝફ્ફરપુર સીજેએમ કોર્ટના આદેશ બાદ 49 હસ્તીઓ સામે ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે ફરિયાદને 'પાયાવિહોણી અને નિરાધાર' ગણાવી છે.

ઇતિહાસકાર રામચંદ્ર ગુહા, ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ, મણિરત્નમ્, શ્યામ બેનેગલ, અભિનેત્રી અર્પણા સેના સહિતનાં કલાકારો આ પત્રને લઈને ચર્ચામાં આવ્યાં હતાં.

મુઝફ્ફરપુરના સિનિયર એસપી મનોજ કુશવાહાએ બીબીસીને જણાવ્યું, "તપાસમાં અરજદાર સુધીરકુમાર ઓઝાએ પોતાના તરફથી ફરિયાદના પક્ષમાં જરૂરી પુરાવા આપ્યા નથી. "

"પોલીસ તરફથી ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરાઈ હતી અને અમને ઓઝાની ફરિયાદ તથ્યહીન, આધારહીન, પુરાવા વિનાની અને દુર્ભાવનાપૂર્ણ જણાઈ છે."

"આથી કાયદાનું પાલન કરતાં અમે આઈપીસીની કલમ 211/182 અંતર્ગત અરજદાર સામે કાર્યવાહી કરવાની કોર્ટમાં માગ કરીશું."

શી જિનપિંગની કાશ્મીર પરની ટિપ્પણીને લઈને ભારતનો વિરોધ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન વચ્ચે મુલાકાત થઈ હતી. જે બાદ તેઓએ કાશ્મીર મુદ્દે સંયુક્ત નિવેદન આપ્યું હતું.

એનડીટીવી ઇન્ડિયામાં છપાયેલા અહેવાલ પ્રમાણે આ મામલે ભારતે કહ્યું કે નવી દિલ્હીના વલણથી બીજિંગ સારી રીતે વાકેફ છે.

શી જિનપિંગ અને ઇમરાન ખાને કાશ્મીર મુદ્દે ચર્ચા કરી હોવાના સમાચાર ચીની સરકારી મીડિયામાં છપાયા હતા.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું, "અમે શી અને ખાનની બેઠક અંગેના સમાચારા જોયા છે, જેમાં કાશ્મીર પર તેમના વચ્ચે વાતચીત થઈ હોવાનો ઉલ્લેખ છે."

"ભારતનું વલણ સ્પષ્ટ છે કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. ચીન અમારા વલણથી સારી રીતે વાકેફ છે. ભારતની આંતરિક બાબતોમાં અન્ય દેશ ટિપ્પણી ન કરે."

ઉલ્લેખનીય છે કે 11 અને 12 તારીખે વડા પ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થવાની છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો