મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર IPL-14ની આ ધુરંધર ટીમો લેશે ટક્કર

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી.
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

બૉર્ડ ઑફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI) દ્વારા રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સિઝનનું શિડ્યૂલ જાહેર કરાયું છે.

આ વખત અમદાવાદ, બેંગ્લુરૂ, ચેન્નઈ, દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં IPLના તમામ મુકાબલા યોજાવાના છે. જે પૈકી IPLની ફાઇનલ અને પ્લેઑફ મૅચો સહિત 12 મૅચો અમદાવાદના મોટેરાસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે.

IPL-14ની પ્રથમ મૅચ નવમી એપ્રિલે ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચૅલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાશે.

તાજેતરમાં જ બે ટેસ્ટ મૅચોમાં ઇંગ્લૅન્ડની ટીમ સામે અમદાવાદનું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ભારતીય ક્રિકેટ ટીમ માટે સુકનિયાળ પુરવાર થયું છે. તેમજ તેના નામકરણ અંગે પણ ઘણી ચર્ચા થઈ હતી.

હવે જ્યારે IPLની નવી સિઝનમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ફાળે મહત્ત્વપૂર્ણ મૅચો આવતાં આ મેદાન ફરી વખત ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

નોંધનીય છે કે આ વખતની મૅચો સ્વરૂપે અમદાવાદમાં પ્રથમ વખત IPLની મૅચો યોજાવા જઈ રહી છે.

આવો જાણીએ આ વખતની IPLની સિઝનમાં કઈ કઈ ટીમો વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એવા અમદાવાદસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાશે?

અમદાવાદના ફાળે કેટલા મુકાબલા?

નવમી એપ્રિલે શરૂ થનાર IPLનું અમદાવાદમાં આગમન 26 એપ્રિલે થશે. અમદાવાદ ખાતે 26 એપ્રિલે યોજાનારી પ્રથમ મૅચમાં પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમો સામસામે હશે.

ત્યાર બાદ બીજા દિવસે 27 એપ્રિલે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે દિલ્હી કૅપિટલ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોર વચ્ચે મુકાબલો યોજાશે.

અમદાવાદમાં યોજાનાર ત્રીજો અને ચોથો મુકાબલો અનુક્રમે 29 અને 30 એપ્રિલે હશે. ત્રીજી મૅચ દિલ્હી કૅપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે હશે જ્યારે ચોથો મુકાબલો પંજાબ કિંગ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોર વચ્ચે હશે.

ત્યાર બાદ આ સ્ટેડિયમમાં બીજી અને ત્રીજી મેના રોજ અનુક્રમે પંજાબ વિરુદ્ધ દિલ્હી કૅપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ રૉયલ ચૅલન્જર્સ બૅંગ્લોરના મુકાબલા યોજાશે.

છ મેના રોજ અમદાવાદસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાતમો મુકાબલો રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લોર અને પંજાબ વચ્ચે યોજાશે. જ્યારે આઠ મેના રોજ આઠમી મૅચ કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કૅપિટલ્સ વચ્ચે રમાશે.

આ તમામ મુકાબલાઓ લીગ મૅચોના હશે. જ્યારે આ સિવાય ક્વૉલિફાયર - 1, એલિમિનેટર, ક્વૉલિફાયર - 2 અને ફાઇનલ મૅચ પણ અમદાવાદસ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ફાળવવામાં આવી છે.

જે પૈકી 25 મેના રોજ ક્વૉલિફાયર-1, 26 મેના રોજ એલિમિનેટર, 28 મેના રોજ ક્વૉલિફાયર - 2 અને 30 મેના રોજ રવિવારે IPLના ચૌદમા સંસ્કરણનો ફાઇનલ મુકાબલો ટૉપ-2 ટીમો વચ્ચે યોજાશે.

સમગ્ર સિઝન દરમિયાન 11 ડબલ હેડર મુકાબલા યોજાશે. જ્યારે બાકીની મૅચો સાંજની હશે.

ટુર્નામેન્ટની શરૂઆતમાં તમામ મુકાબલા દર્શકો વિના બંધબારણે યોજાશે. BCCI દ્વારા જાહેર કરાયેલ માહિતી અનુસાર ટુર્નામેન્ટ બાદના તબક્કામાં દર્શકોને મંજૂરી આપવા બાબતે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

નોંધનીય છે કે IPLની ગત શ્રેણી કોરોનાની મહામારીને કારણે UAEમાં યોજવી પડી હતી. જોકે, UAEમાં તમામ પ્રોટોકોલ અનુસરીને ટુર્નામેન્ટનું આયોજન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. તેથી BCCI આ વખતે ભારતમાં જ IPLના આયોજન અંગે આત્મવિશ્વાસુ જણાઈ રહ્યું છે.

ટુર્નામેન્ટનું શિડ્યૂલ એવી રીતે આયોજિત કરાયું છે જેથી તમામ ટીમોને લીગ સ્ટૅજ દરમિયાન માત્ર ત્રણ વખત જ મુસાફરી કરવી પડે. જેથી મુસાફરીમાં રહેલ જોખમ ટાળી શકાય.

મોટેરાનું ઐતિહાસિક ગ્રાઉન્ડ

'ધ ફાઇનાન્સિયલ એક્સપ્રેસ' અનુસાર 1982માં 50 એકર જગ્યામાં મોટેરા સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે સ્ટેડિયમની બેઠક ક્ષમતા 54000 લોકોની હતી. આ સ્ટેડિયમ રેકર્ડ નવ મહિનામાં તૈયાર થયું હતું.

સ્ટેડિયમ બન્યું એ પહેલાં અમદાવાદમાં રમાનારી તમામ ક્રિકેટ મૅચ અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેડિયમમાં રમાતી હતી.

1983માં મોટેરા સ્ટેડિયમમાં ભારત અને વેસ્ટ ઇન્ડિઝ ટીમ વચ્ચે ત્રીજી ટેસ્ટ મૅચ રમાઈ હતી, જે સ્ટેડિયમની પ્રથમ ટેસ્ટ મૅચ હતી. ભારતીય ક્રિકેટર નવજોત સિંહ સિદ્ધુએ આ ટેસ્ટ મૅચ દ્વારા આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.

મોટેરા સ્ટેડિયમમાં પ્રથમ આંતરાષ્ટ્રીય વન-ડે મૅચ 1985માં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. ભારત અને ઇંગ્લૅન્ડની ટીમ મોટેરામાં પાંચ વન-ડે મૅચ રમવાની છે ત્યારે અહીં છેલ્લી આંતરાષ્ટ્રીય મૅચ 2014માં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ હતી.

બિઝનેસ સ્ટાન્ડર્ડ અનુસાર મોટેરા સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે અને વિશ્વનું બીજું સૌથી મોટું સ્પોર્ટસ્ સ્ટેડિયમ છે.

વિશ્વનું સૌથી મોટું સ્પોર્ટસ્ સ્ટેડિયમ ઉત્તર કોરિયાના પૉન્ગયાન્ગમાં આવેલ રંગગ્રાડો મે ડે સ્ટેડિયમ છે. તેની બેઠક ક્ષમતા 114000 લોકોની છે. જ્યારે અમદાવાદના મોટેરામાં સ્થિત નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હવે એક લાખ દસ હજાર દર્શકોને સમાવવાની ક્ષમતા છે.

આ સ્ટેડિયમના નિર્માણ પહેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ તરીકેનું બહુમાન ઑસ્ટ્રેલિયાના મેલબર્નસ્થિત સ્ટેડિયમના ફાળે આવતું હતું. તે સ્ટેડિયમમાં 90 હજાર દર્શકો એકસાથે મૅચનો આનંદ માણી શકતા હતા.

નોંધનીય છે કે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે 2011 વિશ્વ કપની ક્વાર્ટર ફાયનલની મૅચ મોટેરા સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારત આ મૅચ જીતી ગયું હતું.

ટેસ્ટ રેકર્ડ

મોટેરામાં ટેસ્ટ મૅચમાં સૌથી વધુ રન કરવાનો રેકર્ડ શ્રીલંકાના નામે છે. 16 નવેમ્બર 2009ના રોજ ભારત સામે બીજી ઇંનિગ્સમાં શ્રીલંકાએ 7 વિકેટના નુકસાને 760 રનનો જંગી સ્કોર કર્યા બાદ દાવ ડિકલેર કર્યો હતો.

3 એપ્રિલ 2008ના રોજ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આ મેદાન પર ટેસ્ટ રમાઈ, જેના પ્રથમ દિવસે લંચ પહેલાં જ ભારત 76 રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું.

મોટેરા સ્ટેડિયમમાં ટેસ્ટ મૅચમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર શ્રીલંકાના બૅટસ્મૅન મહેલા જયવર્દનેના નામે છે. તેમણે 435 બૉલમાં 275 રન કર્યા છે જેમાં 27 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ છે.

વન-ડે રેકર્ડ

આ મેદાન પર વન-ડે મૅચમાં સૌથી વધુ રન કરવાનો રૅકર્ડ દક્ષિણ આફ્રિકાના નામે છે.

27 ફેબ્રુઆરી 2010ના રોજ દક્ષિણ આફ્રિકાએ ભારત સામે સૌથી વધુ 365 રન કર્યા હતા. તેમજ આ મેદાન પર વેસ્ટ ઇન્ડીઝ સામે ઝિમ્બાબ્વેની ટીમે સૌથી ઓછો 85 રનનો સ્કોર કર્યો હતો. આ મૅચ 8 ઑક્ટોબર 2006ના રોજ રમાઈ હતી.

મોટેરા સ્ટેડિયમમાં વન-ડે મૅચમાં સૌથી વધુ રન કરવાનો રેકર્ડ સૌરવ ગાંગુલીના નામે છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી મૅચ દરમિયાન સૌરવ ગાંગુલીએ 152 બોલમાં 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારીને 144 રન બનાવ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો