You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પ્રિયંકા ગાંધી : ઉત્તરપ્રદેશ ચૂંટણીની કૉંગ્રેસની પ્રથમ યાદી જાહેર, ઉન્નાવ રેપ પીડિતાનાં માતાને પણ ટિકિટ
કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રથમ યાદીમાં કૉંગ્રેસે 125 ઉમેદવારોની જાહેરાત કરી, જેમાં 50 મહિલાઓ સામેલ છે.
પ્રિયંકા ગાંધીએ ગુરુવારે પત્રકારપરિષદમાં ખાસ કરીને મહિલા ઉમેદવારોનો ઉલ્લેખ કર્યો અને આ અંગે જાણકારી આપી.
જે મહિલા ઉમેદવારોને કૉંગ્રેસે ટિકિટ આપી છે, તેમાં એક નામ ભારે મહત્ત્વનું છે.
કૉંગ્રેસે ઉન્નાવ રેપ પીડિતાનાં માતા આશાસિંહને ટિકિટ આપી છે. આ કેસમાં કુલદીપ સેંગર પર રેપ અને હત્યાનો આરોપ લગાવાયો હતો.
આ ઉપરાંત કેટલાક પત્રકારો અને સામાજિક કાર્યકરોને પણ ટિકિટ આપવામાં આવી છે.
પ્રિયંકા ગાંધીએ જણાવ્યું, "અમે પ્રયાસ કર્યો છે કે સંઘર્ષશીલ અને એવા ઉમેદાવારો હોય જે રાજ્યમાં નવું રાજકારણ રમે. આમાં 40 ટકા મહિલાઓ અને 40 ટકા યુવાનો સામેલ છે. મહિલા ઉમેદવારોમાં કેટલાક પત્રકાર, એક અભિનેત્રીનો સમાવેશ કરાયો છે."
તેમણે આશાસિંહના નામ અંગે જાણકારી આપતાં કહ્યું, "તેઓ પોતાનો સંઘર્ષ ચાલુ રાખવા માગે છે. અમે ઇચ્છીએ છીએ કે તેઓ સત્તામાં આવે અને પોતાની લડાઈ જાતે જ લડે."
આ ઉપરાંત જે મહિલાઓ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, તેમાં શાહજહાંપુરનાં આશાવર્કર પૂનમ પાંડે પણ સામેલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો છે કે તેમની સાથે મારપીટ કરાઈ હતી.
સદફ જફરને પણ ટિકટ આપવામાં આવી છે, જેમની સીએએ વિરુદ્ધ પ્રદર્શન બદલ ધરપકડ કરવામાં આવી હતી.
કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું, "ઉન્નાવમાં જે પુત્રી સાથે ભાજપે અન્યાય કર્યો તે હવે ન્યાયનો ચહેરો બનશે. લડશે, જીતશે."
ઉત્તરપ્રદેશમાં ભાજપના વધુ એક ધારાસભ્યનું રાજીનામું
ઉત્તરપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના વધુ એક ધારાસભ્યે રાજીનામું આપ્યું છે.
શિકોહાબાદથી ભાજપના ધારાસભ્ય મુકેશ વર્માએ પાર્ટી છોડી દીધી છે. ઉત્તરપ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારના બે મંત્રી અગાઉ જ રાજીનામાં આપી ચૂક્યા છે.
સ્વામીપ્રસાદ મૌર્યના રાજીનામા બાદ આ સિલસિલો શરૂ થયો હતો.
રાજીનામું આપ્યા બાદ મુકેશ વર્માએ કહ્યું કે, સ્વામીપ્રસાદ મૌર્ય તેમના નેતા છે, તેઓ જ્યાં જશે, તેઓ પણ તેમની સાથે જ રહેશે.
સ્વામીપ્રસાદ મૌર્ય બાદ બુધવારે યોગી સરકારના અન્ય એક મંત્રી દારાસિંહ ચૌહાણે પણ રાજીનામું આપ્યું હતું.
જોકે, સ્વામીપ્રસાદ મૌર્યએ સ્પષ્ટતા કરી છે કે તેઓ હજુ સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા નથી, પરંતુ 14 જાન્યુઆરીના રોજ તેઓ સમાજવાદી પાર્ટીમાં સામેલ થશે.
દારાસિંહ ચૌહાણે પણ હજુ સુધી સત્તાવાર રીતે સમાજવાદી પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરી નથી, પરંતુ આ બન્ને મંત્રીઓની તસવીર ટ્વીટ કરીને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું હતું કે, 'સમાજવાદી પાર્ટીમાં સ્વાગત છે.'
ભારતમાં 24 કલાકમાં કોરોનાના કેસ અઢી લાખની નજીક
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 2,47,417 નવા કેસ નોંધાયા છે. એક દિવસ પહેલાંની સરખામણીએ કોરોના કેસોની સંખ્યામાં 27 ટકાનો વધારો નોંધાયો છે.
જ્યારે એક દિવસમાં કોરોનાથી 380 લોકોનાં મૃત્યુ થયાં છે.
આ સિવાય છેલ્લા 24 કલાકમાં 84,825 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. હાલમાં દેશમાં 11 લાખ 17થી વધુ ઍક્ટિવ કેસ છે.
ભારતમાં દૈનિક પૉઝિટિવિટી રૅટ 13.11 ટકા છે અને ઓમિક્રૉનના કેસ 5,488 પર પહોંચી ગયા છે.
ભારતમાં કોરોના સંક્રમણના કુલ કેસોની વાત કરવામાં આવે તો દેશમાં ત્રણ કરોડ 59 લાખથી વધુ કેસો નોંધાઈ ચૂક્યા છે અને અત્યાર સુધી ચાર લાખ 85 હજારથી વધુ મૃત્યુ નીપજ્યાં છે.
કોરોના વૅક્સિનેશનની વાત કરવામાં આવે તો એક દિવસમાં 76,32,024 વૅક્સિનનાં ડોઝ આપવામાં આવ્યાં છે. અત્યાર સુધી 154 કરોડથી વધુ વૅક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
ઇસરો અને અંતરિક્ષ આયોગના પ્રમુખ તરીકે એસ. સોમનાથની વરણી
વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (વીએસએસસી)ના નિદેશક અને ઇસરોના સિનિયર વૈજ્ઞાનિકોમાંના એક એસ. સોમનાથની ઇસરોના પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે.
તેઓ શુક્રવારે ઇસરોના 10મા પ્રમુખ તરીકેનો પદભાર ગ્રહણ કરશે. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે.
એસ. સોમનાથને અંતરિક્ષ વિભાગના સચિવ અને અંતરિક્ષ આયોગના અધ્યક્ષની જવાબદારી પણ સોંપવામાં આવી છે.
મૂળ કેરળના એસ. સોમનાથે ચાર વર્ષ પહેલા વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરનો કાર્યભાર સંભાળ્યો હતો.
સોમનાથની નિયુક્તિની જાણકારી ન્યૂઝ એજન્સી પીટીઆઈએ આપી હતી. તેમને સોંપવામાં આવેલી ત્રણેય જવાબદારીઓ સામાન્ય રીતે કોઈ એક વ્યક્તિને જ આપવામાં આવતી હોય છે.
સોમનાથ છેલ્લાં ચાર વર્ષથી આ ત્રણ જવાબદારીઓ સંભાળનારા કે. સિવનનું સ્થાન લેશે.
સોમનાથની નિયુક્તિને લઈને સોશિયલ મીડિયા પર પણ ઘણી ચર્ચા થઈ રહી છે. ઘણા જાણીતા લોકો તેમને શુભકામનાઓ આપી રહ્યા છે.
ડીઆરડીઓ પ્રમુખ જી સતીશ રેડ્ડીએ તેમને શુભેચ્છા પાઠવી હતી.
કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ વિજયને ટ્વિટર પર શુભેચ્છા પાઠવતાં લખ્યું હતું કે, તેમને ગર્વ છે કે કેરળે દેશના અંતરિક્ષ કાર્યક્રમનું નેતૃત્વ કરનાર અન્ય એક વ્યક્તિ આપી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો