નવજોતસિંહ સિદ્ધુ : ક્રિકેટરથી રાજકારણી અને જેલવાસ સુધીની કહાણી

પ્રકાશિત
  • નવજોતસિંહ સિદ્ધુએ 1981-82માં ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું
  • ભારતીય ટેસ્ટ ટીમ માટે પ્રથમ વખત 1983-84માં અમદાવાદમાં રમ્યા હતા. 19 વર્ષની ક્રિકેટની કારકિર્દીમાં તેમણે 51 ટેસ્ટ અને 136 વનડે મૅચ રમી છે
  • વર્ષ 1999માં તેમણે ક્રિકેટને અલવિદા કહી દીધું હતું
  • સિદ્ધુ 2004માં ભાજપમાં જોડાયા હતા
  • 2004માં અમૃતસરથી ભાજપની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા
  • 2014 સુધી સિદ્ધુ સતત ચૂંટણી જીતતા આવ્યા છે
  • 2016માં પંજાબથી રાજ્યસભા માટે નામાંકિત કરવામાં આવ્યા હતા
  • 2017માં કૉંગ્રેસમાં જોડાયા. આ વર્ષે અમૃતસર ઈસ્ટથી વિધાનસભા ચૂંટણી જીત્યા
  • 2018માં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં ભાગ લીધો. જેના લીધે વિવાદ સર્જાયો
  • 2021 આવતા સુધીમાં પંજાબના તત્કાલીન સીએમ કૅપ્ટન અમરિંદર સાથે તેમનો મતભેદ શરૂ થયો
  • કૅપ્ટન અને સિદ્ધુના ઝઘડા વચ્ચે ચરણજિતસિંહ ચન્નીને સીએમ બનાવવામાં આવ્યા
  • આ ઝઘડામાં કૉંગ્રેસ 2022ની ચૂંટણી હારી ગયું
  • 19 મે 2022ના રોજ સિદ્ધુ વિરુદ્ધ થયેલા રોડરેજ કેસમાં એક વર્ષની સજા સંભળાવવામાં આવી

નવજોતસિંહ સિદ્ધુ જેલમાંથી મુક્ત થઈ ગયા છે. રોડ રેજના એક કેસમાં સિદ્ધુને એક વર્ષની સજા સંભળાવાઈ હતી. પરંતુ દસ મહિના જેલમાં રહ્યા બાદ તેમને મુક્ત કરી દેવાયા છે.

નવજોતસિંહ સિદ્ધુએ ગઈ કાલે ટ્વીટ કરીને કહ્યું હતું કે તેમને શનિવારે જેલમાંથી મુક્તિ મળી શકે છે.

સિદ્ધુને ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે 1988ના રોડ-રેજ કેસમાં એક વર્ષની સજા સંભળાવ્યા બાદ તેમણે સરેન્ડર કર્યું હતું. તેઓ છેલ્લા 10 મહિનાથી જેલમાં હતા.

સિદ્ધુની મુક્તિ અંગે તેમના વકીલ એપીએસ વર્માએ કહ્યું હતું કે પંજાબ જેલ નિયમો મુજબ સારો વ્યવહાર ધરાવતા કેદીને સજામાં છૂટ મળી શકે છે.

શું હતો રોડ-રેજનો મામલો?

સિદ્ધુ પર 27 ડિસેમ્બર, 1988ના રોજ પટિયાલામાં પાર્કિંગને લઈને થયેલા વિવાદ બાદ 65 વર્ષીય ગુરનામસિંહ પર હુમલો કરવાનો આરોપ છે. ગુરનામસિંહનું હુમલામાં થયેલી ઇજાના કારણે મૃત્યુ થયું હતું.

નીચલી અદાલતે નવજોતસિંહ સિદ્ધુને નિર્દોષ જાહેર કર્યા હતા. જોકે, પીડિત પરિવારે આ ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. હાઇકોર્ટે નવજોતસિંહ સિદ્ધુને ત્રણ વર્ષ કેદની સજા સંભળાવી હતી.

સિદ્ધુએ આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે 15 મે 2018ના રોજ હાઇકોર્ટના આ ચુકાદાને પલટી નાખ્યો હતો.

જોકે, પીડિત પરિવારે મે, 2018માં સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પુનર્વિચાર અરજી દાખલ કરી હતી.

તેના પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે 19 મે 2022ના રોજ સિદ્ધુને એક વર્ષની સજા સંભળાવી હતી. સાથે જે એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

ક્રિકેટર સિદ્ધુ

જે સમયે સિદ્ધુ પર કેસ થયો તે સમયે તેમની ક્રિકેટની કારકિર્દી ચમકી રહી હતી. વર્ષ 1999માં સિદ્ધુએ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.

1983થી 1999 સુધી ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ રહેલ નવજોતસિંહ સિદ્ધુએ પોતાની ક્રિકેટ કારકિર્દીમાં 51 ટેસ્ટ મૅચ અને 136 એક દિવસીય આંતરરાષ્ટ્રીય મૅચ રમી છે. તેઓ વર્ષ 1987માં વર્લ્ડકપ ટીમમાં પણ સામેલ હતા.

ઈએસપીએન ક્રિકઇન્ફો અનુસાર, 1996-97માં સિદ્ધુએ વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધની ટેસ્ટમૅચમાં બેવડી સદી ફટકારી હતી.

સિદ્ધુએ પોતાની કારકિર્દીની અંતિમ ટેસ્ટમૅચ બેથી છ જાન્યુઆરી 1999 દરમિયાન ન્યૂઝીલૅન્ડ સામે રમી હતી. જેમાં તેમણે માત્ર એક રન બનાવ્યો હતો.

તેમણે વર્ષ 1999માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ કૉમેન્ટેટર તરીકે જોડાયેલા રહ્યા અને ઘણા સફળ રહ્યા. બાદમાં તેઓ ઘણા ટીવી શોમાં પણ જોવા મળ્યા.

સ્પષ્ટવક્તા અને આક્રમક રાજનેતા

સિદ્ધુ ઘણા સ્પષ્ટવક્તા રાજનેતા છે અને પોતાની આક્રમક રાજનૈતિક અંદાજ માટે જાણીતા છે. રાજનીતિમાં પણ તેમણે આક્રમક બૅટ્સમૅન તરીકેનું વલણ જાળવી રાખ્યું છે.

પંજાબમાં વર્ષો સુધી ભાજપની રાજનીતિ કરનારા સિદ્ધુ બાદમાં કૉંગ્રેસમાં જોડાયા. જોકે, ત્યાં પણ દિગ્ગજ નેતા અને મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદરસિંહ સાથે તેમને અણબનાવ થયો. સિદ્ધુ અને કૅપ્ટનની લડાઈને પંજાબમાં કૉંગ્રેસની હાર માટે મુખ્ય કારણ માનવામાં આવે છે.

ક્રિકેટ હોય કે રાજનીતિ બંનેમાં 'કૅપ્ટન' સાથે નવજોતસિંહ સિદ્ધુનો વિવાદ પુરાણો છે. 2004માં ક્રિકેટ બાદ રાજનીતિના રસ્તો પકડનારા સિદ્ધુ પહેલાં ભાજપમાં જોડાયા અને સાંસદ બન્યા. તેઓ કૉંગ્રેસના ધારાસભ્ય પણ રહી ચૂક્યાં છે.

નવજોતસિંહ સિદ્ધુ ખુલ્લા મને પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે જાણીતા છે. ભલે તે ભારતીય ટીમમાં સામેલ ન કરવાનો મામલો હોય કે પછી ટીમના કૅપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનના વિરોધનો.

પંજાબમાં મંત્રીમંડળમાં ભાગ અંગેના પ્રશ્ન પર તેમણે પૂર્વ કૉંગ્રેસ નેતા અને રાજ્યના મુખ્ય મંત્રી રહી ચૂકેલા કૅપ્ટન અમરિંદરસિંહનો પણ વિરોધ કર્યો.

ગઠબંધન દરમિયાન અકાલી દળનો વિરોધ અને રાજીનામું

ભાજપના સાંસદ રહીને સિદ્ધુએ અકાલી દળ-ભાજપ ગઠબંધન સરકાર દરમિયાન બાદલ પરિવારનો પણ વિરોધ કર્યો હતો.

નવજોતસિંહ સિદ્ધુ અને તેમનાં પત્ની નવજોતકોર સિદ્ધુ બંને જ અલગઅલગ સમય પર બાદલ સરકારના વિરોધમાં રહ્યાં છે.

2014માં કેન્દ્રમાં ભાજપની સરકાર હતી અને પંજાબમાં અકાલી-ભાજપ ગઠબંધનની સરકાર હતી.

સિદ્ધુએ અકાલી દળને ભ્રષ્ટાચાર, કૅબલ માફિયા, માઇનિંગ માફિયા, ઈશનિંદા સહિત ઘણા મુદ્દા પર ઘેર્યા.

સિદ્ધુનાં પત્ની નવજોતકોર સિદ્ધુ આ સરકારમાં મુખ્ય સંસદીય સચિવ હતાં. એપ્રિલ 2016માં સિદ્ધુને રાજ્યસભા સાંસદ બનાવ્યા હતા. પરંતુ તેમણે ત્રણ મહિના બાદ રાજીનામું આપી દીધું હતું.

'પંજાબ, પંજાબી અને પંજાબિયત'નું સમર્થન કરવાનો દાવો કરનારા સિદ્ધુએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું અને એક નિવેદનમાં કહ્યું કે રાજ્યસભાના સભ્ય બનાવ્યા બાદ પણ તેમને પંજાબથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું હતું.

સિદ્ધુએ કહ્યું, "મારા માટે પંજાબથી મોટો કોઈ ધર્મ નથી."

નવજોતકોર સિદ્ધુએ સીપીએસપદ પરથી પણ રાજીનામું આપી દીધું અને સિદ્ધુ દંપતીની આમ આદમી પાર્ટીમાં જોડાવાની અટકળો શરૂ થઈ ગઈ હતી. ઘણા લોકો તેમને આમ આદમી પાર્ટીના મુખ્ય મંત્રીપદના ચહેરા તરીકે જોવા લાગ્યા હતા.

જોકે, 2017માં પંજાબ વિધાનસભા ચૂંટણીનાં થોડાંક અઠવાડિયાં પહેલાં કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીની દરમિયાનગીરી બાદ તેઓ કૉંગ્રેસમાં જોડાયા હતા.

કૅપ્ટન સાથે અણબનાવ અને રાજીનામું

2017માં કૉંગ્રેસે બહુમત સાથે પંજાબમાં સરકાર બનાવી હતી. અને સિદ્ધુ કૅબિનેટ મંત્રી બન્યા.

થોડાક મહિના બાદ સિદ્ધુએ અમૃતસરના મેયરની ચૂંટણી અંગે નારાજગી વ્યક્ત કરી.

અહેવાલો પ્રમાણે મેયરની ચૂંટણી માટે સિદ્ધુને અમૃતસર નગરનિગમની સામાન્ય સભાની બેઠકમાં બોલાવવામાં આવ્યા ન હતા. આ વિભાગ સિદ્ધુના મંત્રાલયને આધીન હતો.

કૅબલ નેટવર્ક પર મનોરંજન કર અને રેતીખનન માટે કૉર્પોરેશન બનાવવાના સિદ્ધુના પ્રસ્તાવને રદ કરી દેવામાં આવ્યા હતા.

એપ્રિલ 2018 દરમિયાન ગુરનામસિંહ સાથે જોડાયેલો 1988નો રોડ-રેજ કેસ પાછો કોર્ટમાં પહોંચ્યો અને પંજાબ સરકારે સિદ્ધુ વિરુદ્ધ સોગંદનામું દાખલ કરવામાં આવ્યું હતું.

2019માં કૅપ્ટન અમરિંદરસિંહે કૅબિનેટમાં ફેરફાર કર્યો અને સિદ્ધુના વિભાગને બદલી નાખ્યો. તેના લીધે મતભેદ વધી ગયો અને તેમણે કૅબિનેટમાંથી રાજીનામું આપી દીધું.

પાકિસ્તાનના સેનાપ્રમુખને ગળે લગાવ્યા

ક્રિકેટ બાદ સિદ્ધુના મિત્ર ઇમરાન ખાન (પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન)એ 2018માં પાકિસ્તાનમાં ચૂંટણી જીતી અને સિદ્ધુને પોતાના શપથગ્રહણ સમારોહમાં બોલાવ્યા. કૅપ્ટન અમરિંદરસિંહે સિદ્ધુને પાકિસ્તાન જવા પર પુનર્વિચાર કરવા કહ્યું.

સિદ્ધુએ વાઘા-અટારી બૉર્ડરના માધ્યમથી પાકિસ્તાનની મુલાકાત લીધી અને કરતારપુર કૉરિડોર ખોલવાની પણ માગ મૂકી.

નવજોતસિંહ સિદ્ધુની પાકિસ્તાનના સેનાપ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાને ગળે મળવાની તસવીરોની પણ ઘણી ટીકા થઈ.

સિદ્ધુએ કહ્યું હતું કે અટલ બિહારી વાજપેયી 'દોસ્તી બસ'માં લાહોર પણ ગયા હતા અને નરેન્દ્ર મોદીએ શપથગ્રહણ સમારોહમાં નવાઝ શરીફને આમંત્રિત કર્યા હતા.

જ્યારે સિદ્ધુએ કહ્યું, 'રાહુલ ગાંધી મારા કૅપ્ટન છે'

તેલંગણામાં કૉંગ્રેસ માટે પ્રચાર કરતી વખતે સિદ્ધુએ કહ્યું હતું, "મારા કૅપ્ટન રાહુલ ગાંધી છે. તેમણે મને દરેક જગ્યાએ મોકલ્યો છે. કૅપ્ટન અમરિંદરસિંહ સેનાના કૅપ્ટન રહ્યા છે. રાહુલ ગાંધી તેમના પણ કૅપ્ટન છે."

સિદ્ધુના આ નિવેદન બાદ પંજાબનાં કેટલાંક વિધાનસભા મતક્ષેત્રોમાં ઘણો વિરોધ થયો અને કૅબિનેટ મંત્રી રાજિંદર બાજવાએ તેમને રાજીનામું આપવા કહ્યું.

2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન સિદ્ધુ વધારે નજરે ન પડ્યા. પ્રિયંકા ગાંધી વાડ્રાની અપીલ બાદ તેઓ પ્રચારમાં જોડાયા હતા.

આ પ્રચાર દરમિયાન સિદ્ધુ ઈશનિંદા મામલે સરકારને સવાલ કરવા મામલે અને નામ લીધા વગર '75:25 શૅર' પર નિવેદન આપવાને કારણે વિવાદોમાં આવ્યા. પંજાબ કૉંગ્રેસના ઘણા નેતાઓએ તેમના વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી હતી.

પંજાબમાં કૉંગ્રેસ આઠ બેઠકો જીતી, પરંતુ કૅપ્ટન અમરિંદરસિંહે કૅબિનેટમાંથી સિદ્ધુ સહિત ઘણા મંત્રીઓને હઠાવી દીધા.

ત્યાર પછી જૂન 2019માં સિદ્ધુએ રાજીનામું આપી દીધું. આ રાજીનામું પણ કૉંગ્રેસ અધ્યક્ષના નામે લખવામાં આવ્યું હતું અને બાદમાં કૅપ્ટન અમરિંદરસિંહને મોકલવામાં આવ્યું હતું.

'જીતેગા પંજાબ' યૂટ્યૂબ ચૅનલ બનાવી

કૅબિનેટમાંથી રાજીનામું આપ્યા બાદ સિદ્ધુએ પોતાના વિધાનસભા મતક્ષેત્રથી વધુ દૂર જોવામાં આવ્યા નહોતા.

ફેબ્રુઆરી 2020માં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીને મળ્યા બાદ તેમણે માર્ચમાં પોતાની યૂટ્યૂબ ચેનલ 'જીતેગા પંજાબ' શરૂ કરી.

આ ચેનલના માધ્યમથી તેઓ લોકો સાથે પંજાબના જ્વલંત મુદ્દા પર પોતાના વિચારો રજૂ કરે છે અને હાલમાં ચેનલમાં એક લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ છે.

સિદ્ધુ કૃષિકાયદા વિરુદ્ધ દિલ્હીમાં કૅપ્ટન અમરિંદરસિંહના ધરણામાં પણ જોડાયા હતા.

તેઓ રાહુલ ગાંધીની પંજાબ મુલાકાત દરમિયાન યોજાયેલી એક રેલીમાં પણ જોવા મળ્યા હતા.

કૅપ્ટન અમરિંદરસિંહે પણ સિદ્ધુને પોતાના ઘરે જમવા માટે બોલાવ્યા હતા. એ પછી બંને વચ્ચેનું અંતર ઓછું થતું નજરે પડ્યું.

નવજોતસિંહ સિદ્ધુએ ફરી ઈશનિંદા સહિત ઘણા મુદ્દે સરકારને ઘેરી, તેના પર વિચાર કરવા માટે હાઇકમાન્ડે એક પૅનલ પણ બનાવી.

કેટલાક લોકોને પસંદ તો કેટલાકને નાપસંદ

પાકિસ્તાન ગયા બાદ ભલે નવજોતસિંહ સિદ્ધુ ટીકાનું કેન્દ્ર બન્યા, પરંતુ પંજાબનો એક ભાગ તેમને કરતારપુર કૉરિડોર ખૂલવા પાછળની મહત્ત્વપૂર્ણ કડી માને છે.

2018માં તેમના પુત્ર કરણ સિદ્ધુને પંજાબ સરકાર દ્વારા સહાયક મહાધિવક્તા બનાવવામાં આવ્યા હતા. નવજોતકોર સિદ્ધુના વૅરહાઉસ કૉર્પોરેશન ચૅરપર્સન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રાજનૈતિક વિરોધ બાદ તેમણે આ પદ લીધા ન હતા.

પંજાબની રાજનીતિમાં નવજોતસિંહ સિદ્ધુ એક એવો ચહેરો છે જેને કોઈ પસંદ કે નાપસંદ ભલે કરે પણ નજરઅંદાજ ન કરી શકે.