અમેરિકામાં બધાએ કોવિડ-19 વૅક્સિન લેવી ફરજિયાત નહીં હોય - જો બાઇડન

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું છે કે કોરોના વાઇરસની વૅકિસન આવી ગયા પછી પણ અમેરિકન નાગરિકોને તે લેવા માટે કોઈ પ્રકારે દબાણ નહીં કરવામાં આવે.

અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલએ પહેલી વાર લોકોને પોતાના ઘરો સિવાય બંધ સ્થળોએ માસ્ક લગાવીને રહેવાનું કહ્યું છે.

સીડીસીનું કહેવું છે કે અમેરિકામાં વાઇરસ એનો પ્રકોપ વધારી રહ્યો છે એવા મહામારીના સ્તરે છે.

શુક્રવારે પણ અમેરિકામાં કોરોના વાઇરસને લીધે 2500 લોકોએ જીવ ગુમાવ્યો અને સવા બે લાખ નવા કેસો સામે આવ્યા છે.

અમેરિકામાં અત્યાર સુધી એક કરોડ 43 લાખ જેટલા કેસ સામે આવ્યા છે અને પોણા ત્રણ લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે 20 જાન્યુઆરીએ ચૂંટાયેલા રાષ્ટ્રપતિની સત્તાવાર પદે શપથવિધિ યોજાવાની છે. કોરોનાને કારણે આ સમારોહ અગાઉ જેમ નહીં યોજાય તેમ જો બાઇડનનું કહેવું છે.

મુસ્લિમ સમુદાયમાં એક કરતાં વધુ વિવાહને સુપ્રીમ કોર્ટમાં પડકાર

મહિલાઓના એક સમૂહે શરિયતના કાયદા અને ભારતીય ફોજદારી ધારા (IPC) હેઠળ મુસલમાન સમુદાયમાં એક કરતાં વધુ વિવાહની પ્રથાની અનુમતિને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક અહેવાલ અનુસાર વિષ્ણુશંકર જૈન દ્વારા આ અરજી દાખલ કરાઈ છે. તેઓ કહે છે કે સંયુક્ત રાષ્ટ્ર કન્વેંશન્સ પણ એક કરતાં વધુ વિવાહ વિરુદ્ધ છે.

તેઓ કહે છે કે, "એ વિડંબના છે કે વ્યક્તિગત કાયદાની ઉપયુક્તતાના આધારએ IPCની કલમ 494 અંતર્ગત એક કરતાં અધિક વિવાહ દંડનીય છે."

અરજીમાં કહેવાયું છે કે હિંદુ, ખ્રિસ્તી અને પારસી કાનૂસ હેઠળ આ પ્રથા પર રોક છે જ્યારે મુસ્લિમ પર્સનલ લૉ (શરીયત) ઍપ્લિકૅશન ઍક્ટ, 1937ના સેક્શન 2 અંતર્ગત તે માન્ય છે.

અરજીમાં એ પણ કહેવાયું છે કે, "બંધારણના અનુચ્છેદ-14 અંતર્ગત આ ભેદભાવપૂર્ણ છે અને તે સાર્વજનિક નીતિ, શાલીનતા અને નૈતિકતા વિરુદ્ધ છે."

આ અરજી હિમાચલ પ્રદેશનાં કશિકા શર્મા, બિહારનાં ઉષા સિન્હા, ઉત્તર પ્રદેશનાં કિરણ સિંહ, સુવીદ પ્રવીણ કંચન અને પારુલ ખેડા અને લખનૌસ્થિત જન ઉદ્ઘોષ સંગઠન દ્વારા દાખલ કરાઈ છે.

GHMC ચૂંટણીમાં ભાજપ બીજો મોટો પક્ષ બન્યો તો ઓવૈસીએ શું કહ્યું?

શુક્રવારે ગ્રેટર હૈદરાબાદ નગરનિગમ (GHMC)નાં પરિણામોમાં તેલંગાણા રાષ્ટ્રસમિતિ સૌથી મોટી પાર્ટી તરીકે સામે આવી છે, TRSને આ ચૂંટણીમાં 55 બેઠકો મળી છે.

આ ચૂંટણીમાં ભાજપે આશ્ચર્યચકિત કરનારું પ્રદર્શન કરીને 48 બેઠકો મેળવી છે. નોંધનીય છે કે પાછલી ચૂંટણીમાં ભાજપને માત્ર ચાર બેઠકો જ મળી હતી.

ત્યાં જ બીજી તરફ ઑલ ઇંડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન એટલે કે AIMIMએ 44 બેઠકો જીતીને ગત વર્ષના પોતાના પ્રદર્શનને જાળવી રાખ્યું છે.

આ ચૂંટણીમાં TRSને ઘણું નુકસાન થયું છે. નોંધનીય છે કે પાછલી ચૂંટણીમાં TRSને 99 બેઠકો મળી હતી. પરંતુ આ વખત તે બહુમતીથી ઘણી દૂર છે.

કૉંગ્રેસ માટે સૌથી નિરાશાજનક પ્રદર્શન રહ્યું છે. આ વખત ચૂંટણીમાં કૉંગ્રેસને માત્ર બે બેઠકો મળી છે. જોકે, કૉંગ્રેસ પાસેથી મોટી ઊલટફેરની આશા કોઈને નહોતી.

હાલ 150 બેઠકો પૈકી 149 બેઠકોનાં ચૂંટણીપરિણામ જારી કરાયાં છે. આ બેઠક પર ચૂંટણીચિહ્નને લઈને કંઈક વિવાદ સર્જાયો હતો, જે કારણે કોર્ટે આ બેઠકનાં પરિણામ પર રોક લગાવી દીધી હતી.

1 ડિસેમ્બરે યોજાયેલ ચૂંટણીમાં માત્ર 46.55 ટકા મતદાન થયું હતું.

ચૂંટણીપરિણામો બાદ એઆઈએમઆઈએમ પાર્ટીના પ્રમુખ અસુદદ્દીન ઓવૈસીએ પત્રકારપરિષદ યોજીને કહ્યું કે તેમનો પક્ષ 51 બેઠકો પર ચૂંટણી લડ્યો હતો અને તેને 44 બેઠક પર વિજય મળ્યો છે.

આ ચૂંટણીમાં ભાજપ બીજા સૌથી મોટા પક્ષ તરીકે સામે આવતાં તેમણે કહ્યું કે ભાજપનાં આગળ વધી રહેલાં પગલાંને તેલંગાણીની જનતા આગામી સમયમાં રોકશે.

તેમણે એવું પણ કહ્યું કે ભાજપની આ સફળતા અસ્થાયી છે અને 2023માં તેલંગાણામાં જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાશે ત્યારે ભાજપને કોઈ સફળતા નહીં મળે.

ગુજરાત : RT-PCR ટેસ્ટ માટે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત નહીં

'ધ હિંદુ'ના એક અહેવાલ પ્રમાણે એક બાજુ જ્યાં કોરોનાના કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યાં બીજી તરફ રાજ્ય સરકારે દરેક વ્યક્તિ સરળતાથી RT-PCR ટેસ્ટ કરાવી શકે તે હેતુથી ટેસ્ટ માટે જરૂરી ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જોગવાઈ રદ કરી નાખી છે.

નોંધનીય છે કે રાહતોની આ કડીમાં અગાઉ રાજ્ય સરકાર દ્વારા RT-PCR ટેસ્ટની કિંમત 1500 રૂપિયાથી ઘટાડીને 800 રૂપિયા કરવાની જાહેરાત પણ કરાઈ હતી.

'ઇન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ રિસર્ચ' એટલે કે ICMRની નવી ગાઇડલાઇન પ્રમાણે RT-PCR ટેસ્ટ માટે પહેલાં ફરજિયાતપણ ડૉક્ટરની ભલામણની જરૂર પડતી, જે જોગવાઈ રદ કરવામાં આવી છે.

ICMRની જોગવાઈ પ્રમાણે ગુજરાત સરકારે આ નિર્ણય કર્યો છે.

નોંધનીય છે કે એક સમયે રાજ્યમાં કોરોના વાઇરસનું પરીક્ષણ કરવવા માટે ખાનગી ડૉક્ટરો અને હૉસ્પિટલોને ભલામણ કરવાની માટે રાજ્ય સરકારની મંજૂરીની જરૂર પડતી હતી.

આ જોગવાઈ બાદમાં હાઈકોર્ટની દખલ બાદ રદ કરાઈ હતી.

કોસ્ટલ ગુજરાત પાવર દ્વારા 1550 કરોડની લોન ચૂકતે કરાઈ

બિઝનેસ સ્ટાન્ડર્ડના એક અહેવાલ અનુસાર ટાટા પાવરની સબસિડરી કંપની કોસ્ટલ ગુજરાત પાવર (CGPL) દ્વારા 1,550 કરોડની બૅન્ક લોન પરત કરાઈ હોવાની જાહેરાત કરાઈ છે.

અહેવાલ અનુસાર ઑક્ટોબર માસમાં 2,600 કરોડ અને હાલ કરાયેલી ચૂકવણી બાદ CGPL દ્વારા પોતાની સમગ્ર બૅન્ક લોન ચૂકતે કરી દેવાઈ છે. હાલની પરિસ્થિતિમાં કંપની પર બૉન્ડ અને ડિબેન્ચર સ્વરૂપે 3,790 કરોડ રૂપિયાનું દેવું છે.

અહેવાલ અનુસાર આ ચૂકવણી સાથે CGPL પોતાની માતૃસંસ્થા પર ઓછી આધારિત હશે.

તેમજ મુંદ્રા ખાતેના પોતાના ઑપરેશનને સ્વાવલંબી બનાવી શકશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો