દિલ્હીનાં તોફાનમાં પોલીસ પર માનવાધિકાર સંગઠનના રિપોર્ટમાં ગંભીર આરોપ

    • લેેખક, દિવ્યા આર્ય
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

માનવાધિકારના મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તર પર કામ કરતા સંગઠન ઍમનેસ્ટી ઇન્ટરનેશનલે દિલ્હીમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં થયેલાં રમખાણો પર પોતાના સ્વતંત્ર રિપોર્ટમાં પોલીસ પર ગંભીર આરોપ કર્યા છે.

રિપોર્ટમાં દિલ્હી પોલીસ પર રમખાણ ન રોકવા, તેમાં સામેલ થવા, ફોન પર મદદ માગવા પર પણ ન આવવા, પીડિત લોકોને હૉસ્પિટલ સુધી પહોંચવાથી રોકવા, ખાસ કરીને મુસ્લિમ સમુદાય સાથે મારપીટ જેવા ગંભીર આરોપ લગાવાયા છે.

તોફાન પછી છ મહિનામાં પીડિતો અને શાંતિપ્રિય આંદોલનકારીઓને ડરાવવા અને ધમકાવવા, જેલમાં મારપીટ અને તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવાનો ઉલ્લેખ કરતા રિપોર્ટમાં કહેવાયું છે કે દિલ્હી પોલીસ પર માનવાધિકાર ઉલ્લંઘનના એક પણ કેસમાં એફઆઈઆર દાખલ થઈ નથી.

દિલ્હી પોલીસ કેન્દ્રીય ગૃહમંત્રાલય હેઠળ કામ કરે છે.

'સત્તા તરફથી સંરક્ષણ'

ઍમનેસ્ટી ઇન્ટરનૅશનલના કાર્યકારી અધ્યક્ષ અવિનાશ કુમાર પ્રમાણે "સત્તા તરફથી મળી રહેલા આ સંરક્ષણથી તો એ સંદેશ જાય છે કે કાયદો લાગુ કરનારા અધિકારીઓ જવાબદારી વિના માનવઅધિકારોનું ઉલ્લંઘન કરી શકે છે. અર્થાત તેઓ ખુદ જ પોતાનો કાયદો ચલાવી શકે છે."

રિપોર્ટ જાહેર કરતાં પહેલાં એનજીઓએ દિલ્હી પોલીસનો પક્ષ જાણવા માટે તેમનો સંપર્ક કર્યો પરંતુ એક અઠવાડિયા સુધી કોઈ જવાબ મળ્યો નહીં.

દિલ્હી પોલીસે શું કહેતી આવી છે?

માર્ચમાં દિલ્હી પોલીસના સંયુક્ત પોલીસ આયુક્ત આલોક કુમારે બીબીસી હિંદીના સંવાદદાતા સલમાન રાવી સાથેની એક મુલાકાતમાં તોફાન દરમિયાન પોલીસ પર મૂકદર્શક બન્યા રહેવાના આરોપને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું, "પોલીસકર્મીઓની વિરુદ્ધ જો કોઈ આરોપ સામે આવશે તો તેની તપાસ કરવામાં આવશે."

આની પહેલાં દિલ્હી લઘુમતી પંચે પણ દિલ્હીના તોફાન પર એક ફૅક્ટ-ફાઇન્ડિંગ રિપોર્ટ જુલાઈમાં જાહેર કર્યો હતો.

આમાં કેટલાક પીડિતોએ પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ ન કરવા, સમજૂતી માટે ધમકાવવા અને પોલીસ પર જ હિંસા કરીને અન્ય કેસોમાં આરોપી બનાવવાની ફરિયાદો કરી હતી.

સાથે જ દિલ્હી પોલીસ પર રમખાણોમાં મુસલમાન સમુદાયને નિશાન બનાવવાના કાવતરાની જગ્યાએ ખોટી રીતે બે સમુદાય વચ્ચેનો ઝઘડા તરીકે રજૂ કરવાનો આરોપ લગાવાયો હતો. દિલ્હી પોલીસે આયોગના એક પણ સવાલનો જવાબ આપ્યો ન હતો.

ઍમનેસ્ટી ઇન્ટરનેશનલના આ રિપોર્ટમાં 20 રમખાણો પીડિત, ઘટનાના સાક્ષીઓ, વકીલ, ડૉક્ટર, માનવઅધિકાર આંદોલનકારી, નિવૃત થયેલા પોલીસ ઑફિસર સાથેની વાતચીત અને લોકોએ બનાવેલા વીડિયોના અધ્યયન પર આધારિત છે.

તેમાં સૌથી પહેલાં 15 ડિસેમ્બર 2019ના રોજ જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં દિલ્હી પોલીસ દ્વારા નાગરિકતા સંશોધન કાયદા(સીએએ) વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે મારપીટ અને ઉત્પીડનનો આરોપ છે.

આ ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશ ટીમ બનાવવા મામલે થયેલી જાહેર હિતની અરજીનો દિલ્હી હાઈકોર્ટમાં દિલ્હી પોલીસે વિરોધ કર્યો છે.

ત્યાર પછી પાંચ જાન્યુઆરી 2020ના જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયમાં તોડફોડ અને 20થી વધારે વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સાથે મારપીટનો ઉલ્લેખ પણ છે.

આ મામલામાં જેએનયુના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો તરફથી 40થી વધારે ફરિયાદ દાખલ કરાયા પછી પણ દિલ્હી પોલીસે એક પણ એફઆઈઆર દાખલ નથી કરી.

જેએનયુ હિંસા અને ભાજપ નેતાઓના ભાષણોનો ઉલ્લેખ

જોકે, જેએનયુ વિદ્યાર્થી સંઘનાં આઇશી ઘોષ સહિત મારપીટમાં ઇજાગ્રસ્ત થયાં હતાં, એ સિવાય અન્ય નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલાં વિદ્યાર્થીઓ પણ ઇજાગ્રસ્ત થયા હતા, તેમની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.

ઍમનેસ્ટીના રિપોર્ટમાં દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં જાન્યુઆરીના મહિનામાં થયેલી ચૂંટણી રૅલીઓમાં ભાજપના નેતાઓના ઉશ્કેરણીજનક ભાષણોનો પણ ઉલ્લેખ કરે છે.

20 ફેબ્રુઆરી 2020ના દિલ્હી હાઈકોર્ટ આદેશ આપ્યો કે દિલ્હી પોલીસે એક સમજી વિચારીને કરેલા નિર્ણય (કૉન્શિયસ ડિસિઝન) હેઠળ ભાજપના સાંસદો અને નેતાઓ કપિલ મિશ્રા, પરવેશ વર્મા, અનુરાગ ઠાકુરની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાના આદેશ આપ્યા હતા. આમાંથી એક પણ નેતા વિરુદ્ધ એકપણ એફઆઈઆર દાખલ નથી કરવામાં આવી.

જુલાઈમાં બીબીસી સંવાદદાતા દિવ્યા આર્યાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં લઘુમતી મામલાના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ માન્યું હતું કે "ઉશ્કેરણીજનક ભાષણ આપવું બરાબર નથી, અમે બધા પ્રકારનાં નિવેદનોની વિરુદ્ધ છીએ જે ઉશ્કેરણીજનક છે, દેશને બદનામ કરનાર છે અને તેના ધર્મનિરપેક્ષતાને નુકસાન કરે છે. અમે બધા તેની વિરુદ્ધ છીએ. જે થયું એ ખોટું થયું. હું તેનો વિરોધ કરું છું. આ પ્રકારનાં ઝેરી નિવેદનને અમે જસ્ટિફાઈ નથી કર્યાં અને કરવા પણ ન જોઈએ."

દિલ્હીના તોફાનમાં દિલ્હી પોલીસની ભૂમિકા

ઍમનેસ્ટી ઇન્ટરનૅશનલના રિપોર્ટમાં કેટલાક તોફાન પીડિતોએ પોતાનાં નિવેદનોમાં દાવો કર્યો કે જ્યારે તેમણે દિલ્હી પોલીસને ઇમરજન્સી નંબર 100 પર ફોન કર્યો તો કોઈએ ઉઠાવ્યો નહીં અથવા જવાબ આપ્યો, "આઝાદી જોઇતી હતી ને, હવે લઈ લો આઝાદી."

"હમ ક્યા ચાહતે? આઝાદી"ના નારા સીએએ-વિરોધી પ્રદર્શનોમાં વપરાતા હતા અને આંદોલનકારીઓ પ્રમાણે અહીં ભેદભાવ અને અત્યાચારમાંથી આઝાદીની વાત કરવામાં આવતી હતી.

રિપોર્ટમાં પોલીસ દ્વારા પાંચ નવયુવાનોને જૂતાં મારવાનો વીડિયો અને તેમાંથી એકનાં માતા સાથે કરાવવામાં આવેલી વાતચીતને પણ સામેલ કરવામાં આવી છે, જેમાં તેઓ કહી રહ્યાં છે કે તેમના દીકરાને 36 કલાક સુધી જેલમાં રાખવામાં આવ્યો અને પછી તેનું મૃત્યુ થઈ ગયું.

માતા પ્રમાણે તેમના દીકરાને અટકાયતમાં લેવા અંગે કોઈ દસ્તાવજ આપવામાં આવ્યા ન હતા અને કાયદાકીય રીતે દીકરાને અટકાયતમાં લીધાના 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સામે રજૂ કરવામાં પણ ન આવ્યો.

'પોલીસ મૂકદર્શક બનેલી રહી'

રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો કે તોફાન દરમિયાન પોલીસ મૂકદર્શ બનેલી હતી તો ક્યાંક પથ્થરબાજીમાં પણ સામેલ હતી. પોલીસ પર પીડિતોને હૉસ્પિટલ પહોંચવાથી રોકવાનો પણ આરોપ છે.

તોફાનમાં માર્યા ગયેલા 53 લોકોમાંથી મોટા ભાગના લોકો મુસ્લિમ હતા અને હિંદુ સમુદાયની સરખામણીમાં તેમનાં ઘર-દુકાન અને સામાનને વધારે નુકસાન થયું હતું.

રિપોર્ટ પ્રમાણે જ્યારે તેમણે એક સ્કૂલના હિંદુ કૅરટેકર સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે પોલીસને વારંવાર ફોન કરવા પર પણ તેમને મદદ ન મળી પરંતુ તેઓ પોલીસ પ્રત્યે સંવેદનશીલ વલણ ધરાવતા કહે છે કે તેમના રસ્તામાં તોફાની તત્ત્વો રસ્તો રોકીને ઊભા હતા એટલે એ લોકો મદદ માટે ન આવી શક્યા.

સેન્ટર ફૉર જસ્ટિસનો એક રિપોર્ટ જેમાં તોફાનોને હિંદુ-વિરોધી કહેવામાં આવ્યાં, એ ગૃહમંત્રી અમિત શાહને સોંપવામાં આવ્યો હતો.

આ રિપોર્ટ 'દિલ્હી રાયટ્સ કૉન્સિપિરેસી અનરિવેલ્ડ 'માં પણ પોલીસ પ્રત્યે આવું ઉદારવાદી વલણ દેખાય છે.

તોફાન પછી પોલીસની ભૂમિકા

તોફાન પર પહેલાં આવેલા રિપોર્ટ્સથી અલગ ઍમનેસ્ટી ઇન્ટરનૅશનલની તપાસમાં તોફાન પછી પોલીસની ભૂમિકાની તપાસ પણ કરવામાં આવી છે અને તેના પર રમખાણો બાદ વધારે સંખ્યામાં મુસ્લિમોની ધરપકડ અને તેમના પર કાર્યવાહીના આરોપ લાગ્યા છે.

માનવાધિકાર કાર્યકર્તા ખાલિદ સૈફીની ધરપકડનો આ રિપોર્ટમાં ઉલ્લેખ છે. આમાં દાવો કરવામાં આવ્યો હતો કે પોલીસ અટકાયતમાં તેમની સાથે જે પ્રકારનું વર્તન થયું તેના કારણે માર્ચ મહિનામાં થયેલી સુનાવણીમાં તેમણે વ્હીલચૅર પર હાજરી આપી હતી.

સૈફી છ મહિનાથી જેલમાં છે, તેમની ધરપકડ યુએપીએ કાયદા હેઠળ કરવામાં આવી હતી.

રિપોર્ટમાં તોફાન પીડિતોના નિવેદન છે જેમાં તેઓ પોલીસના હાથે શોષણ અને જબરદસ્તીથી ખોટા નિવેદન લેવા, દબાણ કરવા, કોરા કાગળ પર હસ્તાક્ષર કરવાના આરોપ છે.

એક બિન-સરકારી સંગઠન, 'હ્યૂમન રાઇટ્સ લૉ નેટવર્ક'ન વકીલના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમને તેમના ક્લાયન્ટ સાથે વાત કરવાથી રોકવામાં આવ્યા, પોલીસના ખરાબ વર્તન અને લાઠીચાર્જનો પણ આરોપ આ નિવેદનમાં લગાવવામાં આવ્યો હતો.

'હિંદુ ભાવનાઓને ઠેસ ન લાગે'

દિલ્હી પોલીસનો આઠ જુલાઈનો એક રિપોર્ટ પણ સામે આવ્યો હતો જેમાં લખવામાં આવ્યું હતું કે દિલ્હીના તોફાન અંગેની ધરપકડમાં "એ ધ્યાનમાં રાખવામાં આવે કે ખાસ ધ્યાન રાખવામાં આવે કે આનાથી હિંદુ ભાવનાઓને ઠેસ ન પહોંચે", પરંતુ દિલ્હી હાઈકોર્ટે પોલીસને આ બાબતે ફટકાર લગાડી હતી.

કોર્ટે ઑર્ડર તો રદ ન કર્યો પરંતુ પોલીસને તાકીદ કરી હતી, "તપાસ એજન્સીને એ ધ્યાન રાખવું પડશે કે વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલાં સુચનથી એવો કોઈ ભેદભાવ ન થાય જે કાયદા હેઠળ ખોટો હોય."

ઍમનેસ્ટી ઇન્ટરનૅશનલે રિપોર્ટમાં છેલ્લા મહિનાની પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો છે અને માગ કરી છે કે દિલ્હી પોલીસની કાર્યવાહીની તપાસ અને જવાબદારી નક્કી થવી જોઈએ ને પોલીસ વિભાગને તણાવ અને હિંસાની પરિસ્થિમાં કામ કરવાનું પ્રશિક્ષણ આપવું જોઈએ.

આ રિપોર્ટમાં લગાવવામાં આવેલા આરોપ પર દિલ્હી પોલીસની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે. પોલીસનું નિવેદન મળશે ત્યારે રિપોર્ટને અપડેટ કરી દેવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો