અદાણી, અંબાણીની પૂજા થવી જોઈએ, સંસદમાં બોલ્યા ભાજપ નેતા અલફોન્સ- પ્રેસ રિવ્યૂ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

વિપક્ષી પાર્ટીઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે આક્ષેપો-પ્રતિઆક્ષેપો અને વધતી બેરોજગારી વચ્ચે ભાજપ સાંસદ કેજે અલ્ફોન્સે ગુરુવારે રાજ્યસભામાં કહ્યું કે અંબાણી અને અદાણી જેવા ઉદ્યોગપતિઓની પૂજા કરવી જોઈએ, કારણ કે તેઓ રોજગાર સર્જન કરે છે.

અંગ્રેજી અખબાર ધ ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, અલ્ફોન્સે રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું કે, "તમે મારા પર મૂડીવાદીઓની તરફેણ કરવા હોવાનો આરોપ લગાવી શકો છો. હું એવા લોકોના નામ લઉં છું જેમણે દેશમાં રોજગારીનું સર્જન કર્યું છે, કારણ કે તમે તેમનાં નામ લીધાં છે. રિલાયન્સ હોય, અંબાણી હોય, અદાણી હોય, જે કોઈ હોય... તેમની પૂજા કરવી જોઈએ. હા, કારણ કે તેઓ નોકરી આપે છે. અંબાણી-અદાણી જેવા લોકો રોકાણ કરે છે અને આ દેશમાં પૈસા કમાતા દરેક ઉદ્યોગપતિઓ રોજગાર પેદા કરે છે. તેઓએ નોકરીઓ આપી છે. તેઓનું સન્માન કરવાની જરૂર છે."

ભૂતપૂર્વ કેન્દ્રીયમંત્રી અલ્ફોન્સે દલીલ કરી હતી કે "વૈશ્વિક અસમાનતાઓ એક હકીકત છે." તેમણે કહ્યું કે વિપક્ષ કહે છે કે બે લોકોની સંપત્તિ વધી છે.

પત્રકાર રાણા અય્યુબની રૂપિયા 1.77 કરોડની સંપત્તિ ટાંચમાં લેવાઈ

ધ હિન્દુ લખે છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કથિત રીતે પત્રકાર રાણા અય્યુબને સંડોવતા કેસના સંબંધમાં 1.77 કરોડ રૂપિયા વધુની સંપત્તિ ટાંચમાં લીધી છે.

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશનમાં રાણા અય્યુબ વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં આરોપ છે કે તેમણે ચેરિટીના નામે સામાન્ય લોકો પાસેથી ગેરકાયદેસર રીતે નાણાં મેળવ્યાં હતાં.

28 ઑગસ્ટ, 2021ના રોજ વિકાસ સાંકૃત્યયન દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

એફઆઈઆરમાં આરોપ છે કે રાણા અય્યુબે ત્રણ કેમ્પેનમાં ઑનલાઇન ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ "કેટો" દ્વારા કરોડો રૂપિયાની રકમ એકઠી કરી હતી.

એપ્રિલ-મે 2020 દરમિયાન ઝૂંપડાવાસીઓ અને ખેડૂતો માટે ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું, જૂન-સપ્ટેમ્બર 2020 દરમિયાન આસામ, બિહાર અને મહારાષ્ટ્રમાં રાહતકાર્ય માટે અને મે-જૂન 2021 દરમિયાન કોવિડ-19 પ્રભાવિત લોકોન મદદ માટે ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું.

એજન્સીએ જણાવ્યા અનુસાર, રાણા અય્યુબ દ્વારા કેટો પર કુલ 2,69,44,680 રૂપિયાનું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું. આ ભંડોળ તેમનાં બહેન/પિતાના બૅન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું અને આ રકમમાંથી, 72,01,786 તેમના પોતાના બૅન્ક ખાતામાં જમા કરવામાં આવ્યા હતા.

તેમનાં બહેન ઈફત શેખના ખાતામાં 37 લાખથી વધુ અને પિતા મોહમ્મદ અય્યુબના ખાતામાં 1.60 કરોડથી વધુ રકમ જમા કરવામાં આવી હતી અને આરોપ પ્રમાણે, આ તમામ ભંડોળ પછીથી તેમના પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

રાણા અય્યુબે રજૂ કરેલા 31.16 લાખ રૂપિયાના ખર્ચના પુરાવાની ચકાસણીમાં પણ તેમણે વાસ્તવિક ખર્ચ કથિત રીતે 17.66 લાખ રૂપિયાનો કર્યો હોવાનું સામે આવ્યું છે.

રાણા અય્યુબને મોદી સરકારના ટીકાકાર માનવામાં આવે છે. રાણા અય્યુબે આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે સરકાર તેમના પત્રકારત્વને કારણે એજન્સીઓને તેમની પાછળ લગાવી રહી છે, પરંતુ તેઓ સત્ય બોલવાનું ચાલુ રાખશે.

રાણા અય્યુબે ટ્વીટ કરીને લખ્યું છે કે વર્તમાન સરકાર પત્રકારને તેના પત્રકારત્વ સામે જવાબ આપવા માટે તમામ એજન્સીઓને રોકી દે છે, તો એક પત્રકાર શું કરશે. તેમણે આગળ લખ્યું છે - સત્ય બોલવાનું ચાલુ રાખશે.

સેન્સોડાઇનને ભારતમાં જાહેરાત કરવા પર પ્રતિબંધનો આદેશ

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઑથૉરિટી (સીસીપીએ)એ સેન્સોડાઇન ટૂથપેસ્ટનું ઉત્પાદન કરતી કંપની ગ્લેક્સોસ્મીથક્લાઇન કન્ઝ્યુમર હેલ્થકેર લિમિટેડને નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ભારતમાં સેન્સોડાઈન પ્રોડક્ટ્સની જાહેરાતો બંધ કરવાનો આદેશ આપ્યો છે.

સીસીપીએ 2 ફેબ્રુઆરીએ ગેરમાર્ગે દોરનારી જાહેરાતો અને અયોગ્ય વેપારપ્રથા માટે નાપતોલ ઑનલાઇન શૉપિંગ લિમિટેડને રૂ. 10 લાખનો દંડ ફટકાર્યો હતો.

ગ્રાહક બાબતોના મંત્રાલયે બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સીસીપીએ સુઓ-મોટો સંજ્ઞાન લઈને 7 જાન્યુઆરીએ આપેલા આદેશ અનુસાર કંપનીએ આદેશ જારી કર્યાના સાત દિવસની અંદર દેશમાં સેન્સોડાઈન માટેની તમામ જાહેરાતો બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે, કારણ કે જાહેરાતોમાં ભારતની બહાર પ્રેક્ટિસ કરતા દંતચિકિત્સકો ઉત્પાદનોને સમર્થન આપતા દર્શાવવામાં આવ્યા છે.

ભારતમાં દંતચિકિત્સકો દ્વારા કોઈ પણ ઉત્પાદન અથવા દવાને જાહેરમાં સમર્થન આપવા પર પ્રતિબંધ છે. તેથી કંપનીએ "ભારતમાં લાગુ કાયદાને થાપ આપવા વિદેશી દંતચિકિત્સકોને જાહેરાત કરતા બતાવવામાં આવ્યા હતા.

તેથી ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ની કલમ 2 (28) હેઠળ આ 'ભ્રામક જાહેરાત' ઠરે છે એમ આદેશમાં જણાવ્યું હતું.

સીસીપીએએ કંપની દ્વારા જાહેરાતમાં કરવામાં આવેલા દાવાઓ "વિશ્વભરમાં દંતચિકિત્સકો દ્વારા ભલામણ કરાયેલ", "વિશ્વની નંબર 1 સંવેદનશીલતા ટૂથપેસ્ટ" અને "તબીબી રીતે સાબિત 60 સેકન્ડમાં રાહત"ના દાવાઓની તપાસ કરીને ડાયરેક્ટર જનરલ (ઇન્વેસ્ટિગેશન)ને 15 દિવસની અંદર રિપોર્ટ સબમિટ કરવાનો નિર્દેશ આપ્યો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો