You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાનમાં પરમાણુપ્લાન્ટ પાસે બ્લાસ્ટ, સરકારે કહ્યું 'મિસાઇલ પરીક્ષણ' - BBC Top News
ઈરાનના ઇસ્ફાહન પ્રાંતમાં આવેલા નતાંઝ ન્યુક્લિયર-પ્લાન્ટ પાસે શનિવારે સાંજે એક બ્લાસ્ટ થયો હોવાની પુષ્ટિ થઈ છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ એક જોરદાર ધડાકો હતો. જેના કારણે થોડીક ક્ષણો માટે પ્રકાશ પથરાયો હતો.
જોકે, ઈરાનના સરકારી મીડિયાએ તેને એક ડિફેન્સ ડ્રિલ ગણાવતાં કહ્યું કે એક ડિફેન્સ ડ્રિલ અંતર્ગત મિસાઇલ લૉન્ચ કરવામાં આવી હતી.
ઈરાની સૈન્યના પ્રવક્તા શહીન તાકિખનીએ કહ્યું કે, "આ ડ્રિલને સાવધાનીપૂર્વક હાથ ધરવામાં આવી હતી અને ચિંતા કરવાની કોઈ બાબત નથી."
તેમણે કહ્યું, "તાત્કાલિક કાર્યવાહી કરવાની ક્ષમતાના આકલન માટે આ ક્ષેત્રથી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમમાંથી એક મિસાઇલનું પરીક્ષણ કરાયું હતું."
"આ ટેસ્ટનો ઉદ્દેશ આ ક્ષેત્રની તૈયારીઓની સમીક્ષા કરવાનો હતો. આ પ્રકારની ડ્રિલ સાવધાનીપૂર્વક યોજવામાં આવે છે અને તેનાથી ચિંતા કરવાની કોઈ જરૂર હોતી નથી."
ગુજરાત બાદ દિલ્હીમાં ઓમિક્રૉન વૅરિયન્ટનો એક કેસ, તાન્ઝાનિયાથી આવેલા 37 વર્ષીય પુરુષ થયા સંક્રમિત
દિલ્હીમાં ઓમિક્રૉનનો પહેલો કેસ નોંધાયો છે.
દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું,"17 પૉઝિટિવમાં 12 યાત્રીઓના સૅપમ્લ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા હતા અને તાન્ઝાનિયાથી આવેલા એક યાત્રીનો ટેસ્ટ ઓમિક્રૉન પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આની સાથે ભારતમાં ઓમિક્રૉનના પાંચ કેસની પુષ્ટિ થઈ છે.
સમાચાર એજન્સી પીટીઆઈ મુજબ તાન્ઝાનિયાથી આવેલા 37 વર્ષીય પુરુષમાં ઓમિક્રૉન વૅરિયન્ટ મળ્યો છે, તેમને દિલ્હીની એલએનજેપી હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.
આની પહેલાં ગુજરાતના જામનગરમાં શનિવારે એક કેસની પુષ્ટિ થઈ હતી. શનિવારે મહારાષ્ટ્રમાં પણ ઓમિક્રૉન વૅરિયન્ટના એક કેસની પુષ્ટિ થઈ હતી.
આની પહેલાં કર્ણાટકમાં ઓમિક્રૉન વૅરિનયન્ટના બે કેસ મળ્યા હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ભારતની મુલાકાત મહત્ત્વની કેમ?
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન છ ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત થોડા કલાકોની જ છે, પણ તેને મહત્ત્વની માનવામાં આવે છે.
અંગ્રેજી અખબાર ધ હિન્દુ પોતાના રિપોર્ટમાં લખે છે કે ભારત અને રશિયા ભારત-પ્રશાંત ક્ષેત્ર અને અનેક મુદ્દાઓ પર અલગઅલગ મત ધરાવે છે. આ બેઠકમાં તેના પર પણ નજર રહેશે.
રાષ્ટ્રપતિ પુતિન સોમવારે સાંજે નવી દિલ્હી પહોંચી રહ્યા છે અને વાર્ષિક સંમેલનમાં ભાગ લીધા બાદ તેઓ પરત ફરશે.
આ સંમેલનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં દ્વિપક્ષીય સંબંધો કેન્દ્રસ્થાને રહેશે, જેમાં એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ડિલિવરી અને અનેક રક્ષા સોદા પર ચર્ચા થઈ શકે છે.
અમેરિકન લોકતંત્ર મૂળિયાં વિનાનું ઝાડ છે- ચીન
ચીની વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે અમેરિકન લોકતંત્ર એક એવી નદી છે, જેનો કોઈ સ્રોત નથી અને આ એક એવું ઝાડ છે, જેનાં કોઈ મૂળિયાં નથી.
ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ હાર્વર્ડ કૅનેડી સ્કૂલના એ સરવે પર પ્રતિક્રિયા આપી છે, જેમાં કહેવાયું હતું કે અમેરિકન યુવાઓમાં લોકતંત્રને લઈને વિશ્વાસ ઓછો થયો છે.
ચીનની સરકારી સમાચાર ટીવી સીજીટીએન અનુસાર, સરવેમાં અમેરિકન યુવાઓએ કહ્યું, "માત્ર સાત ટકા લોકો માને છે કે અમેરિકામાં સ્વસ્થ લોકતંત્ર છે. સર્વેમાં 52 ટકા લોકોએ કહ્યું કે કાં તો અમેરિકન લોકતંત્ર સમસ્યાગ્રસ્ત છે અથવા તો નીચે જઈ રહ્યું છે."
ચીની વિદેશ મંત્રાલયે કહ્યું કે "અમેરિકન લોકતંત્ર દેશના લોકોને મૂર્ખ બનાવવા અને વિદેશોમાં અધિનાયકવાદની સ્થાપના કરવા માટે છે."
સરકાર સાથે વાતચીત માટે સંયુક્ત કિસાન મોરચાએ સમિતિ બનાવી
સંયુક્ત કિસાન મોરચાના નેતાઓએ શનિવારે સિંઘુ બૉર્ડર પરની બેઠક બાદ એક સમિતિ બનાવવાનું એલાન કર્યું છે.
ખેડૂતનેતા રાકેશ ટિકૈતે કહ્યું કે સંયુક્ત કિસાન મોરચા તરફથી એક સમિતિ બનાવાઈ છે.
તેમણે કહ્યું કે આ સમિતિમાં સંયુક્ત કિસાન મોરચાના પાંચ લોકો હશે.
ટિકૈતે કહ્યું કે "આ સમિતિમાં બલબિરસિંહ રાજેવાલ, શિવકુમાર કાકા, અશોક ભાવલે, યુદ્ધવીરસિંહ અને ગુરુનામસિંહ ચઢુની સામેલ થશે."
રાકેશ ટિકૈતે એ પણ કહ્યું કે આ સમિતિને તમામ અધિકાર આપવામાં આવ્યા છે અને આ સમિતિ જ સરકાર પાસે જનારા લોકોનાં નામ નક્કી કરશે.
તેમણે કહ્યું કે એસકેએમની આગામી બેઠક સાત માર્ચે થશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો