You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચેની મુલાકાત ફ્રાન્સમાં થઈ શકે છે – ન્યૂઝ અપડેટ
ફ્રાન્સમાં યોજાનારી જી-7 બેઠકથી અલગ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત થાય તેવી શક્યતા છે.
સમાચાર એજન્સી પીટીઆઈએ અમેરિકન મીડિયાને ટાંકીને આ માહિતી આપી છે.
અમેરિકન મીડિયાએ અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો છે કે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક બુધવાર 17 જૂને થશે. ટ્રમ્પ સોમવારે સવારે જી-7 સમિટમાં ભાગ લેવા માટે ફ્રાન્સ રવાના થશે.
ગયા વર્ષે ફેબ્રુઆરીમાં વૉશિંગ્ટનમાં તેમની મુલાકાત પછી બંને નેતાઓ વચ્ચે હવે મુલાકાત થશે.
આ દરમિયાન સમાચાર એજન્સી એએનઆઈએ એક વરિષ્ઠ અમેરિકન અધિકારીનું નિવેદન બહાર પાડ્યું છે, જેમાં બુધવાર 17 જૂને બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠકનો પણ ઉલ્લેખ છે.
આ મુલાકાતના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ગલ્ફમાં ત્રણ ભારતીય ખલાસીઓનાં મોતને લઈને ભારત અને અમેરિકા વચ્ચે રાજદ્વારી તણાવ છે.
તાજેતરમાં, ઓમાનના અખાતમાં એક કાર્ગો જહાજ પર થયેલા હુમલામાં ત્રણ ભારતીયોનાં મોત થયાં હતાં. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે ફોન પર વાત કરી હતી અને આ ઘટનાનો "સખત શબ્દોમાં વિરોધ" વ્યક્ત કર્યો હતો.
જોકે, અમેરિકા તરફથી એક નિવેદનમાં આવ્યું કે અમેરિકન નાકાબંધીનું ઉલ્લંઘન અને ઈરાની ઑઇલના 'ગેરકાયદેસર પરિવહન'ને સહન કરવામાં આવશે નહીં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પીએમ મોદીની ફ્રાન્સ મુલાકાત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવાર 13 જૂને ફ્રાન્સના નીસમાં ઉતર્યા પછી કહ્યું કે તેઓ આ મુલાકાત દરમિયાન અનેક દ્વિપક્ષીય અને બહુપક્ષીય બેઠકો અને કાર્યક્રમોમાં ભાગ લેશે.
તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મૅક્રોંને મળવા વિશે પણ વાત કરી.
ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદી 13થી 18 જૂન સુધી ફ્રાન્સ અને સ્લૉવાકિયામાં રહેશે. તેઓ 13થી 14 જૂન સુધી ફ્રાન્સના નીસ અને 16થી 18 જૂન 2026 દરમિયાન ઍવિયાન અને પેરિસની મુલાકાત લેશે.
આ દરમિયાન, તેઓ 14થી 16 જૂન સુધી સ્લૉવાકિયાની સત્તાવાર મુલાકાત લેશે.
અમેરિકા સાથે સંભવિત સમજૂતી સામે ઈરાનમાં વિરોધપ્રદર્શન
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવાની સમજૂતી પર હસ્તાક્ષર થશે તેવી જાહેરાતો અને અટકળો સામે ઈરાનમાં વિરોધપ્રદર્શન શરૂ થઈ ગયાં છે. આ સંભવિત સમજૂતી સામે કેટલાક વિરોધીઓએ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી અને મુખ્ય વાર્તાકાર મોહમ્મદ બગર ગાલિબાફ સામે વિરોધપ્રદર્શન કર્યાં હતાં.
મનાય છે કે આ પ્રદર્શનકારીઓ 'પર્સિસ્ટન્ટ ફ્રન્ટ'ના નજીકના ચહેરાઓ હતા. બીબીસી ફારસી સેના પ્રમાણે આ સંગઠન ઈરાનમાં એક 'કટ્ટરવાદી સંગઠન' તરીકે ઓળખાય છે.
આ પ્રદર્શનકર્તાઓએ ઈરાનની રાજધાની તહેરાનના ઇબ્ન-સિના સ્ક્વૅરમાં આ પ્રદર્શન યોજ્યાં હતાં. પ્રદર્શનકારીઓ 'શરમ કરો..શરમ કરો'ના નારા પોકારતા હતા.
ઈરાનના મશહદમાં પણ આ પ્રકારે જ પ્રદર્શનો યોજાયાં હતાં.
ફાર્સ ન્યૂઝ એજન્સી દ્વારા બહાર પાડવામાં આવેલા એક વીડિયો અનુસાર વિરોધીઓએ અરાઘચી વિરોધમાં સુત્રોચ્ચાર પોકાર્યા હતા. તેમનું કહેવું હતું કે આ કરાર ઈરાનનાં હિતમાં નથી અને તેનાથી હોર્મુઝ સામુદ્રધુનીમાં ઈરાનનું વર્ચસ્વ ઘટશે.
બીબીસી ઉર્દુએ લખ્યું છે કે સોશિયલ મીડિયા પર ફરતા વીડિયો, જેની એએફપી પણ સ્વતંત્ર ચકાસણી કરી શક્યું નથી, તેમાં સંસદના સ્પીકર અને ઈરાનના મુખ્ય વાટાઘાટકારો પૈકીના એક મોહમ્મદ બગર ગાલિબાફ સામે સુત્રોચ્ચાર કરી રહ્યા હતા.
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને ઈરાન વચ્ચે આજે સમજૂતી થશે તેવી વાત કરી, ઈરાને શું કહ્યું?
ફારસની ખાડીમાં સંઘર્ષ સમાપ્ત કરવા અંગે ટ્રમ્પે દાવો કર્યો કે રવિવારે એટલે કે આજે બંને પક્ષો વચ્ચે સમજૂતી માટે હસ્તાક્ષર થશે, જ્યારે ઈરાને કહ્યું છે કે હસ્તાક્ષર માટે હજુ સુધી કોઈ ચોક્કસ સમય નક્કી થયો નથી.
ઈરાની સરકારી મીડિયાના અનુસાર, વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ શનિવારે કહ્યું કે અમેરિકા સાથેના કરાર પર હસ્તાક્ષર કરવાનો સમય હજુ સુધી નક્કી કરવામાં આવ્યો નથી.
તેમણે એક નિવેદનમાં કહ્યું, "સમજૂતીના કરાર પર હસ્તાક્ષર કરવા માટેના ચોક્કસ સમય માટે અમારે રાહ જોવી પડશે."
તેમણે કહ્યું કે રવિવારે હસ્તાક્ષર નહીં થાય, "જોકે, આવનારા દિવસોમાં હસ્તાક્ષર થવાની સંભાવનાને નકારી શકાય નહીં. અન્ય પક્ષના વલણમાં અસંગતતાને ધ્યાનમાં રાખીને, અમારે આ પ્રક્રિયા અંગે કોઈપણ નિવેદન આપતી વખતે સાવચેતી રાખવી જોઈએ."
જોકે બકાઈના નિવેદનના થોડા કલાકો બાદ જ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું, "સમજૂતી પર કાલે (રવિવારે) હસ્તાક્ષર થવાના છે, અને જેમ જ આ પર હસ્તાક્ષર થઈ જશે, હોર્મુઝ સામુદ્રધુની બધા માટે ખુલ્લી થઈ જશે."
ઈરાનના સંવર્ધિત યુરેનિયમના ભંડાર તરફ ઇશારો કરતા ટ્રમ્પે કહ્યું કે "યોગ્ય સમયે, જ્યારે બધું શાંત થઈ જશે, ત્યારે અમે ત્યાં જઈશું અને 'ન્યુક્લિયર ડસ્ટ' મેળવીશું."
આ પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ મધ્યસ્થની ભૂમિકા ભજવી રહેલા પાકિસ્તાને પણ શનિવારે કહ્યું હતું કે સમજૂતીને આવનારા 24 કલાકની અંદર અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી આશા છે અને બંને દેશો 'ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષર માટે તૈયારી કરી રહ્યા છે.'
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે પણ શનિવારે કહેલું કે અમેરિકા અને ઈરાન સમાધાનની ખૂબ નિકટ પહોંચી ચૂક્યા છે.
તેમણે એક્સ પર લખ્યું, "અમે પહેલાં કરતા શાંતિ સમાધાનથી ખૂબ નિકટ છીએ."
"આગામી 24 કલાકમાં તે ફાઇનલ થવાની આશા છે, જેના બિલકુલ બાદ પાકિસ્તાન શાંતિ સમાધાન પર ઇલેક્ટ્રૉનિક રીતે સહી કરવાની તૈયાર કરી રહ્યું છે. એ બાદ આગામી અઠવાડિયે તકનીકી સ્તરની વાતચીત થશે."
તેમણે આગળ કહ્યું, "અમે વાતચીત દરમિયાન સતત સહયોગ માટે અમેરિકા અને ઈરાનનો આભાર વ્યક્ત કરવા માગીએ છીએ, અને આ ક્ષેત્રમાં રહેલા પોતાના ભાઈઓનો પણ તેમના સમર્થન માટે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ."
પીએમ શહબાઝ શરીફે કહ્યું કે તેમને પૂરો વિશ્વાસ છે કે આ ઐતિહાસિક શાંતિ સમાધાન સ્થાયી શાંતિ માટે એક મજબૂત આધાર બનશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન