You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ્મીરમાંથી 370 હઠાવાઈ એના એક વર્ષ પર પાકિસ્તાનમાં કાર્યક્રમ કેમ? - TOP NEWS
પાકિસ્તાનથી છપાનારાં ઉર્દૂ અખબારોમાં આ અઠવાડિયે કોરોના સિવાય ભારત પ્રશાસિત કાશ્મીર સાથે જોડાયેલા સમાચારો ચર્ચામાં હતા. સૌથી પહેલા વાત ભારત પ્રશાસિત કાશ્મીરની.
પાંચ ઑગસ્ટ, 2019માં નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે ભારતીય બંધારણની કલમ 370 હેઠળ કાશ્મીરને મળતો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરી નાખ્યો હતો અને જમ્મુ-કાશ્મીર રાજ્યને વિભાજિત કરીને બે કેન્દ્રશાસિતપ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બનાવી દીધા હતા.
ભારત સરકારના આ નિર્ણયને એક વર્ષ પૂરું થઈ રહ્યું છે. પાકિસ્તાને આ તકે ભારતીય કાશ્મીરમાં રહેતા લોકોના સમર્થનમાં અનેક કાર્યક્રમો આયોજિત કરવાનો નિર્ણય લીધો છે.
પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશી, માહિતી અને પ્રસારણમંત્રી શિલ્બી ફરાઝ, રાષ્ટ્રીય સુરક્ષાના વિશેષ સલાહકાર મોઇદ યુસૂફે એક પત્રકારપરિષદમાં આ જાણકારી આપી છે.
પાકિસ્તાનનાં બધાં અખબારોમાં આ સમાચાર પહેલા પાને છપાયા છે. અખબાર જંગનું શીર્ષક છે- "પાકિસ્તાનની મંજિલ શ્રીનગર."
અખબાર અનુસાર પાકિસ્તાનના વિદેશમંત્રીએ કહ્યું કે ભારત પ્રશાસિત કાશ્મીરમાં રહેતા લોકોનું સમર્થન મેળવવા માટે પાકિસ્તાને પાંચ ઑગસ્ટે 'કાશ્મીર શોષણ દિવસ' ઉજવવાનો નિર્ણય કર્યો છે.
શાહ મહમૂદ કુરેશીએ જણાવ્યું કે ચાર-પાંચ ઑગસ્ટેની રાતે પાકિસ્તાની સંસદભવન પર કાશ્મીરનું પ્રોજેક્શન કરાશે.
પાંચ ઑગસ્ટે સવારે 10 વાગ્યે આખા પાકિસ્તાનમાં સાયરન વાગશે અને એક મિનિટનું મૌન પળાશે. બાદમાં રાષ્ટ્રપતિ આરિફ અલવી એક માર્ચનું નેતૃત્વ કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરની રાજધાની મુઝફ્ફરાબાદમાં એક માર્ચ કાઢશે, જેમાં પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન હાજર રહેશે.
ઇમરાન ખાન બાદમાં પાક પ્રશાસિત કાશ્મીરના સદનને સંબોધિત પણ કરશે.
મનરેગામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો જિજ્ઞેશ મેવાણીનો આરોપ
બનાસકાંઠા જિલ્લાના વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ મનરેગામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો છે.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, શનિવારે ધારાસભ્ય મેવાણી અને કૉંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિક પટેલે પત્રકારપરિષદ યોજીને બનાસકાંઠામાં કથિત કૌભાંડ થયું હોવાની વાત કરી હતી.
તેમણે આરોપ લગાવ્યો કે જે લોકોએ મનરેગાના કામ માટે નોંધણી નહોતી કરાવી એ લોકોના નામે જોબકાર્ડ બનાવવામાં આવ્યાં, ગામલોકોના નામે બૅન્કખાતાં ખોલવામાં આવ્યાં.
મેવાણીએ એમ પણ કહ્યું કે આશરે 226 જોબકાર્ડ કથિત કૌભાંડ સામે આવ્યા બાદ કાઢી નાખવામાં આવ્યાં છે.
તો બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર સંદીપ સાંગલેએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે તેમની દ્વારા કરવામાં આવેલા કથિત કૌભાંડ મામલે પોલીસને નિષ્પક્ષ તપાસના આદેશ આપી દેવાયા છે.
જિલ્લાના અમીરગઢ તાલુકાના બાલુંદરા ગામના કમસે કમ 12 ગ્રામીણ લોકો શનિવારની આ પત્રકારપરિષદમાં હાજર રહ્યા હતા અને દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ ખેતમજૂર હતા.
પંજાબમાં ઝેરી દારૂથી મોતનો આંકડો વધ્યો, 86નાં મૃત્યુ
એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર, ઝેરીલા દારૂથી પંજાબના તરનતારનમાં 63, અમૃતસરમાં 12 અને ગુરદાસપુરના બટાલામાં 11 મૃત્યુ થયાં છે.
મુખ્ય મંત્રી અમરિન્દર સિંહે આ મામલે સાત આબકારી અધિકારી અને છ પોલીસકર્મીને પદ પરથી હઠાવી દીધા છે.
સરકારે મૃતકના પરિવારને બે-બે લાખની સહાયની જાહેરાત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.
એક અધિકારીના હવાલાથી એનડીટીવીએ લખ્યું કે સસ્પેન્ડ અધિકારીઓમાં બે ઉપપોલીસ અધીક્ષક અને ચાર થાણા પ્રભારીનો સમાવેશ થાય છે.
મુખ્ય મંત્રીએ કહ્યું કે આ કેસમાં કોઈ પણ લોકસેવક કે અન્યની સંડોવણી હશે તો તેની સામે પણ કાર્યવાહી કરાશે.
નવી શિક્ષણનીતિમાં 'નોકરીસર્જકો' પર ભાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં જાહેર કરાયેલી નવી શિક્ષણનીતિ અંગે પ્રતિક્રિયા આપી હતી.
ધ હિન્દુના રિપોર્ટ પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું કે સરકારે જાહેર કરેલી નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં 'નોકરી મેળવનાર'ને બદલે 'નોકરીસર્જકો' બનાવવા પર ભાર મૂક્યો છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશમાં શિક્ષણના ઉદ્દેશ્ય અને વિષયવસ્તુમાં પરિવર્તન લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનમાં સંબોધન કરતાં તેમણે કહ્યું કે આ અઠવાડિયાની શરૂઆતમાં જાહેર કરવામાં આવેલી નવી શિક્ષણનીતિ-2020 આંતરિક-શિસ્ત અભ્યાસ પર ભાર મૂકે છે, જે એ ખાતરી કરશે કે વિદ્યાર્થી જે શીખવા માગે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે.
'તમાશો રોકો', ગેહલોતની પીએમ મોદીને અપીલ
છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનમાં રાજકીય ઘમસાણ ચાલી રહ્યું છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ મામલે દખલ કરવા અપીલ કરાઈ છે.
હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે, રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગેહલોતે રાજસ્થાનમાં સત્તા માટે ચાલી રહેલા રાજકીય સંઘર્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તક્ષેપ કરવા માટે ફરીથી એક સાર્વજનિક અપીલ કરી છે.
અગાઉ પણ અશોક ગેહલોતે પીએમ નરેન્દ્ર મોદીને આ રીતની અપીલ કરી હતી.
અશોક ગેહલોતે અપીલમાં આરોપ લગાવ્યો કે રાજ્યમાં કથિત રીતે ધારાસભ્યોને ખરીદવાની "કિંમત" વધી ગઈ છે.
તેમણે અને તેમની પાર્ટીના સહયોગીઓએ સીધા જ ભાજપ સામે તેમની સરકારને ઉખાડી ફેંકવા માટે કથિત રીતે હોર્સ-ટ્રેડિંગમાં સામેલ થવાનો આરોપ લગાવ્યો છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો