You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુપ્રીમ કોર્ટે ચંડીગઢ મેયર ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારને વિજેતા કેમ જાહેર કર્યા?
સુપ્રીમ કોર્ટે ચંડીગઢમાં મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા છે. સુપ્રીમ કોર્ટે ભાજપના ઉમેદવારની જીતને રદ કરી છે.
આ ચૂંટણીમાં રિટર્નિંગ ઑફિસર અનિલ મસીહે ભાજપના ઉમેદવારને વિજયી જાહેર કર્યા હતા. આ બાબતે કોર્ટમાં પરિણામોમાં ગોટાળા વિશે આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસે ફરિયાદ કર્યા પછી કોર્ટે કાર્યવાહી શરૂ કરી હતી.
મંગળવારે એટલે કે 20 ફેબ્રુઆરીએ હાથ ધરેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ફરી મતગણતરી કરવાનો આદેશ આપ્યો અને કહ્યું કે 'અમાન્ય' જાહેર કરાયેલા બૅલેટ પેપરનો સમાવેશ કરીને ફરીથી ગણતરી કરવામાં આવે.
કોર્ટે કહ્યું હતું, "અમે ફરી ગણતરીનો નિર્દેશ આપી રહ્યા છીએ." અમાન્ય જાહેર કરાયેલાં આઠ બૅલેટ પેપરને ગણતરીમાં સામેલ કરવા જોઈએ અને તે પછી પરિણામ જાહેર કરવાં જોઈએ.
સુપ્રીમ કોર્ટે મેયરની ચૂંટણી કરાવનાર રિટર્નિંગ ઑફિસર અનિલ મસીહની આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટે પૂછ્યું કે શું તેમણે જે બૅલેટ પેપરને અમાન્ય જાહેર કર્યાં હતાં તે ખરાબ કરી દેવાયાં હતાં?
આ ગણતરી પછી કોર્ટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમાન્ય જાહેર કરાયેલાં આઠ બૅલેટ પેપરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપકુમારની તરફેણમાં મત પડ્યા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ નિર્ણય બદલ સુપ્રીમ કોર્ટનો આભાર માન્યો છે.
અગાઉ સોમવારે મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની ખંડપીઠે 30 જાન્યુઆરી, 2024ના રોજ ચંડીગઢના મેયર પદ માટે મતદાન દરમિયાન ઉપયોગમાં લેવાતા બૅલેટ પેપર રજૂ કરવા કહ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બૅન્ચે નવેસરથી ચૂંટણી કરાવવાના બદલે બૅલેટ પેપરનો સમાવેસ કરી ફરી મત ગણતરીની સૂચના આપી હતી. સોમવારની સુનાવણી દરમિયાન, કોર્ટે ચૂંટણીના પ્રિસાઇડિંગ ઓફિસર અનિલ મસીહને કડક પ્રશ્નો પૂછ્યા હતા.
કોર્ટે મંગળવારે થનારી સુનાવણી દરમિયાન તમામ બૅલેટ પેપર રજૂ કરવાનો આદેશ આપ્યો હતો. અનિલ મસીહે કોર્ટમાં સ્વીકાર્યું કે તેમણે બૅલેટ પેપર પર ચોકડી મારી હતી.
આ કેસની સુનાવણી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની ખંડપીઠ કરી રહી છે. 5 ફેબ્રુઆરીએ થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે રિટર્નિંગ ઓફિસર (અનિલ મસીહ) વિશે કડક ટિપ્પણી કરી હતી અને કહેલું કે એ સ્પષ્ટ થઈ ગયું છે કે તેમણે બૅલટપેપર સાથે છેડછાડ કરી અને તેમના વિરુદ્ધ ખટલો ચલાવવો જોઈએ.
તેમણે જે કર્યું, કોર્ટે તેને લોકશાહીની ‘હત્યા અને મજાક’ ગણાવી. કોર્ટે બૅલટપેપર અને ચૂંટણીપ્રક્રિયાના વીડિયોને સુરક્ષિત રાખવાનો આદેશ કર્યો હતો.
ચીફ જસ્ટિસે મસીહને શું પૂછ્યું?
કોર્ટના આદેશ પર મસીહ સોમવારની સુનાવણી દરમિયાન હાજર રહ્યા. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટને જાણકારી અપાઈ કે ચંડીગઢ મહાપાલિકાના નામાંકિત સભ્ય છે અને ભાજપ સાથે જોડાયેલા છે.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે મસીહને સવાલ પૂછ્યા.
લાઇવ લૉ અનુસાર ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું, “મિસ્ટર મસીહ, હું તમને એક સવાલ કરું છું. જો તમે સાચું નહીં બોલો તો તમારી સામે કેસ ચલાવાશે. આ એક ગંભીર મામલો છે. તમે કૅમેરામાં જોતાં જોતાં શું કરી રહ્યા હતા? (જ્યારે) તમે બૅલટપેપર પર ક્રૉસનું નિશાન કરી રહ્યા હતા? જો હા, તો આવું કેમ કરી રહ્યા હતા?”
આ અંગે મસીહે કહ્યું, “વોટિંગ બાદ મારે બૅલટપેપર પર સહી કરવાની હતી, જે બૅલટ રદ થયા હતા, તેને અલગ કરવાના હતા.”
ચીફ જસ્ટિસે પૂછ્યું, “વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે તમે ખાસ બૅલટપેપર પર ચોકડીનું નિશાન બનાવી રહ્યા હતા. શું તમે ખાસ બૅલટપેપર પર ચોકડીનું નિશાન કર્યું?”
આ સવાલ અંગે મસીહે કહ્યું, “જી, હા.”
ચીફ જસ્ટિસે પૂછ્યું, “કેટલા બૅલટપેપર પર નિશાન કર્યાં?”
મસીહે કોર્ટને કહ્યું, “આઠ.”
ચીફ જસ્ટિસે પૂછ્યું, “તમે આવું કેમ કર્યું? તમારે માત્ર સહી કરવાની હતી. નિયમોમાં એવું ક્યાં લખાયેલું છે કે બૅલટપેપર પર બીજી કોઈ નિશાની કરવાની જરૂર છે?”
આનો જવાબ આપતાં મસીહે કહ્યું, “બૅલટપેપર ઉમેદવારોએ ખરાબ કર્યા. તેમણે તેને ખેંચીને નષ્ટ કરી દીધા.”
ચીફ જસ્ટિસે આ અંગે સૉલિસિટર જનરલને સંબોધિત કર્યા.
તેમણે કહ્યું, “મિસ્ટર સૉલિસિટર, આમના વિરુદ્ધ કેસ ચલાવવામાં આવે. આ ચૂંટણીપ્રક્રિયામાં હસ્તક્ષેપ છે.”
મતગણતરી
સુનાવણી દરમિયાન કોર્ટે ચંડીગઢના ડેપ્યુટી કમિશનરને આદેશ કર્યો કે તેઓ એક એવા અધિકારીને નૉમિનેટ કરે જેઓ કોઈ રાજકીય દળ માટે કૂણી લાગણી ન ધરાવતા હોય અને તેમને રિટર્નિંગ ઑફિસર બનાવાય. તેમજ બૅલટપેપરની ગણતરી કરીને પરિણામોનું એલાન કરો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે મતગણતરીની સંપૂર્ણ પ્રક્રિયાની દેખરેખ પંજાબ ઍન્ડ હરિયાણા હાઇકોર્ટ દ્વારા નૉમિનેટ કરાયેલા ન્યાયિક અધિકારી કરશે.
ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું, “પરિણામના એલાન અગાઉ આ પ્રક્રિયા જ્યાં રોકાઈ હતી, ત્યાંથી તેને એક તર્કસંગત નિષ્કર્ષ સુધી લઈ જવાય.”
ચંડીગઢ તંત્ર તરફથી સૉલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા. તેમણે કહ્યું કે એક ન્યાયિક અધિકારીની દેખરેખમાં નવેસરથી ચૂંટણી કરાવાય.
જોકે, મેયર ચૂંટણીમાં પરાજિત જાહેર કરાયેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપકુમારે તુષાર મહેતાના પ્રસ્તાવનો વિરોધ કર્યો.
કુલદીપકુમાર તરફથી હાજર રહેલા સિનિયર વકીલ ગુરમિંદરસિંહે કહ્યું કે હાલના બૅલટપેપરોને આધારે જ મતગણતરી કરી શકાય છે.
બૅલટપેપર રજૂ કરો
સમાચાર એજન્સી પીટીઆઇ પ્રમાણે સુપ્રીમ કોર્ટે એવો પણ આદેશ કર્યો કે ચંડીગઢ મેયર ચૂંટણીના બૅલટપેપર તેમની સામે રજૂ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે મંગળવારે બૅલટપેપર રજૂ કરવા જણાવ્યું છે.
વિવાદિત ચૂંઠણી અંગે કરાયેલ અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને આદેશ કર્યો કે તેઓ બૅલટપેપર અને વીડિયો પ્રાપ્ત કરવા માટે એક ન્યાયિક અધિકારીને તહેનાત કરે. કોર્ટે તંત્રને કહ્યું કે એ અધિકારી અને તમામ રેકૉર્ડને સુરક્ષિત લાવવા માટે રક્ષણ પૂરું પાડવામાં આવશે.
સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર સુપ્રીમ કોર્ટ મંગળવારે તમામ બૅલટપેપર અને વીડિયો રેકૉર્ડિંગ જોશે.
‘હૉર્સ ટ્રેડિંગનો ગંભીર મામલો’
રવિવારે જ આમ આદમી પાર્ટીના ત્રણ કાઉન્સીલર ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા.
આ વાતનું સંજ્ઞાન લેતા કોર્ટે સોમવારે કહ્યું કે ‘હૉર્સ ટ્રેડિંગ’ થઈ રહી છે. આ એક ‘ગંભીર મામલો’ છે.
આમ આદમી પાર્ટીનાં ત્રણ કાઉન્સીલર નેહાર, પૂનમ અને ગુરુચરણ કાલા રવિવારે ભાજપમાં સામેલ થઈ ગયાં. આ પહેલાં ભાજપ નેતા મનોજ સોનકરે ચંડીગઢના મેયરપદેથી રાજીનામું આપી દીધું હતું.
ચંડીગઢમાં મેયરની ચૂંઠણી 30 જાન્યુઆરીના રોજ થઈ હતી. ચૂંટણીપરિણામના એલાન બાદ આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસે કોર્ટનાં દ્વાર ખખડાવ્યાં હતાં.
આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસનો આરોપ છે કે આ ચૂંટણીમાં પીઠાસીન અધિકારીએ ગોટાળો કર્યો અને સંખ્યાબળ ન હોવા છતાં ભાજપને વિજેતા જાહેર કરી દીધો.
હાઈકોર્ટમાં રાહત ન મળતાં તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યાં હતાં.
પીઠાસીન અધિકારીએ અગાઉ શું કહેલું?
ચૂંટણીપરિણામો પર વિવાદ થયા બાદ પીઠાસીન અધિકારી અનિલ મસીહે સમાચાર એજન્સી એએનઆઇ સાથે વાતચીત કરી હતી.
અનિલ મસીહે કહ્યું હતું કે, “મેયરની ચૂંટણીપ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી હતી. સાંસદના મત સહિત કુલ 36 મત પડ્યા. જ્યારે અમે મતપત્રો જાહેર કરી રહ્યા હતા, ત્યારે આમ આદમી પાર્ટી અને કૉગ્રેસના કાઉન્સીલરોએ એ વાતની ચિંતા વ્યક્ત કરી હતી કે મતપત્રો પર નિશાન છે અને તેમણે લગભગ 11 મતપત્રો બદલવા કહ્યું. મેં તેમની વિનંતી સ્વીકારી. મેં તેમના 11 મતપત્રો સાઇડમાં મૂકીને તેમને નવા મતપત્ર આપ્યા. જ્યારે મતદાન થઈ ગયું ત્યારે મતગણતરી થઈ.”
અનિલ મસીહે કહ્યું હતું કે, “મેં પ્રક્રિયા અંતર્ગત પરિણામોની જાહેરાત કરી. જેમાં ભાજપને 16, આમ આદમી પાર્ટીને 12 અને આઠ વોટ અમાન્ય છે. આ જાહેરાત કરતાં જ મેં ભાજપ અને આમ આદમી પાર્ટી-કૉંગ્રેસના પોલિંગ એજન્ટોને તમામ મતપત્ર ચેક કરવાની વિનંતી કરી. પરંતુ કૉંગ્રેસ-આમ આદમી પાર્ટીના લોકો પેપર ચેક કરવાને સ્થાને કૂદી પડ્યા. તેમણે આવીને બૅલટપેપર પર કબજો કરી લીધો અને તેને ફાડી નાખ્યા.”
આઠ મતપત્ર કેમ અમાન્ય જાહેર કરાયા?
આ પ્રશ્ન અંગે પીઠાસીન અધિકારી અનિલ મસીહે જવાબ આપ્યો, “મતપત્રોમાં કોઈ ટિક માર્ક કે નિશાન ન હોવાં જોઈએ. વોટિંગ બાદ જે મતપત્રો પર આવાં નિશાન હતાં, એને અમે અમાન્ય જાહેર કર્યા.”