You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કરાચી પોલીસ હેડ ક્વાર્ટરમાં હુમલો, ત્રણ હુમલાખોરો ઠાર, TTPએ સ્વીકારી જવાબદારી
પાકિસ્તાનના કરાચીમાં પોલીસ વડા મથકમાં સંખ્યાબંધ બંદૂકધારીઓ ઘૂસી ગયા હતા અને પોલીસ તથા હુમલાખોરો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. સિંધના મુખ્ય મંત્રી મુરાદઅલી શાહના જણાવ્યા અનુસાર આ હુમલામાં સુરક્ષાદળોના ચાર જવાનનાં મૃત્યુ થયાં છે, જ્યારે 14 ઘાયલ થયા છે. આ હુમલામાં પોલીસે ત્રણ ઉગ્રવાદીઓને ઠાર કર્યા હોવાનું પણ શાહે જણાવ્યું છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પોલીસ વડા મથક પર થયેલા આ હુમલાની ટીકા કરતાં કહ્યું છે કે 'પાકિસ્તાન આતંકવાદનાં મૂળ ઉખાડી નાખશે.' ટ્વિટર પર પોસ્ટ કરેલા સંદેશમાં શરીફે કહ્યું, "આતંકવાદીઓ કદાચ ભૂલી ગયા હતા કે પાકિસ્તાન એ દેશ છે જેણે આતંકવાદને બહાદૂરીથી હરાવ્યો છે. ગત બે દાયકામાં આ દેશે આતંકવાદ સાથે પોતાના લોહીથી લડાઈ લડી છે. "
આ પહેલાં સિંધ સરકારના પ્રવક્તા અને લૉ ઍડવાઇઝર મુર્તઝા વહાબે હુમલાખોરો સામેનું અભિયાન પૂરું થઈ ગયું હોવાની જાહેરાત કરી હતી.
નોંધનીય છે કે શુક્રવાર રાતે પાકિસ્તાનના કરાચીમાં પોલીસ વડા મથકમાં બંદૂકધારીઓ ઘૂસી ગયા હતા અને પોલીસ અને હુમલાખોરો વચ્ચે ભારે ગોળીબાર શરૂ થયો હતો.
હુમલાખોરોએ હેન્ડ ગ્રૅનેડ પણ ફેંક્યા હતા. વડા મથકની અંદર હાજર રહેલા પોલીસ સ્ટાફે ઇમારતની વીજળી બંધ કરી દીધી હતી અને પ્રવેશદ્વાર બ્લૉક કરી દીધા હતા. શહેરના બીજા વિસ્તારોમાંથી પણ પોલીસકર્મીઓને વડા મથક તરફ મોકલાયા હતા.
પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ હુમલા પર ટ્વીટ કર્યું હતું.
તેમણે લખ્યું, "કરાચી પોલીસ પર થયેલા આતંકવાદી હુમલાની હું નિંદા કરું છું. ભૂતકાળમાં પણ સિંધ પોલીસે આતંકવાદીઓનો બહાદુરીથી સામનો કર્યો છે અને એમને હરાવ્યા છે.અમને એમના પર પૂરો ભરોસો છે કે તેઓ ફરીથી આવું જ કરશે. આવા કાયરતાપૂર્ણ હુમલાઓ અમને નહીં રોકી શકે."
સિંધમાં બિલાવલની પાર્ટી 'પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી'ની જ સરકાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પહેલાં શુક્રવારે પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહને આઈજી સિંધે જણાવ્યું હતું પોલીસ વડા મથકમાં છથી સાત હુમલાખોરો ઘૂસ્યા છે.
એક સ્થાનિક ટીવી ચેનલ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર સિંધની સરકારના સંપર્કમાં છે અને તમામ પ્રકારની મદદ કરવા માટે તત્પર છે.
રાણા સનાઉલ્લાહે કહ્યું છે, "વર્તમાન ઇમારતના ત્રીજા માળે હુમલાખોરો વિરુદ્ધ કાર્યવાહી ચાલી રહી છે."
આ હુમલાની જવાબદારી સ્વીકારનાર તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન પાકિસ્તાનના કબિલાઈ વિસ્તારમાં સક્રીય છે. ટીટીપીની સ્થાપના 2007માં કરવામાં આવી હતી અને તે પાકિસ્તાનમાં પોતાની માન્યતા અનુસારના ઇસ્લામને લાગુ કરવા માગે છે.
પાકિસ્તાની સૈન્યે ભારે પ્રયાસો બાદ આ ઉગ્રવાદી સંગઠનનો પ્રભાવ ઓછો કર્યો હતો પણ હવે તહેરિક-એ-તાલિબાન ફરીથી સક્રિય થયું હોવાનું કહેવાઈ રહ્યું છે.
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો