અક્ષરધામ હુમલો : 'ફાયરિંગમાં ઉગ્રવાદીની ગોળી સીધી મારા હાથ પર વાગી'

    • લેેખક, રવિ પરમાર
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

તારીખ 24 સપ્ટેમ્બર 2002. અમદાવાદના કાલુપુર રેલવેસ્ટેશન પર આશરે 20-25 વર્ષના બે યુવાનો ઊતરે છે.

સ્ટેશન પરથી બન્ને ગાંધીનગરના અક્ષરધામમંદિર જવા માટે 600 રૂપિયામાં સફેદ રંગની ઍમ્બૅસૅડર ગાડી ભાડે કરે છે.

સાંજના લગભગ 4 વાગ્યાની આસપાસ આ ઍમ્બૅસૅડર ગાડી મુખ્ય મંત્રીઆવાસના દરવાજા પાસે ઊભે છે અને તેમાંથી બન્ને યુવાનો ઊતરે છે.

અહીંથી તેઓ ચાલતા-ચાલતા અક્ષરધામ પહોંચે છે.

જાકીટ પહેરેલા અને ખભે બૅગ સાથે આ બે યુવાનો અક્ષરધામ મંદિરના ગેટ નંબર 3 પરથી મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે પણ સુરક્ષા તપાસમાં જાણ થાય છે કે આ બન્ને યુવકો પાસે તો હથિયારો અને ગ્રૅનેડ છે.

જોકે, આ જાણ થાય ત્યાં સુધીમાં તો અક્ષરધામ મંદિર પર ઉગ્રવાદી હુમલાને રોકી શકવાની વેળા વીતી ચૂકી હતી.

'ગાંધીનગર અક્ષરધામ અટૅક : વિટનૅસ ઑફ અ મૅગ્નૅનિમસ રિસ્પૉન્સ ટુ ટૅરરિઝમ' નામે રજૂ કરાયેલા એક સંશોધનપત્રમાં આ વાતનો ઉલ્લેખ કરાયો છે.

'ફોન મારફતે જાણ થઈ'

અક્ષરધામ પર થયેલા ઉગ્રવાદી હુમલાને એ વખતે કવર કરનારા વરિષ્ઠ પત્રકાર ભાર્ગવ પરીખે પોતાનો અનુભવ બીબીસી ગુજરાતી સાથે વર્ણવ્યો.

પરીખ જણાવે છે, "અક્ષરધામમાં દર્શન કરવા ગયેલા મારા એક મિત્રનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું કે મંદિરની અંદર ગોળીબારનો અવાજ આવી રહ્યો છે, લાગે છે કે કોઈ હુમલો થયો છે."

"એ વખતે ગાંધીનગરના એસ.પી. આર. બી. બ્રહ્મભટ્ટ હતા. મેં તેમને ફોન કર્યો તો તેમણે હુમલાની પુષ્ટિ કરી એટલે હું તાત્કાલિક ગાંધીનગર માટે નીકળ્યો. મંદિર ખાતે પહોંચ્યો ત્યારે ગોળીબારનો અવાજ આવી રહ્યો હતો."

"ચારેતરફ સઘન પોલીસ બંદોબસ્ત અને ચિંતાના વાતાવરણ વચ્ચે મેં મંદિરના મુખ્ય દરવાજા તરફ જવા પ્રયાસ કર્યો પરંતુ મને અટકાવી દેવાયો."

વરિષ્ઠ પત્રકાર ધીમંત પુરોહિત જણાવે છે, "તે દિવસે હું ગોધરામાં હતો અને મને હુમલા વિશે જાણ થઈ એટલે હું તરત ગાંધીનગર પાછો ફર્યો."

"હું અક્ષરધામ મંદિર પર પહોંચ્યો તો મંદિર પરિસરના દરવાજા બંધ થઈ ગયા હતા અને બહાર લોકોનાં ટોળાં હતાં."

"મંદિરના એક કર્મી સાથે હું અંદર જઈને ગેટની જમણી બાજુએ એક શેડ નીચે છુપાઈ ગયો હતો."

વરિષ્ઠ પત્રકાર અજય ઉમટે બીબીસીને જણાવ્યું,"તે દિવસે મેં નોકરી માટે એક રિપોર્ટરનો ઇન્ટરવ્યૂ લીધો હતો, તેને નોકરી આપવાનું પણ નક્કી થયું હતું. હું ગાંધીનગર જઈ રહ્યો હતો તો તેણે મને પૂછ્યું કે 'તમે મને ગાંધીનગરમાં અક્ષરધામ પાસે ઉતારી દેશો?'"

"હું તેને અક્ષરધામ ઉતારીને ગાંધીનગર સચિવાલય પહોંચ્યો હતો અને થોડી વારમાં જ એ રિપોર્ટરનો મારી પાસે ફોન આવ્યો કે અક્ષરધામમાં ગોળીબાર થઈ રહ્યો છે અને 25 જેટલા લોકોનાં મૃત્યુ થયાં છે."

"એ ભાવુક થઈ ગયો હતો અને તેણે કહ્યું કે જો હું ન રહું તો મારાં માતાને કહી દેજો કે મને નોકરી મળી ગઈ હતી."

'મંદિરમાં અંધાધૂંધ ગોળીબા'

સંશોધનપત્રમાં જણાવાયા અનુસાર મંદિરની અંદર ઉગ્રવાદીઓ દ્વારા અંધાધૂંધ ગોળીબાર થઈ રહ્યો હતો ત્યારે મંદિરના એક કાર્યકર ખોડસિંહ જાધવ મંદિરના ગર્ભગૃહ તરફ દોડે છે અને અંદરથી દરવાજો બંધ કરી દે છે.

જાધવના આ પગલાને કારણે ઉગ્રવાદીઓ ગર્ભગૃહમાં પ્રવેશી ન શક્યા અને અંદર રહેલા 35 લોકોનો જીવ બચી ગયો.

આ બાદ ઉગ્રવાદીઓ મંદિર પરિસરમાં આગળ વધે છે ત્યારે તેમના પર એક ઈંટ ફેંકાય છે. આ ઈંટ મંદિરના સ્વયંસેવક પ્રવીણકુમારે ફેંકી હતી.

ઉગ્રવાદીઓ પાછળ ફરીને પ્રવીણ પર હુમલો કરે છે પરંતુ તેઓ જીવ બચાવવામાં સફળ રહે છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આર. બી. બહ્મભટ્ટ ઘટનાને યાદ કરતા કહે છે, "મને મંદિરમાંથી 4.30 વાગે ફોન આવ્યો કે મંદિરમાં બે આતંકવાદીઓ ઘૂસી ગયા છે."

"હું તાત્કાલિક મારી ટીમ સાથે મંદિર ખાતે પહોંચ્યો. આ દરમિયાન મેં કંટ્રોલરૂમ ફોન કરીને વધુ પોલીસ-ફોર્સ માટે માગ કરી."

"મંદિરમાં સ્મશાન જેવી શાંતિ હતી. મેં તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો અને અમે મંદિર પરિસરમાં પ્રવેશ્યા."

"સૌપ્રથમ અમે મંદિરના ગર્ભગૃહમાં પહોંચ્યા અને ત્યાં હાજર લોકોને બહાર કાઢી જ્યાં સંતો રહે છે તે તરફ લઈ ગયા. બાદ તેમને ત્યાંથી બહાર લાવવામાં આવ્યા."

સાંજના 5.15 કલાકે એ વખતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી ખાતે નાયબ વડા પ્રધાન એલ. કે. અડવાણીને ફોન કરે છે અને એનએસજી (નેશનલ સિક્યૉરિટી ગાર્ડ) કમાન્ડો મોકલવાની વાત કરે છે.

અજય ઉમટ જણાવે છે, "ઍક્શિબિશન ખંડ અને ગર્ભગૃહ બંધ કરી દેવાયા હતા એટલે હુમલાખોર ઍક્શિબિશન ખંડના એક ભાગમાં પ્રવેશ કરી શક્યા હતા. પછી તે લોકો ધાબા પર ચઢી ગયા હતા."

"ત્યાંથી તેઓ કોઈ નજીક આવે તેમના પર ફાયરિંગ કરી રહ્યા હતા. લગભગ બે કલાક સુધી આ રીતે ગોળીબાર ચાલ્યો. તેઓ ગ્રેનેડ ફેંકી રહ્યા હતા અને એકે-47થી ગોળીબાર કરી રહ્યા હતા."

'નજર સામે જ મૃત્યુ'

આગળ વાત કરતા ભાર્ગવ પરીખ જણાવે છે, "પત્રકાર તરીકે આ ખબરને કવર કરવી મારા માટે ખૂબ જ મહત્ત્વની હતી એટલા માટે મેં મંદિરના પાછળના ભાગેથી અંદર જવા પ્રયાસ કર્યો."

"એ વખતે સૂરજ આથમી ચૂક્યો હતો પરંતુ તેની લાલાશ પડતી ચમક આકાશમાં કાયમ હતી. અંદરથી સતત ગોળીબારનો અવાજ આવી રહ્યો હતો."

"હું ગમે તેમ કરીને મંદિરની અંદર પ્રવેશી ગયો."

"જેવો જ હું અંદર પ્રવેશ્યો કે એક વ્યક્તિ દૂર લોહીલૂહાણ હાલતમાં ઢસડાતી-ઢસડાતી બચવાના પ્રયાસ કરી રહી હતી. પરંતુ થોડી જ ક્ષણો બાદ તેનું શરીર શાંત પડી ગયું અને તેમાં હલનચલન બંધ થઈ ગઈ."

ધીમંત પુરોહિત કહે છે, "મને કહેવામાં આવ્યું કે અક્ષરધામના વૉલન્ટિયર્સ એટલા ઍલર્ટ હતા કે તેમણે ગર્ભગૃહ તરફ ભાગીને ગયેલા ઉગ્રવાદી વિશે ફોન કરીને જાણ કરી હતી એટલે ગર્ભગૃહના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા અને તે ભાગને ગોળીબારથી બચાવી શકાયો હતો."

સ્ટેટ કમાન્ડોનું ઑપરેશન

અક્ષરધામ પર થયેલા ઉગ્રવાદી હુમલાને લગભગ ત્રણ કલાક જેટલો સમય વીતે છે. આટલી સુધીમાં તો દરેક જગ્યાએ આ વાતની જાણ થઈ જાય છે.

મંદિરમાં હાથ ધરાયેલા ઑપરેશન અંગે બ્રહ્મભટ્ટે જણાવે છે, "રાતના આઠ વાગ્યાના સુમારે અમને જાણ થઈ કે આતંકીઓ મંદિરના પાછળના ભાગે છુપાયા છે."

"અમે ત્યાં પહોંચ્યા ત્યારે આતંકીઓ અને અમારી વચ્ચે માત્ર 15 ફૂટનું અંતર હતું. બન્ને તરફથી અંધાધૂંધ ગોળીબાર શરૂ થયો, જેમાં અમારા જવાનો ઘાયલ થયા અને મને પણ હાથમાં ગોળી વાગી."

પોલીસ અને ઉગ્રવાદીઓ વચ્ચે ગોળીબારનો સિલસિલો ચાલુ રહે છે અને પોલીસ કૉન્સ્ટેબલ અર્જુનસિંહ ગમેટી જીવ ગુમાવે છે.

એનએસજી કમાન્ડો મંદિર પહોંચે છે ત્યાં સુધીમાં બે કલાકનો સમય વીતી જાય છે.

પુરોહિત કહે છે, "તે વખતે મંદિર પરિસરમાં ગુજરાત પોલીસના અધિકારી આર. બી. બ્રહ્મભટ્ટને ગોળી વાગી હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં બહારની તરફ દોડ્યા."

"આશ્ચર્યની વાત એ થઈ કે તેઓ પ્રાથમિક ઉપચાર કરાવીને મંદિર પરિસરમાં પરત ફર્યા, જ્યાં ગુજરાત પોલીસકર્મી અને એસઆરપીના જવાન 303 રાઇફલોથી હુમલાખોરોને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા."

"હું શેડ નીચે અન્ય લોકો સાથે કલાકો સુધી ગોળીબાર સાંભળતો રહ્યો અને પળેપળની જાણકારી આપતો રહ્યો. એક સ્વામી કૉરિડૉરમાં ઊભા રહીને પોલીસ અને એસઆરપી અધિકારીઓને મંદિર પરિસર વિશે માહિતી આપતા હતા."

"હુમલાખોરો ઍક્ઝિબિશન હૉલમાં પહોંચી ગયા હતા અને ગુજરાત પોલીસ તેમને બહાર કાઢવાના પ્રયાસ કરી રહી હતી."

"કલાકો સુધી ફાયરિંગ ચાલ્યું અને એમાં એ સ્વામીને ગોળી વાગી જે પોલીસને રસ્તો બતાવી રહ્યા હતા."

"કેટલાક કલાકો પછી આ પ્રકારના ઉગ્રવાદી હુમલાને ડામવામાં સક્ષમ એનએસજી ત્યાં પહોંચી હતી અને તેમણે ચાર્જ સંભાળ્યો."

"મોડી રાત્રે એનએસજીના ઑપરેશનને એટલી સફળતા મળી કે તેઓ હુમલાખોરોને ઍક્ઝિબિશન હૉલમાંથી બહાર કાઢવામાં સફળ થયા."

આ અંગે વાત કરતા બ્રહ્મભટ્ટ જણાવે છે, "રાતના લગભગ 11.15 થી 11.30 વાગ્યે એનએસજી કમાન્ડો અક્ષરધામ આવી પહોંચ્યા હતા."

"અમે તેમને આતંકીઓની પૉઝિશન અને ઘટના અંગે માહિતી આપી. ત્યારબાદ સંયુક્ત ઑપરેશ હાથ ધરવામાં આવ્યું."

અડધી રાત્રે ઘટનાસ્થળના અનુભવને યાદ કરતા ભાર્ગવ પરીખે જણાવ્યું,

"હું મંદિરની પાછળની તરફથી ઘટનાને કવર કરી રહ્યો હતો. અંધારામાં હું કંઈક સમજી શકું તે પહેલાં જ અચાનક મારી નજીકથી ગોળી પસાર થઈ અને હું સ્તબ્ધ થઈ ગયો."

"ત્યારે ખૂબ જ અંધારુ થઈ ચૂક્યું હતું. એટલામાં બે-ત્રણ સુરક્ષાજવા અમારી પાસે આવ્યા અને અમને મંદિરની બહાર કાઢ્યા."

લોહિયાળ સંઘર્ષનો અંત

પુરોહિત કહે છે, "હુમલાખોરો ઍક્ઝિબિશન હૉલની બહાર આવેલા ઝાડ પર ચઢી ગયા. મોડી રાત્રે સામસામે ફાયરિંગ ચાલી રહ્યું હતું."

"એનએસજીને એક હુમલાખોરને મારવામાં સફળતા મળી, બીજો હુમલાખોર પણ ઝાડમાં છુપાયેલો હતો. તે સામે ગોળીબાર કરી રહ્યો હતો. વહેલી સવારે બીજો હુમલાખોર પણ માર્યો ગયો."

સતત ગોળીબાર અને લોહિયાળ સંઘર્ષ વચ્ચે ઘડિયાળનો કાંટો 12 વાગ્યાનો સમય બતાવે છે અને તારીખ 24માંથી 25 સપ્ટેમ્બર થઈ જાય છે.

આ જ દરિમયાન શરૂ થાય છે જોઇન્ટ ઑપરેશન 'વજ્રશક્તિ'.

આખી રાતના સંઘર્ષ બાદ સવારે 5.30 વાગે બન્ને ઉગ્રવાદીઓ આ સંયુક્ત અભિયાનમાં માર્યા જાય છે.

સરકારી આંકડા મુજબ આ હુમલામાં 30 લોકોનાં મૃત્યુ થયાં હતાં 80થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

પુરોહિત કહે છે, "સવારે એનએસજીનું ઑપરેશન પૂર્ણ થયું અને તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી ત્યાં આવ્યા."

"મારે એ સમાચાર બ્રેક કરવા હતા પણ મારા ફોનની બૅટરી પૂરી થઈ ગઈ હતી, મેં નરેન્દ્ર મોદી પાસેથી ફોન માગ્યો પણ તેઓ ફોન રાખતા નહોતા, તેમણે તેમના અધિકારી ઓ. પી. સિંહ પાસેથી મને ફોન અપાવ્યો અને તેનાથી મેં બહાર સમાચાર આપ્યા કે અક્ષરધામમાં હુમલાખોરોને ઠાર મારીને ઑપરેશન પૂર્ણ કરાયું છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો