You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રાઝિલમાં કોરોનાથી છ લાખ મૃત્યુ મામલે રાષ્ટ્રપતિ બોલસોનારો સામે નવ ગુના નોંધાશે?
કોરોના મહામારીના વ્યવસ્થાપન મામલે બ્રાઝિલમાં એક સૅનેટ સમિતિએ રાષ્ટ્રપતિ જાયર બોલસોનારો આરોપોનો સામનો કરે તેવી ભલામણ કરી છે.
સમિતિના 11માંથી સાત લોકોએ બોલસોનારો વિરુદ્ધ માનવતા વિરુદ્ધના અપરાધ સહિત નવ મામલા દાખલ કરવાની ભલામણ કરતા રિપોર્ટનું સમર્થન કર્યું હતું.
સમિતિના અધ્યક્ષ સૅનેટર ઓમર અઝીઝ બુધવારે આ બાબતના નિષ્કર્ષ બ્રાઝિલના પ્રૉસિક્યૂટર જનરલને મોકલશે.
નોંધનીય છે કે રાષ્ટ્રપતિ બોલસોનારો કહી ચૂક્યા છે કે, પોતે "કોઈ પણ પ્રકારના કૃત્ય માટે ગુનેગાર નથી."
નોંધનીય છે કે બ્રાઝિલમાં કોરોનાથી છ લાખ લોકો મૃત્યુ પામ્યાં છે. કોરોનાથી થયેલાં મૃત્યુ બાબતે બ્રાઝિલ અમેરિકા બાદ બીજા ક્રમે છે.
સમિતિ દ્વારા વ્યક્ત કરાયેલા મત તેમની સામે ગુના નોંધવા માટે પૂરતો રહેશે તે બાબતની કોઈ ગૅરંટી નથી, કારણ કે હવે રિપોર્ટની ભલામણો બ્રાઝિલના પ્રૉસિક્યૂટર જનરલ દ્વારા તપાસાશે. જેમની નિમણૂક ખુદ રાષ્ટ્રપતિ બોલસોનારોએ કરી હોઈ તેઓ તેમને બચાવશે તેવી શક્યતા સેવાઈ રહી છે.
મહત્ત્વપૂર્ણ રિપોર્ટમાં કરાઈ ભલામણ
એક મહત્ત્વપૂર્ણ રિપોર્ટના ડ્રાફ્ટમાં ખુલાસો થયો છે કે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોએ જે રીતે દેશમાં કોરોના વાઇરસની મહામારી મામલે કામગીરી કરી તે બદલ તેમની સામે માનવતા પર અત્યાચારના ગુના નોંધાવા જોઈએ.
જાહેર કૌભાંડો અને સરકારી ભ્રષ્ટાચારને ઉઘાડી પાડતી છ મહિનાની તપાસનું પરિણામ આ રિપોર્ટ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાષ્ટ્રપતિ બોલસોનારો પર વાઇરસને નિયંત્રણમાં લેવામાં નિષ્ફળ ગયાનો આરોપ છે.
મીડિયામાં રિપોર્ટના કેટલાક અંશો લીક થયા છે. તેમાં દર્શાવાયું છે કે પૅનલ ઇચ્છે છે કે બોલસોનારો સામે નવ ગુના દાખલ કરવામાં આવે.
પ્રાથમિક ડ્રાફ્ટ રિપોર્ટે રાષ્ટ્રપતિ પર ટ્રાઇબલ જૂથોના નરસંહાર તથા હત્યાના આરોપ લગાવવાની વાતની ભલામણને ઉઘાડી પાડી છે.
પરંતુ હવે આ 1200 પાનાંના રિપોર્ટમાંથી ભલામણો દૂર થઈ ગઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. જેમાં માનવતા પર અત્યાચાર અને ગુનાને પ્રેરવા તથા બનાવટી દસ્તાવેજો મામલાના ગુનાનો ઉલ્લેખ છે.
‘ગંભીર આરોપો છતાં સ્પષ્ટતા નહીં’
બીબીસીના દક્ષિણ અમેરિકાના સંવાદદાતા કેટી વૉટ્સન અનુસાર આ ગંભીર આરોપો છતાં એ સ્પષ્ટ નથી કે બોલસોનારો માટે આ બાબત કેવી રહેશે.
કેમ કે ડ્રાફ્ટ રિપોર્ટને સૅનેટ કમિશનમાં વોટ માટે રજૂ કરવામાં આવશે. અહીં તેના પર મતદાન થશે તથા તેમાં બદલાવ પણ થઈ શકે છે. આથી એવી કોઈ ખાતરી નથી કે તેમની સામે ગુના દાખલ થશે.
જોકે બોલસોનારોએ આ આખીય સંસદીય તપાસને રાજકીય પ્રેરિત મુદ્દો ગણાવી છે. તેમણે વારંવાર લૉકડાઉન, માસ્ક અને વૅક્સિન વિશે નિવેદનો આપ્યાં છે.
માર્ચમાં બોલસોનારોની લોકપ્રિયતામાં ઘટાડો જોવા મળ્યો હતો, જેનું કારણ મહામારી સમયની નબળી કામગીરી કારણભૂત હોવાનું કહેવાય છે.
વળી હવે આ રિપોર્ટ આવતા તેમના માટે આગામી વર્ષની ચૂંટણી વધુ પડકારજનક રહેશે.
બ્રાઝિલમાં કોરોનાથી થયેલાં મોતની સંખ્યા વિશ્વમાં સૌથી બીજા ક્રમે છે. તેનો ક્રમ અમેરિકા પછી આવે છે.
રિપોર્ટ પ્રકાશિત થાય એ પહેલાં બીબીસી સાથેની વાતચીતમાં તપાસકર્તા સૅનેટર રેનાન કૉલહેરોસે કહ્યું કે બ્રાઝિલના લોકોની કત્લેઆમ માટે જવાબદાર સામે પૅનલ પગલાં લેવા માગે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો