સૈદાબાદ દુષ્કર્મ કેસ : રેલવે ટ્રૅક પરથી મળ્યો છ વર્ષની બાળકીના દુષ્કર્મ કેસમાં આરોપીનો મૃતદેહ

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

હૈદરાબાદના સૈદાબાદમાં 6 વર્ષની બાળકી સાથે થયેલા દુષ્કર્મના કેસના આરોપી પલ્લનકોન્ડા રાજુનો રેલવે ટ્રૅક પાસેથી મૃતદેહ મળી આવ્યો છે.

જનગામા પોલીસે બીબીસીને કહ્યું કે તેમને ટ્રૅક પાસે મૃતદેહ મળી આવ્યો છે.

હાથ પરના ટેટૂથી ખબર પડી છે કે તે આરોપીના નિશાન સાથે મૅચ થાય છે. આથી મૃતદેહ તેનો જ છે.

પોલીસે બીબીસીને જણાવ્યું, "આરોપીનો મૃતદેહ ગુરુવારે સવારે ઘનપુર નજીકના નશ્કલ રેલવે ટ્રૅક પાસેથી મળી આવ્યો હતો. શરીરનાં નિશાન અને ટેટૂના આધારે પુષ્ટિ થઈ કે તે આ મૃતદેહ રાજુનો જ છે."

પોલીસે એમ પણ કહ્યું કે રાજુના પરિવારને આની જાણ કરી દેવાઈ છે.

રાજ્યના મંત્રી કે. ટી. આરે પણ ટ્વિટર પર આ મામલે જાણાકારી શૅર કરી હતી.

કેટીઆરે ટ્વિટ કર્યું, "તેલંગણા ડીજીપીએ જણાવ્યું કે બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમનો મૃતદેહ ઘનપુર સ્ટેશન પાસેથી મળી આવ્યો છે."

વારંગલમાં આરોપીના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરવામાં આવે એવી શક્યતા છે. ત્યાર બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે.

ભાગેડૂ આરોપી ક્યાં ભાગતો ફરતો હતો?

રેલવે સ્ટાફ ટી. કુમાર અને સરંગપાણીએ પોલીસને જણાવ્યું કે શું થયું હતું.

કુમારે કહ્યું, "અમે આવ્યા ત્યારે એક વ્યક્તિ વૃક્ષ પરથી નીચે પડ્યો. ત્યાંથી કોઈ તરત ભાગી રહ્યું હોય એવું લાગ્યું. અમે એ તરફ જોયું. પણ કોઈ દેખાયું નહીં. અમને લાગ્યું કોઈક તો છે."

"અમે 200 મિટર સુધી ગયા અને ત્યાં અમને કોઈએ કહ્યું કે કોઈ વ્યક્તિ ટ્રેન નીચે કૂદી ગઈ. પછી અમે પરત આવ્યા. તે સવારે હૈદરાબાદ આવતી કોણાર્ક ટ્રેન નીચે 8:45 એ કૂદી ગયો હશે."

પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે આરોપી રાજુએ આત્મહત્યા કરી લીધી છે.

શું છે કેસ?

9 સપ્ટેમ્બરના રોજ હૈદરાબાદની સિંગેરેની કૉલોનીમાં આરોપી પર પાડોશમાં રહેતી બાળકીને ચૉકલેટની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ હતો.

પોલીસે ત્યાર બાદ રાજુની શોધખોળ શરૂ કરી હતી. પછી તેની પર 10 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું.

અધિકારીઓ અનુસાર પોલીસની 15 ટીમો તેને શોધી રહી હતી.

સપ્તાહ બાદ પણ આરોપી પકડાયો નહોતો આથી પીડિત પરિવાર રોષમાં હતો અને સ્થાનિકોએ પણ પ્રદર્શન કર્યું હતું.

જનસેનાના વડા પવન કલ્યાણે પણ પીડિત પરિવારની મુલાકાત કરી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો