You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઓક્સિજન, બેડ, સ્મશાન માટે પણ લાંબી લાઇનો માટે મોદી જવાબદાર : રાહુલ ગાંધી
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શનિવારે સમાચાર સંસ્થા પીટીઆઈને આપેલા ખાસ ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ભારતમાં કોવિડ-19 મહામારીની ગંભીરતા અને કતારોને જોઈને સમગ્ર વિશ્વ સ્તબ્ધ છે.
તેમણે કહ્યું કે આ કતારો ઓક્સિજનનાં સિલિન્ડર માટે હોય, જીવનરક્ષક દવાઓ માટે હોય, હૉસ્પિટલની પથારી માટે હોય કે પછી સ્મશાનની બહાર લાગેલી હોય.
રાહુલે સરકાર પર આરોપ લગાવ્યો કે વૈજ્ઞાનિકોની પ્રારંભિક ચેતવણીઓને અવગણાઈ અને ખોટી રીતે સ્થિતિને પહોંચી વળવાનો પ્રયાસ કરાયા.
કોરોનાની સ્થિતિ પર રાહુલે ગાંધીએ કહ્યું કે દરરોજ સવારે ઊઠતાં તેમનું દિલ તૂટ્યું છે. તેમણે એવું પણ કહ્યું કે આ કોઈ લહેર નહીં પણ સુનામી છે, જેણે બધું જ બરબાદ કરી નાખ્યું છે. દરેક જગ્યાએ પૂરી ન થાય એવી કતારો લાગેલી છે.
રાહુલે એવું પણ કહ્યું કે કોવિડ-19ને પહોંચી વળવા માટે હરેક વસ્તુની કમી છે અને રાજધાનીની સારી હૉસ્પિટલો પણ પાયમાલ થઈ ગઈ છે.
ભારતના ટોચના ડૉક્ટરો ઓક્સિજનની ઘટની વાતો કરી રહ્યા છે અને હૉસ્પિટલોને ઓક્સિજન માટે હાઈકોર્ટ જવું પડી રહ્યું છે.
રાહુલ ગાંધીએ આ નિષ્ફળતા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું છે કે તેઓ જ દેશની મશીનરી ચલાવે છે. અહીં આ ઇન્ટરવ્યૂને કેટલાક અંશો રજુ કરાયા છે.
સંકટમાં સરકાર ગાયબ
આવું કશું જ થવું જોઈતું નહોતું. અગમચેતીનાં કેટલાંય ચિહ્નો મળ્યાં હતાં. એ ચિન્હો ભૂલી જાઓ, વૈજ્ઞાનિકોએ સરકારને સ્પષ્ટ રીતે ચેતવી હતી કે આવું થશે પણ એમને અવણગી દેવાયા. આપણે સારી તૈયારી કરી શક્યા હોત.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આપણે સારી તૈયાર કરવી જોઈતી. અત્યારે આ સંકટમાં સરકાર ક્યાં છે? તે સંપૂર્ણ રીતે ગાયબ છે. તેઓ માત્ર વડા પ્રધાનની છબિ બચાવવા અને બીજા પર આરોપો કરવામાં લાગેલા છે.
નવો પ્રચલિત શબ્દ છે કે સિસ્ટમ નિષ્ફળ ગઈ છે. આ સિસ્ટમ કોણ છે? સિસ્ટમ કોણ ચલાવે છે? જવાબદારી ન સ્વીકારવાની આ ચાલ માત્ર છે.
ચેતવણી આપનારની હાંસી ઉડાવી
સરકાર કોરોનાની પરિસ્થિતિના આકલનમાં ચૂકી ગઈ છે. એ વડા પ્રધાનની ભૂલ છે. તેઓ ઉચ્ચ કેન્દ્રીકૃત અને વ્યક્તિગત સરકારી મશીનરી ચલાવે છે.
તેઓ સંપૂર્ણ અને મૂળ રીતે પોતાની બ્રાન્ડ બનાવવામાં ઉત્સુક છે. હકીકત એ છે કે શરૂઆતથી જ, વારંવારની ચેતવણીઓ છતાં સરકાર કોવિડ-19 મહામારીને પહોંચી વળવામાં કે તેને સમજવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે.
ગત વર્ષ 2020માં મહામારીની શરૂઆતથી, હું સરકારને સતત વિપદાને અંગે ચેતવી રહ્યો હતો કે પણ તેમણે મારા પર પ્રહારો કર્યા અને મારી મજાક ઉડાવી.
માત્ર હું જ નહીં, જેમણે પણ ચેતવણી આપી, સરકારે નિષ્ઠુરતાથી અને વિચાર્યા વગર તેની અવગણના કરી.
મોદી સરકારે ફેબ્રુઆરી અને માર્ચ, 2020માં આપણાં ઍરપૉર્ટ દ્વારા વાઇરસને ભારતમાં પ્રવેશવા દીધો અને પછી ભયમાં અને કોઈની સલાહ લીધા વગર વિશ્વનું સૌથી આકરું લૉકડાઉન લાદી દીધું.
વાઇરસ પર વિજયની જાહેરાત એ પાગલપન
પ્રવાસી કામદારોને નિરાધાર છોડી દેવાયા અને શહેરોમાંથી અદભૂતપૂર્વ પલાયન શરૂ થયું.
ગરીબમાં ગરીબ વ્યક્તિ કોઈ પણ સહકાર વિના, સહાય વિના, મદદ વિના સેંકડો કિલોમીટર દૂર ઘર જવા માટે ચાલવા મજબૂર બની અને સ્પષ્ટ અવગણના કરતાં વડા પ્રધાને કહ્યું કે મહાભારતના યુદ્ધની માફકત તેઓ વાઇરસને 21 દિવસમાં હરાવી દેશે.
મોદી સરકાર સ્પષ્ટ રૂપે અહંકારી છે અને હકીકતને બદલે માન્યતા પર ધ્યાન આપે છે.
વાઇરસ પર વિજય હાંસલ કરવાની જાહેરાત એ પાગલપન અને વાઇરસ વિશેની સમજનો સંપૂર્ણ અભાવ દર્શાવે છે.
એક વર્ષમાં વડા પ્રધાને શું કર્યું?
કોરોના સામેની લડાઈ માત્ર માનવતા સાથે એ અહેસાસ સાથે લડવી ઘટે કે તમારો સામનો એક એવા નિર્દય વિરોધી સાથે પડ્યો છે કે જે પોતાની જાતને રૂપાંતરિત કરતો રહે છે અને લવચીક બનતો રહે છે.
વડા પ્રધાન પાસે ઉત્તમ તૈયારી કરવા, ભારતને બચાવવા માટે અને આ સંકટ અંગે વિચારવા માટે એક વર્ષ હતું. પણ તેમણે શું કર્યું?
શું વડા પ્રધાન અને સરકારે ઓક્સિજનની યોગ્ય ક્ષમતા ઊભી કરી? ટેસ્ટિંગ વધાર્યું? હૉસ્પિટલોમાં પથારી વધારી? વૅન્ટિલેટરો વધાર્યાં?
શું વડા પ્રધાને આપણા સ્વાસ્થ્ય માળખાની સ્થિતિ અંગે લાંબા ગાળાનો વિચાર કરીને વિશ્વના લગભગ દરેક દેશમાં જોવા મળેલી કોરોનાની આગામી લહેરને પહોંચી વાળવા એને વિકસિત કર્યું?
વૈજ્ઞાનિકોની ચેતવણીની મોદી સરકારે ઉપેક્ષા કરી - રૉયટર્સ
આ દરમિયાન સરકાર તરફથી ગઠન કરવામાં આવેલ વૈજ્ઞાનિક સલાહકારોના એક ફોરમે માર્ચની શરૂઆતમાં ભારતીય અધિકારીઓને દેશમાં એક નવા અને વધું સંક્રામક વેરિયન્ટ ફેલાવાની ચેતવણી આપી હતી. ફોરમમાં સામેલ પાંચ વૈજ્ઞાનિકોએ સમાચાર એન્જસી રૉયટર્સને આ જાણકારી આપી છે.
ચાર વૈજ્ઞાનિકોએ કહ્યું કે ચેતવણી છતાં કેન્દ્ર સરકારે વાઇરસને ફેલાતો રોકવા માટે મોટા સ્તરે પ્રતિબંધો લાગુ કર્યા ન હતા.
માસ્ક પહેર્યા વિના લાખો લોકોએ ધાર્મિક આયોજન અને રાજકીય રેલીઓમાં ભાગ લીધો, જે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સત્તાધારી ભાજપ અને વિપક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવી હતી.
આ વચ્ચે વડા પ્રધાન મોદીના કૃષિ સંબંધિત ફેરફારોને લઈને દિલ્હીની સીમાઓ પર હજારો ખેડૂતોએ પોતાનું પ્રદર્શન ચાલુ રાખ્યું.
દુનિયાનો બીજા ક્રમનો સૌથી વધારે વસતિ ધરાવતો દેશ હવે કોરોનાની બીજી લહેર સામે લાચાર બની ગયો છે. આ લહેર પ્રથમ કરતાં વધારે સંક્રામક અને વધારે ગંભીર છે.
બીજી લહેર માટે કેટલાક વૈજ્ઞાનિકો નવા વેરિયન્ટને જવાબદાર માને છે તો કેટલાક બ્રિટનમાં સૌથી પહેલાં મળી આવેલા વેરિયન્ટને જવાબદાર માને છે.
માર્ચની શરૂઆતમાં નવા વેરિયન્ટને લઈને ઇન્ડિયન સાર્સ-કોવ-2 જેનેટિક્સ કંસોર્ટિયમ અથવા INSACOG એ ચેતવણી જારી કરી હતી.
એક વૈજ્ઞાનિક અને ઉત્તર ભારતમાં એક રિસર્ચ સેન્ટરના નિદેશકે ઓળખાણ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે આ ચેતવણી એક ઉચ્ચ અધિકારી સુધી પહોંચાડવામાં આવી હતી, જે સીધા જ વડા પ્રધાનને રિપોર્ટ કરે છે.
રૉયટર્સ એ પુષ્ટી નથી કરી શક્યું કે શું INSACOGની ફાઇડિંગ ખુદ વડા પ્રધાન સુધી પહોંચાડાઈ હતી. રૉયટર્સે આ સંબંધમાં વડા પ્રધાન કાર્યાલયનો સંપર્ક કર્યો, જ્યાં તેમને કોઈ જવાબ મળ્યો ન હતો.
વૈજ્ઞાનિક સલાહકારોના આ ફોરમનું ગઠન સરકારે ડિસેમ્બરના અંતમાં કર્યું હતું. જેનો ઉદ્દેશ કોરોના વાઇરસના એ જીનોમિક વેરિયન્ટની જાણકારી એકઠી કરવાનો હતો, જે સાર્વજનિક સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે. આ ફોરમે 10 રાષ્ટ્રીય લૅબને એક સાથે લાવી જે વાઇરસના વેરિયન્ટ્સ પર અધ્યયન કરવા માટે સક્ષમ છે.
ભારતમાં કોરોનાનું રેકૉર્ડ સંક્રમણ
ભારતમાં કોરોનાની બીજી લહેરે કહેર વર્તાવ્યો છે. શનિવારે દેશમાં રેકૉર્ડ 4 લાખથી વધારે કોરોના વાઇરસના કેસ આવ્યા છે.
જે આ મહામારી બાદ આવેલા સૌથી વધારે કેસ છે, ઉપરાંત દેશમાં કોરોના વાઇરસના કારણે શનિવારે છેલ્લા 24 કલાકમાં 3,500 કરતાં વધારે લોકોનાં મોત થયાં છે.
ભારત હાલ કોરોના વાઇરસના કુલ સંક્રમણમાં અમેરિકા બાદ વિશ્વમાં બીજા સ્થાને છે. જોકે, કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે ભારતમાં સંક્રમણ અને તેનાથી થતાં મોત સરકારી આંકડા કરતાં અનેક ગણાં વધારે છે.
આ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના મુખ્ય આરોગ્ય સલાહકાર અને જાણીતા મહામારી નિષ્ણાંત ડૉ. એન્થની ફાઉચીએ આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું, "તાત્કાલિક ધોરણે દેશને થોડાંક અઠવાડિયાં માટે બંધ કરી દો."
ડૉ. એન્થની ફાઉચીએ કહ્યું, "કોઈપણ દેશને પોતાને બંધ કરવો ગમતો નથી પરંતુ તાત્કાલિક પગલાં ભરવા માટે કેટલાંક અઠવાડિયાં માટે બંધ કરવો જરૂરી છે જેથી ભારતમાં ટ્રાન્સમિશનની સાઇકલને તોડી શકાય."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો