You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરેલા જવાનોના વીડિયો પર સોશિયલ મીડિયામાં વિવાદ કેમ થયો?
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક વીડિયો શૅર કરીને મોદી સરકારમાં જવાનોની સ્થિતિને લઈને પ્રશ્ન ઉઠાવ્યો છે.
રાહુલ ગાંધીએ જે વીડિયો શૅર કર્યો છે તેમાં ટ્રકની અંદર બેઠેલા કેટલાક જવાન અંદરોઅંદર વાત કરતાં તેમને નૉન બુલેટ પ્રૂફ ગાડીમાં મોકલવા અંગે ફરિયાદ કરી રહ્યા છે.
આ વીડિયોને ટ્વીટ કરીને રાહુલ ગાંધીએ લખ્યું છે, “આપણા જવાનોને નૉન-બુલેટ પ્રૂફ ટ્રકોમાં શહીદ થવા માટે મોકલાઈ રહ્યા છે અને PM માટે 8400 કરોડનું વિમાન! આ ક્યાંનો ન્યાય છે?”
શું છે આ વીડિયોમાં?
આ વીડિયોમં ટ્રકમાં બેઠેલા એક જવાન કહે છે કે, “નૉન બુલેટ પ્રૂફ ગાડીમાં મોકલીને અમારા જીવન સાથે ચેડાં કરાઈ રહ્યાં છે. આ નૉન બી. પી. (બુલેટ પ્રૂફ) ગાડીમાં માણસો જઈ રહ્યા છે, જ્યાં માણસ બી. પી. ગાડીમાં સુરક્ષિત નથી ત્યાં અમને નૉન બી. પી. ગાડીમાં લઈ જઈ રહ્યા છે. અમારા જીવન સાથે ચેડાં કરાઈ રહ્યાં છે. જણાવ્યા બાદ પણ બળજબરીપૂર્વક આવું કરાય છે. ” આ જવાને પોતાનો ચહેરો કાપડથી ઢાંકેલો છે.
આ દરમિયાન જ બીજો જવાન કહે છે કે એ જણાવવું કમાંડરનું કામ છે.
ફરીથી પહેલા જવાને કહ્યું, “કમાંડર નહીં જણાવે તો અમે જાણીજોઈને પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છીએ ને. કમાંડરને શી જરૂર છે બોલવાની, એ તો નહીં જ બોલે. ઓ. સી. સાહેબ પોતાના પાંચ માણસ લઈને પોતાની બી. પી... તેમાં દસ માણસ જઈ શકે છે ને. સમગ્ર સેક્શનને એમાં જ લઈ ગયા. જે મરવાના છે તેમને અહીં વીણીને મોકલી દીધા છે જાઓ મરો આમાં.”
જવાન ટ્રકને આંગળી વડે ઠોકીને કહે છે કે શું છે આમાં, પથ્થર મારશે તો પણ પેલી પાર થઈ જશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારે વધુ એક જવાન કૅમેરા સામે આવીને કહે છે કે, “ઘણી બેકાર વ્યવસ્થા છે, કબાડ જેવી ગાડી છે. ઓ. સી અને ઇન્સ્પેક્ટર જાતે બુલેટ પ્રૂફમાં જાય છે અને ટીમને કહી દે છે કે નૉન બી. પી.માં જાઓ.”
આ દરમિયાન જ અન્ય એક જવાન કહે છે, “કહે છે કે ગાડી ક્યાંથી લઈ આવીએ. અરે આપ વ્યવસ્થા કરો ને, એ તમારું કામ છે. ડ્યૂટી પર લઈ જઈ રહ્યા છો અમારા જીવન સાથે રમત કરી રહ્યા છો. અમારા પરિવારોના જીવન સાથે રમત કરી રહ્યા છો. સરકાર જો અમારી પાસે ડ્યૂટી કરાવે છે તો અમને વ્યવસ્થા પણ આપશે.”
રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં આ વીડિયો સ્રોતની જાણકારી નથી આપી. સાથે જ એ પણ સ્પષ્ટ નથી કર્યું કે ટ્રકમાં બેઠેલા આ જવાનો સેનાના છે કે અર્ધસૈનિક બળના. તેઓ કયાં વિસ્તારમાં છે અને ક્યાં તેમને ક્યાં ડ્યૂટી કરવા મોકલવામાં આવી રહ્યા છે એ પણ નથી જણાવાયું.
આ વીડિયોની પ્રામાણિકતાને લઈને બીબીસી કોઈ પુષ્ટિ નથી કરતું.
ટ્વીટ પર પ્રતિક્રિયા
રાહુલ ગાંધીના આ ટ્વીટ પર ઘણા લોકોએ પ્રતિક્રિયા પણ આપી છે. કેટલાકે મોદી સરકારની ટીકા કરી છે તો કેટલાકે કૉંગ્રેસના શાસનકાળ પર પ્રશ્ન ઉઠાવ્યા છે.
યૂઝર માનવ ગુપ્તાએ રિપ્લાય કર્યો છે, “પુલવામા હુમલા બાદ એવો નિર્ણય કરાયો હતો કે તમામ જવાનોને બુલેટ પ્રૂફ ગાડીઓમાં અને સંપૂર્ણ દેખરેખમાં લઈ જવામાં આવશે. પરંતુ અત્યાર સુધી જમ્મુ-કાશ્મીર નેશનલ હાઈવે પર એક પણ સીસીટીવી કૅમેરા નથી લગાવાયો... અને મોદીની 8400 કરોડની સવારી પણ ભારતમાં આવી ચૂકી છે.”
જોકે, તેના જવાબમાં એક યૂઝર સાકેતે લખ્યું છે કે, “મોદીની ફુલ પ્રૂફ સવારીને કૉંગ્રેસના જોકરે વર્ષ 2006માં મગાવી હતી અને તેમાં રદ કરવાની જોગવાઈ પણ નહોતી.”
લાવણ્યા બલ્લાલ લખે છે કે, “અત્યંત દુ:ખની વાત છે કે આપણા જવાનો નૉન બુલેટ પ્રૂફ ટ્રકોમાં જાય છે. આવા વખતે આપણા PM 8400 કરોડનું વિમાન ખરીદે છે. શું આપણા જવાનોને શહીદ થવા માટે મોકલવામાં આવી રહ્યા છે.”
એક યૂઝર અમિત શુક્લાએ રાહુલ ગાંધીને પૂછ્યું છે, “કૉંગ્રેસે બુલેટ પ્રૂફ જૅકેટ કેમ નહોતાં દીધાં?”
રાહુલ ગાંધીના ટ્વીટર પર અભય તિવારી લખે છે, “જુઠ્ઠું બોલવાનું બંધ કરો. આ વિમાનો UPA સરકારના સમયમાં મગાવાયાં હતાં અને અત્યારે તેમની ડિલિવરી થઈ છે. UPA સરકારમાં બુલેટ પ્રૂફ જૅકેટોની અછત હતી જે NDAની સરકારે પૂરી કરી છે.”
ભારતમાં લગભ 8400 કરોડના બે VVIP ઍર ઇન્ડિયા ઍરક્રાફ્ટ ખરીદાયાં છે. તે બી777 ઍરક્રાફ્ટ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડા પ્રધાનની યાત્રા માટે ખરીદાયાં છે. તેમાં ઉન્નત સંચારપ્રણાલી છે, જેની વડે યાત્રા દરમિયાન હવામાં હૅક થયા વગર ઑડિયો અને વીડિયો વાતચીત થઈ શકે છે.
આ પહેલાં પણ રાહુલ ગાંધી આ જ વિમાનોની ખરીદી અંગે પ્રશ્ન ઉઠાવી ચૂક્યા છે. તેમણે કહ્યું હતું કે PM માટે 8400 કરોડના વિમાન ખરીદાયાં. આટલામાં સિયાચિન-લદ્દાખ સીમા પર તહેનાત જવાનો માટે કેટલું બધું ખરીદી શકાયું હોત.
જોકે, ન્યૂઝ એજન્સી PTI પ્રમાણે સરકારનું કહેવું છે કે આ વિમાનોની ખરીદી UPA સરકારના કાર્યકાળ દરમિયાન કરવામાં આવી હતી અને NDA સરકારે માત્ર આ સોદો પૂરો કર્યો છે.
રાહુલ ગાંધી ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં ચાલી રહેલા ઘર્ષણને લઈને પણ PM મોદી પર નિશાન સાધે છે.
તેમણે આ વર્ષે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણમાં 20 સૈનિકોનાં મોત બાદ જવાનો દ્વારા હથિયારનો ઉપયોગ ન કરવાની વાત પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. આ સિવાય તેઓ મોદી સરકાર પર લદ્દાખમાં ચીનને ભારતની જમીન પરથી પાછળ હઠાવવામાં અસફળ રહ્યા હોવાનો આરોપ પણ મૂકતા રહ્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો