'ડિમાન્ડ અને ડેમૉક્રસી' માટે ભારતથી સારો દેશ ન હોઈ શકે : નરેન્દ્ર મોદી - BBC TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ભારતમાં કોરોના વાઇરસનું સંકટ છે અને એવામાં અર્થતંત્રને ઉગારવા માટે સરકાર વિવિધ રોકાણકારોને આકર્ષવા માટે પ્રયાસ કરી રહી છે ત્યારે વિશ્વનાં રોકાણકારોને પીએમ મોદીએ સંબોધિત કર્યા હતા.

'ધ હિંદુ'ના અહેવાલ પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ રાઉન્ડટેબલમાં દુનિયાભરના રોકાણકારોને કહ્યું કે ભારત તેમના રોકાણ માટે યોગ્ય જગ્યા છે. કૉર્પોરેટ્સને આકર્ષવા માટે પીએમ મોદીએ એમ પણ કહ્યું કે ભારતમાં કૉર્પોરેટ ટૅક્સ ન્યૂનતમ છે.

નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે જો તમારે રિટર્નની સાથે-સાથે વિશ્વાસપાત્રતા જોઈએ, ડિમાન્ડની સાથે ડેમૉક્રેસી (લોકતંત્ર) જોઈએ તો ભારતથી સારો કોઈ દેશ હોઈ જ ન શકે. અહીં તમને સ્થિરતા મળશે સાથે-સાથે પર્યાવરણ સંબંધિત ટેકનૉલૉજીનું પણ તેટલું જ ધ્યાન રાખવામાં આવે છે.

નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે કૉન્ફરન્સમાં સંબોધન કરી રહ્યા હતા, તેમાં અમેરિકા, યુરોપ, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, કોરિયા, જાપાન, મધ્ય પૂર્વના ટોચના રોકાણકારો સામેલ થયા હતા.

અર્ણવ ગોસ્વામીએ હજુ જેલમાં જ રહેવું પડશે?

ઇન્ટીરિયર ડિઝાઇનરને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં રિપબ્લિક ટીવી ચેનલના ઍડિટર અર્ણવ ગોસ્વામીની જામીનઅરજીની સુનાવણી દરમિયાન બોમ્બે હાઈકોર્ટે તમામ પક્ષોના જવાબ માગ્યા છે અને કહ્યું છે કે, અર્ણવ ગોસ્વામીને જામીન આપવાનો નિર્ણય સરકાર અને ફરિયાદી પક્ષની સુનાવણી પછી જ લેવાશે.

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના રિપોર્ટ મુજબ કોર્ટે કહ્યું કે તમામ પક્ષકારોની સુનાવણી કર્યા પછી જ આ કેસમાં નિર્ણય આપી શકાશે, ત્યાં સુધી કોઈ સુનાવણી નહીં આપી શકાય.

અગાઉ અલીબાગની કોર્ટે અર્ણવ ગોસ્વામીને 18 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. આ આદેશ પછી ગોસ્વામીએ જામીન મેળવવા માટે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી છે.

જોકે કોર્ટે કહ્યું કે તમામ પક્ષકારોની સુનાવણી કર્યા વિના આ કેસમાં નિર્ણય આપી શકાય નહીં.

જેથી સરકાર અને ફરિયાદી સહિત તમામ પક્ષોને શુક્રવારે બપોર સુધી પોતાનો જવાબ આપવાનો સમય આપવામાં આવ્યો છે. બધા પક્ષ જાણ્યા બાદ જામીન પર સુનાવણી થશે.

ગુજરાતમાં ટૂંક સમયમાં સ્કૂલ-કૉલેજો ફરી ખૂલશે?

કોરોના વાઇરસને કારણે લાગુ કરાયેલા લૉકડાઉનને તબક્કાવાર ખોલવાની પ્રક્રીયાના ભાગરૂપે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન(યુજીસી) દ્વારા દેશભરમાં યુનિવર્સિટી અને કોલેજોને પુનઃ શરૂ કરવા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ આ અંગેના નિવેદનમાં જણાવ્યું કે સ્કૂલ-કૉલેજો ખોલવા માટેની સ્ટાન્ડર્ડ પ્રોસિજર તૈયાર થઈ રહી છે.

વળી ગૃહ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલય માર્ગદર્શિકાને મંજૂરી આપી ચૂક્યા છે.

આ અંગે સરકાર દ્વારા શાળાસંચાલકો, શિક્ષણ અધિકારી અને આરોગ્ય વિભાગ સાથે બેઠકોનું આયોજન કરવામાં આવશે.

આ અંગે રાજ્યના શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં શાળા અને કૉલેજોનું શિક્ષણકાર્ય ફરી પૂર્વવત્ કરવા માટે SOP અંગે કામગીરી ચાલી રહી છે.

આ અંગે CM ની અધ્યક્ષતામાં મળેલી રાજ્યના મંત્રીમંડળની બેઠકમાં યોગ્ય ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. મુખ્ય મંત્રી દ્વારા SOP બનાવવા માટે આદેશ આપી દેવાયા છે.

શિક્ષણમંત્રીએ વધુમાં જણાવ્યું કે સૌપ્રથમ કોલેજો અંગે વિચારણા ચાલી રહી છે. ત્યાર બાદ ઉચ્ચતર માધ્યમિક, માધ્યમિક અને ત્યાર બાદ પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવશે.

'ભારત બાયૉટેકની કોરોના રસી ફેબ્રુઆરીમાં લૉન્ચ થઈ શકે છે'

ભારત સરકારના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે ગુરુવારે જણાવ્યું હતું કે સરકાર સમર્થિત કોરોનાની રસી વહેલામાં વહેલી ફેબ્રુઆરી મહિના સુધીમાં લૉન્ચ કરી શકાશે.

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના રિપોર્ટ પ્રમાણે ભારતીય કંપની ભારત બાયૉટેક અને સરકાર સંચાલિત આઈસીએમઆર દ્વારા વિકસિત કરાયેલી કોરોનાની રસી કૉવાક્સિનની છેલ્લા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ આ મહિનાથી શરૂ થઈ રહી છે.

આઈસીએમઆરના વરિષ્ઠ વૈજ્ઞાનિક રજનીકાંતે જણાવ્યું હતું કે, ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂરી થાય તે પહેલાં લોકોને કોરોનાની રસી આપવી કે કેમ તે અંગેનો નિર્ણય આરોગ્ય મંત્રાલય કરશે. પ્રાણીઓ પરના પ્રયોગો અને પહેલા તથા બીજા તબક્કાની હ્યુમન ટ્રાયલમાં પરિણામો સુરક્ષિત અને અસરકારક રહ્યાં છે.

હરિયાણામાં ખાનગી નોકરીઓમાં સ્થાનિકોને મળશે 75 ટકા અનામત

હરિયાણા વિધાનસભામાં સ્થાનિકોને ખાનગી નોકરીઓમાં 75 ટકા અનામત આપતું બિલ પસાર કરવામાં આવ્યું છે.

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ મુજબ વિપક્ષ કૉંગ્રેસના વિરોધ વચ્ચે વિધાનસભા ગૃહમાં આ બિલ પસાર કરવામાં આવ્યું હતું.

હરિયાણા સ્ટેટ ઍમ્પ્લૉયમૅન્ટ ઑફ લોકલ કૅન્ડિડેટ્સ બિલ - 2020 અનુસાર ખાનગી કંપનીઓમાં પ્રતિ મહિના 50 હજાર સુધીના પગારની નોકરીઓમાં સ્થાનિકોને 75 ટકા અનામતની જોગવાઈ છે.

જોકે તેમાં એક બાબત એ પણ સામેલ કરાઈ છે કે જો સ્થાનિક સ્તરે યોગ્ય ઉમેદવાર ન ઉપલબ્ધ હોય તો જોગવાઈમાં છૂટછાટ મળી શકે છે.

વળી એક જ જિલ્લામાંથી 10 ટકા જ ઉમેદવારો લેવાનો વિકલ્પ પણ કંપનીઓ પાસે ઉપબલ્ધ હશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો