You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત અને ચીન સીમાવિવાદ : બંને દેશ સરહદ પર સૈન્યતાકાત કેમ વધારી રહ્યા છે?
- લેેખક, સચીન ગોગોઈ
- પદ, બીબીસી મૉનિટરિંગ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
ચીનની સાથે લદ્દાખમાં સરહદ પર ચાલી રહેલા સંઘર્ષના કારણે ભારત છેલ્લા પાંચ મહિનાથી સૈન્યતાકાત વધારવા માટે અનેક પગલાં ભરી રહ્યું છે.
જેમ કે અનેક મિસાઇલ પરીક્ષણ, વૈશ્વિકસ્તરે ગુપ્ત ગઠબંધન બનાવવાં અને ક્વાડમાં સક્રિયતા વધારવી. અમેરિકા, જાપાન, ઑસ્ટ્રેલિયા અને ભારતનો આ સમૂહ ચીનવિરોધી મંચ માનવામાં આવે છે.
ભારત વાર્ષિક માલાબાર નૌસૈન્ય અભ્યાસમાં ઑસ્ટ્રેલિયાને સામેલ કરીને ચીનને સંદેશ આપવા ઇચ્છે છે. આ પહેલાં નૌસેના અભ્યાસમાં ભારત, અમેરિકા અને જાપાન ભાગ લેતા હતા.
ત્યારે ભારત ચીનની આપત્તિઓને કારણે ઑસ્ટ્રેલિયા આ અભ્યાસમાં સામેલ થવાથી બચતું હતું.
આ સિવાય ભારતે લદ્દાખમાં ઠંડીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભારતના સૈનિકો માટે ઠંડીમાં કપડાં, રાઇફલ્સ, મિસાઇલ્સ અને હથિયાર ખરીદવામાં પણ ઝડપ વધારી રહ્યું છે.
પરંતુ તૈયારીઓની બાબતમાં ચીન પણ પાછળ નથી. ચીની મીડિયામાં આવેલા સમાચાર પ્રમાણે ચીન સરહદે પોતાની સ્થિતિને પણ મજબૂત કરી રહ્યું છે. હિમાલયની ઠંડી સામે લડવા માટે ગરમ ઘર અને ગરમ ખાવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
જોકે બંને દેશોની વ્યવસ્થાથી હાલ કોઈ ટકરાવના સંકેત મળી રહ્યા નથી. પરંતુ આના માટે એ સમજવાની જરૂર છે કે બંને એક લાંબા ગતિરોધને જોઈને તૈયારી કરી રહ્યા છે.
ભારતના મિસાઇલ પરીક્ષણમાં ઝડપ
મિસાઇલોના વિકાસ, ટ્રાયલ અને પરીક્ષણ ભારતમાં નિયમિત રીતે ચાલતા રહે છે, પરંતુ આ વખતે પરીક્ષણોના સમયમાં અસમાનતા જોવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર ભારતે સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં 13 મિસાઇલનું પરીક્ષણ કર્યું છે.
અંગ્રેજી અખબાર હિંદુસ્તાન ટાઇમ્સના 29 ઑક્ટોબરના એક અહેવાલ અનુસાર આટલા ઓછા સમયમાં અનેક મિસાઇલ પરીક્ષણ થવા કોઈ સંયોગની વાત નથી.
રિપોર્ટ કહે છે કે 'મેડ ઇન ઇન્ડિયા' હેઠળ પરમાણુ અને પારંપરિક મિસાઇલોના વિકાસમાં ઝડપ લાવવાનો પ્રયાસ એલએસી પર ચીન સાથે થયેલા ઘર્ષણને જોઈને કરવામાં આવી રહ્યા છે. ભારતે એક મહિનાની અંદર દર ચોથા દિવસે એક મિસાઇલ છોડી છે.
રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ભારત સરકારે ગુપ્ત રીતે ડિફેન્સ રિસર્ચ ડેવલપમૅન્ટ ઑર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ને પોતાના મિસાઇલ પ્રોગ્રામમાં ઝડપ લાવવા માટે કહ્યું છે.
ડીઆરડીઓને આ સંદેશ ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની શરૂઆતમાં જ આપી દેવામાં આવ્યો હતો, કારણ કે ભારતને સરહદ પર શાંતિ રાખવાના ચીનના ઇરાદાઓ પર શંકા હતી.
અંગ્રેજી ન્યૂઝ ચેનલ ટાઇમ્સ નાઉના એક રિપોર્ટ પ્રમાણે કેટલીક મુખ્ય મિસાઇલ સિસ્ટમનું હાલમાં જ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આમાં હાઇપરસૉનિક ટેકનોલૉજી ડેમૉન્સટ્રેટર વ્હીકલ (એચએસટીડીવી), એક મનુષ્ય વિનાનું સ્ક્રેમ જેટ ડેમૉ ઍરક્રાફ્ટ, અભ્યાસ, એક હાઈ-સ્પીડ એક્સપેંડેબલ એરિયલ ટાર્ગેટ (એચઈએટી), લેઝર ડિરેક્ટેડ ઍન્ટી-ટૅન્ક ગાઇડેડ મિસાઇલ, પરમાણુ ક્ષમતાવાળી પૃથ્વી-2 બૅલેસ્ટિક મિસાઇલ, બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ, પરમાણુ ક્ષમતાવાળી હાઇપરસૉનિક શૌર્ય મિસાઇલ, સુપરસોનિક મિસાઇલ આસિસ્ટેડ રિલીઝ ઑફ ટૉરપિડો(એસએમએઆરટી) સિસ્ટમ, ભારતની પહેલી સ્વદેશી ઍન્ટિ રેડિયેશનલ મિસાઇલ, રૂદ્રમ અને સ્ટેન્ડ ઑફ એન્ટી-ટૅન્ક મિસાઇલ (એસએએનટી) સામેલ છે.
ભારતે 4 નવેમ્બરે સ્વદેશી પિનાકા મલ્ટિ-બૅરલ રૉકેટ સિસ્ટમનું પરીક્ષણ કર્યું હતું. આ 45થી 60 કિલોમીટરના અંતરે રહેલા લક્ષ્યને નિશાન બનાવી શકે છે.
કેટલાક મીડિયા રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે આ સિસ્ટમ ખાસ કરીને ચીનની સેના સામે જવાબી કાર્યવાહી કરવા માટે તૈયાર કરવામાં આવી છે.
ફાઇવ આઈઝ જાસૂસી ગઠબંધન
કેટલાંક મીડિયા સંસ્થાનોનું કહેવું છે કે ભારત ફાઇવ આઈઝ (પાંચ આંખ) ગુપ્ત ગઠબંધન સાથે જોડાવવાની નજીક છે. આ ગઠબંધનમાં અમેરિકા, બ્રિટન, કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ સામેલ છે.
ઈટીવી ભારત નેટવર્કના સુરક્ષા વિશેષજ્ઞ અને પત્રકાર સંજીબ કુમાર બરુઆએ 20 ઑક્ટોબરે કહ્યું હતું, "ભારતના અમેરિકાના નેતૃત્વવાળા ચીનવિરોધી ગઠબંધનમાં સામેલ થવાની સાથે જ હવે આ અટકળો લાગી છે કે ભારત દુનિયાના સૌથી જૂના ગુપ્ત જાણકારી શૅર કરતાં જાસૂસી નેટવર્ક 'ફાઇવ આઈઝ'માં સામેલ થવાની તૈયારી કરી રહ્યું છે."
અંગ્રેજી અખબાર સંડે ગાર્ડિયનમાં 24 ઑક્ટોબરમાં છપાયેલા એક અહેવાલ મુજબ જાપાન અને ફાઇવ આઈઝ દેશોએ 11 ઑક્ટોબરે વૉટ્સઍપ, સિગ્નલ અને ટેલિગ્રામ જેવી ઍપ્સમાંથી જાણકારી એકઠી કરવાની જરૂરત પર એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતું જેથી ગુપ્ત સંસ્થાઓ અને અન્ય કાયદાનો અમલ કરાવતી એજન્સી "આ ઍપ્સના માધ્યમથી કરવામાં આવેલા સંચાર સુધી પહોંચી શકે."
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે, "ભારતને આ ગઠબંધનમાં વધારે સહયોગ આપવા માટે લાવવામાં આવી રહ્યું છે અને તે આનો ભાગ બની ગયું છે."
ઑસ્ટ્રેલિયાના એક મુખ્ય અખબાર 'ધ ઑસ્ટ્રેલિયન' મુજબ ભારત અને જાપાન ઑક્ટોબરમાં થયેલા ફાઇવ આઈઝની બેઠકમાં સામેલ હતા. ત્યારે આ વાતની અટકળો પણ વધારે હતી કે અમેરિકા ભારતને આ ગઠબંધનમાં લાવવા ઇચ્છે છે અને સમન્વય માટે આવો જ સમાંતર કરાર કરવા ઇચ્છે છે.
ક્વૉડની વધતી સક્રિયતા
ચીનની સાથે મહિનાઓના ઘર્ષણની વચ્ચે ભારતે પાંચ ઑક્ટોબર ટૉકિયોમાં ધ ક્વોડ્રિલેટરલ સિક્યૉરિટી ડાયલૉગ (ક્યૂસિડ અથવા ક્વૉડ)ની બેઠકમાં ભાગ લીધો.
ભારતે 19 ઑક્ટોબરે માલાબાર નૌસૈન્ય અભ્યાસમાં ઑસ્ટ્રેલિયાના ભાગ લેવાની જાહેરાત કરી હતી.
અનેક ભારતીય સંશોધકોનું માનવું છે કે ચીનના આક્રમક વલણને જોતા ભારતે આ પગલું ભર્યું છે.
સુરક્ષા નિષ્ણાત અને ટીકાકાર અજય શુક્લા ભારતના આ પગલાને એક આકરો જવાબ કહે છે.
શુક્લાએ ટ્વીટ કર્યું, "ચીનને આકરો જવાબ આપતા ભારતીય સંરક્ષણમંત્રાલયે જાહેરાત કરી છે કે ઑસ્ટ્રેલિયા આ વર્ષના અંતમાં માલાબાર નૌસેના અભ્યાસમાં ભાગ લેશે."
તેમણે લખ્યું હતું કે ઑસ્ટ્રેલિયા 13 વર્ષ પછી આમાં ભાગ લેવા જઈ રહ્યું છે.
જોકે કૂટનૈતિક બાબતોના જાણીતા વિશ્લેષક બ્રહ્મ ચેલાની ભારતની આ બાબતે ટીકા કરે છે કે તે ટૉકિયામાં ચીનની સામે પણ અમેરિકાની જેમ સ્પષ્ટ ન હતું.
તેમણે એક ટ્વીટમાં કહ્યું કે અમેરિકાએ ચીન પર સીધો હુમલો કર્યો અને ભારતે અપ્રત્યક્ષ રીતે એ પણ ન કહ્યું કે ભારત ચીનની આક્રમકતાનો શિકાર રહ્યું છે.
ચીનની કૂટનીતિ
ચીને મોટા પ્રમાણમાં સૈન્યસામાન ખરીદ્યો હોય તેવા રિપોર્ટ નથી, પરંતુ ચીનની સરકાર અને મીડિયાએ તેમના કૂટનૈતિક પગલાની જાણકારી આપી છે જે ચીને હાલના મહિનામાં ભારતીય સરહદે ભર્યાં છે.
ચીનના સંરક્ષણમંત્રાલયના પ્રવક્તા સિનિયર કરનલ વૂ ચિઆંગે 29 ઑક્ટોબરે કહ્યું કે પીપલ્સ લિબરેશન આર્મી ઠંડા વિસ્તારમાં રહેવા અને પ્રશિક્ષણની સ્થિતિમાં સુધારો કરવા માટે નવા ઉચ્ચ તકનીકી રીત અપનાવી રહી છે. તેમનો ઇશારો લદ્દાખમાં ભારત-ચીન સરહદવાળા વિસ્તાર તરફ હતો.
પ્રવક્તાએ કહ્યું કે આમાં સ્વયં ઊર્જા ઉત્પન્ન કરવાવાળાં કૅબિન્સ, નવાં સ્લિપિંગ બૅગ્સ અને સૈનિકો સુધી તાજું ખાવાનું પહોંચાડવા માટે ડ્રોન્સ જેવા ઉપાયો સામેલ છે, જેનાથી સેના યુદ્ધ માટે તૈયાર રહે.
આ પહેલાં ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે સપ્ટેમ્બરમાં લખ્યું હતું કે ચીન ભારતની સાથે લાગેલી સરહદ પર સુરક્ષાદળો એકઠા કરી રહ્યા છે. આમાં બૉમ્બવર્ષક વિમાન, વાયુરક્ષા સૈનિક, બખ્તરબંધ ગાડીઓ, પેરાટ્રૂપર્સ, વિશેષ દળ અને પાયદળ સામેલ છે.
અખબારે લખ્યું હતું કે એચ-6 બૉમ્બવર્ષક અને વાઈ 20 મોટાં પરિવહન વિમાન પણ આગળના ઍરપૉર્ટ પર તહેનાત કરવામાં આવ્યાં છે.
ભારત અને ચીનની વચ્ચે લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર આ વર્ષે મેથી ટકરાવની સ્થિતિ બનેલી છે.
બંને દેશોના સૈન્ય વચ્ચે ઘર્ષણ થઈ ગયું છે. હાલમાં અનેક તબક્કાની બેઠકો છતાં પણ ભારત-ચીનમાં સરહદ સંબંધી વિવાદ સંપૂર્ણ રીતે સહમતિ નહીં બની શકે છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો