You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિલ્હીમાં દૂતાવાસ નજીક IED વિસ્ફોટ થયા બાદ ઇઝરાયલે શું કહ્યું?
દિલ્હીમાં આવેલા ઇઝરાયલના દૂતાવાસ નજીક વિસ્ફોટ થયો છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે દિલ્હીસ્થિત ઇઝરાયલ દૂતાવાસ પાસે ધડાકો થયો છે. તેમાં કેટલીક કારોને પણ નુકસાન થયું છે.
બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાને આ વિસ્ફોટ અંગે દિલ્હી પોલીસના અતિરિક્ત પ્રવક્તા અનિલ મિત્તલે માહિતી આપતા જણાવ્યું છે,"અમે જાણકારી એકઠી કરી રહ્યા છીએ. અમારી ટીમ ઘટનાસ્થળે છે. સંપૂર્ણ જાણકારી મળ્યા બાદ જ કંઈ કહી શકાશે. રાહ જુઓ."
દિલ્હીના પોલીસના જનસંપર્ક અધિકારીએ નિવેદન જાહેર કરીને કહ્યું કે "જિંદલ હાઉસ પાસે એપીજે અબ્દુલ કલામ રોડ પર સાંજે 5.05 વાગ્યે એક ઓછી ક્ષમતાવાળો આઈઈડી (IED) બ્લાસ્ટ થયો છે."
"તેમાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી અને ન તો સંપત્તિને કોઈ નુકસાન થયું છે. માત્ર પાસે રહેલી ત્રણ કારના કાચ તૂટ્યા છે. પ્રથમ દૃષ્ટિએ આ કોઈ સનસની ફેલાવવાની શરારત લાગે છે."
જોકે હજુ સુધી આ બ્લાસ્ટમાં કોઈ વધુ નુકસાનના સમાચાર નથી.
વિસ્ફોટ જ્યારે થયો ત્યારે ઘટનાસ્થળની નજીક બિટિંગ ધ રિટ્રિટ સમારોહ ચાલી રહ્યો હતો. જેમાં વડા પ્રધાન સહિત કેટલાય VIP હાજર હતા.
બૉમ્બ વિસ્ફોટ અંગે ઇઝરાયલે શું કહ્યું?
સમાચાર સંસ્થા એએફપી અનુસાર ઇઝરાયલી વિદેશમંત્રીએ પુષ્ટિ કરી છે કે આ ઘટનામાં ઇઝરાયલી દૂતાવાસને કોઈ નુકસાન નથી થયું.
ઇઝરાયલના વિદેશમંત્રી ગાબી અશકેનાઝીએ સુરક્ષાનાં તમામ પગલાં ભરવાનું કહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મહત્ત્વપૂર્ણ છે કે શુક્રવારે જ ભારત અને ઇઝરાયલ વચ્ચે રાજકીય સંબંધોને 29 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ જ દિવસે ભારતીય ગણતંત્રદિવસનો બિટિંગ રિટ્રિટ કાર્યક્રમ સમાપ્ત થયો છે.
બિટિંગ રિટ્રિટ વિજયચોક પર યોજાય છે, જે ઘટનાસ્થળથી અમુક કિલોમિટરના જ અંતરે આવેલો છે.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2012માં દિલ્હીમા ઇઝરાયલી રાજનાયકની ગાડી પર બૉમ્બથી હુમલો કરાયો હતો. ઇઝરાયલે આ માટે ઈરાનને જવાબદાર ઠેરવ્યું હતું.
એસ. જયશંકરે ઇઝરાયલી વિદેશમંત્રી સાથે વાત કરી
દિલ્હીમાં ઇઝરાયલી દૂતાવાસ નજીક થયેલા એક વિસ્ફોટ બાદ ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે ઇઝરાયલના વિદેશમંત્રી સાથે વાત કરી છે.
જયશંકરે ટ્વીટ કર્યું છે કે તેમણે ઇઝરાયલના વિદેશમંત્રી ગાબી અશકેનાઝી સાથે વાત કરી છે અને આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવશે.
તેમણે કહ્યું કે ઇઝરાયલી દૂતાવાસ અને રાજનાયકોને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવશે અને આ મામલે તપાસ ચાલુ છે અને દોષિતોને શોધવામાં કોઈ ઊપણ વર્તવામાં નહીં આવે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો