You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતીય મૂળના ડૉ. ગૌરવ શર્મા ન્યૂઝીલૅન્ડમાં સંસદસભ્ય, સંસ્કૃતમાં શપથ લીધા - TOP NEWS
ભારતીય મૂળના ડૉ. ગૌરવ શર્મા ન્યૂઝીલૅન્ડમાં સંસદસભ્ય તરીકે ચૂંટાયા છે.
33 વર્ષના ડૉ. ગૌરવ શર્માએ સંસદસભ્ય તરીકે સંસ્કૃતમાં શપથ લીધા છે.
તેઓ મૂળ હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના છે અને હૅમિલ્ટન વેસ્ટ વિસ્તારમાંથી લેબર પાર્ટીના સંસદસભ્ય તરીકે ચૂંટાયા છે.
ન્યૂઝીલૅન્ડમાં ભારતના હાઈકમિશનર મુક્તેશ પરદેશીએ ટ્વીટ કરીને લખ્યું, "ન્યૂઝીલૅન્ડની સંસદમાં સૌથી નાના સાંસદ તરીકે ડૉ. ગૌરવ શર્મા ચૂંટાયા, જેમણે પહેલાં ન્યૂઝીલૅન્ડની મૂળ માઓરી ભાષામાં અને પછી ભારતની ભાષા સંસ્કૃતમાં શપથ લીધા. તેમણે ભારત અને ન્યૂઝીલૅન્ડની સંસ્કૃતિ માટે સન્માન બતાવ્યું હતું."
જ્યારે તેમને હિંદીના બદલે સંસ્કૃત પસંદ કરવા અંગે પૂછવામાં આવ્યું તો જવાબમાં તેમણે ટ્વીટ કરીને લખ્યું, "મેં એવું નહોતું વિચાર્યું પરંતુ પ્રશ્ન એ પણ છે કે પહાડી કે પંજાબી મારી પ્રથમ ભાષા છે. બધાને ખુશ ન રાખી શકાય. સંસ્કૃત કરીને બધી ભારતીય ભાષાઓને સન્માન આપ્યું. જોકે ઘણાં બધા લોકોની જેમ હું પણ સંસ્કૃત નથી બોલી શકતો."
ગૌરવ શર્મા ડૉક્ટર છે અને હૅમિલટન વેસ્ટ વિસ્તારથી લેબર પાર્ટીની ટિકિટ પર તેમણે નેશનલ પાર્ટીના ટિમ મૅસિન્ડોને હરાવ્યા હતા. તેઓ 2017માં પણ ચૂંટણી લડ્યા હતા.
ઇન્ડિયા ટુડે મુજબ ડૉ. ગૌરવ શર્મા 1996માં ન્યૂઝીલૅન્ડ આવ્યા હતા. છ વર્ષ સુધી તેમના પિતાને કોઈ નોકરી નહોતી મળી અને પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ધ ટ્રિબ્યુનને તેમણે કહ્યું, "હું સમાજસેવા માટે રાજકારણમાં આવ્યો છું, મારા પરિવારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલૅન્ડમાં સોશિયલ સિક્યૉરિટીથી અમને ખૂબ મદદ મળી. જોકે હવે પહેલાં જેવું નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોરોનાની રસીનો પહેલો જથ્થો ગુજરાત આવ્યો, ફેઝ-3ની ટ્રાયલની તૈયારી
કોરોના વાઇરસ માટે અનેક રસી પર કામ ચાલી રહ્યું છે ત્યારે તેમાંથી એક રસી કોવાક્સિનનું પરીક્ષણ ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યું છે.
હૈદરાબાદ સ્થિતિ ભારત બાયોટેક કંપની દ્વારા વિકસાવવામાં આવેલી રસીના ત્રીજા તબક્કાના પરીક્ષણ માટે અમદાવાદની સોલા સિવિલ હૉસ્પિટલને એક સેન્ટર તરીકે પસંદગી કરાઈ છે.
રસીનો પ્રથમ જથ્થો મંગળવારે અમદાવાદ પહોંચ્યો હતો.
બિઝનેસ સ્ટૅન્ડર્ડ અખબાર પ્રમાણે ગુજરાત ફૂડ ઍન્ડ ડ્રગ કંટ્રોલ ઍડમિનિસ્ટ્રેશનના કમિશનર એચ. જી. કોશિયાએ કહ્યું ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના સહયોગથી ભારત બાયોટેક કંપની દ્વારા વિકસાવવામાં આવેલી કોવાક્સિન રસીનું દેશનાં 130 કેન્દ્રો પર પરીક્ષણ કરવામાં આવશે, તેમાં અમદાવાદ પણ સામેલ છે.
અમદાવાદ વેસ્ટના સંસદસભ્ય ડૉ. કિરિટ સોલંકીએ મંગળવારે ટ્વીટ કર્યું કે કોરોનાની ટ્રાયલ રસીનું સોલા સિવિલમાં આગમન, એક હજાર વૉલેન્ટિયર્સ પર પરીક્ષણ શરૂ થશે.
તેમણે કરેલા ટ્વીટમાં જણાવવામાં આવ્યું કે "માત્ર સ્વસ્થ લોકો પર 'આત્મનિર્ભર' રસીનું પરીક્ષણ કરવામાં આવશે. સુપરવિઝન માટે ઍથિકલ અને સાયન્ટિફિક કમિટિની રચના કરવામાં આવી છે અને રસીની શું અસર થાય છે, તેનું મૉનિટરિંગ સોલા સિવિલની ટીમ કરશે."
ત્યારે ઇન્ડિયન એક્સપ્રેસ લખે છે કે ગુજરાત મેડિકલ ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ સોસાયટી, સોલા દ્વારા મંજૂરી મળ્યા પછી આ ટ્રાયલ શરૂ કરવામાં આવી રહ્યું છે.
રાજ્યની વૅક્સીન કમિટી બુધવારે ભારત બાયોટેકના પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં ડિઝાઇન વિશે ચર્ચા કરશે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે સોલા સિવિલના એક અધિકારી મુજબ ઑક્ટોબર 30ના એક ઑર્ડર મુજબ પાંચ મેડિકલ કૉલેજો આ પરીક્ષણમાં ભાગ લે તેવી શક્યતા છે.
લાઇવ મિન્ટના એક અહેવાલ મુજબ ભુવનેશ્વરના કોવાક્સિન ટ્રાયલના નિરીક્ષક ડૉ ઇ. વેંકટેશ્વર રાવે કહ્યું કે ટ્રાયલના ત્રીજા તબક્કામાં કોરોના વાઇરસ સામે કોવાક્સિનની અસરકારકતા ચકાસવામાં આવશે.
તેમણે કહ્યું કે ટ્રાયલમાં ભાગ લેનાર એક હજાર લોકોમાંથી 50 ટકા લોકોને રસી આપવામાં આવશે અને બાકી 50 ટકા લોકોને પ્લેસીબો (ડમી ઇંજેક્ષન) આપવામાં આવશે.
તેમણે કહ્યું, "ભારતમાં બનેલી રસી ફેસ-1 અને ફેસ-2ની સફળતા પછી ફેસ-3 સુધી પહોંચી છે. ત્યારે પ્રથમ તબક્કામાં ચકાસવામાં આવ્યું કે રસી માનવ માટે સુરક્ષિત છે કે નહીં. બીજા તબક્કામાં ઇમ્યુનોજેનેસિટી ચકાસવામાં આવી. ત્રીજા તબક્કાની ટ્રાયલ અગત્યની છે, જેથી જાણી શકાશે કે તે કેટલી અસરકારક છે."
ભારતમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 44 હજાર કરતાં વધુ કેસ નોંધાયા
ભારતમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં 44 હજાર કરતાં વધુ કેસ નોંધાયા
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના 44, 476 નવા કેસ આવ્યા છે, જ્યારે વધુ 481 દરદીઓનાં મૃત્યુ થયાં છે.
કેન્દ્રીય આરોગ્ય અને કુટુંબકલ્યાણ મંત્રલાય અનુસાર દેશમાં સંક્રમણના 44,376 નવા કેસ કેસ નોંધાતાં કુલ કેસની સંખ્યા 92,22,217 થઈ ગઈ છે.
જોકે, આમાથી 86,42,771 દરદીઓ સાજા થઈ ચૂક્યા છે. હાલમાં દેશમાં કોરોના વાઇરસના 444,746 કેસ સક્રિય છે.
કોરોના વાઇરસથી અત્યાર સુધી 134,699 લોકોનાં મૃત્યુ થયાં છે.
ગુજરાતમાં કોરોના વાઇરસને લઈને સ્થિતિ કાબૂમાં છે : વિજય રૂપાણી
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથેની વર્ચ્યુઅલ મીટિંગમાં કહ્યું હતું કે ગુજરાતમાં કોરોના વાઇરસની સ્થિતિ કાબૂમાં છે અને જરૂરી સંખ્યામાં બેડની વ્યવસ્થા કરેલી છે.
મંગળવારે દેશનાં જે આઠ રાજ્યોમાં કોરોના વાઇરસના સૌથી વધારે કેસ આવી રહ્યા છે તેમના મુખ્ય મંત્રીઓની એક બેઠક યોજવામાં આવી હતી. જેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધી હતી.
મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું, "સરકારે કોરોના વાઇરસના દરદીઓને શોધવા માટે ટેસ્ટિંગ વધાર્યું છે અને અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રી કર્ફ્યુ લગાવ્યો છે."
તેમણે કોરોના વાઇરસને અટકાવવા માટે લીધેલા બીજા પગલાંઓની વાત પણ કરી હતી.
આ બેઠક પછી નરેન્દ્ર મોદીએ દેશના રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથેની બેઠકને સંબોધતા કહ્યું હતું કે વૅક્સીન દેશના દરેક નાગરિકને મળે તે અમારી રાષ્ટ્રીય પ્રતિબદ્ધતા છે.
તેમણે રાજ્યોને રસીકરણ માટે રોડમૅપ બનાવીને જરૂરી તૈયારીઓ શરૂ કરવા કહ્યું હતું.
આયુર્વેદના ડૉક્ટર સર્જરી કરશે, IMAએ કહ્યું 'ખીચડીફિકેશન' બંધ કરો
એનડીટીવીના અહેવાલ અનુસાર સેન્ટ્રલ કાઉન્સિલ ઑફ ઇન્ડિયન મેડિસિને(સીસીઆઈએમ) પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ પ્રૅક્ટિસનરને પણ જનરલ સર્જિકલ પ્રોસિજર માટે ટ્રેઇન કરવાનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.
ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને મંગળવારે આ પગલાને "ખીચડીફિકેશન" ગણાવીને તેને પરત લેવાની માગ કરી હતી.
20 નવેમ્બરે આયુષમંત્રાલયની અંદર આવતી સમિતિ સીસીઆઈએમએ એક નૉટિફિશન બહાર પાડીને જનરલ સર્જરીની પ્રોસીજરમાં સુધારો કર્યો હતો.
ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશને કહ્યું હતું કે આ બીજું કંઈ નહીં પરંતુ મેડિકલ એજ્યુકેશન અને પ્રેક્ટિસની 'મિક્ષોપાથી' અને 'ખીચડીફિકેશન' કરવાનો સીધો પ્રયત્ન છે. સીસીઆઈએમના સુધારાને આઇસોલેશનમાંથી જોઈ શકાય નહીં.
ઉત્તર પ્રદેશની કૅબિનેટે ખોટા ધર્મપરિવર્તનની સામે વટહુકમને મંજૂરી આપી
ઉત્તર પ્રદેશમાં જબરદસ્તી ધર્મપરિવર્તન પર અંકુશ મુકવા માટે વટહુકમને યોગી કૅબિનેટે મંજૂરી આપી દીધી છે.
કૅબિનેટની બેઠકમાં વટહુકમનો મુસદ્દો રજૂ કરવામાં આવ્યો હતો જેને કૅબિનેટે સ્વીકૃતિ આપી હતી. રાજ્યના અપર મુખ્ય ગૃહ સચિવ અવનીશકુમાર અવસ્થીએ આની પુષ્ટિ કરી છે.
આ કાયદા પ્રમાણે, આંતર-ધાર્મિક કેસમાં લગ્ન પહેલાં બે મહિનાની નોટિસ આપવી પડશે અને એના માટે સંબંધિત જિલ્લાના ડીએમની પરવાનગી લેવી પડશે.
બિલના મુસદ્દા પ્રમાણે છુપાવીને લગ્ન કરવા અથવા ખોટી જાણકારી આપવા બદલ વધારેમાં વધારે દસ વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશમાં જબરજસ્તી લગ્ન (જેને ભાજપ લવ જેહાદકહે છે)ને રોકવા માટે પ્રદેશના ગૃહવિભાગે ન્યાયવિભાગને પ્રસ્તાવ મોકલ્યો હતો.
કાયદો બન્યા પછી આવા કેસમાં બિન-જામીનપાત્ર કલમ હેઠળ ગુનો નોંધવામાં આવશે અને પાંચ વર્ષની આકરી સજા આપવામાં આવશે. સગીર છોકરી અને અનુસૂચિત જાતિ-જનજાતિના કેસમાં દસ વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે.
લગ્ન માટે ખોટી રીતે ધર્મપરિવર્તન કરાવવું અથવા ધર્મપરિવર્તન માટે કરવામાં આવી રહેલાં લગ્ન પણ નવા નિયમમાં ધર્મપરિવર્તનના કાયદા હેઠળ આવશે.
કચ્છ જિલ્લામાં ઓછી સંખ્યા હોવાના કારણે 179 શાળાઓ બંધ કરાશે
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર કચ્છ જિલ્લાના 179 સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને બીજી શાળાઓમાં શિફ્ટ કરી દેવામાં આવશે.
રાજ્યના શિક્ષણ વિભાગે ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં 20થી ઓછી સંખ્યા હતી તે શાળાઓને બંધ કરવાનો નિર્ણય લીધો છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારી જેપી પ્રજાપતિએ કહ્યું, "અમે 179 શાળાઓને શોધી છે. જેના ઉચ્ચ પ્રાથમિક વિભાગને બંધ કરીને તેના શિક્ષકોને બીજી શાળામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. સરકારે અમને આ પ્રોસેસને 3 નવેમ્બરથી ચાલુ કરીને 30 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવા માટે કહ્યું હતું."
આ નિર્ણયથી કચ્છ જિલ્લાના 10 તાલુકામાંથી નવ તાલુકાના અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓ પર અસર પડવાની છે.
શિક્ષણ અધિકારીએ કહ્યું, "અનેક માતાપિતા પોતાનાં બાળકોનો પ્રવેશ ખાનગી શાળાઓમાં લેતા હોવાથી સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો