ENGvsIND : જેમ્સ ઍન્ડરસન સામે વિરાટ કોહલી, રાહુલ, પૂજારા નિષ્ફળ, ટીમ ઇન્ડિયાનો ધબડકો

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટમાં પહેલી વાર ભારતીય ટીમ માત્ર 78 રન બનાવીને આઉટ થઈ ગઈ છે.

ટેસ્ટ ક્રિક્રેટની એક ઇનિંગમાં આ ભારતનો નવમો ઓછામાં ઓછો સ્કોર છે.

ઇંગ્લૅન્ડના બૉલર જેમ્સ ઍન્ડરસન અને ક્રેગ ઓવરટને શાનદાર બૉલિંગ કરી હતી અને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

જેમ્સ એન્ડરસને માત્ર છ રન આપીને ત્રણ વિકેટ લીધી અને તેમની ઘાતક બૉલિંગને કારણે જ ભારતની મોખરાની બેટિંગ લાઇન ધ્વસ્ત થઈ ગઈ.

પાંચ ટેસ્ટ મૅચની સિરીઝમાં ભારત 1-0થી આગળ છે. પહેલી ટેસ્ટ ડ્રો થઈ હતી, જ્યારે બીજી ટેસ્ટમાં ભારતે શાનદાર જીત મેળવી હતી.

બેટિંગનો નિર્ણય

હેડિંગ્લેમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસે ભારતના કૅપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય લીધો.

પરંતુ તેમનો આ નિર્ણય ખોટો સાબિત થતો દેખાયો, કારણ કે ઓપનર કે. એલ. રાહુલ પોતાનું ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયા.

ત્યારબાદ જે વિકેટ પડવાનો સિલસિલો શરૂ થયો, તે રોકાયો જ નહીં. ભારતીય ઇનિંગમાં સૌથી મોટી ભાગીદારી ચોથા વિકેટ માટે થઈ, જે 35 રનની હતી.

માત્ર બે ખેલાડીઓનો સ્કોર બે આંકડા સુધી પહોંચી શક્યો અને તેઓ હતા રોહિત શર્મા અને અંજિક્ય રહાણ.

રોહિતે 19 અને રહાણેએ 18 રન બનાવ્યા. આ સિવાય વધુ 16 રન બનતા ભારતનો કુલ સ્કોર 78 સુધી પહોંચ્યો.

ભારતનું પ્રદર્શન

ભારતીય ઇનિંગની સૌથી ખરાબ પળ એ હતી, જ્યારે 67 રનના સ્કોર પર ભારતે ચાર વિકેટ ગુમાવી દીધી.

ભારતે પોતાની છઠ્ઠી વિકેટ 67 રને ગુમાવી અને આ જ સ્કોર પર ભારતની નવ વિકેટ પડી ચૂકી હતી.

ત્રણ ખેલાડીઓ તો પોતાનું ખાતું પણ નહોતા ખોલાવી શક્યા. આ ખેલાડી હતા કે. એલ. રાહુલ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ. કપ્તાન વિરાટ કોહલી સાત રન અને ઇશાંત શર્માએ આઠ રન બનાવ્યા.

ઇંગ્લૅન્ડની તરફથી સૌથી વધુ ત્રણ વિકેટ જેમ્સ ઍન્ડરસન અને ક્રેગ ઓવરટને લીધી. ઓલી રૉબિન્સન અને સેમ કરેને બબ્બે વિકેટ ઝડપી.

ટેસ્ટ ક્રિકેટમાં આ ભારતનો નવમો ન્યૂનતમ સ્કોર છે, ટેસ્ટ ક્રિકેટની એક ઇનિગમાં ભારતનો ન્યૂનતમ સ્કોર 36 રન છે.

ડિસેમ્બર 2020માં ભારતની ટીમ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ એડિલેડ ટેસ્ટમાં 36 રન પર આઉટ થઈ ગઈ હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો