You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરતમાં શાળા ખૂલતાં ત્રણ વિદ્યાર્થી કોરોના પૉઝિટિવ, ઑફલાઇન શિક્ષણ માટે વાલીઓ કેમ મજબૂર?
ગુજરાત સરકારે ધોરણ 9-12ની શાળાઓમાં ઑફલાઇન શૈક્ષણિક શરૂ કરવા માટે તાજેતરમાં જ ગત મહિને છૂટ આપવાની જાહેરાત કરી હતી.
રાજ્યમાં કોરોનાના કેસમાં આવેલા ઘટાડાને પગલે આ નિર્ણય લેવાયો હોવાનું સરકારે જણાવ્યું હતું.
જોકે બીજી તરફ દેશમાં કોરોનાની ત્રીજી લહેર મામલે ચેતવણી પણ આપવામાં આવી છે.
વધુમાં કેટલાક નિષ્ણાતો અનુસાર ત્રીજી લહેરમાં બાળકોને વયસ્કો કરતા વધુ જોખમ હોવાનું પણ કહેવાઈ છે. તો કેટલાક નિષ્ણાતોએ ત્રીજી લહેર બીજી લહેર કરતાં ઓછી તીવ્ર રહેવાની વાત કરી છે.
આ દરમિયાન સુરત શહેરમાં બે શાળામાં કુલ ત્રણ વિદ્યાર્થીનો કોરોનાનો રેપિડ ટેસ્ટ પૉઝિટિવ આવ્યાના અહેવાલ છે.
કેસ આવતા સ્કૂલ બંધ કરાઈ
સુરતના સિંગણપોર વિસ્તારની શારદા વિદ્યામંદિર સ્કૂલ અને લિંબાયતની સુમન સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો.
બંને સ્કૂલો તાત્કાલિક ધોરણે સ્થાનિક પ્રશાસન દ્વારા બંધ કરી દેવામાં આવી છે.
આ મામલે બીબીસી સાથેની વાતચીતમાં શારદા વિદ્યામંદિર સ્કૂલના આચાર્ય રામભાઈ પરમારે જણાવ્યું, "અમારે ત્યાં બે વિદ્યાર્થિનીના ટેસ્ટ પૉઝિટિવ આવ્યા છે. મહાનગરપાલિકા દ્વારા થતા ચેકિંગ દરમિયાન તેમના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં તેમના રેપિડ ટેસ્ટ પૉઝિટિવ આવ્યા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"સ્કૂલમાં તમામ સાવચેતીઓ રાખવામાં આવે છે. પરંતુ બે વિદ્યાર્થી પૉઝિટિવ આવી ગયા છે. તેમના વર્ગનાં અન્ય બાળકોના ટેસ્ટ નૅગેટિવ રહ્યા છે. આથી સ્કૂલના વર્ગ હાલ પ્રાથમિક ધોરણે બંધ રખાયા છે.”
બીજી તરફ લિંબાયતની સુમન સ્કૂલના આચાર્ય અવિનાશ પાટીલે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "અમારી સ્કૂલમાં બે દિવસ પહેલાં એક વિદ્યાર્થિની પૉઝિટિવ આવી હતી. તેનો રેપિડ ટેસ્ટ નૅગેટિવ આવ્યો હતો. જોકે બાદમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાતા તે ટેસ્ટ નૅગેટિવ આવ્યો હતો."
"મહાનગરપાલિકા દ્વારા સતત ચેકિંગ કરાય છે. વળી અમે છેલ્લા 5-6 દિવસમાં 200થી વધુ ટેસ્ટ કરાવ્યા હતા. વિદ્યાર્થીને કોઈ લક્ષણો નહોતાં પણ રેપિડ ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હતો."
"આથી તેના સાથી વર્ગમિત્રો અને પરિવારનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે તમામ નૅગેટિવ આવ્યા છે."
તેમણે વધુમાં કહ્યું, "તેમ છતાં અમે સાવચેતીના ભાગરૂપે તે વિદ્યાર્થી અને તેના સંપર્કમાં આવેલા વિદ્યાર્થીઓને હોમ ક્વૉરેન્ટીન રહેવા સલાહ આપી છે. શાળા હાલ તો બંધ રખાઈ છે. વધુ આદેશ મળવાથી આગળનાં પગલાં લેવામાં આવશે."
સુરત શહેરમાં અગાઉ પણ જ્યારે શાળાઓ અને ટ્યુશન ક્લાસિસ શરૂ થયા હતા ત્યારે શિક્ષકો અને બાળકો પૉઝિટિવ આવ્યાં હોવાના બનાવ નોંધાઈ ચૂક્યા છે.
આ મુદ્દે બીબીસીએ સુરત શહેર મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય કમિશનર આશિષ નાયકનો સંપર્ક કર્યો હતો.
તેમણે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "અમે ગત રોજ 18 હજાર સૅમ્પલ્સ ટેસ્ટ કર્યાં છે. છેલ્લા 7 દિવસથી સરેરાશ 3 હજાર ટેસ્ટ કરી રહ્યા છીએ. કુલ ત્રણ બાળકોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યા છે. અમે સ્કૂલો સાત દિવસ માટે બંધ કરી દીધી છે."
"જે વિદ્યાર્થી પૉઝિટિવ આવ્યા છે તેમના સાથામિત્રો અને પરિવાર તથા તેઓ જો ટ્યુશન કે કોચિંગ ક્લાસમાં જતા હોય તો ત્યાં પણ કૉન્ટેક્ટ ટ્રેસિંગ કરી ટેસ્ટ કરીએ છીએ."
"અમે તમામ પગલાં લઈ રહ્યાં છીએ અને જરૂર પડ્યે કામગીરીને વેગ પણ આપી રહ્યા છીએ."
તદુપરાંત સુરતથી વાલી મંડળ ગુજરાતના પ્રતિનિધિ ઉમેશ પંચાલે બીબીસીને જણાવ્યું, "છેલ્લાં 2 વર્ષોથી બાળકો ઘરે છે અને ઑનલાઇન શિક્ષણ લઈ રહ્યા છે. આથી હવે વાલીઓને પણ ચિંતા છે કે તેમના બાળકોના શિક્ષણનું સ્તર અને તેમની શૈક્ષણિક ક્ષમતા ઘટી શકે છે. જેથી તેઓ ઑફલાઇન ક્લાસમાં મોકલવા માટે મજબૂર છે."
"વાલી હવે તો લૉકડાઉન નહીં હોવાથી બાળક પર સતત નજર નથી રાખી શકતા. વળી સ્કૂલોમાં કોરોનાની ગાઇડલાઇનનું કેટલું અને કેવું પાલન થાય છે, તે પણ એક સવાલ છે."
"જો શાળાઓ યોગ્ય પાલન નહીં કરી શકે તો બાળકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાવાનું જ છે. એટલે સરકારે ધ્યાન આપવું પડશે કે શાળાઓ જવાબદારીપૂર્વક કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરે."
"સ્ટાફનું રસીકરણ અને સમયાંતરે ટેસ્ટ કરવા. બાળકોના આરોગ્યનું ચેકિંગ કરવું એ તમામ પાસાંઓ પર ધ્યાન આપવું પડશે. તાજેતરનો દાખલો તેનું ઉદાહરણ છે."
સુરતમાં કોરોનાની સ્થિતિ
હાલ સુરત શહેરમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો અહીં સરેરાશ બે-ત્રણ કેસ નોંધાઈ રહ્યા છે. શહેરમાં જોકે છેલ્લા 24 કલાકમાં કોઈ મૃત્યુ નથી નોંધાયું.
ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 15 કેસ નોંધાયા છે અને એક પણ મૃત્યુ નથી નોંધાયું.
જોકે દેશમાં ઑગસ્ટના અંતથી ત્રીજી લહેરના સંકેતો મામલે ચેતવણી અપાઈ હોવાથી આરોગ્યતંત્ર અને સરકાર પણ કોરોનાની ગાઇડલાઇનના પાલન માટે નાગરિકોને આગ્રહપૂર્વક અપીલ કરી રહી છે.
દરમિયાન સુરત શહેરમાં એક બીજી વિવાદિત ઘટના પણ પ્રકાશમાં આવી છે.
ગજેરા વિદ્યાભવન નામની સ્કૂલમાં ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરાયા હોવાના સમાચારો સ્થાનિક મીડિયામાં વહેતા થયા હતા.
અત્રે નોંધવું કે સરકારે માત્ર 9થી 12નું ઑફલાઇન શિક્ષણ શરૂ કરવા જ મંજૂરી આપી છે. ધોરણ 6થી 8ના વર્ગો માટે મંજૂરી નથી આપી.
પરંતુ શાળામાં આ વર્ગના વિદ્યાર્થીઓને પણ બોલાવવામાં આવતા હોવાના અહેવાલ વહેતા થતા આરોગ્ય વિભાગે શાળાને નોટિસ પણ પાઠવી છે.
વધુમાં જિલ્લા શિક્ષણાધિકારી એચ. આર. રાજ્યગુરુએ પણ ડીઈઓની ચાર સભ્યોની ટીમ તપાસ કરશે એવું કહ્યું છે.
આ મામલે નાયબ આરોગ્ય કમિશનર આશિષ નાયકે બીબીસીને જણાવ્યું, "અમે આ મામલે નોટિસ પાઠવી છે અને અમારી ટીમ આ વિશે તપાસ પણ કરી રહી છે. અમને કોરોનાની ગાઇડલાઇનના ભંગ વિશેની ફરિયાદ મળી છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો