You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાઓમાં 42 ડિગ્રી પહોંચશે પારો - પ્રેસ રિવ્યૂ
હવામાનવિભાગે ગુજરાતમાં 4થી 6 એપ્રિલ દરમિયાન હિટવેવની આગાહી કરી છે.
ઇન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ સહિત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, પોરબંદર, સુરેન્દ્રનગર તેમજ કચ્છ જિલ્લામાં તેની સૌથી વધુ અસર વર્તાશે.
હવામાનવિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આ ત્રણ દિવસો દરમિયાન ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જોકે, આ તાપમાન સામાન્ય લોકો માટે સહન કરી શકાય તેમ જણાવવામાં આવ્યું છે.
જોકે, હવામાનવિભાગે નવજાત બાળકો અને બીમારી ધરાવતા વૃદ્ધોની ખાસ તકેદારી રાખવા સૂચન આપ્યું છે.
WHOએ સંયુક્ત રાષ્ટ્રના વૅક્સિન પ્રોગ્રામમાંથી કોવૅક્સિનને સસ્પેન્ડ કરી
વિશ્વ આરોગ્ય સંસ્થાએ સંયુક્ત રાષ્ટ્રના વૅક્સિન પ્રોગ્રામમાંથી ભારત બાયોટૅકની કોવૅક્સિનને સસ્પેન્ડ કરી છે અને કંપનીને તેમાં જરૂરી સુધારા કરવા સૂચના આપી છે.
અંગ્રેજી અખબાર ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા ઇન્સ્પેક્શનમાં ત્રુટી મળી આવ્યા બાદ ભારત બાયોટૅક દ્વારા નિર્મિત કોવૅક્સિનને સંયુક્ત રાષ્ટ્રના વૅક્સિન પ્રોગ્રામમાંથી હાલ પૂરતી સસ્પેન્ડ કરવામાં આવી છે.
ડબલ્યૂએચઓએ જે રાષ્ટ્રોમાં આ વૅક્સિન મોકલવામાં આવી છે, તેમને યોગ્ય પગલાં લેવા સૂચના આપી છે. જોકે, તેમાં એ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે આ 'યોગ્ય પગલાં' ક્યા હશે એ જણાવવામાં આવ્યું નથી.
વિશ્વ આરોગ્ય સંસ્થાએ એમ પણ કહ્યું છે કે વૅક્સિન અસરકારક છે અને સુરક્ષાને લઈને કોઈ પ્રશ્નો ઉદ્ભવ્યા નથી. જોકે, આ નિકાસ માટેની વૅક્સિન પર સસ્પેન્શનના કારણે કોવૅક્સિનના પુરવઠા પર અસર પડી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યતિ નરસિંહાનંદ પર 'હિન્દુ મહાપંચાયત'માં ભડકાઉ ભાષણ બાદ ફરિયાદ
દિલ્હીમાં રવિવારે આયોજિત 'હિન્દુ મહાપંચાયત'માં ભડકાઉ ભાષણ કરવા બદલ યતિ નરસિંહાનંદ સહિત અન્ય વક્તાઓ વિરુદ્ધ દિલ્હી પોલીસે ફરિયાદ દાખલ કરી છે.
અંગ્રેજી અખબાર ધ હિન્દુના અહેવાલ પ્રમાણે બુરાડીમાં યોજાયેલી આ 'મહાપંચાયત'માં નરસિંહાનંદે કહ્યું હતું કે "જો કોઈ મુસલમાન વડા પ્રધાન બની જશે તો 20 વર્ષમાં જ 50 ટકા હિન્દુઓનું ધર્માંતરણ થઈ જશે."
દિલ્હી પોલીસનું કહેવું છે કે તેમણે આયોજકોને આ કાર્યક્રમની મંજૂરી આપી ન હતી. તેમ છતાં 'મહાપંચાયત સભા' યોજાઈ અને ત્યાં 700-800 જેટલા લોકો એકઠાં પણ થયા.
પોલીસના જણાવ્યા પ્રમાણે, આ કાર્યક્રમ સંદર્ભે કુલ ત્રણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને સોશિયલ મીડિયા સહિત વિવિધ માધ્યમોથી અફવા ફેલાવવા માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
આ સાથે જ પોલીસે એ પણ જાણકારી આપી છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.
એક નિવેદનમાં દિલ્હી પોલીસે કહ્યું છે કે 'સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન'ના અધ્યક્ષ પ્રીત સિંહ દ્વારા આ કાર્યક્રમ યોજવાની મંજૂરી માગવામાં આવી હતી.
જોકે, ડીડીએ પાસેથી મંજૂરી ન મળી હોવાથી પોલીસ દ્વારા કોઈ મંજૂરી આપવામાં આવી ન હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો