You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલા શશિકલાની રાજનીતિમાંથી સંન્યાસની જાહેરાત - BBC Top News
તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પહેલા તમિલનાડુની રાજનીતિના જાણીતા મહિલા નેતા વી.કે. શશિકલાએ મોટી ઘોષણા કરી છે. વી. કે. શશિકલાએ રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. આ જાહેરાત બાદ શશિકલાએ કહ્યું કે તેમણે ક્યારેય સત્તાનો મોહ નથી રાખ્યો અને તેઓ હંમેશા લોકોની ભલાઈ માટે કામ કરશે તથા અમ્મા (જયલલિતા)ના સૂચવેલા માર્ગ પર જ ચાલશે.
દરમિયાન શશિકલાએ આગામી વિધાનસભા ચૂંટણીમાં ડીએમકેને હરાવવા માટે એઆઇએડીએમકેના કાર્યકર્તાઓને એકજૂથ રહેવાનું કહ્યું છે.
અત્રે નોંધવું કે શશિકલા થોડા સમય પહેલા જ જેલમાંથી બહાર આવ્યા હતા. જેલમાંથી બહાર આવતાની સાથે જ તમિલનાડુનું રાજકારણ ગરમાયું હતું. પરંતુ હવે તેમની આવી જાહેરાતથી રાજકીય આલમમાં ફરી એક નવી ચર્ચાને વેગ મળ્યો છે.
તાપસી પન્નુ, અનુરાગ કશ્યપને ત્યાં ઇન્કમટેક્સની રેડ
પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા જણાવે છે કે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે અભિનેત્રી તાપસી પન્નુ અને નિર્દેશક અનુરાગ કશ્યપની કંપની ફેન્ટમ ફિલ્મ ઍન્ડ ટેલેન્ટ હન્ટના પ્રિમાસિસ પર રેડ કરી છે.
ઉલ્લેખનીય છે કે તાપસી પન્નુ અને અનુરાગ કશ્પય અનેક બાબતો પર સરકાર સામે સંઘર્ષમાં આવેલા છે.
મુંબઈથી બીબીસીના સહયોગી સુપ્રિયાએ કહ્યું કે, ઇન્કમટેક્સ વિભાગે ફિલ્મ મેકર અનુરાગ કશ્યપ, વિકાસ બહલ અને અભિનેત્રી તાપસી પન્નુના ઘરે દરોડા પાડ્યા છે. આ દરોડા અનુરાગ કશ્યપના પ્રોડ્કશન હાઉસ ફેન્ટમ ફિલ્મ્સને સંબંધિત છે. મુંબઈ અને પુનામાં તાપસી પન્નુ, અનુરાગ કશ્યપ સાથે જોડાયેલા વીસ જેટલાં સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.
ઇન્ક્મટેક્સ ડિપાર્ટમેન્ટ ટેલેન્ટ મૅનેજમેન્ટ એજન્સીમાં પણ તપાસ કરી રહ્યું છે.
ભાવનગરમાં દલિત આરટીઆઈ ઍક્ટિવિસ્ટની હત્યા
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સનોદર ગામમાં દલિત આરટીઆઈ ઍક્ટિવિસ્ટની હત્યા કરી દેવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર કર્મશીલ અમરભાઈ બોરિચા પર ગામના ક્ષત્રિય સમાજના લોકોએ હુમલો કર્યો હતો. અમરભાઈના દીકરી નિર્મલાએ કહ્યું, “સૌથી પહેલાં તેમણે અમારી પર પથ્થર ફેંક્યા. મારા પિતા તેનાથી બચવા માટે ઘરમાં આવ્યા તો તેઓ દરવાજો તોડીને ઘરમાં ઘૂસી ગયા અને લોખંડની પાઇપ અને તલવારથી તેમની હત્યા કરી દીધી.”
પિતાને બચાવવા વચ્ચે પડનાર દીકરી પણ હુમલામાં ઈજાગ્રસ્ત થઈ છે.
અમરભાઈને પોલીસ પ્રૉટેક્શન પણ આપવામાં આવ્યું હતું. આ અગાઉ 2013માં પણ તેમની પર હુમલો થયો હતો જેમાં તેમનો પગ ભાંગી ગયો હતો.
નવસર્જન સંસ્થાના અરવિંદ મકવાણાએ કહ્યું, “એક મહિના પહેલાં ઘોઘા પોલીસ સ્ટેશનમાં અમરભાઈએ ક્ષત્રિયની સામે ફરિયાદ કરી હતી પણ સબ ઇન્સ્પેક્ટર પીઆર સોલંકીએ એફઆઈઆર નોંધી ન હતી. બોરિચા કોર્ટમાં ગયા હતા. આ દરમિયાન ક્ષત્રિયોના જૂથે તેમની પર હુમલો કર્યો.”
અરવિંદ મકવાણાનો આરોપ છે કે, “સનોદર ગામમાં અમરભાઈ એક માત્ર દલિત છે અને ક્ષત્રિય તેમની ખેતીની જમીન અને ઘરના પ્લૉટને પચાવી પાડવા માગે છે.”
અમદાવાદમાં 37 લાખની ગાડીના 0007 નંબર માટે 34 લાખ રૂપિયાની બોલી લાગી
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ‘0007’ નંબરે અમદાવાદના આરટીઓમાં ઇતિહાસ સર્જ્યો છે. આ ફેન્સી નંબરની બોલી 34 લાખ રૂપિયાની લાગી હતી.
અમદાવાદના આશિક પટેલે 39.5 લાખમાં ખરીદેલી એસયુવી કાર માટે 34 લાખની બોલી નવેમ્બર 2020માં લગાવી હતી.
જોકે બોલી લગાવનાર આશિક પટેલે આ નંબર 34 લાખ ખર્ચીને ત્યારે નહોતો લીધો અને પછી 25 હજાર રૂપિયામાં બીજા વિહિકલ માટે લીધો હતો.
તેના માટે તેમણે કારણ આપ્યું હતું કે મેં ઑનલાઇન પૈસા ચૂકવવાનો પ્રયત્ન કર્યો હતો, જે તેના નિયમ પ્રમાણે જરૂરી છે, પરંતુ તે 4.5 લાખથી વધારે કિંમતનો સ્વીકાર થતો ન હતો.”
આરટીઓ ઑફિસર બી લિંબાચિયાએ કહ્યું, “લોકો ગમે તેટલી રકમ ઓનલાઇન ભરી શકે છે અને ત્યાં કેશનું પણ પ્રૉવિઝન છે. તેઓ કેમ પાછા હઠી ગયા તેના પર કોઈ કમેન્ટ કરવા માગતો નથી.”
તમામ ખાનગી હૉસ્પિટલ કોરોનાના રસીકરણકેન્દ્ર તરીકે વપરાશે : કેન્દ્ર સરકાર
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર કોરોના વાઇરસના રસીકરણના બીજા તબક્કાની સોમવારથી શરૂઆત થઈ છે અને બીજા દિવસે 50 લાખથી વધારે લોકો પોતાનું નામ નોંધાવી ચૂક્યા છે.
દેશના અનેક રસીકરણ કેન્દ્ર પર મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી. આ કારણે કેન્દ્ર સરકારે મંગળવારે રાજ્ય સરકારોને સૂચના આપી છે કે તમામ ખાનગી હૉસ્પિટલનો ઉપયોગ રસીકરણની કામગીરી માટે કરી શકાશે.
સરકારે કહ્યું છે કે જે હૉસ્પિટલ સરકારની આરોગ્યની યોજનાઓની અંદર નથી આવતી તેમનો પણ ઉપયોગ કરી શકાશે.
કેન્દ્ર સરકારે એમ પણ કહ્યું છે કે હૉસ્પિટલ રાજ્ય સરકાર સાથે ચર્ચા વિચારણા કરીને રસીકરણ કેન્દ્રનો સમય લંબાવી શકશે.
રસીકરણના બીજા તબક્કામાં 60 વર્ષથી ઉપરના લોકો અને 45 વર્ષથી ઉપરના કૉમોર્બિટી ધરાવતા લોકોને રસી આપવામાં આવી રહી છે.
ખેડૂત આંદોલન દરમિયાન સચીન અને લતા મંગેશ્કરનાં ટ્વીટને લઈને ફડણવીસના મહારાષ્ટ્ર સરકાર પર આરોપ
ભાજપના નેતા અને પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં રાજ્ય સરકાર તરફ ઇશારો કરતા કહ્યું કે સચીન તેંડુલકર અને લતા મંગેશકર જેવી હસ્તિઓની ભારત સમર્થક ટ્વીટ્સ કરવા માટેની તપાસ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
દિલ્હીની સરહદે ચાલી રહેલાં ખેડૂત આંદોલન વિશે વિદેશના કેટલાંક જાણીતા લોકોએ ટ્વીટ્સ કર્યા પછી આ ટ્વીટ્સ કરવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે રાજ્યની વિધાનસભામાં દેવેન્દ્ર ફડણવીસના આરોપનો તરત જવાબ આપતા કહ્યું કે રાજ્ય સરકારે ભાજપના આઇટી સેલના કેટલાંક ટ્વીટ્સને લઈને તપાસના આદેશ આપ્યા છે ન કે ક્રિકેટર સચિન તેંડુલકર અને ગાયક લતા મંગેશ્કરના ટ્વીટના.
આઠ ફેબ્રુઆરીએ અનિલ દેશમુખે કહ્યું કે રાજ્યનો ગુપ્તચર વિભાગ તે આરોપની તપાસ કરશે જેમાં કહેવામાં આવ્યું હતું કે કેટલાંક જાણીતા લોકો પર ખેડૂત આંદોલન અંગેના ટ્વીટ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
આ પહેલાં મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકારની પાર્ટી કૉંગ્રેસે આ વાતની તપાસની માગ કરી હતી કે જાણીતા લોકોના ટ્વીટ્સ અને ભાજપથી તેમનું કથિત કનેક્શનની તપાસ કરવામાં આવે અને એ ક્યાંય આના માટે તેમના પર દબાણ તો બનાવવામાં આવ્યું નથીને.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો