ભાજપના નેતા બોલ્યા, 'મારા એક ખિસ્સામાં બ્રાહ્મણ અને બીજા ખિસ્સામાં વાણિયા' - Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ભાજપના મહાસચિવ અને મધ્ય પ્રદેશના ઇન્ચાર્જ પી. મુરલીધર રાવના એક નિવેદન પર વિવાદ શરૂ થઈ ગયો છે.

તેમણે એક પત્રકારપરિષદ દરમિયાન કહ્યું હતું, 'બ્રાહ્મણ અને વાણિયા મારા ખિસ્સામાં છે.'

આ નિવેદન પર વિપક્ષ કૉંગ્રેસે રાવ પાસે માફીની માગ કરી છે. જોકે, રાવનું કહેવું છે કે તેમનું નિવેદન તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે.

ભોપાલમાં પક્ષના વડા મથક ખાતે પત્રકારપરિષદ દરમિયાન રાવે કહ્યું હતું કે તેમની સરકારનું વિશેષ ધ્યાન દલિતો અને આદિવાસીઓ પર છે અને તે વોટબૅન્ક માટે નહીં પણ તેમનાં શિક્ષણ અને રોજગાર માટે છે.

આ દરમિયાન એક પત્રકારે રાવને પૂછ્યું હતું કે ભાજપને 'બ્રાહ્મણ-વાણિયા પાર્ટી કહેવામાં આવે છે અને એસસી/એસટી પર વિશેષ ધ્યાન આપવાની વાત કરી રહી છે, જ્યારે વાત તો 'સૌનો સાથ, સૌનો વિકાસ' એ નારા પર થવી જોઈએ કે કેટલો વિકાસ થયો.'

આના પર ભાજપના નેતાએ પોતાના ઝભ્ભા તરફ ઇશારો કરતાં કહ્યું, "બ્રાહ્મણ અને વાણિયા મારા ખિસ્સામાં છે. તમે (મીડિયાના લોકો) અમને બ્રાહ્મણ અને વાણિયા પાર્ટી કહી રહ્યા છો, જ્યારે અમારા મોટા ભાગના કાર્યકરો અને વોટબૅન્ક આ જ તબક્કો છે."

તેમણે ઉમેર્યું કે ભાજપ સમાજના તમામ તબક્કાનો વિશ્વાસ જીતવાની દિશામાં કામ કરી રહ્યો છે.

તેમના આ નિવેદન પર કૉંગ્રેસના નેતા કમલનાથે ટ્વીટ કર્યું છે અને ભાજપના નેતાને 'બ્રાહ્મણ-વાણિયા વર્ગની માફી માગવા' કહ્યું છે.

ગુજરાત : ત્રણ બાળકીઓ સાથે દુષ્કર્મ અને એકની હત્યા કરનાર આરોપી ઝડપાયો

ગાંધીનગર જિલ્લામાં 10 દિવસ દરમિયાન ત્રણથી સાત વર્ષની ત્રણ બાળકીઓ સાથે દુષ્કર્મ આચરવાના તથા એક બાળકીની હત્યા કરવાના આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે, આરોપી પરિણીત છે તથા તેને એક પુત્રી પણ છે.

આરોપી સાંતેજ ઔદ્યોગિક વસાહત પાસે હંગામી રહેણાંકોમાં રહેતાં પરપ્રાંતીય શ્રમિકોની બાળકીઓને નિશાન બનાવતો હોવાનું પોલીસે જણાવ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ પાંચમી નવેમ્બરની રાત્રે ઝૂંપડીમાંથી ત્રણ વર્ષની બાળકીને ઉઠાવી હતી અને દુષ્કર્મ આચર્યું હતું, આ દરમિયાન બાળકીએ બૂમાબૂમ ચાલુ રાખતા તેની હત્યા કરી નાખી હતી અને નાળામાં તેનો મૃતદેહ ફેંકી દીધો હતો, જેને બહાર કાઢી લેવાયો છે.

પોલીસને આરોપીના 11મી નવેમ્બર સુધીના રિમાન્ડ મળ્યા છે.

રફાલ ડીલમાં ફરી ભ્રષ્ટાચારનો આરોપ

ફ્રેન્ચ પોર્ટલ 'મીડિયાપાર્ટ' દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કૉન્ટ્રાક્ટ મેળવવા માટે રફાલ કંપની દ્વારા સુસેન ગુપ્તાને ઓછામાં ઓછા (Sushen) 75 લાખ યુરો ચૂકવવામાં આવ્યા હતા. આ રકમ આઈટી કરારોમાં મોટી રકમના બિલ સ્વરૂપે ચૂકવવામાં આવી હતી, બાદમાં આ રકમ મૉરિશિયસના એકાઉન્ટમાં પહોંચી હતી.

'ધ હિન્દુ' પોર્ટલને ટાંકતાં લખે છે કે આ અંગે 2018થી પુરાવા હોવા છતાં સીબીઆઈ (સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન) દ્વારા આ દિશામાં કોઈ તપાસ હાથ ધરવામાં નથી આવી. ગુપ્તા ઉપર 2010ની અગસ્ટા-વેસ્ટલૅન્ડ હેલિકૉપ્ટર ખરીદીમાં પણ કટકી લેવાનો આરોપ છે.

ભારતીય અધિકારીઓએ વિમાનની કિંમતની કેવી રીતે ગણતરી કરી છે તથા વાટાઘાટો દરમિયાન પોતાનો પક્ષ કેવી રીતે રજૂ કરશે, તે અંગેની વિગતો પણ કથિતરીતે ગુપ્તા પાસે હતી.

ઉલ્લેખનીય છે કે રફાલની ખરીદીમાં ભ્રષ્ટાચાર અંગેના આરોપોને સુપ્રીમ કોર્ટે તત્કાલીન નરેન્દ્ર મોદી સરકારને ક્લિનચીટ આપી હતી, પરંતુ નવા પુરાવા મળતાં એપ્રિલ-2021માં જાહેર હિતની અરજી સ્વીકારી હતી.

સીબીઆઈ, રફાલ બનાવતી દાસો ઍવિએશન તથા ગુપ્તાએ આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા નથી આપી, એવું અખબાર નોંધે છે.

ભારતના પાકિસ્તાની ડિપ્લૉમેટને સમન્સ

સોમવારે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા પાકિસ્તાની હાઈકમિશનના વરિષ્ઠ રાજદ્વારીને સમન્સ પાઠવવામાં આવ્યા હતા.

અરબી સમૃદ્રમાં કથિત રીતે પાકિસ્તાની દરિયાઈ સુરક્ષા એજન્સી દ્વારા ભારતીય માછીમારો ઉપર ગોળીબાર મુદ્દે તેમને બોલાવવામાં આવ્યા હતા.

આ ગોળીબારમાં એક ભારતીય માછીમારનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એક માછીમાર ઘાયલ થયા હતા.

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ મુજબ, ભારતે આ ઘટનાને વખોડી કાઢી હતી તથા પાકિસ્તાનને આ મુદ્દે તપાસ કરવા કહ્યું છે. સાથે જ ભવિષ્યમા આવી ઉશ્કેરણીથી દૂર રહેવા જણાવવામાં આવ્યું છે.

લૉજિસ્ટિક્સ પર્ફૉર્મન્સમાં ગુજરાત અવલ

કેન્દ્ર સરકારના વાણિજ્ય મંત્રાલય દ્વારા નિકાસને પ્રોત્સાહન તથા આર્થિક વિકાસ માટે જરૂરી એવી પરિવહનની સુવિધા મુદ્દે રેન્કિંગ બહાર પાડવામાં આવે છે.

'ફાઇનાન્સિયલ ટાઇમ્સ'ના રિપોર્ટ મુજબ, રાજ્યોમાં ગુજરાત ટોચ ઉપર છે, તે પછી અનુક્રમે હરિયાણા, પંજાબ, તામિલનાડુ અને મહારાષ્ટ્ર આવે છે.

કેન્દ્રીય વાણિજ્યમંત્રી પિયુષ ગોયલના જણાવ્યા પ્રમાણે, આ રેન્કિંગના આધારે ક્યાં સમસ્યા છે તથા તેને કેવી રીતે ઉકેલી શકાશે તે સમજવામાં મદદ મળશે.

હિમાલયનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જમ્મુ-કાશ્મીર તથા સંઘીય પ્રદેશોમાં દિલ્હી ટોચ ઉપર રહ્યા હતા.

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2018માં પ્રથમ વખત આ રેન્કિંગ બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ કોરોનાકાળ દરમિયાન તેને મોકૂફ રાખવામાં આવ્યું હતું.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો