કોરોના વાઇરસ : અમેરિકા ડિસેમ્બર સુધી નહીં આપે એચ-1 બી વિઝા

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં કામ કરવા આવતા વિદેશી લોકોને અપાતા એચ-1 બી વિઝા પરના પ્રતિબંધને આ વર્ષના અંત સુધી યથાવત્ રાખી શકે છે.

વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે આનાથી સ્કિલ્ડ વર્કરો માટે એચ-1 બી વિઝા, કંપનીની અંદર જ કર્મચારીઓની ટ્રાન્સફરવાળા એલ-1 વિઝા, ઍકેડિમક અને રીસર્ચર માટેના વિઝા અને સીઝનલ વર્કરો માટે એચ-2બી વિઝા પર પણ અસર થશે.

જોકે આ પ્રતિબંધમાંથી ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરનારી વ્યક્તિને છૂટ મળી શકે છે.

વ્હાઇટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ મીડિયાને ઓળખ છત્તી ન થાય તે પ્રકારે કહ્યુ છે કે આ નિર્ણયથી અમેરિકાની જનતાને કોરોના મહામારીના પછીના સમયમાં જલદી કામ મળી શકે છે.

અધિકારીએ કહ્યું, "રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અમેરિકાના લોકો જેટલું જલદી બની શકે એટલું જલદી કામ પર પરત ફરે તેવું ઇચ્છી રહ્યા છે. "

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના કાર્યાલયના અંદાજ પ્રમાણે વિઝા પર પ્રતિબંધ લાગવાથી પાંચ લાખ પચીસ હજાર નોકરી અમેરિકનોને મળશે. આ કોરોના વાઇરસના સમયમાં અમેરિકાના બેરોજગારી માટે રાહત હોઈ શકે છે.

કોરોના વાઇરસના સંકટના સમયમાં પણ એમ માનવામાં આવી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ વિદેશી નાગરિકોને સ્થાયી નિવાસ આપવાની સુવિધા પર તાત્કાલિક ધોરણે પ્રતિબંધ મૂકી શકે છે.

કોરોના વાઇરસના સંકટનો સામનો કરી રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ તમામ એવા પ્રયત્નો કરી રહ્યા છે જેનાથી બીજા દેશના લોકોનું આવાનું ઓછું થઈ શકે.

જોકે જે કંપનીઓ વિદેશી કર્મચારીઓ પર આધાર રાખે છે તે આ નિર્ણયનો વિરોધ કરી શકે છે.

બન્ને સૈન્ય વચ્ચે 11 કલાક ચાલેલી બેઠકમાં શું થયું?

ટાઈમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર સોમવારે ફરીથી ભારત અને ચીનના સૈન્યના લેફટનન્ટ જનરલ સ્તરના અધિકારી વચ્ચે વાતચીત થઈ હતી.

ભારતે ચીન સામે પોતાની માગને ફરીથી રજૂ કરી અને એપ્રિલ મહિના પહેલાંની સ્થિતિને યથાવત્ રાખવા જણાવ્યું હતું. તેમણે પેંગગોગ વિસ્તારના 'ફીંગર 4 ટૂ 8'થી પરત ફરવા માટે જણાવ્યું.

આ ઉપરાંત ગલવાન ખીણ, ગોગરા-હોટસ્પ્રિંગ, દેપસાંગ અને ચુશુલ વિસ્તારમાંથી પણ ચીનના સૈન્યએ તૈયાર કરેલા મિલિટરી બિલ્ડ-અપને પણ હઠાવવા માટે કહ્યું.

આ બેઠક 11 કલાક સુધી ચાલી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે ભારતીય સૈન્ય દ્વારા આની કોઈ પણ પ્રકારની અધિકૃત માહિતી આપવામાં આવી નથી.

હાલમાં જ ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઘર્ષણમાં 20 જવાનો મૃત્યુ પામ્યા હતા. ભારતે અથડામણની ઘટનાને પૂર્વાયોજિત અને આયોજનબદ્ધ હુમલો લેખાવી હતી.

ગુજરાતમાં સિંહોમાં ફેલાયેલા સીડીવી વાઇરસની રસી શોધાશે

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર ગુજરાતમાં ઑક્ટોબર 2018માં સિંહોમાં ફેલાયેલાં કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ (સીડીવી)ની રસી ગુજરાતમાં શોધવામાં આવી રહી છે.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનૉલૉજી ભાગ હેઠળ કામ કરતા 'ધ ગુજરાત બાયૉટેકનૉલૉજી રીસર્ચ સેન્ટર' (જીબીઆરસી)એ સીડીવી વાઇરસની રસી તૈયાર કરી છે. જે હાલ ટ્રાયલ સ્ટેજ પર છે.

વિભાગના સેક્રેટરી હરીત શુકલાએ કહ્યું, "સિંહોમાં જોવા મળતા સીડીવી વાઇરસની રસી અમે તૈયાર કરવામાં છીએ. તે હાલ તૈયાર થઈ રહી છે અને પરિણામ જલદી આવશે."

ગીરમાં ઑક્ટોબર, 2018માં સીડીવી અને બૅબેસિયા વાઇરસથી 26 સિંહના મૃત્યુ થયાં હતાં ત્યારબાદ આ સંશોધન શરૂ કરાયાં હતાં. તે વખતે અમેરિકાથી દવા લાવવામાં આવી હતી.

સાંસદ આદર્શ ગ્રામયોજના : ન ગામ પર પ્રભાવ પડ્યો, ન તો તેના ઉદ્દેશ સિદ્ધ થયા

ધ વાયરના અહેવાલ અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્ત્વકાંક્ષી 'સાંસદ આદર્શ ગ્રામયોજના'ના કોઈ પ્રત્યક્ષ પ્રભાવ પાડી શકી છે અને ન કોઈ નક્કીક કરેલા ઉદ્દેશ સિદ્ધ કરી શકી છે.

ગ્રામીણ વિકાસ વિભાગની યોજનાઓના પ્રદર્શન સંબંધિત અહેવાલમાં આ જાણકારી આપવામાં આવી કે આ યોજનાની સમીક્ષા કરવી જોઈએ.

આ યોજના હેઠળ પ્રત્યેક સંસદસભ્યએ ગામને દત્તક લઈને તેને વિકસિત કરવાનું હોય છે. આ યોજનાની જાહેરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો