કોરોના વાઇરસ : ભારતમાં એક દિવસમાં 58,000 કેસ, દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ?

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

દેશમાં કોરોનાના કેસમાં એક જ દિવસમાં લગભગ 55 ટકા જેટલો વધારો થયો છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસના 58, 097 કેસ આવ્યા છે.

આ સાથે જ દેશમાં ઓમિક્રૉનના વૅરિયન્ટના કેસ પ્રથમ વખત 2000ને પાર પહોંચી ગયા છે. ઓમિક્રૉનના સૌથી વધારે કેસો મહારાષ્ટ્ર અને દિલ્હીમાં છે.

આરોગ્ય મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે કુલ 534 લોકોનાં મૃત્યુ થયાં છે અને હાલ દેશમાં કોરોનાના ઍક્ટિવ કેસની સંખ્યા 2,14,004 થઈ ગઈ છે.

જ્યારે ગુજરાતમાં મંગળવારે મહિનાઓ બાદ કોરોનાના કેસે 2000નો આંકડો વટાવ્યો હતો. મંગળવારે રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 2265 કેસ આવ્યા હતા. જેમાં સૌથી વધુ કેસ 1290 કેસ અમદાવાદમાં આવ્યા હતા.

દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં વધતા કેસને જોઈને વિવિધ પ્રકારના પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે.

તામિલનાડુના સ્વાસ્થ્યમંત્રી એમએ સુબ્રમણિયમે જાહેરાત કરી કે આગામી રવિવારના દિવસે સમગ્ર રાજ્યમાં લૉકડાઉન લાદવામાં આવશે.

'ઇન્ડિયા ટુડે'ના અહેવાલ પ્રમાણે, તામિલનાડુમાં રસીકરણના મહાઅભિયાન અંતર્ગત રવિવારે જે ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે, તે એક દિવસ પહેલાં એટલે કે શનિવારે યોજાશે.

રાજ્યના મુખ્ય મંત્રી એમ.કે. સ્ટાલિને લોકોને રસી મેળવી લેવા અને કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવા અપીલ કરી છે.

ભારતમાં સતત વધી રહેલા કેસથી એ વાતની ચર્ચા શરૂ થઈ છે કે શું આ દેશમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત છે?

દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ?

દેશભરમાં કોરોના વાઇરસના કેસો કૂદકેને ભૂસકે વધી રહ્યા છે, એક દિવસમાં કોરોનાના કેસમાં 55 ટકા જેટલો વધારો ચિંતાનો વિષય બની રહ્યો છે.

કોવિડ ટાસ્ક ફોર્સના વડા ડૉ. એન કે અરોરા કહ્યું છે કે આપણે ત્રીજી લહેરની ખૂબ જ નજીક છીએ. તેમણે NDTV ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, "ભારત સ્પષ્ટ રીતે કોવિડ -19ની ત્રીજી લહેરમાં છે, અને ઓમિક્રૉન વૅરિયન્ટના પગલે આ ત્રીજી લહેર આવી છે. તેમના મતે આગામી ચારથી પાંચ દિવસોમાં કોરોના કેસોની સંખ્યામાં તીવ્ર ઉછાળો આવશે."

ભારતમાં ત્રીજી લહેર શરૂ થઈ ચૂકી છે, દેશના આરોગ્ય નિષ્ણાતોએ આ વાતની પુષ્ટિ કરી દીધી છે.

આરોગ્ય નિષ્ણાતોને ચિંતા એ વાતની છે કે ત્રીજી લહેર દરમિયાન મોટાભાગના કેસો ઓમિક્રૉન વૅરિયન્ટના હશે, જેને કારણે પ્રતિદિન કેસોની સંખ્યા ભયજનક સપાટી પહોંચી શકે છે.

યુરોપ, અમેરિકા સહિતના દેશોમાં કોરોનાના ઓમિક્રોન વૅરિયન્ટને કારણે એક દિવસમાં કોરોનાના લાખો કેસો આવ્યા હતા.

આરોગ્ય નિષ્ણાંતોને હવે એ વાતની ચિંતા છે કે આવી જ સ્થિતિ જો ભારતની થઈ તો સ્વાસ્થય વ્યવસ્થા પર ખૂબ મોટું ભારણ આવશે.

મેટ્રો શહેરમાં વધી રહ્યા છે ઓમિક્રૉનના કેસ

કોવિડ ટાસ્ક ફોર્સના વડા ડૉ. એન કે અરોરાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે ઓમિક્રૉન મોટે ભાગે મેટ્રો શહેરો જેવાં કે મુંબઈ, દિલ્હી, કોલકતામાં 75 ટકા કેસો ઓમિક્રૉન વૅરિયન્ટના કેસો જોવા મળી રહ્યા છે.

તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, "જેટલાં પણ વૅરિયન્ટનાં જીનોમ સિક્વન્સિંગ થયાં છે, એ પ્રમાણે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં વાઇરસ જોવા મળ્યો છે. એ પ્રમાણે મહિનાના અંત સુધીમાં દેશભરમાં 12 ટકા કેસો ઓમિક્રૉન વૅરિયન્ટના છે. એક સપ્તાહમાં તે 28 ટકા સુધી પહોંચી ગયા છે. એનો અર્થ એ છે કે આ વૅરિએન્ટ મેટ્રો શેહોરમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો