ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ બન્યા

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ તરીકે ગોપાલ ઈટાલિયાની નિમણુક કરવામાં આવી છે.

ગુજરાતનાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ યુવા નેતા ગોપાલ ઈટાલિયાની ગુજરાતના અધ્યક્ષ તરીકે નિમણુક કરી છે.

ગોપાલ ઈટાલિયા ગુજરાત સરકારના ટીકાકાર રહ્યા છે અને યુવાનોમાં લોકપ્રિયતા ધરાવે છે. તેમણે તાજેતરમાં જ આમ આદમી પાર્ટી સાથે જોડાણ કર્યું હતું અને તેમને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. અગાઉ તેઓ પોલીસ કૉન્સ્ટેબલની અને ક્લાર્કની સરકારી નોકરીમાં હતા અને એ સમયે તેમણે ગૃહરાજ્યમંત્રીનો વિરોધ કર્યો હતો.

2017માં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર ચંપલ ફેંકવા બાદ ચર્ચામાં આવ્યા હતા. આ સિવાય નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સાથેની તેમની ચડભડનો એક ઓડિયો વાઇરલ થયો હતો.

ગુજરાતમાં પાટીદાર આંદોલન અને ઉના દલિત આંદોલન બાદ જે કેટલાક યુવા ચહેરાઓ આક્રમક રીતે સરકારની સામે આવ્યા તેમાં હાર્દિક પટેલ, હાલ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને છેલ્લે રાજકારણમાં આવનાર ગોપાલ ઈટાલિયાનો સમાવેશ થાય છે.

પ્રણવ મુખરજીએ પોતાના પુસ્તકમાં નરેન્દ્ર મોદી અંગે શું લખ્યું છે?

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક સમાચાર પ્રમાણે દિવંગત પ્રણવ મુખરજીનું માનવું હતું કે તેમના રાષ્ટ્રપતિ બન્યા બાદ કૉંગ્રેસે પૉલિટિકલ ફોક્સ ગુમાવી દીધું હતું અને મનમોહન સિંહ UPA ગઠબંધનને બચાવવા વિશે વિચારતા રહ્યા જેની અસર શાસન-વ્યવસ્થા પર પડી.

આ દાવો કરાયો છે દિવંગત પ્રણવ મુખરજીનાં આગામી સંસ્મરણોમાં, જેના અંશ રૂપા પબ્લિકેશન્સ દ્વારા જારી કરાયા છે.

સંસ્મરણો અનુસાર, પ્રણવ મુખરજી માનતા હતા કે નરેન્દ્ર મોદીની શૈલી 'નિરકુંશતા'વાળી છે.

તેમાં પ્રણવ મુખરજીના હવાલાથી કહેવાયું છે કે, "કૉંગ્રેસના કેટલાક નેતા માનતા હતા કે વર્ષ 2004માં જો તેઓ વડા પ્રધાન બની ગયા હોત, તો વર્ષ 2014ની મોટી હારથી બચી શકાયું હોત."

"જોકે હું આનાથી સહમત નથી. મારું માનવું છે કે જ્યારે હું રાષ્ટ્રપતિ બન્યો ત્યારે કૉંગ્રેસના નેતૃત્વે પોતાનું રાજકીય ફોકસ ગુમાવી દીધું હતું. સોનિયા ગાંધી પાર્ટીના મામલાઓને સંભાળવામાં સક્ષમ નહોતાં અને ગૃહમાં ડૉક્ટર સિંહની લાંબી ગેરહાજરીએ અન્ય સાંસદો સાથેના વ્યક્તિગત સંપર્કને ખતમ કરી દીધો."

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું આ વર્ષ 31 ઑગસ્ટના રોજ નિધન થયું હતું. તેઓ 84 વર્ષના હતા.

સંસ્મરણોના અંશમાં કહેવાયું છે કે, "મારું માનવું છે કે શાસનનો નૈતિક અધિકાર વડા પ્રધાન પાસે હોય છે. વડા પ્રધાન અને તેમના પ્રશાસનની કામ કરવાની રીત, દેશની સમગ્ર દશામાં પ્રદર્શિત થાય છે."

તેમાં આગળ કહેવાયું છે, ડૉક્ટર સિંહ ગઠબંધનને બચાવવા વિશે વિચારતા રહ્યા, જેની અસર શાસન-વ્યવસ્થા પર પડી.

મોદીએ પોતાના પ્રથમ કાર્યકાળ દરમિયાન નિરંકુશપણે શાસન કર્યું, જેનાથી સરકાર, સંસદ અને ન્યાયતંત્રના સંબંધોમાં કટુતા આવી. માત્ર સમય જ જણાવી શકશે કે આ મામલે આ સરકારના બીજા કાર્યકાળમાં બહેતર તાલમેલ છે કે કેમ.

નરેન્દ્ર મોદીની સરકારે જ પ્રણવ મુખરજીને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારતરત્ન' આપ્યું હતું. PM મોદી કૉંગ્રેસની ટીકા કરતી વખતે હંમેશાં પ્રણવ મુખરજીની પ્રશંસા કરતા.

અમેરિકાએ ફાઇઝરની કોરોના રસીને મંજૂરી આપી દીધી

અમેરિકાએ ફાઇઝર-બાયૉટેક કોવિડ વૅક્સિનને ઇમર્જન્સી ઉપયોગ માટેની મંજૂરી આપી દીધી છે.

અમેરિકામાં પહેલાંથી જ આ રસીને મંજૂરી આપવાનું દબાણ હતું. અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન એટલે કે એફડીએ પર રસીને મંજૂર કરવાનું દબાણ હતું.

અમેરિક મીડિયા રિપોર્ટ અનુસાર એફડીએના પ્રમુખ સ્ટીફન હાનને કહેવાયું હતું કે તેઓ આ રસીને મંજૂરી આપે અથવા પદ ત્યાગી દે. જોકે, તેમણે આવા રિપોર્ટને ખોટો ગણાવ્યા ગણાવ્યા છે.

ગુરુવારે એફડીએના વિશેષજ્ઞોએ પણ આ રસીની વકીલાત કરી હતી. એ બાદ અમેરિકન સ્વાસ્થ્યમંત્રાલયે આના પર તત્કાલ નિર્ણય લેવા કહ્યું હતું. ફાઇઝરની રસીને બ્રિટન, કૅનેડા, બહેરીન અને સાઉદી અરેબિયા પહેલાંથ જ મંજૂર કરી ચૂક્યા છે.

'કોરોના મહામારીને કારણે ગુજરાતમાં 21.8 ટકા કુટુંબોને રાત્રે ભૂખ્યા પેટ સૂવાનો વારો આવ્યો હતો'

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલ અનુસાર અન્નસુરક્ષા અધિકાર અભિયાન (ASAA), ગુજરાત દ્વારા રાજ્યમાં સંકટગ્રસ્ત સમુદાયોના અભ્યાસ પરથી સામે આવ્યું છે કે કોરોનાની મહામારી દરમિયાન 20.6 કુટુંબોએ ખોરાકના અભાવને કારણે એક વખતનું ભોજન ગુમાવવું પડ્યું હતું. જ્યારે આ જ સમય દરમિયાન 21.8 ટકા કુટુંબોએ માત્ર એક જ વખત ભોજન લઈને સૂઈ જવું પડ્યું હતું.

સપ્ટેમ્બર અને ઑક્ટોબર માસમાં કરવામાં આવેલ આ સર્વેમાં લૉકડાઉનની લોકોની અન્નસુરક્ષા અને પોષણની સ્થિતિ સામે આવી હતી.

સર્વેમાં સામે આવ્યું કે અમદાવાદ, આણંદ, ભરૂચ, ભાવનગર, દાહોદ, મોરબી, નર્મદા, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં આ સમય દરમિયાન ઘણાં ઘરોએ જરૂરિયાતની વસ્તુઓનો ઉપભોગ ઘટાડ્યો હતો.

રિપોર્ટ અનુસાર 38 ટકા જવાબ આપનારાઓએ કહ્યું હતું કે તેમના ચોખા અને લોટના વપરાશમાં ઘટાડો થયો છે.

આ સિવાય 40.7 ટકાએ કહ્યું હતું કે તેમના દાળના વપરાશમાં ઘટાડો થયો છે. તેમજ 57.6 ટકા લોકોનું કહેવું હતું કે તેમના શાકભાજીના વપરાશમાં ઘટાડો થયો છે.

ગુજરાત : રાજ્યમાં લગ્ન યોજવા માટે ઑનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલ અનુસાર કોરોના વાઇરસની મહામારીને ધ્યાને લેતાં ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં યોજાનાર તમામ લગ્નપ્રસંગોનું ઑનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવાનો નિર્ણય લેવાયો છે.

રાજ્યના ગૃહવિભાગના અધિક સચિવ કે. કે નિરાલા દ્વારા જારી કરાયેલ નોટિફિકેશનમાં કહેવાયું છે કે, "સરકારે મહામારીને ધ્યાને રાખતાં રાજ્યમાં આવનારા સમયમાં યોજાનાર લગ્નપ્રસંગોની ઑનલાઇન નોંધણી કરવાનો નિર્ણય લીધો છે. "

"આ અંગે અરજદારે ડિજિટલ ગુજરાત વેબ પૉર્ટલ પર અરજી કરવાની રહશે. પોલીસ અથવા અન્ય સત્તાધિકારી દ્વારા માગવામાં આવે તે સમયે આ ઑનલાઇન રજિસ્ટ્રેશનની સ્લિપ અરજદારે રજૂ કરવાની રહેશે."

નિરાલાએ આ અંગે અખબાર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "આવનારા સમયમાં ગુજરાતમાં લગ્નપ્રસંગના આયોજન માટે ઑનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત હશે. અરજદારોને ભૂતકાળમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે તેને જોતાં અમે આ નિર્ણય કર્યો છે. આ સિસ્ટમ અંતર્ગત અરજદારે અરજી કર્યાની બે મિનિટમાં જ સ્લિપ મળી જશે. જે બાદ સ્થાનિક પોલીસ સ્ટેશનથી પરવાનગી મેળવવાની કોઈ જરૂરિયાત નહીં રહે. "

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો