રથયાત્રા : સુપ્રીમ કોર્ટે ઓડિશાની જગન્નાથપુરીની રથયાત્રા યોજવાની પરવાનગી આપી

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

સુપ્રીમ કોર્ટે ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવાની પરવાનગી આપી છે. કેટલાક નિયમોનું પાલન સાથે રથયાત્રા નીકળી શકશે એવું સુપ્રીમ કોર્ટે કહ્યું છે. આ મંજૂરને પગલે અમદાવાદની રથયાત્રા યોજવા ઉપર પણ ચર્ચાઓ શરૂ થઈ છે.

અગાઉ કોરોના મહામારીને પગલે સુપ્રીમ કોર્ટે રથયાત્રાની પરવાનગી આપવા ઇન્કાર કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે પોતાના અગાઉના આદેશમાં ફેરબદલ કરતા જગન્નાથપુરીની ઐતિહાસિક અને પરંપરાગત રથયાત્રાને કેટલાક દિશાનિર્દેશો સાથે મંજૂરી આપી છે. જોકે, સુપ્રીમ કોર્ટે સાથે જ નિર્દેશ આપ્યા છે કે રથયાત્રા દરમ્યાન સ્વાસ્થ્યને લગતા મુદ્દાઓ પરત્વે કોઇ ઢીલાશ ન રખાય.

સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે રાજ્ય સરકારને જો એમ લાગે કે મહામારીની પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે તો તે રથયાત્રા પર રોક લગાવી શકે છે.

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે પુરીની રથયાત્રા જગન્નાથ મંદિર કમિટી, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેના સંકલન સાથે આયોજિત કરી શકાશે.

આ ચુકાદા સાથે હવે પુરીમાં ઐતિહાસિક રથયાત્રાનું આયોજન કરી શકાશે.

અગાઉ 18 જૂને આપેલા ચુકાદામાં સુપ્રીમ કોર્ટે દેશમાં હાલની કોરોના વાઇરસની મહામારીની સ્થિતિને ધ્યાનમાં લઈ ઓડિશામાં અન્ય તમામ સ્થળો સહિત પુરીમાં પણ રથયાત્રા આયોજિત કરવા પર સ્ટે ફરમાવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં કહ્યું કે તે પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા મામલે માઇક્રો-મૅનેજમૅન્ટ ન કરી શકે અને તે આ મામલે આગળનો નિર્ણય રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને મંદિરના વહીવટકર્તાઓની સમજણ અને સૂઝબૂઝ પર છોડે છે.

અમદાવાદમાં પણ પ્રયાસ કરીશું

આ અંગે અમદાવાદમાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ કહ્યું છે કે, પુરીમાં જે રીતે મંજૂરી આપવામાં આવી છે એવી રીતે આપણે પણ પ્રયાસ કરીશું. મંદિર તરફથી તૈયારી કરી દેવાઈ છે. હું ભક્તોને અપીલ કરું છું કે કોરોનાને ધ્યાનમાં રાખીને ભગવાનના આશિર્વાદ મેળવવાના છે.

બીજી તરફ કૉંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સરકારે કોરોનામાં લોકોને ભગવાને ભરોસે છોડી દીધાં છે એવો આરોપ મૂકી રથયાત્રાનું યોગ્ય આયોજન કરવાની માગણી કરી છે.

પરેશ ધાનાણીએ કહ્યું કે ગુજરાત હાઈકોર્ટના આદેશ અંગે ખેદ વ્યક્ત કરી સરકાર રથયાત્રાની પરંપરાને આગળ વધારે એવી માગણી કરી છે.

એમણે એમ પણ કહ્યું કે, ''રથયાત્રામાં પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુ-ભાવિકો એકત્ર થાય તે સ્‍વાભાવિક છે. અમદાવાદ અને ગુજરાત રાજ્‍ય સમગ્ર દેશમાં મૃત્‍યુદરમાં પ્રથમ ક્રમાંકે છે ત્‍યારે જો નમસ્‍તે ટ્રમ્‍પ કાર્યક્રમ દ્વારા એક લાખની ભીડ થકી કોરોનાને આમંત્રિત કરાયો હોય તો ભગવાન જગન્‍નાથજીની રથયાત્રામાં પાંચ લાખથી વધુ લોકોની ભેગી થનારી ભીડ દ્વારા સ્‍વયં રોગપ્રતિકારક શક્‍તિના જોરે કોરોનાને કદાચ પાછો પણ ભગાડી શકાય એવી અપેક્ષા સહ આપણા સૌની આસ્‍થા અને કોમી એખલાસના કેન્‍દ્રબિંદુ એવા ભગવાન જગન્‍નાથજી સૌને જીવાડે એવી સામુહિક પ્રાર્થના કરવા અને ભવ્‍ય રથયાત્રાની પરંપરાને અવિરતપણે આગળ ધપાવવા સરકારને વિનંતી કરું છું.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો