You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
UPના લખીમપુર ખીરીમાં આઠનાં મોત : પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવની અટકાયત, મૃત ખેડૂતોના પરિવારને સરકારી નોકરીની જાહેરાત
ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી જિલ્લામાં ઉપમુખ્ય મંત્રી કેશવપ્રસાદ મૌર્યના એક કાર્યક્રમના વિરોધમાં થયેલા પ્રદર્શન પછી આઠ લોકોનાં મૃત્યુના મામલે વિવાદ વધી ગયો છે.
લખીમપુર ખીરી હિંસા મામલે ઉત્તર પ્રદેશમાં રાજકારણ પણ ગરમાયું છે.
વિપક્ષના નેતા અને યુપીના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવ અને કૉંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીને લખીમપુર ખીરી જતાં અકટાવવામાં આવ્યાં હતાં.
લખીમપુર જઈ રહેલાં કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધીની સીતાપુરથી અટકાયત કરાયા બાદ પાર્ટીના નેતા અને તેમના ભાઈ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું છે કે પ્રિયંકાની હિંમતથી સરકાર ડરી ગઈ છે.
તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે, "પ્રિયંકા, હું જાણું છું કે તું પીછેહઠ નહીં કરે, તારી હિંમતથી એ લોકો ડરી ગયા છે."
"ન્યાય માટેની આ અહિંસક લડાઈમાં આપણે દેશના અન્નદાતાને જિતાડીને રહીશું.
તો બીજી તરફ લખીમપુર ખીરી હિંસા મામલે લખનૌમાં પોતાના ઘરની બહાર ધરણાં પર બેઠેલા યુપીના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવની પોલીસે અટકાયત કરી લીધી છે.
આ ઘટના પછી સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ ધમાલ કરી જ્યાર બાદ અખિલેશ યાદવે કાર્યકર્તાઓને પોલીસના કામમાં બાધા ન નાખવાનું કહ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ દરમિયાન ખેડૂતોના પરિવારને આર્થિક સહાયની જાહેરાત
તંત્ર દ્વારા પ્રદર્શનકારી ખેડૂતોની કેટલીક માગણીઓ સ્વીકારી લેવાઈ છે, મૃત્યુ પામનાર ચાર ખેડૂતોના પરિવારજનોને આર્થિક સહાય અને સરકારી નોકરી આપવાની જાહેરાત કરાઈ છે.
આ સાથે જ ઈજાગ્રસ્તોને પણ આર્થિક સહાય આપવાની ઘોષણા કરવામાં આવી છે.
એડીજી (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંતકુમાર જણાવે છે કે, "સરકાર લખીમપુર ખીરીમાં ગઈકાલે મૃત્યુ પામેલા ચાર ખેડૂતોના પરિવારજનોને 45-45 લાખ રૂપિયાની સહાય અને પરિવારજનોને સરકારી નોકરી આપશે."
"ઈજાગ્રસ્તોને 10-10 લાખ રૂપિયાની સહાય કરવામાં આવશે. ખેડૂતોની ફરિયાદના આધારે FIR નોંધવામાં આવશે. હાઈકોર્ટના નિવૃત્ત જજ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે."
આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના નેતા પ્રોફેસર રામગોપાલ યાદવ અને આશરે 150થી 200 સપા કાર્યકર્તાઓની પણ પોલીસે અટકાયત કરી હતી.
સોમવારની સવારે નવ વાગ્યે અખિલેશ યાદવ લખીમપુર ખીરી જવા માટે પોતાના ઘરેથી નીકળ્યા હતા પરંતુ પોલીસે તેમને આગળ જવા ન દીધા જ્યાર બાદ તેઓ ઘરે જ ધરણાં પર બેસી ગયા હતા.
કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રીના પુત્ર તથા ખેડૂતો સામે એફઆઈઆર
સમાચાર સંસ્થા પીટીઆઈએ યુપી પોલીસના એક વરિષ્ઠ અધિકારીને ટાંકતા માહિતી આપી છે કે કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર અને અન્ય લોકો સામે લખીમપુર ખીરી હિંસા મામલે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
યુપીમાં એડીજી (કાયદો અને વ્યવસ્થા) પ્રશાંતકુમારે કહ્યું છે કે લખીમપુર ખીરી હિંસા મામલે બે એફઆઈઆર નોંધાઈ છે, હજુ વધુ માહિતી આવવાની બાકી છે.
એજન્સી અનુસાર એક અન્ય એફઆઈઆર ખેડૂતોની વિરુદ્ધ પણ થઈ છે.
લખીમપુર ખીરીમાં પ્રશાસન સાથે વાત કરી રહેલા ખેડૂતોની કેટલીક માગોમાં એક માગ આશીષ મિશ્રાની ધરપકડની પણ હતી.
ખેડૂતોએ દાવો કર્યો કે રવિવારે પ્રદર્શનકારી ખેડૂતો પર ગાડી આશીષ મિશ્રાએ જ ચઢાવી હતી જ્યારે તેમના પિતા અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીએ કહ્યું કે તેમનો દીકરો ઘટનાસ્થળ પર નહીં પરંતુ કાર્યક્રમસ્થળ પર હતો.
તેમણે કહ્યું કે આ ઘટનામાં માર્યા ગયેલા ચાર અન્ય લોકોમાં ભાજપ કાર્યકર્તાઓ અને એક કાર ડ્રાઇવર સામેલ છે. તેમનો દાવો છે કે ખેડૂતોમાં કેટલાક લોકોએ ધારદાર હથિયારો અને લાકડીઓથી તેમના પર હુમલો કર્યો હતો.
લખીમપુર ખીરીમાં રવિવારે આ ઘટના કેશવપ્રસાદ મૌર્યના આવવા માટે બનાવવામાં આવેલા હૅલિપૅડની નજીક થઈ હતી. ખેડૂત ટેનીના એક જૂના નિવેદનથી નારાજ હતા અને તેઓ મૌર્યના કાર્યક્રમનો વિરોધ કરી રહ્યા હતા.
આ ઘટનામાં આઠ લોકોનાં મૃત્યુ થયાં જેમાં ચાર ખેડૂતો અને ચાર સામાન્ય લોકો સામેલ હતા.
બીજી તરફ ખેડૂતોની સામે પણ એક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
ખેડૂતોની માગ શું છે?
ત્યાં પરિસ્થિતિ તનાવપૂર્ણ છે. રિપોર્ટ મુજબ ઘટનાસ્થળ પર જ ખેડૂતો અને જિલ્લા પ્રશાસન વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. આ દરમિયાન લખીમપુર ખીરી હિંસા માટે કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રીએ ખેડૂતોમાં સામેલ ઉપદ્રવીઓને જવાબદાર ઠેરવ્યા છે.
ત્યારે રાજ્ય સરકારના નિર્દેશ પછી યુપીના એડીજી (લૉ ઍન્ડ ઑર્ડર) પ્રશાંત કુમાર અને એસીએસ (કૃષિ) દેવેશ ચતુર્વેદી ખેડૂતો સાથે વાત કરવા માટે લખીમપુર ખીરી પહોંચ્યા હતા.
જિલ્લાધિકારી ડૉ અરવિંદકુમાર ચૌરસિયા, એસપી વિજય ઢુલ અને એડીજી આઈજી લક્ષ્મીસિંહ ત્યાં ખેડૂતો સાથે વાતચીત કરી રહ્યા છે.
લખીમપુર ખીરીમાં પ્રદર્શનકારી ખેડૂતોએ આઈજી લખનૌ રેન્જ લક્ષ્મીસિંહ સાથે 45 મિનિટ સુધી બીજા તબક્કાની વાતચીત કરી. જેમાં કમિશનર, જિલ્લાના ડીએમ, એએસપી પણ હાજર હતા.
મીડિયા સાથેની વાતચીતમાં લક્ષ્મીસિંહે કહ્યું છે કે જલદી જ આ મામલે કોઈ નિરાકરણ કાઢવામાં આવશે.
ખેડૂતોએ તંત્ર સમક્ષ ચાર મોટી માગ રાખી છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્ર ટેનીને બરખાસ્ત કરવા, તેમના દીકરાની ધરપકડ, પીડિત પરિવારજનોને 1-1 કરોડ રૂપિયાની સહાય આપે અને તેમને સરકારી નોકરી આપવાની માગ કરાઈ હતી.
આ ચાર મોટી માગો સિવાય ખેડૂતોએ અન્ય પણ કેટલીક માગણી કરી હતી.
તેમણે આ ઘટનાની હાઈકોર્ટના નિવૃત્ત જજ પાસે તપાસ કરાવવાની માગ કરી હતી, સાથે જ એસડીએમને બરખાસ્ત કરવાની માગ કરી હતી.
બીજી તરફ અજય મિશ્ર ટેનીના દીકરા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની પણ માગ કરવામાં આવી હતી.
કેન્દ્રીય મંત્રી ટેનીનો દાવો છે કે તેમનો દીકરો ઘટનામાં સામેલ નહોતો, માત્ર તેમની કાર દુર્ઘટનાસ્થળ પર હતી અને આ ઘટનામાં તેમના સમર્થકોનાં પણ મૃત્યુ થયાં છે.
શું છે આખી ઘટના?
આ ઘટના રવિવારે બની જ્યારે લખીમપુર ખીરીમાં નાયબ મુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યનો પરિયોજનાઓના લોકાર્પણ કરવાનો કાર્યક્રમ હતો, બાદમાં તેઓ ગૃહરાજ્યમંત્રી અજયકુમાર મિશ્રના પૈતૃક ગામમાં એક કાર્યક્રમમાં સામેલ થવાના હતા.
આ જાણકારી મળતા ખેડૂતનેતાઓ નાયબ મુખ્ય મંત્રી સામે કાળા વાવટા ફરકાવવા માટે ભેગા થયા હતા.
આ દરમિયાન તિકુનિયા કસબામાં ભાજપ સમર્થકોની એક ગાડીથી કેટલાક ખેડૂતોને ઈજા પહોંચી હતી.
ત્યારબાદ ગુસ્સે થયેલા ખેડૂતોએ ગાડીને આગ ચાંપી દીધી હતી.
સ્થિતિ તણાવપૂર્ણ થઈ ગઈ અને નાયબ મુખ્ય મંત્રીનો કાર્યક્રમ વચ્ચે જ રોકી દેવાયો હતો.
સ્થળ પર તણાવભરી સ્થિતિને જોતા ડીએમ, એસપી સહિત મોટી સંખ્યામાં પોલીસબળ તહેનાત છે.
તો બીજી તરફ ભારતીય કિસાન યુનિયને આરોપ લગાવ્યો છે કે ત્રણ ખેડૂતોને ગૃહરાજ્યમંત્રીના પુત્રની ગાડીએ કચડી નાખ્યા હતા.
ખેડૂતનેતા રાકેશ ટિકૈતે ખેડૂતોને શાંતિ જાળવવા અપીલ કરી છે.
તેમણે કહ્યું કે "લખીમપુર ખીરીમાં ઘટેલી ઘટના બહુ દુખદ છે. આ ઘટનાએ સરકારના ક્રૂર અને અલોકતાંત્રિક ચહેરાને ફરી એક વાર ઉજાગર કરી દીધો છે. ખેડૂત આંદોલનને દબાવવા માટે સરકાર કેટલી હદે જઈ શકે છે, એ સરકાર અને સરકારમાં બેસેલા લોકોએ આજે ફરી બતાવી દીધું છે."
તેમણે કહ્યું કે "ખેડૂતોને અપીલ છે કે તેઓ શાંતિ જાળવી રાખે, જીત ખેડૂતોની જ થશે. સરકાર ભાનમાં નહીં આવે તો ભાજપના એક પણ નેતાને ઘરમાંથી બહાર નીકળવા નહીં દેવાય."
પ્રિયંકા ગાંધીને પોલીસ અધિકારીએ લાફો માર્યાનો દાવો
આ દરમિયાન કૉંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા મોડી રાત્રે જ લખીમપુર ખીરીમાં આંદલનકારી ખેડૂતોને મળવા માટે નીકળ્યાં હતાં.
પ્રિયંકા ગાંધી વાડ્રાની સીતાપુરથી અટકાયત કરાઈ હતી, જે પહેલાં તેમની સાથે ધક્કામુક્કી થઈ હતી.
કૉંગ્રેસના નેતા દીપેન્દ્ર હુડ્ડાનું કહેવું છે કે 'પ્રિયંકા ગાંધીની અટકાયત કરતી વખતે પુરુષ પોલીસ અધિકારીએ તેમની પર હાથ ઉઠાવ્યો હતો.'
વીડિયો ફૂટેજમાં હુડ્ડા કહે છે કે તેમણે પ્રિયંકા ગાંધી પર હાથ કઈ રીતે ઉઠાવ્યો?
પ્રિયંકા ગાંધીને પોલીસ પકડી રહી હતી, એ વખતે ઘણી બોલાચાલી થઈ હતી. પ્રિયંકા ગાંધીએ વૉરંટ દેખાડવાની માગ કરી હતી.
આ મામલે રાજકીય ગતિવિધિ પણ તેજ થઈ ગઈ છે, વિપક્ષના નેતા લખીમપુર ખીરી પહોંચવાના પ્રયાસો કરી રહ્યા છે.
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવની જ્યાં અટકાયત કરવામાં આવી છે ત્યાં બીજી તરફ બીએસપીના જનરલ સેક્રેટરી સતીશચંદ્ર મિશ્રને પણ લખીમપુર જતાં અટકાવી દેવાયા હતા. તેમણે લખનૌમાં જણાવ્યું કે તેમને નોટિસ આપવામાં આવી છે કે તેઓ ક્યાંય જઈ ન શકે.
કૉંગ્રેસના નેતા દીપેન્દ્ર હુડ્ડાનું કહેવું છે કે 'પ્રિયંકા ગાંધીની અટકાયત કરતી વખતે પુરુષ પોલીસ અધિકારીએ તેમની પર હાથ ઉઠાવ્યો હતો.'
વીડિયો ફૂટેજમાં હુડ્ડા કહે છે કે તેમણે પ્રિયંકા ગાંધી પર હાથ કઈ રીતે ઉઠાવ્યો?
પ્રિયંકા ગાંધીને પોલીસ પકડી રહી હતી, એ વખતે ઘણી બોલાચાલી થઈ હતી. પ્રિયંકા ગાંધીએ વૉરંટ દેખાડવાની માગ કરી હતી.
રાજનેતાઓની પ્રતિક્રિયા
યુપીના પૂર્વ મુખ્ય મંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આ ઘટના પર પ્રતિક્રિયા આપતાં ભાજપ પર 'ક્રૂર કૃત્ય'નો આરોપ લગાવ્યો છે.
તેમણે ટ્વીટ કર્યું કે "કૃષિકાયદાનો શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા ખેડૂતોને ભાજપ સરકારના ગૃહરાજ્યમંત્રીના પુત્ર દ્વારા ગાડીથી કચડવું એ ઘોર અમાનવીય અને ક્રૂર કૃત્ય છે. ઉત્તર પ્રદેશ દંભી ભાજપવાળાનો જુલમ હવે નહીં સહન કરે."
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ પ્રતિક્રિયા આપી છે.
પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર લખ્યું, "ભાજપ દેશના ખેડૂતોને કેટલી નફરત કરે છે? તેમને જીવવાનો હક નથી? જો તેઓ અવાજ ઉઠાવે તો તેમને ગાળી મારશો, ગાડી ચડાવીને કચડી નાખશો? હવે બહુ થયું. આ ખેડૂતોના દેશના છે, ભાજપની ક્રૂર વિચારધારાની જાગીર નથી."
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કર્યું, "જે આ અમાનવીય નરસંહાર જોઈને ચૂપ છે, તે પહેલાં જ મરી ચૂક્યા છે. પણ અમે આ બલિદાનને બેકાર નહીં થવા દઈએ. કિસાન સત્યાગ્રહ ઝિંદાબાદ!"
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો