Boy Scouts of America : પુરુષોના શોષણનો એ કાંડ, જેમાં 60 હજાર પીડિતોને ચૂકવાશે 85 કરોડ ડૉલર્સનું વળતર

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

બૉય્ઝ સ્કાઉટ્સ ઑફ અમેરિકા એ અમેરિકાનું પ્રખ્યાત યૂથ ઑર્ગેનાઇઝેશન છે. એક ઐતિહાસિક શારીરિક શોષણકાંડમાં તે 60 હજાર લોકોને સમાધાનરૂપે 85 કરોડ ડૉલર્સ ચૂકવવા સંમત થયું છે.

વકીલોનું કહેવું છે કે અમેરિકાના ઇતિહાસમાં આ શારીરિક શોષણ મામલાનું આ સૌથી મોટું સેટલમેન્ટ (સમાધાન) હશે.

તેમાં કરવામાં આવેલા ક્લેઇમ (દાવા)ની સંખ્યાની વાત કરીએ તો અમેરિકામાં કૅથલિક ચર્ચ સામે જે ફરિયાદો આવી હતી તેના કરતાં પણ વધારે છે.

બીએસએ (બૉય્ઝ સ્કાઉટ્સ ઑફ અમેરિકા)એ પીડિતોને માફી માગી છે અને ગત વર્ષે નાદારી નોંધાવી હતી. ત્યારે સંસ્થાએ કહ્યું હતું કે પીડિતોને વળતર માટે તે એક ટ્રસ્ટની સ્થાપના કરશે.

વર્ષ 2012માં લૉસ એન્જેલસ ટાઇમ્સ અખબારે કેટલીક 5 હજાર ફાઇલો ઉઘાડી પાડી હતી, જેમાં સ્કાઉટ માસ્ટરો અને ટ્રૂપના લીડરો સામે થયેલા આરોપોની વિગતો હતી અને તેમાં તેમને ગેરલાયક સ્વંયસેવક ગણાવાયા હતા.

પરંતુ મોટા ભાગના બનાવ પોલીસમાં નોંધાયા જ નહોતા.

111 વર્ષ જૂની સંસ્થાએ તેના નિવેદનમાં કહ્યું કે તેમનો તાજેતરનો નિર્ણય વૈશ્વિક સ્તરે થયેલા ઠરાવના પાલન કરવાના પ્રયાસરૂપે છે, જેમાં પીડિતોને યોગ્ય વળતર આપવા અને સ્કાઉટિંગના ભાવિને સુરક્ષિત બનાવવાની વાત છે.

85 કરોડના વળતરને જજ દ્વારા મંજૂર કરાવવું પડશે પરંતુ જેમણે આ રકમ ખર્ચવી પડશે તેવા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.

ન્યૂઝ એજન્સી એપી અનુસાર એક અન્ય કરાર હેઠળ સ્થાનિક બીએસએ પરિષદ તેમાં 60 કરોડ ડૉલર્સનું યોગદાન કરશે, જે શુક્રવારે કરવામાં આવે તેવી શક્યતા છે.

પીડિતો તરફથી વાટાઘાટ કરનારા ત્રણ મધ્યસ્થીમાંથી એક કેન રોથવેઇલેરે સ્થાનિક સમાચાર સંસ્થા એનપીઆરને કહ્યું હતું કે તેઓ બીએસએ અને તેની સ્થાનિક પરિષદના પ્રયાસથી ખુશ છે. તેઓ પીડિતોને વળતર આપવા આગળ આવ્યા તે સારી વાત છે.

પરંતુ બીજા જૂથના વકીલ ટિમ કૉસનોફનું કહેવું હતું કે આ સારો સોદો નથી.

તેમણે કહ્યું, "તમે આને કઈ રીતે એક સફળતા ગણી શકો. આ નિષ્ફળતા જ છે. "

તેમનું કહેવું છે કે, "જે માણસો (પુરુષો)નું વર્ષો સુધી શોષણ થયું તેમને માત્ર કેટલાક હજાર ડૉલર્સ મળે એ કેટલું વાજબી છે? જેમણે આ મામલે હિંમત બતાવી અવાજ ઉઠાવ્યો તે પીડિતોનું આ એક અપમાન છે."

બીએસએ વતી જે ઇન્સ્યોરન્સ સંસ્થાઓ આ વળતર ચૂકવશે તેણે પણ આરોપ લગાવ્યો છે કે તેમને આ સેટલમેન્ટ મામલાની વાટાઘાટમાં સામેલ નહોતા કરાયા. તેમનો આરોપ છે કે પીડિતના વકીલોને અંતિમ સેટલમેન્ટ મામલે વધુ પ્રાધાન્ય અપાયું હતું.

આ મામલે નિવેદનમાં કહેવાયું, "મરઘીના ઘરની સુરક્ષા શિયાળ જ કરે ત્યારે આવાં જ પરિણામો આવે છે અને બીએસએ દ્વારા નાદારી નોંધાવવું તેનું ઉદાહરણ છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો