You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બાંગ્લાદેશે હાર્યા બાદ વિરાટ કોહલી પર અત્યાર સુધીનો સૌથી મોટો આરોપ કેમ લગાવ્યો?
- બાંગ્લાદેશે કોહલી પર ફૅક ફિલ્ડિંગનો આરોપ લગાવ્યો છે
- રન લેવા દોડી રહેલા બૅટ્સમૅનનું ધ્યાન ભટકાવવાનો આરોપ
- બાંગ્લાદેશનો આરોપ : ‘જો અમ્પાયરે ધ્યાન ભટકાવવાના નિયમ હેઠળ પૅનલ્ટી આપી હોત તો બાંગ્લાદેશને વધારાના પાંચ રન મળ્યા હોત’
- આરોપમાં કેટલી દમ છે, વાંચો આ લેખમાં
ઑસ્ટ્રેલિયામાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડકપની ખૂબ જ રોમાંચક મૅચમાં ભારતે બાંગ્લાદેશને હરાવી દીધુ છે. પાકિસ્તાન સામેની મૅચની જેમ આ વખતે પણ મૅચની છેલ્લી ઓવરના છેલ્લા બૉલે પરિણામ આવ્યું હતું.
ડકવર્થ-લુઈસના નિયમ અનુસાર વરસાદથી વિક્ષેપિત મૅચ ટૂંકી કરવામાં આવી હતી. મૅચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે છ વિકેટે 184 રન બનાવ્યા હતા.
તેના જવાબમાં બાંગ્લાદેશની ટીમે ધમાકેદાર બૅટિંગ કરી હતી અને લિટન દાસની ઝડપી બેટિંગે ભારતીય બૉલરોને ધોબીપછાડ આપી હતી. એ બાદ ખરાબ હવામાનને કારણે મૅચ અટકાવવામાં આવી હતી અને ભારતે વાપસી કરી હતી.
વરસાદના કારણે મૅચ 16 ઓવરની કરવામાં આવી હતી અને બાંગ્લાદેશને 151 રનનો નવો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ તે નિર્ધારિત ઓવરોમાં માત્ર 145 રન જ બનાવી શક્યું હતું.
જબરદસ્ત ફૉર્મમાં ચાલી રહેલ વિરાટ કોહલી ફરી એકવાર ભારતીય બેટિંગની કરોડરજ્જુ સાબિત થયા અને તેણે સંયમિત ઇનિંગ રમતાં 44 બૉલમાં 64 રન બનાવ્યા. પરંતુ મૅચ બાદ બાંગ્લાદેશ ટીમના મૅનેજમૅન્ટે કોહલી પર ગંભીર આરોપ લગાવ્યો હતો.
નુરુલ હસને શું કહ્યું
જોકે, લિટન દાસની તાબડતોડ બૅટિંગથી બાંગ્લાદેશ લગભગ જીતી ગયું હતું, પરંતુ તેમના આઉટ થયા બાદ ટીમને મૅચમાં જાળવી રાખવાનો શ્રેય વિકેટકીપર નુરુલ હસન 'સોહાન'ને જાય છે.
નુરુલનો 25 રનનો સ્કોર ભલે ઓછો લાગે, પરંતુ તેમના બે ચોગ્ગા અને એક છગ્ગાએ ભારતીય પ્રેક્ષકોના હૃદયના ધબકારા વધારી દીધા હતા. પરંતુ મૅચ બાદ તેણે વિરાટ કોહલી પર ફૅક ફિલ્ડિંગનો આરોપ લગાવ્યો હતો.
પત્રકારો સાથે વાત કરતા નુરુલ હસને કહ્યું, "આપણે બધાએ જોયું કે મેદાન ભીનું હતું. જો આપણે બધી બાબતોની સમિક્ષા કરતા હોઈએ તો કહેવું પડશે કે મૅચમાં 'ફૅક થ્રો' પણ હતો. પૅનલ્ટી તરીકે, અમને પાંચ રન મળવા જોઈતા હતા. આ બાબત અમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકી હોત પરંતુ તેમ પણ ન થયું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્રિકેટમાં અનફૅયર પ્લેના 'નિયમ 41.5' બૅટ્સમૅનને જાણીજોઈને વિચલિત કરવા, છેતરવા અથવા અવરોધવાની મનાઈ કરે છે."
"જો અમ્પાયરને લાગે કે આવું થયું છે, તો તે તે બૉલને ડેડ બૉલ જાહેર કરી શકે છે અને બેટિંગ સાઈડને પાંચ રન આપી શકે છે. પરંતુ એમ બન્યું નહીં."
કોહલીએ શું કર્યું હતું?
મૅચ દરમિયાન શાનદાર ફોર્મમાં ચાલી રહેલા બાંગ્લાદેશી ઓપનર લિટન દાસ 24 બૉલમાં 56 રન બનાવીને રમી રહ્યા હતા.
મૅચની સાતમી ઓવરમાં અક્ષર પટેલના બીજા બૉલ પર તેણે સ્વીપર બાઉન્ડ્રી પર કટ મારી હતી.
પહેલો રન આસાનીથી લીધા પછી, બાંગ્લાદેશના બsટ્સમૅનો બીજા રન માટે દોડ્યા ત્યારે 30 યાર્ડના વર્તુળમાં ઊભા રહેલા વિરાટ કોહલી નોન-સ્ટ્રાઈકરના છેડે બૉલ ફેંકવાની ઍક્ટિંગ કરતા જોવા મળ્યા હતા.
આ થયું ત્યારે બાઉન્ડ્રીથી અર્શદીપ સિંહનો થ્રો વિકેટકીપર તરફ કોહલીની જમણી બાજુથી પસાર થઈ રહ્યો હતો.
બાંગ્લાદેશે રન પૂરો કર્યો અને બાઉન્ડ્રી પરથી બૉલ વિકેટકીપર દિનેશ કાર્તિકના ગ્લોવ્સમાં ગયો.
નિયમ અનુસાર બૅટ્સમૅનનું ધ્યાન હટાવવાનું ખોટું છે. પરંતુ શું કોહલીની હરકતથી ખરેખર બૅટ્સમૅન ભ્રમિત થયા હતા?
બીજો રન લેતી વખતે બાંગ્લાદેશના બૅટ્સમૅનો બિલકુલ ભ્રમિત જણાતા નહોતા.
મૅચમાં વધુ એક ઘટનાએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. વિરાટ કોહલી 45 રને રમી રહ્યા હતા અને તેમણે હસન મહમૂદના શોર્ટ બૉલને હૂક કરીને રન લીધો. આ દરમિયાન કોહલી નો બૉલ માટે અપીલ કરતા જોવા મળ્યા હતા.
અમ્પાયરે નો બૉલ આપ્યો કારણ કે બૉલ બૅટ્સમૅનના માથા ઉપરથી ગયો હતો. આ નિર્ણય બાદ શાકિબ અલ હસન હસ્યા અને કોહલીના ખભા પર હાથ મૂક્યો.
ટીવી કોમેન્ટેટર હર્ષા ભોગલેને પણ લાગ્યું કે કોહલીના ઈશારા બાદ અમ્પાયરે આપેલો નો-બૉલ શાકિબને પસંદ નથી આવ્યો.
નિયમનો ભંગ થયો કે નહીં?
સોશિયલ મીડિયા પર પણ ઘણા લોકો કોહલીની કથિત નકલી ફિલ્ડિંગની વીડિયો ક્લિપ શૅર કરીને કૉમેન્ટ લખી રહ્યા છે.
બાંગ્લાદેશના ક્રિકેટ વિશ્લેષક નાઝમુલ ચૌધરીએ એક ટ્વીટમાં લખ્યું, "કોહલી ફૅક ફિલ્ડિંગ દ્વારા બાંગ્લાદેશના બૅટ્સમૅન શાંતોનું ધ્યાન ભટકાવતા જોઈ શકાય છે. નિયમ પ્રમાણે ભારતને પાંચ રનનો દંડ થવો જોઈતો હતો. પરંતુ અમ્પાયરે કંઈ કર્યું નહીં."
કાર્તિક નામના ભારતીય સમર્થકે લખ્યું, "હું વ્યક્તિગત રીતે ફૅક ફિલ્ડિંગ માટે દંડની તરફેણમાં નથી. પરંતુ તે ચોક્કસપણે ફૅક ફિલ્ડિંગ હતી."
અન્ય એક ભારતીય પ્રશંસકે લખ્યું કે આરોપ લગાવતાં પહેલા તમામ નિયમો બરાબર વાંચી લેવા જોઈએ.
તેમનું કહેવું હતું, "કોહલીએ કંઈ ખોટું નથી કર્યું, બૅટ્સમૅનોનું ધ્યાન ભટક્યું નથી. બૉલ સ્ટ્રાઈકરના છેડે દોડી રહેલા બૅટ્સમૅનને સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો."
પાકિસ્તાનમાં પણ પ્રતિક્રિયા
ભારત બાંગ્લાદેશ મૅચમાં થયેલા આ વિવાદની ચર્ચા પાકિસ્તાનના ક્રિકેટ ચાહકોમાં પણ થઈ રહી છે.
મિસ્બાહ ઉદ્દીન નામના યૂઝરે ટ્વીટ કર્યું છે કે આ ફૅક ફિલ્ડિંગ હતી જેને અમ્પાયરે અવગણી હતી.
અબ્દુલ્લા ચૌધરીએ ટ્વીટ કર્યું છે કે આ ચીટિંગ છે.
આ મૅચમાં ન્યુઝીલૅન્ડના ક્રિસ બ્રાઉન અને સાઉથ આફ્રિકાના માર્કસ ઈરસમસે અંપાયરિંગ કર્યું હતું.
માર્કસ ઈરસમસ 23 ઑક્ટોબરે પાકિસ્તાન સામેની ભારતની મૅચમાં પણ અમ્પાયર હતા. તે મૅચમાં, પાકિસ્તાની સમર્થકોએ છેલ્લી ઓવરમાં કમરથી ઉપરના બૉલને નો બૉલ જાહેર કરવાના ઇરસમસના નિર્ણયને પડકાર્યો હતો.
આ મૅચમાં પણ ઈરસમસ અમ્પાયરિંગ કરી રહ્યા હતા.
પાકિસ્તાની પત્રકાર એહતિશામ-ઉલ-હક્કે અમ્પાયરોની તસવીર શૅર કરી અને લખ્યું- ભારતને અભિનંદન, સેમિફાઇનલમાં પહોંચવા બદલ
તેમણે શૅર કરેલી એક તસવીરમાં બાબર આઝમ અમ્પાયરને કંઈક સમજાવી રહ્યા છે અને બીજી તસવીરમાં બાંગ્લાદેશના કૅપ્ટન શાકિબ અલ હસન અમ્પાયર સાથે વાત કરી રહ્યા છે.
કૉપી – પવનસિંહ અતુલ