પંજાબ, હરિયાણા બાદ ઉત્તર પ્રદેશના ખેડૂતો દિલ્હી સુધી કૂચ કરશે

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

દિલ્હી પોલીસનું કહેવું છે કે ખેડૂતોને બુરાડીના એક મેદાનમાં પ્રદર્શન કરવાની પરવાનગી આપી દેવાઈ છે.

ખેડૂતો કેન્દ્ર સરકારના નવા કૃષિસુધારા કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે.

દિલ્હી પોલીસના પ્રવક્તા ઈશ સિંઘલ કહે છે, "ખેડૂતોના આગેવાનો સાથેની વાતચીત બાદ તેમને બુરાડીના નિરંકારી મેદાનમાં શાંતિપૂર્ણ વિરોધ માટે પરવાનગી આપી દેવાઈ છે."

"અમે ખેડૂતોને અપીલ કરીએ છીએ કે તેઓ શાંતિ જાળવી રાખે."

આ પહેલાં પંજાબ અને હરિયાણાથી મોટી સંખ્યામાં ખેડૂતો ત્રણ દિવસથી સતત કૂચ કરીને દિલ્હીની નજીક પહોંચ્યા હતા.

ખેડૂતોની કૂચને ધ્યાને રાખીને સિંધુ બૉર્ડર પર મોટી સંખ્યા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પંજાબ અને હરિયાણાના ખેડૂતો બાદ હવે ઉત્તર પ્રદેશના ખેડૂતોએ રાજધાની દિલ્હી તરફ આગળ વધવાનો નિર્ણય લીધો છે.

ઉત્તર પ્રદેશના મેરઠમાં ભારતીય કિસાન સંગઠનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું, "સરકાર ખેડૂતોની સમસ્યાને નિવારવામાં નિષ્ફળ નીવડી છે. આથી અમે દિલ્હી તરફ માર્ચ કરી રહ્યા છીએ."

અહીં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતોને અપીલ કરી છે કે ખેડૂતો પ્રદર્શન ખતમ કરે અને સરકાર તેમની સાથે વાતચીત માટે તૈયાર છે.

તેમનું કહેવું છે કે સરકાર જે કૃષિસુધારા કાયદા લાવી છે, તેનાથી ખેડૂતોના જીવનમાં મોટા ફેરફાર આવશે.

તેમણે ત્રણ ડિસેમ્બરે ખેડૂતો સાથે વાતચીત કરવાની પેશકશ કરી છે.

અમારે શહીદ થવું પડે તો થઈશું : ખેડૂતો

હરિયાણાના સિરસામાં ખેડૂતોના એક સમૂહે બૅરિકેડિંગ પાર કરી લીધું છે.

સમાચાર એજન્સી એએનઆઈને એક ખેડૂતે કહ્યું, "અમે જે પણ કરીશું શાંતિપૂર્વક કરીશું, અમે કોઈ પણ લોકોને કે સંપત્તિને નુકસાન નહીં કરીએ."

"જો અમારે મહિના સુધી રસ્તા પર રહેવું પડે તો રહીશું, જો અમારે શહીદ પણ થવું પડે તો થઈ જઈશું."

હરિયાણા દિલ્હીની સીમા પર ભારે પોલીસ તૈનાત કરવામાં આવી છે. સિંધુ બૉર્ડર પર પોલીસે ખેડૂતોને રોકવા માટે ટિયરગેસના ગોળા છોડ્યા હતા.

ટિયરગેસના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયો છે.

ખેડૂતોની માગણીઓ યોગ્ય : કેજરીવાલ સરકાર

ખેડૂતોની દિલ્હી તરફની કૂચને જોતાં દિલ્હી પોલીસે કેજરીવાલ સરકાર પાસે સ્ટેડિયમને અસ્થાઈ જેલમાં ફેરવવા માટે મંજૂરી માગી હતી. જોકે, દિલ્હી સરકારે પોલીસની આ માગણીને નકારી દીધી હતી.

દિલ્હીના ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવેલા જવાબમાં કહેવામાં આવ્યું, "ખેડૂતોની માગણીઓ યોગ્ય છે. કેન્દ્ર સરકારે ખેડૂતની માગણીઓ તાત્કાલિક માની લેવી જોઈએ."

"ખેડૂતોને જેલમાં નાખવા એ આનું સમાધાન નથી. તેમનું આંદોલન બિલકુલ અહિંસક છે. અહિંસક રીતે આંદોલન કરવું દરેક ભારતીયનો બંધારણિય અધિકાર છે."

"એ માટે તેમને જેલમાં ના નાખી શકાય. તેથી સ્ટેડિયમને જેલ બનાવવાની દિલ્હી પોલીસની આ માગણીને દિલ્હી સરકાર ના મંજૂર કરે છે."

કેન્દ્ર સરકાર ખેડૂતો સાથે જલ્દી વાતચીત કરે : પંજાબના મુખ્ય મંત્રી

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે પંજાબના મુખ્ય મંત્રી કૅપ્ટન અમરિંદર સિંહે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે તે ખેડૂત સંગઠનો સાથે જલદી વાતચીત શરૂ કરેય. જેથી દિલ્હીની સરહદ પર ઊભો થયેલો તણાવ ઓછો કરી શકાય.

હરિયાણા પ્રશાસન તરફથી ખેડૂતોને રોકવા માટે વોટર કેનન અને ટિયરગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ તમામની વચ્ચે હરિયાણાના મુખ્ય મંત્રી મનોહર લાલ ખટ્ટરે ટ્વીટ કરીને ખેડૂતોને આંદોલન ના કરવાની અપીલ કરી છે.

તેમણે ટ્વીટ કર્યું. "કેન્દ્ર સરકાર વાતચીત માટે હંમેશાં તૈયાર છે. મારી તમામ ખેડૂત ભાઈઓને અપીલ છે કે તમામ યોગ્ય મુદ્દાઓ માટે કેન્દ્ર સાથે સીધી વાતચીત કરે. આંદોલન કોઈ ઉપાય નથી, આનો ઉકેલ વાતચીતથી જ આવશે."

સરકાર વાતચીત કરવા માગે છે : કૃષિ મંત્રી

દેશના કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા કહ્યું, "નવો કાયદો સમયની જરૂરિયાત હતી. આ કાયદો ખેડૂતોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે."

"પંજાબના ખેડૂતોમાં ભ્રમ છે અને તેને દૂર કરવા માટે સચિવ સ્તરની વાતચીત ચાલી રહી છે. મેં પણ ખેડૂત સંગઠનો સાથે વાત કરી હતી. જેમાં કોઈ ઉકેલ ના આવ્યો તો ફરી 3 ડિસેમ્બરના વાતચીત રાખવામાં આવી છે."

"કોઈ પણ વાતનો ઉકેલ વાતચીતથી આવે છે એટલા માટે સરકાર ખેડૂતો સાથે વાત કરવા તૈયાર છે અને હું ખેડૂતોને કહેવા માગું છું કે તેઓ પોતાનું આંદોલન સ્થગિત કરી દે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો