કોરોના રાજકારણ : નરેન્દ્ર મોદીના PM કૅર ફંડ્સની ટીકા બદલ સોનિયા ગાંધી વિરુદ્ધ કેસ - Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર પીએમ કૅર ફંડ્સના વપરાશ અને કોવિડ-19 મહામારી સામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીની ટીકા કરતું ટ્વીટ કરવા બદલ શિવમોગામાં કેસ નોંધવામાં આવ્યો છે.

ધી હિંદુ અખબાર લખે છે કે કર્ણાટકના શિવમોગામાં સાગર પોલીસે આ ફરિયાદ નોંધી છે.

ફરિયાદમાં વકીલ પ્રવીણ કે વીએ કહ્યું છે કે 11 મેના દિવસે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના ટ્વિટર હૅન્ડલ પર કોવિડ-19 પરિસ્થિતિ સામે મોદી સરકારની કામગીરી વિશે કરવામાં આવેલ ટ્વીટ ગેરમાર્ગે દોરનાર છે.

ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે દેશ મહામારી સામે લડી રહ્યો છે ત્યારે કૉંગ્રેસ પાર્ટી સોશિયલ મીડિયા મારફતે ખોટી માહિતી ફેલાવી રહી છે.

સાગર પોલીસે સોનિયા ગાંધી વિરુદ્ધ કલમ 153, 505 ( લોકોમાં ભય ફેલાવવા અથવા રાજ્ય અને જનતામાં શાંતિ વિરુદ્ધ ગુનો) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

કર્ણાટક કૉંગ્રેસે રાજ્યના મુખ્યમંત્રી બી એસ યેદિયુરપ્પાને એફઆઈઆર રદ કરવાની વિનંતી કરી છે. કૉંગ્રેસનું કહેવું છે કે રાજકીય હેતુસર સોનિયા ગાંધી વિરુદ્ધ આ કેસ નોંધવામાં આવ્યો છે.

શહેરી કામદારોને મનરેગા લાભનું સૂચન

હિંદુસ્તાન ટાઇમ્સ લખે છે કે શ્રમ મંત્રી થાવરચંદ ગહેલોત હેઠળ મંત્રી સમૂહનું કહેવું છે કે દેશમાં નવ કરોડ 30 લાખ શહેરી કામગારો જે મૅન્યુફૅક્ચરિંગ, કંસ્ટ્રક્શન, ટ્રેડ, ટૂરિઝ્મ અને હૉસ્પિટૅલિટી ક્ષેત્ર સાથે જોડાયેલા હતા તેઓ કોવિડ-19 મહામારી અને લૉકડાઉનને કારણે પ્રભાવિત થયા છે.

ગત અઠવાડિયે વડા પ્રધાન કાર્યાલયમાં આપવામાં આવેલા એક રિપોર્ટમાં ગ્રામિણ રોજગાર ગૅરંટી યોજનામાં ફેરફાર માટે સૂચન કરવામાં આવ્યું છે.

એમાં કહેવામાં આવ્યું છે કે આ યોજના ખાનગી કારખાનાઓ કે બાંધકામ સ્થળોએ પણ લાગુ કરવામાં આવે જેમાં માલિક મનરેગાના દરોથી વધારે જે મજૂરી ચૂકવતો હોય એ સરકાર મનરેગા યોજના હેઠળ કરે એવી વાત પણ કહેવાઈ છે.

આ ઉપરાંત ગામ પાછા ફરેલ કામદારોને જૉબ કાર્ડ આપવા અને કૌશલ ઍપમાં સ્કિલ ડેવલપમેન્ટના કોર્સ અને રોજગાર માટે રજિસ્ટર કરવા જેવા સૂચનો કરવામાં આવ્યા છે.

અખબાર લખે છે કે થાવરચંદ ગેહલોતએ આના પર ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે અને કહ્યું છે કે આ રિપોર્ટ હજી સાર્વજનિક નથી.

આ અહેવાલમાં મજૂરોને શહેરોમાં પાછા લાવવા માટે વિવિધ સૂચનો પણ કરવામાં આવ્યા છે.

અમેરિકાથી અલ કાયદા સંગઠનનો એક સભ્ય ભારત નિર્વાસિત

અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસ મુજબ ચરમપંથી સંગઠન અલ કાયદાના એક સભ્યને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યા છે.

મૂળ હૈદરાબાદના વતની મોહમ્મદ ઇબ્રાહિમ ઝુબૈરને યમનના મૌલાના અને અલ કાયદાના સભ્ય અનવર અલ અવલકીને નાણાકીય મદદ કરવાના આરોપમાં અમેરિકામાં સજા આપવામાં આવી હતી. અનવર અલ અવલકીનું મૃત્યુ થઈ ચૂક્યું છે.

41 વર્ષના મોહમ્મહ ઇબ્રાહિમ ઝુબૈર અમેરિકાના ઓહાયોમાં રહેતા હતા, તેમને એક વિશેષ ફ્લાઇટમાં અમેરિકાથી ભારતના અમૃતસર લાવવામાં આવ્યા હતા.

પંજાબના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે “ઝુબૈરનો જન્મ શારજાહમાં થયો છે પરંતુ તેમના માતા-પિતા મૂળરૂપે હૈદરાબાદના છે. અમેરિકાથી નિર્વાસિત કરવામાં આવેલા 167 લોકોમાંથી એક ઝુબૈર પણ છે જેમને ભારત મોકલી દેવામાં આવ્યા હતા.”

અખબાર લખે છે કે ઝુબૈરની અલ કાયદા અને ભારતમાં તથા વિશ્વમાં તેના નેટવર્ક વિશે કેન્દ્રીય ઇન્ટૅલિજન્સ એજન્સી તરફથી પૂછપરછ કરવામાં આવી હતી. હવે તેમને 14 દિવસ માટે ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા.

એક સુરક્ષા અધિકારીએ કહ્યું, "તેમના પર અહીં કોઈ કેસ નથી. અમે તપાસ કરી રહ્યા છીએ કે તેમના પર કોઈ કેસ દાખલ કરી શકાય કે નહીં. તેમણે અમેરિકાની કોર્ટમાં આપવામાં આવેલી સજા પૂર્ણ કરી છે."

2009માં અલ અવલકીને 22 હજાર ડૉલર મોકલવાના કેસમાં જુલાઈ 2015માં અમેરિકામાં ઝુબૈરની ધરપકડ થઈ હતી. તેમના ભાઈને આતંકવાદીઓ સાથે સંબંધ રાખવાના કેસમાં અમેરિકામાં 29 વર્ષની સજા આપવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો