ગુજરાતમાં મિનિલૉકડાઉનના પ્રતિબંધો શુક્રવારથી હળવા, રેસ્ટોરાં અને જિમ અંગેના નવા નિયમ શું? - Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતમાં કોરોના વાઇરસના સંક્રમણને લઈને મૂકવામાં આવેલા પ્રતિબંધોમાં છૂટછાટ આપવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ સંદર્ભે કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.

11 જૂને સવારે છ વાગ્યાથી નિયંત્રણો હળવા કરવામાં આવશે, રાત્રિ કર્ફ્યુનો સમય રાતના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી રહેશે.

  • તમામ દુકાનો સવારના નવ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ચાલુ રહેશે.
  • રેસ્ટોરાં, હોટલ સવારના નવ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી 50 ટકા બેઠકક્ષમતા સાથે ખુલ્લાં રાખી શકાશે.
  • રેસ્ટોરાંમાં ટેકઅવે રાત્રે નવ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે અને હોમ ડિલિવરી રાત્રે 12 વાગ્યા સુધી કરી શકાશે.
  • લાઇબ્રેરી 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.
  • બાગ-બગીચા પણ સવારના છ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ખુલ્લાં રાખી શકાશે.
  • જિમ્નેસિયમ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ રહેશે.
  • રાજકીય, ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો મહત્તમ 50 વ્યક્તિઓની ઉપસ્થિતિમાં યોજી શકાશે.
  • ધાર્મિક સ્થાનો ખુલ્લાં રાખી શકાશે અને 50થી વધુ દર્શનાર્થીઓ એકસાથે ભેગા નહીં થઈ શકે.
  • બસ અને એસટી સેવામાં 60 ટકા પ્રવાસીઓની ક્ષમતા સાથે ચાલશે.

ગાઝા બાદ ઇઝરાયલે હવે સીરિયામાં હુમલો કર્યો?

સીરિયાના સરકારી મીડિયાએ દાવો કર્યો છે કે આઠ જૂને સીરિયન યુદ્ધવિમાનોએ દેશના મધ્ય અને દક્ષિણ વિસ્તારમાં ઇઝરાયલ તરફથી કરાયેલા મિસાઇલ હુમલાઓને નિષ્ફળ કરી દીધા છે.

જોકે, સીરિયામાં ચાલી રહેલા સંઘર્ષ પર નજર રાખનારા સંગઠનનું કહેવું છે કે રાજધાની દમાસ્કસ અને મધ્ય સીરિયાના કેટલાક વિસ્તારોમાં કરાયેલા આ હુમલામાં કેટલાય લોકોનો જીવ ગયો છે.

સીરિયાની સરકારી સમાચાર સંસ્થા 'સના'એ એક સૂત્રને ટાંકીને જણાવ્યું છે કે લેબનોનના હવાઈક્ષેત્રમાંથી કેટલીક ઇઝરાયલી મિસાઇલો આવી હતી, જેને હવામાં જ તોડી પાડવામાં આવી હતી.

સીરિયન ઑબ્ઝર્વેટરી ફૉર હ્યુમન રાઇટ્સ સંગઠન (SOHR)એ કહ્યું છે કે નવ જૂનની સવારે સીરિયન સૈન્ય ઠેકાણાં પર મિસાઇલ હુમલાઓ કરાયા છે.

SOHR અનુસાર દમાસ્કસ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પાસ ભારે વિસ્ફોટ સંભળાયો અને અલ-દમીર જિલ્લામાં ઍર ડિફેન્સ બ્રિગેડની ઇમારતોને પણ નુકસાન થયું હોવાનો દાવો કરાયો. આ ઉપરાંત હોમ્સ પ્રાંત પાસે પણ અવાજ સંભળાયો છે.

માનવાધિકાર સંગઠનનું કહેવું છે કે હોમ્સમાં કેટલાય લોકોનાં મૃત્યુ થયાં છે અને અલ દમીરમાં હથિયારોનો ડૅપો બરબાદ થઈ ગયો છે.

આ ઉપરાંત પણ અન્ય કેટલાક પ્રાંતોમાં વિસ્ફોટ સંભળાયા છે, જોકે એ માનવામાં આવી રહ્યું છે કે મિસાઇલ હુમલાને ટાળવાનો પ્રયાસ કરી રહેલાં વિમાનોને કારણે એવું થયું હતું.

નોંધનીય છે કે ગત મહિને સીરિયાનાં મીડિયાએ ગોલાન હાઇટ્સના સીરિયન વિસ્તારમાં ઇઝરાયલી હેલિકૉપ્ટરના હુમલાઓનો દાવો કર્યો હતો.

અમેરિકાની કૉલેજોનો આદેશ 'કોવૅક્સિન' લઈ ચૂકેલા વિદ્યાર્થીઓ ફરીથી રસીકરણ કરાવે

માર્ચ મહિનાથી અત્યાર સુધી અમેરિકાની લગભગ 400થી વધારે યુનિવર્સિટીઓ અને કૉલેજોએ વિદ્યાર્થીઓને તેમના આગામી શૈક્ષણિક સત્ર પહેલા રસીકરણ કરાવી લેવા કહ્યું છે. તેમણે જે વિદ્યાર્થીઓએ કોવૅક્સિન અથવા સ્પુતનિકની રસી લીધી હોય તેમને ફરીથી બીજી કોઈ રસી દ્વારા રસીકરણ કરવા માટે કહેવાયું છે.

'ઇન્ડિયા ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર કોવૅક્સિન અને સ્પુતનિક રસીને વિશ્વ આરોગ્ય સંગઠનની મંજૂરી નહીં હોવાથી તેમને ફરી બીજી કોઈ રસી લેવા કહેવામાં આવ્યું છે.

25 વર્ષીય મિલોની દોષી કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે જવાનાં છે. તેમણે કોવૅક્સિનના બંને ડોઝ લઈ લીધા છે.

તેમણે ઇન્ડિયા ટાઇમ્સને આપેલી મુલાકાતમાં જણાવ્યું કે તેમને કોલંબિયા યુનિવર્સિટીએ ફરીથી રસી લેવા કહ્યું છે. આથી તેમને ડર અને ચિંતા છે.

કાનપુર-પ્રયાગરાજ (અલાહબાદ) હાઈવે પર અકસ્માતમાં 17 લોકોનાં મૃત્યુ

બીબીસી હિંદીના અહેવાલ મુજબ ઉત્તર પ્રદેશમાં કાનપુર-પ્રયાગરાજ (અલાહબાદ) હાઈવે પર અકસ્માત થતાં 17 લોકો મૃત્યુ પામ્યાં છે, જ્યારે 4 ઘાયલ થયાં છે. મંગળવારે મોડી સાંજે આ દુર્ઘટના ઘટી હતી.

સ્થાનિક પ્રશાસન અને કાનપુર પોલીસ કમિશનર અસીમ અરૂણ અનુસાર ઉન્નાવથી ગુજરાત જઈ રહેલી બસ એક ટૅમ્પો સાથે અથડાઈ હતી અને પછી બંને વાહનો ફંગોળાઈ ગયા હતા.

બસ બાજુમાં એક ખીણમાં પડી ગઈ હતી. ઈજાગ્રસ્તોને કાનપુરના લાલા લજપત રાય હૉસ્પિટલ લઈ જવાયાં હતા. જેમાં 17 લોકોને ડૉક્ટરે મૃત જાહેર કર્યાં હતા.

વર્ષ 2100 સુધી ક્લાઇમેટ ચેન્જથી ભારતના જીડીપીમાં 3-10 ટકાનું ગાબડું પડશે

'ઑવરસીઝ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ' દ્વારા તૈયાર કરાયેલ 'કૉસ્ટ ઑફ ક્લાઇમેટ ચેન્જ ઇન ઇન્ડિયા' રિપોર્ટ અનુસાર વર્ષ 2100 સુધી ભારતના જીડીપીમાં 3-10 ટકાનું ગાબડું પડી શકે છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ' અનુસાર અહેવાલમાં કહેવાયું છે કે ભારતમાં ગરીબી અને અસમાનતા પણ વધશે.

ભારતને ક્લાઇમેટ ચેન્જને કારણે થનારા આર્થિક નુકસાનની અસરને પગલે આવું થવાનું અનુમાન તેમાં વ્યક્ત કરાયું છે.

રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે ભારત ગ્લૉબલ વૉર્મિંગને કારણે પહેલાંથી જ અતિશય ગરમી, ભારે વરસાદ, ચક્રવાત, પૂર, દરિયાની વધતી જળસપાટી સહિતના ફેરફારો અનુભવી રહ્યું છે.

અનુપ ચંદ્રા પાંડે દેશના નવા ચૂંટણી કમિશનર

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા 12મી એપ્રિલે નિવૃત્ત થતા હવે તમની જગ્યાએ નવા કમિશનર નિમવામાં આવ્યા છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર 1884ની બૅચના ઉત્તર પ્રદેશ કૅડરના નિવૃત્ત આઈએએસ અધિકારી અનુપ ચંદ્રા પાંડેને નવા ચૂંટણી કમિશનર બનાવવામાં આવ્યા છે.

તેઓ આ પૂર્વે યોગી સરકારમાં તેમના ચીફ સેક્રેટરી રહી ચૂક્યા છે. હવે આગામી વર્ષે ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, મણિપુર, ઉત્તરાખંડમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. જેના નેતૃત્ત્વ તેઓ કરશે. પેનલમાં અન્ય બે કમિશનર સુશીલ ચંદ્રા અને રાજીવ કુમાર છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો