ચીને અરુણાચલ પ્રદેશમાં ગામ વસાવ્યું, ભારત સરકારે જવાબ પણ ન આપ્યો- BBC Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ચીને અરુણાચલ પ્રદેશમાં ગામ વસાવ્યુ, વિદેશ મંત્રાલયે આં અંગે સરખો જવાબ પણ ન આપ્યો

એનડીટીવીના અહેવાલ અનુસાર ભારતની લદ્દાખ સરહદે ચીન સાથે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે બીજી બાજુ ચીને અરુણાચલ પ્રદેશમાં 110 ઘરનું ગામ વસાવ્યું છે.

1 નવેમ્બર, 2020એ લેવામાં આવેલી સેટેલાઈટ તસવીરની મદદથી જાણવા મળ્યું છે કે ચીને અરુણાચલ સરહદે એક ગામ વસાવ્યું છે.

અનેક નિષ્ણાંતોએ એનડીટીવીને કહ્યું કે આ ગામ ભારતની વાસ્તવિક સરહદથી 4.5 કિલોમીટર અંદર છે અને ભારત માટે મોટી ચિંતાનો વિષય છે.

આ ગામ સુબનશિરિ જિલ્લાની ત્સારી ચૂ નદીના કિનારે છે. આ એ વિસ્તાર છે જ્યાં બંને દેશોની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.

26 ઑગસ્ટે જોવા મળતી તસવીરમાં એક પણ મકાન દેખાતું નથી અને નવેમ્બર 2020માં લેવાયેલી તસવીરમાં મકાન દેખાય છે. આ બાંધકામ છેલ્લા એક વર્ષમાં કરવામાં આવ્યું છે.

એનડીટીવીએ વિદેશ મંત્રાલયને પ્રશ્નો મોકલ્યા હતા જેને મંત્રાલયે સ્પષ્ટ રીતે ખારીજ નહોતા કરતા કહ્યું, "અમને ચીન તરફથી ભારતના સરહદી વિસ્તારમાં બાંધકામની ગતિવિધીમાં ઝડપ કરવાના સમાચાર મળ્યા છે. ચીને ગત કેટલાંક વર્ષોમાં બાંધકામની ગતિવિધિ શરૂ કરી છે."

આ અગાઉ અરુણાચલના ભાજપના સંસદ સભ્ય તપિર ગાવે લોકસભામાં પોતાના રાજ્યમાં ચીનની ઘૂષણખોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો.

તપિરે હાલમાં એનડીટીવીને કહ્યું, "તમે સુબનશિરી જિલ્લામાં નદીના કિનારાવાળા રસ્તાને જોશો, તો ત્યાં ચીન ઓછામાં ઓછા 60 થી 70 કિમી અંદર આવી ગયું છે."

વિદેશ મંત્રાલયને પૂછવામાં આવ્યું કે શું ચીનની સામે આ મુદ્દાને કૂટનૈતિક રીતે રજૂ કરવામાં આવ્યો છે તેના પર વિદેશ મંત્રાલયે કાંઈ કહ્યું નથી. મંત્રાલયે માત્ર એટલું કહ્યું કે સરકાર ભારતની સુરક્ષા સાથે જોડાયેલા તમામ ડેવલપમૅન્ટ પર નજર રાખી રહી છે અને પોતાના વિસ્તારની અખંડિતતા માટે જરૂરી પગલાં લઈ રહી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના પ્રમુખ બન્યા

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી શ્રી સોમનાથ ટ્રસ્ટના નવા ચૅરમેન તરીકે ચૂંટાયા છે.

સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓની મીટિંગ સોમવારે વર્ચ્યૂઅલી મળી હતી.

ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ સોમનાથ મંદિર ટ્રસ્ટના ચૅરમૅન હતા પરંતુ તેમના અવસાન બાદ આ જગ્યા ખાલી હતી.

ટ્રસ્ટના સેક્રેટરી પી.કે.લહેરીએ કહ્યું, "અમિત શાહે નરેન્દ્ર મોદીનું ચૅરમૅન પદ માટે નામ સૂચવ્યું હતું અને તમામ લોકો રાજી થયા હતા અને તેમની સામે કોઈ ચૂંટણીમાં ઉભું ન રહ્યું આમ તે નવા ટ્રસ્ટી બન્યા હતા."

મોદી, અમિત શાહ, લાલ કૃષ્ણ અડવાણી, કોલકાતાની બાંધકામની કંપની અંબુજા નીઓટિયા ગ્રુપના હર્ષવર્ધન, ગુજરાતના પૂર્વ ચીફ સેક્રેટરી પી. કે. લહેરી અને વેરાવળના સ્થાનિક સંસ્કૃતના પ્રોફેસર જીવણ પરમાર શ્રી સોમનાથ ટ્રસ્ટમાં ટ્રસ્ટી છે.

કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે ચર્ચા 19 જાન્યુઆરીના સ્થાને 20 જાન્યુઆરીએ થશે

કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનોની વચ્ચેની 10મા તબક્કાની વાતચીત હવે 19મી જાન્યુઆરીની જગ્યાએ 20 જાન્યુઆરીએ થશે.

સોમવારે મોડી રાત્રે ખેડૂત સંગઠનોએ સોશિયલ મીડિયામાં આ જાણકારી આપી છે કે ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ અને સરાકર તરફથી મંત્રીઓના જૂથની મીટિંગ 20 જાન્યુઆરી, 2021ના રોજ બપોરે 2 વાગે દિલ્હીના વિત્રાનભવનમાં થશે.

ચર્ચા પહેલાં ભારતીય કિસાન યૂનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું છે કે તેમને કોઈ આશા નથી કે સરકાર સાથે વાત કરવાથી કોઈ પરિણામ આવે.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને બાઇડનની શપથવિધીનું રીહર્ષલ રોકી દેવામાં આવ્યું

જો બાઇડન અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની પદ સંભાળે તેના બે દિવસ પહેલાં સુરક્ષાના કારણે પ્રમુખ પદના કાર્યક્રમનું રિહર્સલ રોકી દેવામાં આવ્યું છે.

આ ઉપરાંત વૉશિંગટન ડીસીની કૅપિટલ બિલ્ડિંગને પણ બંધ કરવામાં આવી છે.

અમેરિકાની કૉંગ્રેસનું ઘર કહેવામાં આવનારા કૅપિટલ બિલ્ડિંગ પર 6 જાન્યુઆરીએ ટ્રમ્પના સમર્થકોએ હુમલો કર્યો હતો જેમાં પાંચ લોકોના મૃત્યુ થયાં હતાં.

ઇમારત પાસે હાજર પત્રકારોએ કહ્યું હતું કે બાઇડનના શપથગ્રહણના રિહર્સલને અટકાવી દેવામાં આવ્યું છે. સુરક્ષા ઘણી આકરી છે અને નેશનલ ગાર્ડને તહેનાત કરાયા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો