You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા અલ્પેશ કથીરિયાની સુરતમાં અટાકાયત- BBC Top News
પાટીદાર અનામત આંદોલન સમિતિના યુવા નેતા અલ્પેશ કથીરિયાની સુરત પોલીસે અટકાયત કરી હોવાના અહેવાલ છે.
બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય અનુસાર અલ્પેશ કથીરિયાએ તાજેતરમાં જ તેમના જન્મદિવસની ઉજવણી કરી હતી. જેનો વીડિયો વાઇરલ થયો હતો.
અહેવાલ અનુસાર ઉજવણીમાં કોરોનાની માર્ગદર્શિકાના કથિત ઉલ્લંઘનને મામલે અટકાયત કરાઈ છે. તેમને સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે.
વળી જે ફાર્મહાઉસમાં ઉજવણી થઈ હતી તેના માલિક અને અલ્પેશના સાથી સભ્યની પણ અટકાયત થઈ હોવાના અહેવાલ છે.
તેમની ઍપિડેમિક ઍક્ટ અને જાહેરનામાના ભંગ બદલ અટકાયત કરાઈ હોવાનું પોલીસનું કહેવું છે.
અત્રે નોંધવું કે અલ્પેશ કથીરિયા એક સમયે હાર્દિક પટેલના સાથી રહી ચૂક્યા છે. અને તેમને રાજદ્રોહના કેસમાં તેઓ જેલમાં પણ રહી ચૂક્યા છે.
સુરત પોલીસ સાથે તેમણે ઘણી વાર ભૂતકાળમાં વિવિધ મુદ્દે ઘર્ષણ થતાં રહ્યા છે.
તેમને રાજદ્રોહના કેસમાં ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા હતા. વ્યવસાયે વકીલ એેવા અલ્પેશ કથીરિયા સુરતમાં પાટીદાર આંદોલનને વેગ આપવામાં સક્રિય રહ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકાર સજાગ રહે, ઉત્તરાયણ-ન્યૂ યરમાં કોરોનાનું સંક્રમણ વધે નહીં : હાઈકોર્ટ
કોરોના વાઇરસના મુદ્દે હાઈકોર્ટમાં હાથ ધરવામાં આવેલી સુઓમોટો કાર્યવાહીની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની ખંડપીઠે રાજ્ય સરકારને 'ન્યૂ યર' અને 'ઉત્તરાયણ'ના તહેવારોમાં સજાગ અને સચેત રહેવાની તાકીદ કરી છે.
'નવગુજરાત સમયના' અહેવાલ અનુસાર ખંડપીઠે રાજ્ય સરકારને કહ્યું કે, "તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ મૂકાશે અથવા તો આકરા નિયમો લાદવામાં આવશે તો લોકો નારાજ થાય એ સહજ છે. પરંતુ સરકાર લોકોની નારાજગીની ચિંતા ન કરે. સરકાર વધુ સજાગ અને સચેત રહે. ઉત્તરાયણ અને ન્યૂ યર પછી દિવાળીની જેમ કોરોના સંક્રમણ વધે એ સુનિશ્ચિત કરે."
વળી સરકારને આ મામલે એક માર્ગદર્શિકા જાહેર કરવા માટે પણ કહ્યું છે.
અત્રે નોંધવું કે દિવાળી પહેલા રાજ્યમાં કોરોના વાઇરસના સંક્રમણમાં ઘટાડો થયો હતો પરંતુ દિવાળીના તહેવાર સમયે તે ફરીથી વધી ગયું હતું.
જોકે છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના કુલ કેસો 1000ની અંદર નોંધાઈ રહ્યા છે. બીજી તરફ જાન્યુઆરીમાં રસીકરણ શરૂ થવાની શક્યતા હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું.
આજે ખેડૂતોને પીએમ મોદીનું સંબંધોન
એક તરફ નવા કૃષિ કાયદા સામે ખેડૂતો આંદોલન ચાલુ છે અને સરકાર પણ દબાણ વધી રહ્યું છે. તો બીજી તરફ આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોને વિડીયો કૉન્ફરન્સ-લાઇવ પ્રસારણથી સંબોધિત કરશે.
'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ મુજબ પીએમ મોદી ખેડૂતોને પીએમ કિસાન યોજનાની બીજી બેચના કુલ 18000 કરોડ રૂપિયા પણ રિલીઝ કરશે.
પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે ખેડૂતો સુધી રાષ્ટ્રવ્યાપી પહોંચ વધારવાના હેતુસર ભાજપના અભિયાનના ભાગરૂપે પીએમ મોદી આ સંબોધન કરશે.
દરમિયાન કેન્દ્ર સરકારે ખેડૂત આંદોલન મામલે કહ્યું છે કે તેઓ મુક્તમને વિચારણા કરવા તૈયાર છે. પરંતુ ખેડૂતો કાયદો રદ કરવાવા માટે મક્કમ છે.
ઉત્તર ગુજરાતમાં નવા કૃષિ કાયદા સામે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયા
દિલ્હીની સરહદે છેલ્લા 28 દિવસથી ખેડૂતો નવા કૃષિકાયદા સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેના સમર્થનમાં ઉત્તર ગુજરાતના કેટલાક ખેડૂત સંગઠનોએ પ્રદર્શન કર્યું હતું.
'નવગુજરાત સમય' અને અહેવાલ અનુસાર નવા કૃષિકાયદા સામે ઉત્તર ગુજરાતના ખેડૂતોએ પ્રદર્શન કર્યાં હતા. જોકે તેમાં કૉંગ્રેસની કાર્યકરો પણ સામેલ હતા.
હિંમતનગર, પ્રાંતિજ, સિદ્ધપુર, થરાદ, લાખણી, ખેરાલુ, ઇડર, ડીસા, મોડાસા, પાટણ સહિતના તાલુકાઓમાં પ્રદર્શનો થયા હતા.
જોકે મોટાભાગના કાર્યકરો અને ખેડૂતોની અટકાયત પણ કરાઈ હતી.
બીજી તરફ ગુજરાત ભાજપ વિવિધ જિલ્લા-તાલુકાઓમાં નવા કૃષિકાયદા મામલેના ફાયદા સમજાવવા એક વ્યાપક અભિયાન ચલાવી રહ્યું છે.
અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે દિલ્હી-રાજસ્થાન સરહદે ગુજરાતના પણ કેટલાક ખેડૂતોએ પ્રદર્શન કર્યું છે. જોકે અગાઉ ગુજરાતના ખેડૂતોએ આંદોલનમાં ભાગ લેતા અટકાવવામાં પણ આવ્યા હતા.
'ધમણ' વેન્ટિલેટરના કારણે વડોદરાની સયાજી હૉસ્પિટલમાં આગ લાગી હતી?
એક અહેવાલ અનુસાર વડોદરાની સયાજી હૉસ્પિટલમાં કોવિડ આઈસીયુ વોર્ડમાં લાગેલી આગ માટે 'ધમણ-1' વેન્ટિલેટર જવાબદાર હોવાનું ફૉરેન્સિક (એફએસએલ) રિપોર્ટમાં બહાર આવ્યું છે.
'ગુજરાત ગાર્ડિયન'ના અહેવાલ અનુસાર મધ્ય ગુજરાતની સૌથી મોટી ગણાતી સયાજી હૉસ્પિટલના કોવિડ આઈસીયુ વોર્ડમાં આગ લાગી હતી તે મામલે એફએસએલ રિપોર્ટ આવી ગયો છે.
106 દિવસની તપાસ બાદ એફએસએલની ટીમે રિપોર્ટ આપ્યો છે. જેમાં વેન્ટિલેટરમાં ખામીને કારણે આગ લાગી હોવાનું બહાર આવ્યું છે.
તપાસ અધિકારી ડી.બી. પટેલને ટાંકીને કહેવાયું છે કે અમારી પાસે જે વેન્ટિલેટર આવ્યું હતું ત્યારે તે સળગેલી હાલતમાં હતું. તેના કૉમ્પ્રેસરમાં યાંત્રિક ખામી હતી અને તેના લીધે શૉર્ટસર્કિટ થવાથી આગ લાગી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે ધમણ વેન્ટિલેટ અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે.
ઉપરાંત 8 સપ્ટેમ્બરે આ આગ લાગી હતી પરંતુ કર્મચારીઓની સતર્કતાના પગલે કોઈ જાનહાનિ થઈ નહોતી.
ટીવી રેટિંગ એજન્સી BARCના પૂર્વ સીઈઓની ધરપકડ
ટીવી રેટિંગ એજન્સી બાર્કના પૂર્વ સીઈઓ પાર્થો દાસગુપ્તાની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. ટીઆરપી કૌભાંડના કેસ મુદ્દે તેમની ધરપકડ કરવામાં આવી છે.
'એનડીટીવી'ના અહેવાલ અનુસાર ટીઆરપી કૌભાંડમાં ધરપકડ થનારા તેઓ 15મી વ્યક્તિ છે. તેમને આજે કોર્ટમાં હાજર કરાશે.
વળી ગત સપ્તાહે પોલીસે બાર્કના ચીફ ઑપરેટિંગ ઑફિસર રોમિલ રામગરીયાની પણ તેમના નિવાસસ્થાનેતી આ જ કેસ મામલે ધકપકડ થઈ હતી.
તેમના પર આરોપ હતો કે તેમણે કેટલીક ટીવી ચૅનલોના રેટિંગ વધારવા માટે તેમને કેટલીક ગુપ્ત માહિતીઓ આપી દીધી હતી.
પોલીસનું કહેવું છે કે તેમને કેટલીક વૉટ્સઍપ ચેટ પણ મળી છે જેમાં સંબંધિત લોકો વચ્ચેની વાતચીતના પુરાવા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો