You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પુષ્કરસિંહ ધામી : કોણ છે ઉત્તરાખંડના 11 મા મુખ્ય મંત્રી? - Top News
ઉત્તરાખંડના નવા મુખ્ય મંત્રી તરીકે પુષ્કરસિંહ ધામીએ રવિવારે શપથ લીધા હતા.
તેઓ ઉત્તરાખંડના 11 મા મુખ્યમંત્રી છે. ઉલ્લેખનીય છે કે 2017માં ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પછી ભાજપના આ ત્રીજા મુખ્ય મંત્રી છે.
પુષ્કરસિંહ ધામી સાથે 11 મંત્રિઓએ શપથ લીધા હતા. શપથગ્રહણ પહેલા સમાચાર આવ્યા કે પાર્ટીમાં તેમની પસંદગીને લઈને અસંતોષ છે.
તેમણે કહ્યું છે કે તેઓ બધાને સાથે લઈને ચાલશે.
ઉત્તરાખંડમાં તેઓ અત્યાર સુધીના સૌથી નાની વયના મુખ્ય મંત્રી બન્યા છે, ત્યારે તેમણે આ અંગે કહ્યું કે, "મારી ઉંમર ઓછી છે. બાકી બધા અનુભવી છે. બધાને સાથે લઈને ચાલવું એ મારું કર્તવ્ય છે. "
તેમણે કહ્યું કે ચારધામયાત્રા અને પર્યટક ગતિવિધિઓ શરૂ કરવી ઉત્તરાખંડ માટે ખૂબ જરૂરી છે અને આ તેમની પ્રાથમિકતા છે.
તેમણે કહ્યું કે મુશ્કેલીઓ છે પરંતુ પર્યટન અને ચારધામ યાત્રાને ફરી શરૂ કરવું અમારા માટે ખૂબ જરૂરી છે.
કોણ છે પુષ્કર સિંહ ધામી?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામી ઉત્તરાખંડના ઊધમસિંહનગર જિલ્લાની ખટીમા બેઠકથી બે વખત ધારાસભ્ય રહ્યા છે.
તેઓ ઉત્તરાખંડમાં અત્યાર સુધીના સૌથી નાની વયના મુખ્ય મંત્રી બન્યા છે. 45 વર્ષની ઉંમરે તેમણે રાજ્યની કમાન સંભાળી છે.
પુષ્કરસિંહ ધામીને ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય મંત્રી અને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીના નિકટતમ માનવામાં આવે છે.
જ્યારે ભગતસિંહ કોશિયારી મુખ્ય મંત્રી હતા ત્યારે પુષ્કરસિંહ ધામી તેમના ઓએસડી હતા.
જોકે આની પહેલા ધામી ઉત્તરાખંડમાં કેબિનેટ અથવા રાજ્યકક્ષાના મંત્રી પદે નથી રહ્યા. પ્રથમ વખત તેઓ સરકારમાં સામેલ થયા છે એટલે સ્વાભાવિક છે સરકાર ચલાવવાનો અનુભવ હજી તેમને નથી.
તેઓ ઉત્તરાખંડના કુમાઉં મંડળમાંથી આવે છે અને રાજૂપત જ્ઞાતિના છે.
કેન્દ્ર રસીનો ઓછો જથ્થો મોકલી રહ્યું હોવાથી લોકોને પડી રહી છે મુશ્કેલી : નીતિન પટેલ
ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યને કેન્દ્ર સરકાર તરફથી પહેલાંની સરખામણીમાં કોરોનાની રસીનો ઓછો જથ્થો મળવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર શનિવારે નીતિન પટેલે જણાવ્યું હતું કે, "હાલ કેન્દ્ર તરફથી ગુજરાતને માત્ર ત્રણ-ચાર લાખ રસીના ડોઝ મળી રહ્યા છે. જે પહેલાંની સરખામણીમાં અડધા છે."
નોંધનીય છે કે પાછલા અમુક સમયથી ગુજરાતમાં રજિસ્ટ્રેશન વગર ઑન ધ સ્પોટ રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.
પરંતુ છેલ્લા અમુક દિવસોમાં ગુજરાતમાં લોકોને રસીકરણ માટેનાં કેન્દ્રોએ ભારે ભીડમાં પરેશાન થવાનો વારો આવી રહ્યો હોવાની ફરિયાદ ઊઠી છે.
તેમજ રસીકરણનાં કેન્દ્રોની સંખ્યા અને કેન્દ્રદીઠ અપાતી રસીના ડોઝની સંખ્યામાં પણ ભારે ઘટાડો નોંધાતાં રસી લેવા માગતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.
કોવૅક્સિન ડીલ મામલે બ્રાઝિલના રાષ્ટ્રપતિ સામે તપાસને મંજૂરી
બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ઝાયર બોલસોનારો વિરુદ્ધ કોવૅક્સિન ખરીદવાની ડીલમાં થયેલ કથિત ભ્રષ્ટાચાર મામલામાં તપાસની મંજૂરી અપાઈ છે.
શુક્રવારે મોડી રાત્રે એક જજે કથિત કૌભાંડમાં બોલસોનારોની ભૂમિકાની તપાસ શરૂ કરવાની વિનંતી મંજૂર રાખી હતી.
બોલસોનારો પર સ્વાસ્થ્યમંત્રાલયના એક વ્હિસલબ્લોઅરે કાર્યવાહી કરવામાં વિફળ રહેવાનો આરોપ લગાવ્યો છે.
તેમના પ્રમાણે ત્રણ માસ પહેલાં ચેતવણી અપાઈ હતી કે એક વરિષ્ઠ અધિકારીએ ભારતમાં બનેલી કોવૅક્સિનને વધુ પ્રમાણમાં ખરીદવા માટે લાંચ લેવા માટે સંમતિ વ્યક્ત કરી હતી.
જોકે, બોલસોનારોએ આ આરોપોનો ઇન્કાર કર્યો છે અને કહ્યું છે કે વિપક્ષ તેમના વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહી શરૂ કરવા માટે આરોપ લગાવી રહ્યો છે.
ટ્વિટર ઇન્ડિયાના MD સામે 'કોમવાદી નફરત' ભડકાવવાના આરોપસર ફરિયાદ
પાછલા ઘણા સમયથી અમેરિકન માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર અને ભારતનાં જુદાં જુદાં રાજ્યોની સરકારો તેમજ કેન્દ્ર સરકાર વચ્ચે ખટરાગ જોવા મળી રહ્યો છે.
હાલમાં ફરીથી એક વાર ટ્વિટર ભારતમાં ત્યારે વિવાદમાં આવ્યું જ્યારે ટ્વિટર ઇન્ડિયાના MD મનીષ મહેશ્વરી સામે દિલ્હી પોલીસના સાયબર સેલમાં કથિતપણે કોમવાદી નફરત ભડકાવવાના આરોપસર ફરિયાદ થઈ હતી.
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર ઍડ્વોકેટ આદિત્ય સિંઘ દેશવાલે આ ફરિયાદમાં એક નોન-પ્રૉફિટ સંસ્થા એથેઇસ્ટ રિપબ્લિકના નામનો પણ ઉલ્લેખ કર્યો છે.
ફરિયાદ મુજબ ટ્વિટર પર એથેઇસ્ટ રિપબ્લ્કિના હૅન્ડલ પરથી હિંદુ ધર્મના દેવી કાલીની તસવીર શૅર કરવામાં આવી હતી. ફરિયાદીનો દાવો છે કે આ પોસ્ટ વાંધાજનક હતી. અને સમાજમાં દુર્ભાવના અને દુશ્મનાવટનું વાતાવરણ ફેલાવવા માટે જાણીજોઈને આવી પોસ્ટ શૅર કરવામાં આવી હતી.
ફરિયાદીનો દાવો છે કે આ પોસ્ટ હિંદુઓની ધાર્મિક લાગણીઓઓ દુભાવવાના હેતુથી શૅર કરાઈ હતી.
ફરિયાદીએ ટ્વિટર ઇન્ડિયાના MD મનીષ મહેશ્વરી, શગુફ્તા કામરાન, ટ્વિટરના પબ્લિક પૉલિસી મૅનેજર સહિત રિપબ્લિક એથેઇસ્ટના અમુક પ્રતિનિધિઓ સામે FIR નોંધવાની માગણી કરી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો