ગુજરાત : ભાજપના નેતાનો કંડક્ટરની નોકરી માટે પૈસા ઉઘરાવતો વીડિયો વાઇરલ થતાં પક્ષમાંથી બરતરફ - પ્રેસ રિવ્યૂ

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ભારતીય જનતા પાર્ટીના સદસ્ય જશુભાઈ ભીલનો સોશિયલ મીડિયા પર એક વીડિયો પર વાઇરલ થયો હતો. જેમાં તેઓ કંડક્ટરની નોકરી માટે યુવાનો પાસેથી પૈસા ઉઘરાવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું.

આ વીડિયો જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી બાદ કદવાલ ગામના એક યુવકે ઉતાર્યો હોવાનું સામે આવ્યું છે.

તેઓ હાલમાં પ્રદેશ ભાજપમાં અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપાધ્યક્ષ હતા અને રૂપાણી સરકારમાં તેઓ જીએસઆરટીસીના ડાયરેક્ટર રહી ચૂક્યા છે.

વર્ષ 2018-19ની વિવાદાસ્પદ ભરતીમાં તેમણે પૈસા લીધા હોવાનું અને ત્યાર બાદ ત્રણ વર્ષ સુધી નોકરી ન આપતા આ વીડિયો વાઇરલ કરાયો હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટના સામે આવતાં ભાજપ તરફથી તેમને છ વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા છે.

એબીજી શિપયાર્ડ સામે સીબીઆઈએ 22,842 કરોડ રૂપિયાનો બૅન્ક છેતરપિંડીનો કેસ નોંધ્યો

એબીજી શિપયાર્ડ સામે સીબીઆઈ દ્વારા રૂપિયા 22,842 કરોડનો ભારતની સૌથી મોટી બૅન્ક છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ અનુસાર કંપનીએ એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ સહિત 28 બૅન્કો પાસેથી લોન મેળવી હતી.

ભારતમાં બૅન્ક છેતરપિંડીનો આ સૌથી મોટો કેસ માનવામાં આવી રહ્યો છે. આમાં સીબીઆઈએ એબીજી શિપયાર્ડ લિમિટેડ અને તેના ભૂતપૂર્વ ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ અને અન્યો પર સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની આગેવાની હેઠળની બૅન્કોના કન્સોર્શિયમની સાથે કથિત રીતે 22,842 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવા બદલ કેસ નોંધ્યો છે.

ફરિયાદમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, "એબીજી શિપયાર્ડ લિમિટેડ (એબીજીએસએલ) એ એબીજી જૂથની મુખ્ય કંપની છે જે જહાજ બાંધવાનો અને જહાજનું સમારકામ કરવાનો વ્યવસાય કરે છે."

કંપની ગુજરાતમાં સુરત ખાતે સુરત શિપયાર્ડમાં 18,000 ડેડ વેઇટ ટનેજ (ડીડબલ્યુટી) અને દહેજ શિપયાર્ડ ખાતે 1,20,000 ડેડ વેઇટ ટનેજ (ડીડબલ્યુટી) સુધીના જહાજો બનાવવાની ક્ષમતા ધરાવે છે. જેમાં કંપનીએ છેલ્લા 16 વર્ષોમાં 165 થી વધુ જહાજો (નિકાસ બજાર માટે 46 સહિત)નું નિર્માણ કર્યું છે.

એજન્સી અનુસાર, અગ્રવાલ ઉપરાંત, તત્કાલીન ઍક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સંથાનમ મુથાસ્વામી, ડિરેક્ટર્સ અશ્વિની કુમાર, સુશીલ કુમાર અગ્રવાલ અને રવિ વિમલ નેવેટિયા અને અન્ય એક કંપની એબીજી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડની પણ કથિત ગુનામાં સંડોવણી છે.

સીબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "શનિવારે ખાનગી કંપની, સુરત, ભરૂચ, મુંબઈ, પુણે વગેરે ખાતેના ડિરેક્ટરો સહિત આરોપીઓના પરિસરમાં 13 સ્થળોએ તપાસ કામગીરીમાં પુરાવાઓ મળી આવ્યા હતા."

બૅન્કે સૌપ્રથમ આઠ નવેમ્બર, 2019ના રોજ ફરિયાદ નોંધાવી હતી જેના પર સીબીઆઈએ 12 માર્ચ, 2020ના રોજ કેટલીક સ્પષ્ટતાઓ માંગી હતી.

બૅન્કે તે વર્ષે ઑગસ્ટમાં નવી ફરિયાદ નોંધાવી હતી.

દોઢ વર્ષથી વધુ સમય સુધી "તપાસ" કર્યા પછી, સીબીઆઈએ સાત ફેબ્રુઆરીએ એફઆઈઆર દાખલ કરીને ફરિયાદ પર કાર્યવાહી કરી છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, "કંપનીને ICICI બૅન્કની આગેવાની હેઠળની 28 બૅન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવી હતી જેમાં એસબીઆઈની લોન રુપિયા 2,468.51 કરોડ રૂપિયાની હતી."

નાણાનો ઉપયોગ બૅન્કો દ્વારા જે હેતુ માટે ફાળવાયા હતા તે સિવાયના હેતુઓ માટે કરવામાં આવ્યો હતો, એમ તેણે જણાવ્યું હતું.

લોનને જુલાઈ 2016માં નોન-પર્ફોર્મિંગ ઍસેટ (એનપીએ) અને 2019માં છેતરપિંડી તરીકે જાહેર કરવામાં આવી હતી.

આઈઆઈએમ-અમદાવાદના પ્લેસમેન્ટમાં ટાટા ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસિસ(ટીએએસ) દ્વારા સૌથી વધુ જોબ ઑફર

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, "શુક્રવારે યોજાયેલા બીજા ક્લસ્ટરમાં, ટાટા ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસિસ (ટીએએસ) એ સૌથી વધુ સંખ્યામાં ડૉમેસ્ટિક ઑફર્સ કરી હતી, જ્યારે એમાર આંતરરાષ્ટ્રીય કૅટેગરીમાં ટોચ પર હતી."

પ્રથમ ક્લસ્ટરમાં, બૉસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ (બીસીજી) સૌથી વધુ જૉબ ઑફર કરનાર કંપની હતી.

એશિયન પેઇન્ટ્સ, હિન્દુસ્તાન યુનિલિવર, આઈટીસી, નેસ્લે, પ્રૉક્ટર ઍૅન્ડ ગૅમ્બલ, રેકિટ, ધ કોકા-કોલા કંપની અને વિપ્રો કન્ઝ્યુમર કેર જેવા નિયમિત ભરતી કરનાર કંપનીઓ જોવા મળી હતી.

અદાણી ગ્રૂપ, આદિત્ય બિરલા ગ્રૂપ, સીકે બિરલા ગ્રૂપ, એમાર અને ટાટા ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ જેવી મોટી સંસ્થાઓએ ભરતી કરી હતી. એમેઝોન, ડિઝની-સ્ટાર, મિન્ત્રા, નાઇકા, ફાર્માઇઝી જેવી અન્ય કંપનીઓ પણ ભરતી મેળામાં સામેલ હતી.

IIM-A અનુસાર ત્રીજું ક્લસ્ટર 14 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો