બીબીસી ગુજરાતીના આ લેખો ચૂકી તો નથી ગયા ને?

પ્રકાશિત

જુલાઈ 2022માં એઇડ્સથી પીડિત એક અમેરિકાના દર્દીને આ બીમારીમાંથી સ્વસ્થ જાહેર કરવામાં આવ્યો. સમગ્ર દુનિયામાં એઇડ્સના વાઇરસનો ઉપચાર શોધવાની દિશામાં તેને એક મોટી સફળતા તરીકે જોવામાં આવે છે.

આ દર્દી દુનિયાના એ પાંચ વ્યક્તિઓમાં સામેલ છે જે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટથી એઇડ્સ અને લ્યૂકેમિયા જેવી બીમારીથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે.

66 વર્ષના આ દર્દીને 1988માં પોતાને એઇડ્સની બીમારી થઈ છે એ વાતની જાણ થઈ હતી. સાજા થયેલા પાંચ દર્દીઓમાંથી એ ઉંમરમાં સૌથી મોટા છે અને આ બીમારી સાથે સૌથી વધુ સમય સુધી જીવિત રહેનાર વ્યક્તિ બન્યા છે.

એ સમયે તેઓ પોતાની ઓળખાણ ઉજાગર થવા દેવા માગતા ન હતા, પરંતુ એક વર્ષ પછી પૉલ એડમન્ડ્સે સાર્વજનિક રીતે પોતાની કહાણી સંભળાવવાનો નિર્ણય કર્યો હતો અને તેમણે સૌથી પહેલો ઇન્ટરવ્યૂ બીબીસી ન્યૂઝ બ્રાઝીલને આપ્યો.

તેઓ કહે છે, ‘હું એઇડ્સ પીડિતો માટે પ્રેરણા બનવા માગું છું અને જેઓ આ બીમારીથી હારી ગયા તેમના માટે મારા મનમાં સંવેદના છે.’

એચઆઇવી એટલે કે હ્યુમન ઇમ્યૂનો ડેફિસિયન્સી વાઇરસ દર્દીની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે.

ગંભીર તબક્કામાં તે એઇડ્સ (એક્વાયર્ડ ઇમ્યૂનો ડેફિસિયન્સી વાઇરસ) બની જાય છે જે દર્દીનું રોગપ્રતિકારક તંત્ર ખોરવાઈ ગયા પછી એક પછી એક એવી બીમારીઓને જન્મ આપે છે જે નબળી પ્રતિકારક શક્તિની સ્થિતિમાં આપોઆપ પોતાનું જોર બતાવે છે.

1980ના દાયકામાં એચઆઇવીનો કોઈ ઇલાજ ન હતો. મોટા ભાગના લોકો માટે એચઆઇવી થયો એટલે મોત નિશ્ચિત એમ જ મનાતું હતું.

પરંતુ એમના કેસમાં હાલત તેનાથી પણ ખરાબ હતી. જ્યારે તેમને એચઆઇવી વિશે ખબર પડી ત્યારે તેમને એઇડ્સ પણ થઈ ચૂક્યો હતો.

સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.

ભારતીય મસાલા પોતાના અનોખા સ્વાદ અને બેમિસાલ ખુશ્બુ માટે દુનિયાભરમાં મશહૂર છે. એક સમય હતો જ્યારે આ જ મસાલાની શોધમાં દુનિયાભરના વ્યાપારીઓ ભારત આવતા હતા. મસાલાને કારણે જ ભારતીય વ્યંજનની દુનિયાભરમાં અનોખી ઓળખ છે. જાણકારો કહે છે કે, ભોજન બનાવતી વખતે જ્યારે મસાલાની સુગંધ ઊડે છે ત્યારે ભૂખ આપોઆપ લાગે છે.

એ કહેવું અયોગ્ય નહીં હોય કે મસાલા વગર ભારતીય વ્યંજનની કલ્પના નહીં કરી શકીયે. મસાલા ભારતીય ડિશને લિજ્જતદાર બનાવી દે છે, પણ બજારોમાં મસાલાની કિંમતો વધી રહી છે.

મસાલા-બજાર સાથે સંકળાયેલા તજજ્ઞો જણાવે છે કે જીરું, મરચું, વરિયાળી અને આદુંની કિંમતો વધી છે. વળી, કેટલાક મસાલામાં ઉત્પાદન ઓછું થતાં અને માર્કેટમાં માગ વધતાં ભાવો હજુ વધવાની શક્યતાઓ છે.

હાલ મસાલા ભરવાની સિઝન છે. એક તરફ દુનિયાભરમાં ફુગાવો માઝા મૂકી રહ્યો છે. યુક્રેન-રશિયાનું યુદ્ધ ચરમસીમા પર છે. જળવાયુ પરિવર્તનની અસર હેઠળ કેટલાક દેશોમાં ભયંકર ગરમી પડી રહી છે તો ક્યાંક કમોસમી વરસાદ છે. આ બધાં પરિબળોની અસર મસાલાના પાક પર પણ પડી છે. ત્યારે જોઈએ કે મસાલા ભરવાની આ સિઝનમાં મોંઘવારીનો માર કેટલો 'તીખો' છે?

સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.

ઘણા લોકો તેમની પાછલી ઉંમરમાં તેમની માંસપેશીઓ વધારવા માટે પ્રોટીન પાઉડર સપ્લિમેન્ટ્સ લેતા હોય છે. પણ શું આમ કરવું તેમના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે?

હેલ્થ ફૂડની વાત આવે તો પ્રોટીન પાઉડર વિશે હું હંમેશાં ગૂંચવણ અનુભવું છું.

તમે પણ સ્થાનિક હેલ્થ ફૂડ સ્ટોરમાં પ્રોટીન પાઉડરથી ભરેલા ડબ્બા જોયા હશે.

જિમ જનારાઓના મોઢે પણ તમે પ્રોટીન પાઉડરની પ્રશંસા સાંભળી હશે. તેઓ દાવો કરે છે કે તેને દૂધમાં મેળવીને લેવાથી માંસપેશીઓમાં વૃદ્ધિ થાય છે.

તેનો બૉડીબિલ્ડર્સ કે ઍથ્લીટ્સ જ નહીં પરંતુ અન્ય લોકો પણ તેનો બહોળો ઉપયોગ કરે છે.

તેથી હવે સમય આવી ગયો છે કે પ્રોટીન પાઉડરના કથિત લાભ ખરેખર મળે છે કે નહીં તેની તપાસ કરવાનો.

કેટલાક લોકો પ્રોટીન પાઉડરના ડ્રીંકનો ઉપયોગ નાસ્તાની માફક ભોજનની વચ્ચે કરે છે.

કેટલાક તો તેમને ભોજન કરવાનો સમય ન મળ્યો હોય તો તેનો ભોજનની માફક જ ઉપયોગ કરે છે.

કેટલાક લોકો જે વીગન ડાયટ લેતા હોય અને તેમને લાગે કે તેમને યોગ્ય પોષણ નથી મળી રહ્યું તો તેઓ પોતાનો પ્રોટીન ઇનટેક તરીકે આ પાઉડરનો ઉપયોગ કરે છે.

સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.

બ્રિટનમાં એક બાળક ત્રણ વ્યક્તિના ડીએનએથી જન્મ્યું છે. યુકેના ફર્ટિલિટી નિયામકે આ વાતની પુષ્ટિ કરી હતી. યુકેમાં જન્મેલું આ પ્રકારનું આ પ્રથમ બાળક છે.

બાળકમાં મોટા ભાગનું ડીએનએ તેમનાં માતાપિતાનું છે જ્યારે લગભગ 0.1 ટકા ત્રીજી વ્યક્તિ એવી એક મહિલાદાતાનું છે.

આ તકનિકનો ઉપયોગ બાળકને જિન આધારિત બીમારીઓ ન થાય એટલા માટે કરવામાં આવ્યો હતો. આવાં પાંચ બાળકો જન્મ્યાં છે પરંતુ તેમના વિશે વધુ માહિતી જાહેર નથી કરાઈ.

નોંધનીય છે કે મિટોકૉન્ડ્રિઅલના રોગોની સારવાર નથી અને તે બાળકના જન્મના ગણતરીના દિવસો અથવા કલાકોમાં જ બાળક માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ઘણા પરિવારોએ આ બીમારીના લીધે બાળકો ગુમાવ્યાં છે અને આ તકનિકને એકમાત્ર એવા વિકલ્પ તરીકે જોવામાં આવી રહી છે જેનાથી જિન આધારિત મિટોકૉન્ડ્રિઅલ બીમારીનું જોખમ ધરાવતાં બાળકોના પરિવારો પોતાના સ્વસ્થ બાળકો પેદા કરી શકે છે.

મિટોકૉન્ડ્રિઆ શરીરના કોષમાં રહેલો એ નાનકડો ભાગ છે જે ખોરાકનું ઊર્જામાં રૂપાંતરણ કરે છે.

સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.

બંગાળની ખાડીમાં ચોમાસા પહેલાની ગતિવિધિઓ શરૂ થઈ ચૂકી છે. વર્ષનું પહેલું વાવાઝોડું ‘મોકા’ આકાર લઈ રહ્યું છે.

અત્યાર સુધી મળતી અપડેટ્સ અનુસાર આ વાવાઝોડું સીધું જ ભારતના કોઈ રાજ્ય સાથે ટકરાય તેવી શક્યતા ઓછી છે અને તે મ્યાનમાર અને બાંગ્લાદેશ સાથે ટકરાય તેવી શક્યતા વધું છે.

જોકે હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશ માટે ઍલર્ટની જાહેરાત કરી છે.

વર્ષ દરમિયાન સમગ્ર વિશ્વના અલગ અલગ ભાગોમાં સતત વાવાઝોડાં સર્જાતા રહે છે.

પરંતુ કેટલાક વાવાઝોડાં ખૂબ ભયાનક તાકાતવાળા હોય છે અને તે જાનમાલનું ખૂબ નુકસાન કરીને જાય છે.

તાજેતરમાં જ એક ‘ફ્રેડી’ નામનું વાવાઝોડું આવ્યું હતું જે સતત 34 દિવસ સુધી સક્રિય રહ્યું હતું અને આફ્રિકાના દક્ષિણી તટ સાથે ટકરાયું હતું. 'ફ્રેડી'એ આફ્રિકાના દક્ષિણ-પૂર્વીય તટ પર આવેલા દેશોમાં તારાજી સર્જી હતી.

સંપૂર્ણ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.