કાશ્મીર : સૈન્યઅધિકારી સહિત 4 સૈનિક અને ત્રણ ઉગ્રવાદીઓનાં મૃત્યુ - TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

રવિવારે જમ્મુ અને કાશ્મીરના માછીલ સૅક્ટરમાં કથિત ઘૂસણખોરીનો પ્રયાસ અટકાવાતાં સર્જાયેલા ઘર્ષણમાં ત્રણ ઉગ્રવાદીઓના મૃત્યુ થયાં છે.

સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે, આ ઘર્ષણમાં ચાર ભારતીય સૈનિકોનાં પણ મૃત્યુ થયાં છે. મૃત સૈનિકોમાં સૈન્યઅધિકારી અને બે સૈનિકો ઉપરાંત બીએસએફના એક સૈનિક સામેલ છે.

અધિકારીઓના કહેવા પ્રમાણે ઉત્તર કાશ્મીરના માછીલ વિસ્તારમાં મોડી રાત્રે ઉગ્રવાદીઓએ કથિત ઘૂષણખોરી કરીને ભારતની સરહદમાં દાખલ થવાના પ્રયાસ કર્યો હતો.

શ્રીનગરમાં સંરક્ષણપ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ કહ્યું કે રાત્રે અંદાજે એક વાગ્યે એલઓસીથી લગભગ 3.5 કિલોમીટર દૂર બીએસએફને થોડું હલનચલન દેખાયું હતું.

તેમણે કહ્યું કે બીએસએફના જવાનોએ તરત જ તેમને રોકવાના પ્રયત્નો કર્યા અને એક ઉગ્રવાદીનું મૃત્યુ થયું.

"બીએસએફના એક સૈનિકનું આ કાર્યવાહીમાં મૃત્યુ થયું. ગોળીબાર ચાર વાગ્યે બંધ થયો."

આમ છતાં કેટલીક ટુકડીઓને આ વિસ્તારમા મોકલવામાં આવી, સર્વૅલન્સ ડિવાઇસની મદદથી ઉગ્રવાદીઓને ટ્રૅક કરવામાં આવ્યા.

કર્નલ કાલિયાના કહેવા પ્રમાણે સવારે 10 વાગ્યેને 20 મિનિટે ફરીથી એલઓસીથી 1.5 કિલોમીટર દૂર એક સર્ચ પાર્ટી પર ભારે ગોળીબાર થયો.

જવાબી કાર્યવાહીમાં બે બીજા ઉગ્રપંથીઓનાં મૃત્યુ થયાં.

મહારાષ્ટ્રમાં કોરોનાના લાખો કેસ વચ્ચે મંદિરો ખોલવાની સંભાવના

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે કે દિવાળી બાદ રાજ્યમાં પૂજાસ્થળો ફરીથી ખોલવામાં આવશે અને ત્યાં સુધી તેઓ રાજ્યના કલ્યાણ માટે કોઈ પણ ટીકા સહન કરી લેશે.

'ઇન્ડિયન એક્સ્પ્રેસ'ના અહેવાલ અનુસાર ઠાકરેએ રાજ્યના લોકોને ફટાકડા ફોડવાનું ટાળવા અને તહેવારો દરમિયાન માસ્ક પહેરી રાખવાની પણ ભલામણ કરી છે.

વીડિયો કૉન્ફરન્સ થકી કરાયેલા જાહેર સંબોધનમાં મુખ્ય મંત્રીએ કહ્યું, "અમે જલદી મંદિરો અને પૂજાસ્થળો ખોલીશું. દિવાળી પૂરી થઈ જવા દો પણ જ્યારે મંદિરો ખોલવામાં આવે ત્યારે તમારાં ચંપલ બહાર રાખી શકો પણ માસ્ક નહીં."

તેમણે એવું પણ કહ્યું રાજ્યમાં વાઇરસનો ચેપ ઘટાડવા માટે દિવાળી બાદ એસઓપી જાહેર કરી શકાય છે.

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં ગત માર્ચ મહિનાથી જ મંદિરો અને પૂજાસ્થળો બંધ છે. ગત મહિને રાજ્યમાં મંદિરોને ફરીથી ખોલવા અંગે રાજ્યપાલ બી. એસ. કોશ્યારી અને મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે આમનેસામને આવી ગયા હતા.

રાજ્યપાલે મુખ્ય મંત્રીને પૂછ્યું હતું કે શું તેઓ 'ધર્મનિરપેક્ષ' થઈ ગયા છે? જવાબમાં ઠાકરેએ કહ્યું હતું કે 'તેમના હિંદુત્વને પ્રમાણની જરૂર નથી અને સરકાર આ મામલે સાવધાનીપૂર્વક વિચાર કર્યા બાદ જ નિર્ણય લેશે'

મહત્ત્વપૂર્ણ છે કે મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના 17 લાખથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે અને 46 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.

નરેન્દ્ર મોદીએ સુરત-હજીરા રો-પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત-હજીરા રો-પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું હતું.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે "દેશના એક ભાગમાંથી અન્ય ભાગમાં સામાન લઈ જવા માટે અન્ય દેશ કરતાં આજે આપણા દેશમાં વધુ ખર્ચ થાય છે. વૉટર ટ્રાન્સપોર્ટથી ખર્ચને ઓછો કરી શકાશે."

"ઘોઘા-દહેજ વચ્ચે ફેરી સર્વિસને જલદી ફરીથી શરૂ કરવાનો સરકારનો પ્રયાસ છે. આ પ્રોજેક્ટ સામે પ્રકૃતિ સાથે જોડાયેલા કેટલાક પડકારો સામે આવ્યા છે. તેને આધુનિક ટેકનોલૉજીના માધ્યમથી દૂર કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે."

તેમણે કહ્યું કે સમુદ્રી વેપાર-ધંધા માટે એક્સપર્ટ તૈયાર થાય, તાલીમબદ્ધ મેનપાવર હોય, તેના માટે ગુજરાત મેરિટાઇમ યુનિવર્સિટી બહુ મોટું સેન્ટર છે.

"અહીં સમુદ્રી કાનૂન અને આંતરરાષ્ટ્રીય વેપાર કાનૂનના અભ્યાસથી લઈને મેરિટાઇમ મૅનેજમૅન્ટ, શિપિંગ અને લૉજિસ્ટિક્ટ્સમાં એમબીએ સુધીની સુવિધા છે."

વડા પ્રધાન મોદીએ વીડિયો કૉન્ફરન્સથી સંબોધન કરતાં કહ્યું કે "વૉકલ ફૉર લોકલ દિવાળીના દીવા સુધી જ સીમિત ન રાખો, અન્ય સામાનની ખરીદી પર લોકલ સામાનને પ્રાથમિકતા આપશો."

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ટ્વીટમાં લખ્યું કે ઘોઘાથી હજીરા વચ્ચેનું 10થી 12 કલાકનું અંતર હવે રો-પેક્સ ફેરી સર્વિસને કારણે અંદાજે 4 કલાકનું થઈ થશે.

અમદાવાદમાં આઠ કોરોના દર્દીઓ સામે પોલીસ કેસ

કોરોના વાઇરસ મહામારી વચ્ચે અમદાવાદમાં આઠ કોવિડના દર્દીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, આઠ દર્દીઓ સામે હોમ આઇસોલેશનના નિયમના ભંગ બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓ અનુસાર આ દર્દીઓ બહાર ફરતા જોવા મળ્યા હતા.

આઠ દર્દીઓમાંથી છ પુરુષો અને બે મહિલાનો સમાવેશ થતો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, આઠ વ્યક્તિઓને રોગચાળાના રોગ અધિનિયમ હેઠળ નોટિસ ફટકારવામાં આવી છે અને પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે શનિવારે ગુજરાતમાં કોવિડ-19ના નવા 1046 કેસ ઉમેરાયા હતા અને 5 દર્દીના મૃત્યુ થયા હતા.

સુરતમાં 192 દર્દીઓ નોંધાયા હતા અને અમદાવાદમાં તેનાથી ઓછા 182 દર્દીઓ નોંધાયા હતા. જ્યારે વડોદરામાં 120 નવા કેસ નોંધાયા હતા.

ફ્રાન્સમાં પાદરી પર હુમલા પાછળ 'લવ અફૅર'

પ્રોસિક્યુટરે જણાવ્યું કે એક સંદિગ્ધ વ્યક્તિએ ગયા અઠવાડિયે ફ્રાન્સના શહેર લિયોનમાં ગ્રીક ઓર્થોડોક્સ પાદરી પર અંગત વિવાદને લઈને ગોળીબાર કર્યો હોવાની વાત કરી છે.

40 વર્ષીય સંદિગ્ધ વ્યક્તિએ જણાવ્યું હતું કે પાદરીનું તેમની પત્ની સાથે અફેર હતું.

52 વર્ષીય નિકોલસ કાકાવેલાકિસને 31 ઑક્ટોબરે તેમના ચર્ચની બહાર તેમની પર બે વાર ગોળીબાર થયો હતો.

બુધવારે કોમામાંથી બહાર આવ્યા બાદ તેઓએ પોલીસ સાથે વાત કરી હતી.

આ ગોળીબારની ઘટના ફ્રાન્સના નીસ શહેરમાં એક સંદિગ્ધ હુમલાખોરના હુમલા બાદ ઘટી હતી, જેમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતા.

એક ફ્રેન્ચ અખબારના અહેવાલમાં જણાવાયું છે કે આ શંકાસ્પદ વ્યક્તિ, જ્યૉર્જિયન હોવાનું કહેવાય છે, શુક્રવારે લિયોનસ્થિત તેમના ઘરેથી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

અખબારના જણાવ્યા અનુસાર સંદિગ્ધ વ્યક્તિએ જણાવ્યું હતું કે તેનો ઈરાદો પાદરીની હત્યા કરવાનો નહોતો.

અન્વય નાઇક કેસમાં અર્ણવ ગોસ્વામીને કોર્ટ તરફથી તત્કાળ રાહત નહીં

'રિપબ્લિક ટીવી'ના ઍડિટર-ઇન-ચીફ અર્ણવ ગોસ્વામીને બૉમ્બે હાઈકોર્ટ તરફથી હજુ કોઈ રાહત મળી નથી.

સમાચાર એજન્સી પીટીઆઈએ આ મામલે ટ્વીટ કરીને માહિતી આપી છે.

બૉમ્બે હાઈકોર્ટે અર્ણવ ગોસ્વામીની વચગાળાની જામીન અરજી પર ચુકાદો સુરક્ષિત રાખ્યો છે.

બૉમ્બે હાઈકોર્ટ અર્ણવ ગોસ્વામીની અરજી પર સોમવારે 9 નવેમ્બરે 3 વાગ્યે નિર્ણય કરશે.

2018માં ઇન્ટિરિયર ડિઝાઇનર અન્વય નાઇક અને એમનાં માતા કુમુદ નાઇકે આત્મહત્યા કરી હતી. એ કેસમાં બુધવારે સવારે અર્ણવ ગોસ્વામીની મુંબઈસ્થિત ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.

આત્મહત્યા કરનાર ઇન્ટિરિયર ડિઝાઇનર અન્વય નાઇકે અર્ણવ ગોસ્વામી, ફિરોઝ શેખ અને નીતેશ સારદાએ 5.40 કરોડની ચૂકવણી નહીં કરી હોવાનો અને તેને કારણે તેઓ આત્મહત્યા કરી રહ્યા હોવાનો આરોપ પોતાની સ્યુસાઇડ નોટમાં કર્યો હતો.

બાદમાં તેમને અલીબાગ જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

પોલીસે રિમાન્ડની અપીલ કરી હતી જોકે, કોર્ટે પોલીસ રિમાન્ડની માગ ફગાવી દેતાં અર્ણવને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા હતા.

નરેન્દ્ર મોદી-રાહુલ ગાંધીએ બાઇડન-કમલા હેરિસને અભિનંદન પાઠવ્યા

ડેમૉક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડન અમેરિકાની રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં વિજેતા જાહેર થયા છે.

જો બાડઇને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યા છે.

બાઇડનની જીત થતા વિશ્વભરમાંથી તેમને અભિનંદન મળી રહ્યાં છે, તો ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને અભિનંદન આપ્યાં છે.

નરેન્દ્ર મોદીએ જો બાઇડન અને કમલા હેરિસને અભિનંદન આપ્યાં છે.

તેઓએ ટ્વીટમાં લખ્યું, "ઉપરાષ્ટ્રપતિ તરીકે ભારત અને અમેરિકાના આંતરિક સંબંધોને મજબૂત કરવામાં તમારું અમૂલ્ય યોગદાન રહ્યું છે. મને આશા છે કે સાથે મળીને બંને દેશના સંબંધોને વધુ મજબૂત બનાવીશું."

કમલા હેરિસને અભિનંદન આપતા તેઓએ લખ્યું, "તમારી જીત બધા ભારતીય-અમેરિકનો માટે ગર્વની વાત છે."

તો કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ જો બાઇડનને શુભેચ્છા આપી છે અને કહ્યું કે બંને નેતાઓના પરિપક્વ નેતૃત્વમાં અમેરિકા અને ભારત, આ ક્ષેત્ર અને આખી દુનિયામાં શાંતિ અને વિકાસ માટે સાથે મળીને કામ કરશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો