અમદાવાદ : પ્રોસેસિંગ હાઉસમાં વિસ્ફોટ થતાં 12નાં મૃત્યુ

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

અમદાવાદમાં પીરાળા-પીપળજ રોડ પર આવેલા કાપડના એક પ્રોસેસિંગ હાઉસમાં વિસ્ફોટ થતા 12 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે નવ લોકોને ઈજા પહોંચી છે.

અમદાવાદ શહેરના ઍડિશનલ ચીફ ફાયર ઑફિસર રાજેશ ભટ્ટે બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં ઘટનાની પુષ્ટિ કરી છે.

બુધવારે વહેલી સવારે આ ઘટના ઘટી હતી. હાલમાં બેની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે.

ભટ્ટે જણાવ્યું, "બૉઇલરમાં વિસ્ફોટ થવાના પગલે આ ઘટના ઘટી. વિસ્ફોટ થવાથી ફેકટરીનાં ત્રણ શેડ પણ પડી ગયાં."

હાલમાં આગ કાબૂમાં લેવાઈ ગઈ છે. બૉઇલરનું પ્રેસર વધારે હોવાથી આગ લાગી કે કેમ તેની ફાયરવિભાગ તપાસ કરી રહ્યો છે.

ગૃહમંત્રી અમિત શાહે પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો.

તેમણે ટ્વિટર પર લખ્યું, "અમદાવાદમાં કાપડના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના અત્યંત દુઃખદ છે. સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે શક્ય તમામ મદદ ઉપબ્લધ કરવામાં લાગ્યું છે. "

આ ઘટનાની નોંધ લેતાં મૃખ્ય મંત્રી વિજય રૂપાણીએ મૃતકોના પરિવારને ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

તો આ સમગ્ર ઘટનાની તપાસ શ્રમ અને રોજગારના અધિક મુખ્ય સચિવને વિપુલ મિત્રા અને જીપીસીવીના ચૅરમૅન સંજીવ કુમારને સોંપવામાં આવી છે.

ગુજરાતમાં વારંવાર બોઇલર ફાટવાના કારણે થતાં મજૂરોનાં મોત વિશે બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખે ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં કામ કરનાર નિવૃત્ત ડેપ્યુટી ચીફ ફાયર ઑફિસર પી. સી. પરમાર સાથે વાત કરી.

એમણે કહ્યું કે, ''ગુજરાતમાં કાપડ પ્રોસેસિંગની જે ફેક્ટરીઓ આવેલી છે ત્યાં કોઈ નિયમોનું પાલન થતું નથી. જે ફેક્ટરીઓ બોઇલર રાખે છે એમણે નિયમ પ્રમાણે દર 6 મહિને લાઇસન્સ લેવાનું હોય છે પણ કોઈ લેતું નથી જેના કારણે બોઇલરની ઘાતુ નબળી પડતી જાય અને પ્રેશર વધે ત્યારે વાલ્વમાંથી ઑટોમેટિક પ્રેશર નીકળતું નથી. બોઇલરમાં ઘણા લોકો જ્વલનશીલ કેમિકલનો ઉપયોગ પણ કરે છે, જેના કારણે બોઇલર ફાટે છે અને ગરીબ કામદારોનાં મોત થાય છે .આ વિસ્તારોમાં ઘણા લોકો ગેરકાયદે કાપડ પ્રોસેસ કરવાની ફેક્ટરીઓ ચલાવે છે, ફેક્ટરી કોઈ બીજાના નામે હોય,બોઇલર કોઈ બીજાના નામે હોય અને ધંધો કોઈ બીજો કરતો હોય એટલે એમને પકડવા મુશ્કેલ બની જાય છે.''

મોદી સરકાર વૅક્સિન માટે જરૂરી 'કૉલ્ડસ્ટોરેજ વ્યવસ્થા'ની સમીક્ષા કેમ કરાવી રહી છે?

કેન્દ્ર સરકારે રાજ્યોને સૂચન કર્યું છે કે તેઓ કોરોના વાઇરસની રસીના સંગ્રહ માટે જરૂરી કૉલ્ડસ્ટોરેજની વ્યવસ્થાની સમીક્ષા કરી લે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર કેન્દ્ર સરકારે દેશમાં યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન કાર્યક્રમ ચલાવવા માટે જરૂરી કૉલ્ડસ્ટોરેજના માળખાની રૂપરેખા તૈયાર કરવાનું શરૂ દીધું છે.

જેમાં રાજ્ય સરકારોને તેમના હયાત માળખાની સમીક્ષા કરવા કહી દેવાયું છે.

આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે અહેવાલમાં આ વિશે કહ્યું કે રાજ્ય સરકારોને ચોક્કસ પગલાં લેવા માટે કહ્યું છે. જો તેઓ અનુસરશે તો એક ખૂબ જ યોગ્ય પ્રકારના માળખાની રૂપરેખા તૈયાર થઈ જશે અને રસીકરણના કાર્યક્રમના આયોજન માટે તે નિર્ણાયક પુરવાર થશે.

મથુરા મસ્જિદમાં હનુમાનચાલીસાંના પાઠ કરનારની અટકાયત

મથુરા મસ્જિદમાં કેટલાક યુવકોએ ઇદગાહમાં પ્રવેશી હનુમાનચાલીસાંનો પાઠ કરતાં તેમની અટકાયત કરાઈ હતી.

અત્રે નોંધવું કે મથુરાના નંદબાબા મંદિરમાં મુસ્લિમ યુવકોએ અગાઉ નમાઝ અદા કરવાની ઘટના બાદ આ ઘટના બની છે.

'ઇન્ડિયા ટુડે'ના અહેવાલ અનુસાર આ બનાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. અને ચારેયની અટકાયત કરી લેવાઈ છે.

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ અને તેમના પુત્ર સામે સોશિયલ મીડિયામાં કથિત વાંધાજનક ટિપ્પણીઓ કરનારા સામે ફરિયાદ

મહારાષ્ટ્ર સરકારે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરે સામે સોશિયલ મીડિયામાં કથિત વાંધાજનક ટિપ્પણી કરનારાઓ સામે કાર્યવાહી કરી છે. જેમાં કેટલાક ઇસમો સામે 10 જેટલી એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદ સીએમ ઠાકરે અને આદિત્ય ઠાકરેને સોશિયલ મીડિયા પર ટાર્ગેટ કરીને ટ્રૉલિંગ અને વાંધાજનક ટિપ્પણીઓ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આર્મી ચીફ નરવણે નેપાળની મુલાકાતે

ઇન્ડિયન આર્મી ચીફ જનરલ નરવણે 4થી 6 નવેમ્બર નેપાળની મુલાકાતે છે. નેપાળમાં તે જનરલ પૂર્ણા ચંદ્રા થાપા અને વરિષ્ઠ નેતાઓને મળશે.

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ મુજબ આર્મી ચીફ જનરલ મનોજ નરવણે ત્રણ દિવસની મુલાકાતે કાઠમંડૂ જશે.

અહેવાલ અનુસાર સરહદી મુદ્દે વાતચીત અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે આર્મી ચીફ નેપાળના પ્રવાસે છે.

ઉલ્લેખનીય છે કે ચીન સિવાય નેપાળ સાથે પણ ભારતનો સરહદી વિવાદ ચાલી રહ્યો છે.

ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઘટાડાનો દાવો

ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં ટેસ્ટિંગમાં ઘટાડો અને તેની સામે આવતા નવા કેસોના ઘટાડા વચ્ચે ફૂડ ઍન્ડ ડ્રગ કંટ્રોલ ઍડમિનિસ્ટ્રેશન ઑફ ગુજરાતે દાવો કર્યો છે કે સરકારના અસરકારક પગલાને લીધે રાજ્યમાં કેસોની સંખ્યામાં ઘટાડો આવ્યો છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર રેમડેસિવિર અને ફેવિપૅવરીરની માગમા ઘટાડો થતા તેમણે આ નિષ્કર્ષ આપ્યો હોવાનું કહેવાય છે.

એફડીસીએ કમિશનર હેમંત કોશિયાએ એક સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું છે કે રાજ્યમાં મેડિકલ ઑક્સિજન, રેમડેસિવિર અને ફેવિપરીરની માગમાં ઘટાડો થઈ રહ્યો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો