પેટ્રોલની કિંમત 100ને પાર, મોદીએ પહેલાંની સરકારને ગણાવી જવાબદાર - TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

મધ્યપ્રદેશમાં પેટ્રોલની કિંમતો 100 રૂપિયા પ્રતિ લિટરને પાર થઈ ગઈ છે. ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત વધી રહી છે.

દિલ્હીમાં ગુરુવારે પેટ્રોલની કિંમતોમાં પ્રતિ લિટર 34 પૈસાનો વધારો થયો અને એક લિટર પેટ્રોલ 89.88 રૂપિયામાં મળી રહ્યું છે.

17 ફેબ્રુઆરીએ દિલ્હીમાં પેટ્રોલ 89.54 રૂપિયામાં મળી રહ્યું હતું. દિલ્હીમાં ડીઝલની કિંમતો પ્રતિ લિટર 80. 27 રૂપિયા થઈ ગઈ છે.

17 ફેબ્રુઆરીની સરખામણીએ દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ ડીઝલ 32 પૈસા મોંઘું મળી રહ્યું છે. સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારા માટે પહેલાંની સરકારોને જવાબદાર ઠેરવી છે.

વડા પ્રધાને બુધવારે કહ્યું હતું કે ભારતમાં ઊર્જાની આયાત ઘડાવા માટે કોઈ પ્રયાસ નથી કરાયા એટલે મધ્યમવર્ગ પર પેટ્રોલ અને ડીઝલનો બોજ વધી રહ્યો છે.

વિપક્ષે ઈંધણની વધી રહેલી કિંમતો માટે મોદી સરકારને જવાબદારી છે.

કૉંગ્રેસનું કહેવું છે કે જ્યારે આંતરાષ્ટ્રીય બજારમાં ઑઇલની કિંમતો રૅકૉર્ડ સ્તરે ઘટી ત્યારે પણ મોદી સરકારે ગ્રાહકોને રાહત ન આપી અને કર વધારી દીધો હતો.

અમદાવાદનાં મહિલાએ જસ્ટિસ ગનેડીવાલાનો કોન્ડોમના પેકેટ મોકલ્યાં

અમદાવાદસ્થિત દેવશ્રી ત્રિવેદી નામનાં સ્વઘોષિત રાજકીય વિશ્લેષકે મુંબઈ હાઈકોર્ટની નાગપૂર બૅન્ચના જસ્ટિસ પુષ્પા ગનેડીવાલાને 150 કૉન્ડોમ મોકલ્યાં છે.'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર જસ્ટિસ ગનેડીવાલા દ્વારા આપવામાં આવેલ ચુકાદાનો વિરોધ કરવા માટે દેવશ્રીએ 12 પૅકેટમાં 150 કૉન્ડોમ નાગપુર અને મુંબઈ હાઈકોર્ટનાં સરનામાં પર 13 ફેબ્રુઆરીના રોજ મોકલ્યાં છે. દેવશ્રીએ કૉન્ડોમ પૅક કરતો વીડિયો યૂટ્યૂબ પર અપલૉડ પણ કર્યો છે.

જસ્ટિસ ગનેડીવાલાએ થોડા દિવસો અગાઉ એક ચુકાદો આપ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે આરોપી અને પીડીતા વચ્ચે ચામડીનો સ્પર્શ થયો ન હોવાથી સંબંધિત મામલાને જાતીય ગુના હેઠળ ગણી શકાય નહીં.

અહેવાલ અનુસાર દેવશ્રીએ જણાવ્યું કે ચુકાદો આપીને જસ્ટિસ ગનેડીવાલાએ ગુનેગારોને ખોટો સંદેશ આપ્યો છે. કૉન્ડોમ તેમના દ્વારા આપવામાં આવેલ ચુકાદાનું પ્રતીક છે.

દેવશ્રીએ જણાવ્યું કે આટલા દિવસો સુધી આ ચુકાદાનો વિરોધ કરવા માટે કોઈ રાજકીય નેતા બહાર ન આવતાં તેમણે પીડિતા માટે અવાજ ઉઠાવાવનું નક્કી કર્યું.

બંગાળના શ્રમમંત્રી પર ક્રૂડ બૉમ્બથી હુમલો, હૉસ્પિટલમાં દાખલ

પશ્ચિમ બંગાળના શ્રમમંત્રી ઝાકીર હુસેન એક હુમલામાં ઘાયલ થયા છે.

તેઓ મુર્શિદાબાદ જિલ્લાના નિમટીટા સ્ટેશનથી કોલકતા માટે ટ્રેન પકડવા માટે જઈ રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા ઇસમે તેમના પર ક્રૂડ બૉમ્બ ફેંક્યો હતો.

મીડિયા અહેવાલો અનુસાર રેલવેસ્ટેશનવના 2 નંબરના પ્લૅટફૉર્મ પર આ હુમલો થયો છે. જે બાદ ઝાકીર અને તેમના સમર્થકો જાંગુપર સબ-ડિવિઝનલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

એ બાદ તેમને મુર્શિદાબાદ મેડિકલ કૉલેજમાં રેફર કરી દેવાયા હતા.

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે ટ્વીટ કરીને આ હુમલાની નિંદા કરી છે.

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે પણ ટ્વિટર પર આ હુમલાની નિંદા કરી છે.

તેમણે વધી રહેલી હિંસા પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે લોકતંત્રમાં આનું કોઈ સ્થાન નથી. સાથે જ તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળ પોલીસ, ગૃહવિભાગ, તંત્ર અને મુખ્ય મંત્રી મમતા બેનરજી કાયદા અનુસાર કામ કરે.

તો ભાજપના નેતા કૈલાશ વિજયવર્ગીયે પણ ટ્વીટ કરીને હુમલાની નિંદા કરી છે.

યૂપીમાં ત્રણ દલિત છોકરીઓ બેભાન અવસ્થામાં મળી, બેનાં મૃત્યુ

ઉન્નાવ જિલ્લાનાં અસોહા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક ખેતરમાંથી બુધવાર સાંજે દલિત સમાજની ત્રણ છોકરીઓ બેભાન અવસ્થામાં મળી આવી. ત્રણેયને હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યી છે, જ્યાં સારવાર દરમિયાન બે છોકરીઓનાં મૃત્યુ થયાં છે. ત્રીજીની હાલત ગંભીર છે.

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર એક છોકરી 13 વર્ષ છે જ્યારે બીજી છોકરીની ઉંમર 16 વર્ષ અને ત્રીજી છોકરીની ઉંમર 17 વર્ષ છે.

છોકરીઓનાં ભાઈએ જણાવ્યું કે બુધવાર બપોરે ત્રણેય છોકરીઓ ઘાસ લેવા માટે ખેતરે ગઈ હતી અને સાંજ સુધી પરત ન આવતાં પરિવારે શોધખોળ આદરી હતી.

ત્રણેય ખેતરમાં બેભાન અવસ્થામાં મળી આવી હતી અને તેમના હાથપગ બાંધેલી હાલતમાં હતા.

ઉન્નાવ એસ.પી. સુરેશરાવ કુલકર્ણીએ જણાવ્યું છે કે "ત્રણેય છોકરીઓ ઘાસ લેવા માટે પોતાના ખેતરે ગઈ હતી. તેમનાં મોઢામાંથી સફેદ ફીણ બહાર આવી રહ્યું હતું. અમે લોકોનાં નિવેદનો લઈ રહ્યાં છે અને ઘટનાની તપાસ ચાલી રહી છે."

સ્વતંત્ર ભારતમાં પ્રથમ વખત મહિલાને ફાંસી આપવામાં આવશે

અમરોહા મર્ડર કેસમાં દોષી સાબિત થયેલાં શબનમ અને તેમના પ્રેમી સલીમને ફાંસી આપવામાં આવશે.

ભારતને આઝાદી મળ્યા બાદ આ પ્રથમ વખત છે જ્યારે કોઈ મહિલાને ફાંસી આપવામાં આવશે.

'મુંબઈ મિરર'ના અહેવાલ અનુસાર મથુરા જેલમાં બંધ શબનમ અને સલીમને સેશન્સ કોર્ટ દ્વારા મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી, જેને અલાહાબાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખી હતી. બંને રાષ્ટ્રપતિ પાસે દયાની અરજી દાખલ કરી હતી, પરતું તે નામજૂંર થઈ જતાં હવે બંનેને ફાંસી આપવામાં આવશે.

ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાનાં શબનમ અને સલીમે 15 એપ્રિલ 2008ના રોજ પોતાના પરિવારના 8 સભ્યોની હત્યા કરી નાખી હતી.

શબનમ સલીમ સાથે લગ્ન કરવા માગતાં હતાં પરતું પરિવારને મંજૂર નહોતું જેના કારણે તેમણે દૂધમાં ઝેર ભેળવીને બધાને પીવડાવી દીધું હતું અને બાદમાં કુહાડીથી બધાની હત્યા કરી નાખી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો