અસના : કચ્છના દરિયાકિનારે વાવાઝોડું બન્યું, હવામાન વિભાગે જારી કર્યો ટ્રૅક, હવે વાવાઝોડું ક્યાં ત્રાટકશે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતમાં હાલ જે સિસ્ટમને કારણે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો એ સિસ્ટમ હવે વાવાઝોડું બની ગઈ છે. 30 ઑગસ્ટના રોજ આ સિસ્ટમ દરિયામાં પહોંચી અને ત્યાં પહોંચ્યા બાદ તે વાવાઝોડામાં પરિવર્તિત થઈ.

હવામાન વિભાગના કહેવા પ્રમાણે ચોમાસાની વચ્ચે ભાગ્યે જ અરબી સમુદ્રમાં વાવાઝોડાં બને છે અને આ એક વર્ષોમાં ક્યારેક બનતી ઘટના હશે.

આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનના રુપમાં આગળ વધી રહી હતી અને કચ્છના વિસ્તારો બાદ તે પાકિસ્તાનના વિસ્તારોને અસર કરે તેવી સંભાવના છે.

આ વાવાઝોડાનું નામ 'અસના' રાખવામાં આવ્યું છે અને આ નામ પાકિસ્તાને પાડ્યું છે.

આ સિસ્ટમ ખૂબ ધીમે ધીમે આગળ વધી હતી અને તેના કારણે દક્ષિણ, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડ્યો હતો.

વાવાઝોડું 'અસના' ગુજરાતમાં કેટલી અસર કરશે?

સૌરાષ્ટ્ર અને કચ્છમાં છેલ્લા ચાર દિવસથી ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો હતો અને દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી.

આ વાવાઝોડું ગુજરાતને વધારે અસર કરે તેવી શક્યતા નથી. તે ગુજરાતના દરિયાકિનારાથી દૂર જશે અને જેમ દૂર જશે તેમ થોડું વધારે મજબૂત થાય તેવી શક્યતા છે.

જોકે, આ વાવાઝોડાની અસર કચ્છના કેટલાક વિસ્તારોમાં થવાની શક્યતા છે, જેમાં કેટલાક વિસ્તારોમાં 60થી 70 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જામનગર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ થોડી વધારે રહેશે.

હવામાન વિભાગે આજે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો માટે ઑરેન્જ ઍલર્ટ જારી કર્યું છે એટલે કે આ વિસ્તારોમાં કોઈ સ્થળોએ દિવસ દરમિયાન ભારે વરસાદ થવાની શક્યતા છે. 31 ઑગસ્ટના રોજ પણ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે અને કોઈ સ્થળે ભારે વરસાદ પણ પડી શકે છે.

કચ્છ જિલ્લામાં માંડવી, અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકાના વિસ્તારોમાં આજે પવનની ગતિ વધારે રહેવાની સંભાવના છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા, દ્વારકા, જામખંભાળિયા, કલ્યાણપુર, ભાટિયા સહિતના વિસ્તારોમાં પવનની ગતિ થોડી વધારે રહેશે.

આગામી દિવસોમાં આ સિસ્ટમ દરિયામાં દૂર જતી રહેશે એટલે તેની અસર ગુજરાત પર ઓછી થતી જશે અને પાકિસ્તાનના સિંધ પ્રદેશ પર તેની વધારે અસર થવાની શક્યતા છે.

વાવાઝોડું આગળ વધીને ક્યાં ત્રાટકશે?

હવામાન વિભાગે વાવાઝોડા અસનાનો નક્શો જારી કર્યો છે અને તે મુજબ આ સિસ્ટમ આગળ વધીને પાકિસ્તાનના કિનારાની નજીકથી ઓમાન તરફ જાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે.

નક્શા મુજબ આ સિસ્ટમ કચ્છના દરિયાકિનારાથી દૂર જશે, જે બાદ તે ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં પ્રવેશ કરશે અને પાકિસ્તાનના દરિયાકિનારના વિસ્તારોને અસર કરે તેવી સંભાવના છે.

30 ઑગસ્ટના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 50થી 65 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા દેખાઈ રહી છે. એકાદ દિવસ બાદ પવનની ઝડપ આ વિસ્તારોમાં ઘટવાની શરૂઆત થશે.

પાકિસ્તાનના દરિયાકિનારા ગુજરાતથી દૂર અરબી સમુદ્રમાં પવનની ગતિ 75 કિમી પ્રતિકલાક સુધી હશે. વાવાઝોડું સર્જાયા બાદ દરિયામાં પવનની ગતિ 90 કિમી પ્રતિકલાક સુધી પહોંચે તેવી સંભાવના દેખાઈ રહી છે.

આ સિસ્ટમ બે દિવસ સુધી દરિયામાં આગળ વધે તેવી સંભાવના છે અને હવામાન વિભાગે જારી કરેલી નક્શા પ્રમાણે અરબી સમુદ્રમાંથી તે ઓમાન પાસે જઈને ત્રાટકશે અથવા તે નબળી પડે તેવી શક્યતા દેખાઈ રહી છે.

ગુજરાતમાં આ સિસ્ટમની અસર 1 સપ્ટેમ્બર સુધી રહે તેવી સંભાવના છે એટલે કે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હજી બે દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે.

ઑગસ્ટ મહિનામાં અરબી સમુદ્રમાં કેટલાં વાવાઝોડાં બન્યાં?

સામાન્ય રીતે ચોમાસાના બે મહિના જુલાઈ અને ઑગસ્ટમાં વાવાઝોડાં સર્જાતાં નથી, જેથી હવામાન વિભાગ આને ભાગ્યેજ બનતી ઘટના ગણાવે છે. હવામાન વિભાગ પ્રમાણે 1891-2023 દરમિયાન ઑગસ્ટ મહિનામાં માત્ર ત્રણ વાવાઝોડાં અરબી સમુદ્રમાં બન્યાં છે.

1976માં બનેલા વાવાઝોડાની સિસ્ટમ ઓડિશા પર બની હતી અને ગુજરાત પરથી પસાર થઈને અરબી સમુદ્રમાં પહોંચી હતી. આ વાવાઝોડાએ અરબી સમુદ્રમાં વળાંક લીધો અને દરિયામાં જ ગોળ ફર્યું હતું જે બાદ તે ઓમાન નજીક દરિયામાં જ નબળું પડી ગયું હતું.

1944માં મધ્ય ભારતમાં સિસ્ટમ બની હતી તે આગળ વધીને દક્ષિણ ગુજરાત પરથી થઈને અરબી સમુદ્રમાં આવી હતી અને પછી વાવાઝોડું બની હતી. જે બાદ આ વાવાઝોડું દરિયામાં જ વિખેરાઈ ગયું હતું.

1964માં દક્ષિણ ગુજરાતની પાસે જ ખૂબ થોડા સમય માટે વાવાઝોડું બન્યું હતું અને તે બાદ દરિયામાં જ નબળું બની ગયું હતું. આટલાં વર્ષો બાદ હવે આ ચોથી ઘટના હશે કે કોઈ સિસ્ટમ ઑગસ્ટ મહિનામાં અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે.

હવામાન વિભાગના આંકડા પ્રમાણે બંગાળની ખાડીમાં છેલ્લાં 132 વર્ષમાં ઑગસ્ટ મહિનામાં 28 જેટલાં વાવાઝોડાં બન્યાં છે. જેમાંથી એકાદ સિસ્ટમ જ ઉત્તર ગુજરાત સુધી પહોંચી હતી. બાકીની તમામ સિસ્ટમ ભારત અને મધ્ય ભારત તરફ ગઈ હતી.

સામાન્ય રીતે ભારતના દરિયામાં ચોમાસા દરમિયાન વાવાઝોડાં સર્જાતાં નથી. ભારતમાં વાવાઝોડાની કુલ બે સિઝન છે ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ. જેમાં ચોમાસા પહેલાં એપ્રીલથી જૂન દરમિયાન અને ચોમાસા બાદ સપ્ટેમ્બરથી નવેમ્બર મહિના સુધી વાવાઝોડાં સર્જાતાં હોય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.