પાકિસ્તાને ભારતના હાઈ કમિશનરને દેશ છોડવાના આદેશ આપ્યા

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

પાકિસ્તાને ભારત સાથે રાજદ્વારી સંબંધો સીમિત કરવા અને દ્વિપક્ષી વ્યાપારિક સંબંધો તોડવાની જાહેરાત કરી છે.

ભારતના પાડોશી દેશે ભારત પ્રશાસિત જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી તેનો વિશેષ દરજ્જો પરત લેવાના વિરોધમાં આ પગલું ભર્યું છે.

વડા પ્રધાન ઇમરાન ખાનની અધ્યક્ષતામાં પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળી હતી.

આ બેઠકમાં ભારત સાથેના દ્વિપક્ષી વ્યાપારિક સંબંધો તોડવાની જાહેરાત કરવામાં આવી હતી.

આ બેઠકમાં પાકિસ્તાનના વિદેશમંત્રી, રક્ષામંત્રી, ગૃહમંત્રી સહિત સેના અને જાસૂસી સંસ્થાના અધિકારીઓ પણ હાજર હતા.

રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ "બેઠકમાં કાશ્મીરની સ્વાયત્તતા પર ભારત સરકાર તરફથી એક તરફી અને ગેરકાનૂની કાર્યવાહી કરવાથી ઊભી થયેલી પરિસ્થિતિ મામલે ચર્ચા થઈ હતી."

બેઠકમાં ભારત પ્રશાસિત જમ્મુ-કાશ્મીર અને નિયંત્રણ રેખાની સ્થિતિ પર પણ વિચાર કરવામાં આવ્યો.

પાકિસ્તાને લીધેલા નિર્ણય

સમિતિનું કહેવું હતું કે કાશ્મીરમાં જે સ્થિતિ ઊભી થઈ, તે એકતરફી છે અને સરકારે ભારત પ્રશાસિત કાશ્મીરમાં ગેરકાયદેસર રીતે પગલાં ભર્યાં છે.

એઆરવાય નામની પાકિસ્તાનની ચેનલ સાથે વાત કરતા પાકિસ્તાનના વિદેશમંત્રી કુરૈશીએ કહ્યું હતું કે પાકિસ્તાન ખાતેના ભારતના રાજદૂતને પરત જવા માટે કહેવામાં આવ્યું છે, જ્યારે નવી દિલ્હી સ્થિત પાકિસ્તાનના હાઈ કમિશનરને પણ પરત બોલાવી લેવાશે.

સમિતિ એ કેટલાંક પગલાંની જાહેરાત કરી હતી :

  • ભારત સાથે ડિપ્લોમેટિક સંબંધ ઘટાડવા
  • ભારત સાથે દ્વિપક્ષી વેપાર મોકૂફ કરવો
  • સંયુક્ત રાષ્ટ્રમાં તથા તેની સુરક્ષા પરિષદમાં આ મુદ્દો ઉઠાવવો
  • તા. 14મી ઑગસ્ટે પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસે બહાદુર કાશ્મીરીઓ સાથે સહાનુભૂતિ દેખાડવા માટે અને સ્વાયત્તતા માટેની તેમની લડતને ટેકો આપવા ઊજવવો તથા 15મી ઑગસ્ટને 'કાળા દિવસ' તરીકે મનાવવામાં આવશે.

ઇમરાન ખાને આંતરરાષ્ટ્રીય સ્તરે કૂટનીતિક પ્રયાસો દ્વારા કાશ્મીરમાં ભારતની વંશભેદી સરકાર દ્વારા કરવામાં આવતાં માનવાધિકારભંગને આંતરરાષ્ટ્રીય સ્તરે ખુલ્લો પાડવો.

આ સિવાય પાકિસ્તાનનાં સશસ્ત્રબળોને સતર્ક રહેવાં સૂચના આપવામાં આવી છે.

કાશ્મીરમાં સ્થિતિ

કાશ્મીરમાં સંચારબંધી તથા કર્ફ્યુની વચ્ચે પથ્થરમારા અને હિંસાની અમુક ઘટનાઓ નોંધાઈ છે.

જમ્મુ અને કાશ્મીરના સ્થાનિક નેતાઓની અટકાયત કરવામાં આવી છે. આ સિવાય કાશ્મીરના ભાગલાવાદી નેતાઓ પણ જેલમાં બંધ છે.

સંચારબંધીને કારણે અન્ય રાજ્યોમાં વસતાં કાશ્મીરીઓ વતનમાં તેમના પરિવારનો સંપર્ક નથી કરી શકતા.

1947થી ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે સંઘર્ષ પ્રવર્તી રહ્યો છે. ભારત પ્રશાસિત કાશ્મીરમાં છેલ્લા ત્રણ દાયકાથી સશસ્ત્ર સંઘર્ષ ચાલી રહ્યો છે. જેમાં 40 હજાર કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

ભારતનો આરોપ છે કે આ હિંસા પાછળ પાકિસ્તાન જવાબદાર છે, જ્યારે પાકિસ્તાન તેને કાશ્મીરીઓની સ્વતંત્રતા માટેની ચળવળ તરીકે જણાવે છે.

સોમવાર તથા મંગળવારે રાજ્યસભા તથા લોકસભામાં કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદ 370ને સમાપ્ત કરી દેવાયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો