વિજય માલ્યાની ભારત વાપસી પર સસ્પેન્સ બરકરાર - Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

વિજય માલ્યાની ભારત વાપસીને લઈને રહસ્ય હજી બરકરાર છે.

બુધવારે રાત્રે કેટલાંક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિજય માલ્યા ગમે ત્યારે મુંબઈમાં પરત ફરી શકે છે. લંડનમાં તમામ ઔપચારિકતાને પૂર્ણ કરી દેવામાં આવી છે.

ઇકોનોમિક ટાઇમ્સે સરકારી સૂત્રોના હવાલાથી લખ્યું કે વિજય માલ્યાને ભારત પરત લાવવાની તમામ કાર્યવાહી થઈ ગઈ છે અને તે ગમે ત્યારે પરત ફરશે.

જોકે ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ માલ્યાના પર્સનલ આસિસ્ટન્ટે પત્યર્પણ અંગે બુધવારે રાત્રે કહ્યું, "મને આજે રાત્રે તેમના પરત જવાની કોઈ જાણકારી નથી."

બુધવારે શરૂ થયેલા સમાચાર અંગે તેમને પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, "માત્ર તે લોકો જ જાણે છે કે તેઓ શું કહી રહ્યા છે."

લંડનમાં રહેલાં ભારતીય હાઈકમિશનના વરિષ્ઠ અધિકારીએ કહ્યું, "હાલ સુધી કોઈ પણ પ્રકારની પ્રત્યર્પણની કાર્યવાહી થઈ નથી. મીડિયાએ સીબીઆઈનું એક જૂનું નિવેદન ઉઠાવ્યું છે."

તેમણે કહ્યું, "હાલ સુધી સ્થિતિ બદલાઈ નથી. વાર લાગી રહી છે." ઉલ્લેખનીય છે કે વિજય માલ્યા 9 હજાર કરોડ રૂપિયાની લોનના ગોટાળામાં આરોપી છે. એસબીઆઈ સહિતની 17 બૅન્ક પાસેથી તેમણે લોન લીધી હતી. 14મેએ બ્રિટનની કોર્ટે માલ્યાના પ્રત્યર્પણ પર સ્ટે આપવાનો ઇન્કાર કર્યો હતો.

સ્વસ્થ કામદારોને ક્વૉરેન્ટીન ન કરો, કામ કરવા દો : વેપારીઓની રજૂઆત

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર ધ ફેડરૅશન ઑફ સુરત ટેક્સસ્ટાઇલ ટ્રેડર્સ ઍસોસિયેશને બુધવારે મુખ્ય મંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને માગ કરી હતી કે બીજા રાજ્યોમાંથી પરત ફરી રહેલાં મજૂરોને 14 દિવસ સુધી ક્વૉરેન્ટીમાં રાખવાના નિયમમાં છૂટ આપવામાં આવે. ઉપરાંત જો આરોગ્યની તપાસમાં મજૂર સ્વસ્થ હોય તો તેને કામ કરવા દેવામાં આવે.

લૉકડાઉન હળવું કરવામાં આવતા બે મહિના પછી બજારો ખૂલ્યા છે પરંતુ દુકાનદારોને મજૂરોની ઘટ પડી રહી હોવાનો મુદ્દો ઍસોસિયેશનના સભ્યોએ પત્ર દ્વારા ઉઠાવ્યો છે.

પત્રમાં લખવામાં આવ્યું છે, "છેલ્લાં બે દિવસથી અમે ટેક્સસ્ટાઈલની દુકાનો ખોલી છે પરંતુ મજૂરો પોતાના વતન પરત ફરતાં તેમની ઘટથી દુકાનદારોને હેરાનગતિનો સામનો કરવો પડે છે. મજૂરોને સુરત પરત આવવું છે પરંતુ તે લોકો 14 દિવસ ક્વોરૅન્ટીનના સમયગાળાને કારણે ભયમાં છે. અમે અપીલ કરીએ છીએ કે મજૂરોના આરોગ્યની તપાસ કરવામાં આવે અને ત્યારબાદ તે સ્વસ્થ હોય તો તેમને દુકાનોમાં કામ કરવા દેવાય. જેથી દુકાનદારોને તકલીફ ન થાય અને વેપાર થોડાક દિવસમાં ટ્રેક પર આવી જાય."

ઍસોસિયેશનના સેક્રેટરી ચંપાલાલ બોથરાએ કહ્યું કે મારે પણ બજારમાં ટેક્સ્ટાઇલની દુકાન છે. અમે પણ મજૂરોની ઘટનો મોટો સામનો કરીએ છીએ. મજૂરો કપડાંના મટીરિયલનું સ્ટૉકિંગનું કામ કરતા હોય છે, પાર્સલ બનાવતા હોય છે જેને બીજા રાજ્યોમાં મોકલતા હોઈએ છીએ.

કન્ટેન્મેન્ટ ઝોનના વિદ્યાર્થીઓની સ્પેશિયલ પરીક્ષા

ગુજરાતમાં જે વિદ્યાર્થીઓ કન્ટેન્મેન્ટ ઝોનમાંથી આવે છે તેમના માટે ઑગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં સ્પેશિયલ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાના માર્ક પણ સામાન્ય વિદ્યાર્થીઓની માર્કશીટમાં હોય તે પ્રમાણે જ મુકાશે એમ ઇન્ડિયન એક્સપ્રેસનો એક અહેવાલ જણાવે છે.

રાજ્યના શિક્ષણ વિભાગે આ અંગે એક પરિપત્ર કર્યો છે.

પરિપત્રમાં લખવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓ પોતાના વતનમાં પરત ફર્યા છે અથવા દેશની બહાર છે તેમણે દેશમાં પરત પરીક્ષા આપવા આવવાની જરૂરિયાત નથી. આવા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન પરીક્ષા લેવામાં આવશે.

ગુજરાત ટૅકનોલોજિકલ યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીની હૉસ્ટેલમાં રહેતાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્ર તેમના જિલ્લામાં ખોલવામાં આવશે એમ અહેવાલ જણાવે છે.

આ ઉપરાંત બીજા એક સરકારી પરિપત્રમાં દરેક યુનિવર્સિટીને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તે પ્રવેશ પ્રક્રિયાને ઑનલાઇન કરે અને ડૉક્યુમેન્ટને ચકાસણીની પ્રક્રિયા જ્યારે સ્થિતિ સારી બને ત્યારે કરે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો