You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના : આંદામાનની દુર્લભ જનજાતિ પર વાઇરસનો ખતરો
- લેેખક, સૌતિક બિસ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
ભારતમાં આંદામાન દ્વીપ સમૂહના એક ટાપુ પર રહેતી દુર્લભ જનજાતિના કેટલાક સભ્યોમાં કોરોના વાઇરસના સંક્રમણ જોવા મળ્યું છે.
એક આરોગ્ય અધિકારીએ બીબીસીને જણાવ્યું છે કે ગ્રેટ અંદામાનીઝ જનજાતિના ચાર સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે. એમાંથી બેને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે અન્ય બેને એક કૅર સેન્ટરમાં ક્વોરૅન્ટીનમાં કરવામાં આવ્યા છે.
એવું માનવામાં આવે છે કે ગ્રેટ અંદામાનીઝ જનજાતિના હવે ફક્ત 53 લોકો જ જીવિત છે અને આંદામાન-નિકોબાર દ્વીપ સમૂહના 37 દ્વીપોમાંથી એક પર તેમની વસતિ છે.
આંદામાન-નિકોબાર દ્વીપ સમૂહના પૂર્વ ભાગમાં અત્યાર સુધી કોરોના વાઇરસના સંક્રમણના 2,985 કેસ નોંધાયા છે. એમાંથી 41 લોકો મૃત્યુ પામ્યાં છે. અહીં પહેલો કેસ જૂનની શરૂઆતમાં નોંધાયો હતો.
એક ઉચ્ચ સ્વાસ્થ્ય અધિકારી ડૉ. અભિજીત રૉયે બીબીસીને જણાવ્યું કે ગ્રેટ અંદામાનીઝ જનજાતિમાં સંક્રમણનો પહેલો કેસ છેલ્લા અઠવાડિયે ત્યારે સામે આવ્યો જ્યારે સ્ટ્રેટ આઇલૅન્ડ પર આ જનજાતિના 53 સભ્યોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
સ્વાસ્થ્ય અને ઇમરજન્સી અધિકારીઓની એક ટુકડી ખતરનાક સમુદ્રી લહેરોનો સામનો કરી ગયા અઠવાડિયે સ્ટ્રેટ આઈલૅન્ડ પહોંચી હતી જ્યાં આ જનજાતિ રહે છે.
અભિજીત રૉયે બીબીસીને જણાવ્યું, "તે તમામ લોકો ઘણો સહયોગ આપી રહ્યા હતા."
ડૉક્ટરોનું કહેવું છે કે એમાં અનેક લોકો પોતાના અલગ પડી ગયેલા દ્વીપ ઉપરથી પોર્ટ બ્લેર આવતા જતા રહે છે અને બની શકે કે સંક્રમણ એમના જ માધ્યમથી અહીં સુધી પહોંચ્યું હોય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એમાંથી કેટલાક લોકો શહેરમાં નાની મોટી નોકરીઓ પણ કરે છે.
હવે સ્વાસ્થ્ય અધિકારીઓ સામે સૌથી મોટો પડકાર એ છે કે સંક્રમણ અન્ય દ્વીપોની જનજાતિઓ સુધી ન ફેલાય.
ડૉક્ટર રૉય કહે છે, "અમે તેમની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છીએ. સાથે જ કેટલીક અન્ય જનજાતિઓનું સામૂહિક ટેસ્ટિંગ પણ કરી રહ્યા છીએ."
આંદામાનની જનજાતિઓ
આંદામાન દ્વીપ સમૂહ વિલુપ્ત થવાને આરે આવેલી પાંચ જનજાતિઓ વસવાટ કરે છે. એ છે જરાવા, નૉર્થ સેન્ટિનેલીઝ, ગ્રેટ અંદામાનીઝ, ઓંગ અને શોમ્પેન.
એમાં જરાવા અને નોર્થ સેન્ટિનેલીઝ જનજાતિ સામાન્ય લોકોના સંપર્કમાં નથી આવી.
નૉર્થ સેન્ટિનેલીઝ તો બહારના લોકો પ્રત્યે ઘણા આક્રમક છે. એટલા માટે એમના દ્વીપ ઉપર કોઈને પણ જવાની પરવાનગી નથી.
વર્ષ 2018માં જૉન એલેન ચાઉ નામના એક અમેરિકને એમના ટાપુ પર જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને આ જનજાતિના સભ્યોએ તીરથી મારી નાખ્યા હતા.
અહીંની જનજાતિઓ વચ્ચે કામ કરતી લંડન સ્થિત સંસ્થા સર્વાઇવલ ઇન્ટરનેશનલના અનુસાર 1850માં જ્યારે બ્રિટને આ દ્વીપોને ઉપનિવેશક બનાવ્યા હતા ત્યારે અહીં 5000ની આસપાસ ગ્રેટ અંદામાનીઝ હતા.
બહારના લોકોના આવવાની સાથે અહીં નવી બીમારીઓ પણ આવી. જેને કારણે તેમની વસતી સતત ઘટતી ગઈ.
આ સંસ્થાના એક સંશોધક સોફી ગ્રિગે જણાવ્યું, "એ ખૂબ જ ખતરનાક સમાચાર છે કે ગ્રેટ અંદામાનીઝ જનજાતિમાં કેટલાક લોકો સંક્રમિત મળી આવ્યા છે. એ લોકોને આવી બીમારીઓ વિશે ખબર છે કારણકે અગાઉ પણ તેમના પૂર્વજો એની ઝપેટમાં આવીને મૃત્યુ પામી ચૂક્યા છે."
વર્ષ 2010માં ગ્રેટ અંદામાનીઝ ભાષા બોલનારા છેલ્લા વયોવૃદ્ધ બોઆ સીનિયરનું લગભગ 85 વર્ષની ઉંમરમાં મૃત્યુ થયું હતું.
આંદામાન દ્વીપ સમૂહને ઍન્થ્રૉપૉલૉજીના શોધકર્તાઓનું સ્વપ્ન લોક કહેવામાં આવે છે, કારણ કે અહીંની ભાષાકીય વિવિધતા આશ્ચર્યચકિત કરનારી છે.
જરાવા જનજાતિની પણ ચિંતા
અધિકારીઓનું કહેવું છે કે આ વચ્ચે લગભગ 476 સભ્યોવાળી જરાવા જનજાતિના લોકોને જંગલના એક ભાગમાં મોકલી આપવામાં આવ્યા છે.
જેથી તેઓ સંક્રમણ સામે સુરક્ષિત રહી શકે. જરાવા લોકો સાઉથ અને મિડલ આંદામાન વચ્ચેના એક ફોરેસ્ટ રિઝર્વમાં રહે છે.
અધિકારીઓને ડર છે કે આ જનજાતિ ક્યાંક એવા લોકોના સંપર્કમાં ન આવી જાય જેઓ અહીંથી પસાર થતા ગ્રેન્ડ આંદામાન રોડનો ઉપયોગ કરતા હોય.
આ મુસાફરોના માધ્યમથી કોરોના સંક્રમણ જરાવા સુધી પહોંચવાની સંભાવનાને દૂર કરવા માટે જ તેમને અલગ કરી દેવાયા છે.
આંદામાન ટ્રંક રોડ 1870માં બન્યો હતો. તે ફોરેસ્ટ રિઝર્વની વચ્ચે આવેલાં 400 ગામોમાંથી થઈને બારાતાંગથી દિગલીપુર સુધી જાય છે.
બાકીની જનજાતિઓ પણ રડાર પર
હવે સ્વાસ્થ્યકર્મીઓની એક ટીમ ઓંગ જનજાતિના 115 સભ્યોના ટેસ્ટ કરવા જશે. ૉ
ઉપરાંત શોમ્પેન જનજાતિના લોકોનું પણ પરીક્ષણ કરવામાં આવશે.
જે પણ સ્વાસ્થ્યકર્મી ગ્રેટ અંદામાનીઝના મૂળનિવાસીઓના ટેસ્ટિંગમાં સામેલ હતા એમનો પહેલાં કોરોના ટેસ્ટ કરાયો હતો અને પરત ફરતાં તેમને એક અઠવાડિયા સુધી ક્વોરૅન્ટીનમાં રાખવામાં આવ્યા હતા.
ડૉક્ટર રૉયે જણાવ્યું કે આંદામાન દ્વીપ સમૂહના અત્યાર સુધી 10 દ્વીપો પર સંક્રમણ મળી આવ્યું છે.
આંદામાનમાં કોવિડ સામે લડત માટે બે હૉસ્પિટલ, ત્રણ આરોગ્ય કેન્દ્ર અને દસ કૅર સેન્ટર છે.
અહીં ભારતના અન્ય ભાગોની સરખામણીમાં પરીક્ષણનો દર પણ ઘણો વધુ છે.
બ્રાઝિલ અને પેરુમાં પણ જનજાતિઓ કોવિડની ઝપેટમાં આવી છે.
બ્રાઝિલના એમેઝોનના જંગલોમાં રહેતી જનજાતિઓના 280થી વધુ લોકોના કોરોના વાઇરસને કારણે મૃત્યુ થયાં છે.