ગુજરાતમાં ક્યારે શરૂ થશે ચોમાસું અને કેવો રહેશે વરસાદ? TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

કોરોના વાઇરસની મહામારી સામે લડી રહેલા ગુજરાતમાં ચોમાસાને લઈને ઉચ્ચ અધિકારીઓએ બેઠક યોજી હતી.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, કોરોના રોગચાળા સમયે ચોમાસમાં કેવી રીતે તૈયારી કરવી એ અંગે ગુજરાત સરકાર, ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) અને સશસ્ત્ર દળોના ઉચ્ચ અધિકારીઓએ શુક્રવારે વીડિયો કૉન્ફરન્સ દ્વારા એક બેઠક યોજીને પૂર્વ યોજના અંગે ચર્ચા કરી હતી.

આઈએમડીના ડાયરેક્ટર જયંત સરકારના જણાવ્યા મુજબ, ચોમાસું 5 જૂન આસપાસ કેરળથી ભારતમાં પ્રવેશ કરશે અને બાદમાં 15-20 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં પહોંચશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત અને દેશના અન્ય ભાગોમાં 96%થી 104% વરસાદ થવાની સંભાવના છે.

મુખ્ય સચિવ અનિલ મુકીમે સંભવિત રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સંદર્ભે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને અધિકારીઓને તૈયારી કરવાનું કહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ઈ-ફાઇલિંગથી અરજી કરી શકાશે

દેશભરમાં હવે સુપ્રીમ કોર્ટમાં ઈ-ફાઇલિંગના માધ્યમથી અરજી દાખલ કરી શકાશે.

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર, દેશના મુખ્ય ન્યાયાધીશ એસએ બોબડેએ દેશભરમાં અરજદારો અને વકીલો માટે ઇલેક્ટ્રોનિક અરજી દાખલ કરવાની શરૂઆત કરી છે.

આ ઈ-ફાઇલિંગ 24x7 કરી શકાય છે અને કોર્ટની ફી પણ ઑનલાઇન ભરી શકવાની વ્યવસ્થા છે.

આ પ્રણાલીમાં ડિજિટલ હસ્તાક્ષરનો ઉપયોગ કરાશે. વર્તમાન પ્રણાલીનો દેશભરમાં વિસ્તાર કરાઈ રહ્યો છે.

ન્યાયાધીશ બોબડેએ ઈ-ફાઇલિંગ સુવિધાનો પ્રારંભ કરાવતાં કહ્યું કે વાઇરસ લીધે ઈ-ફાઇલિંગની પ્રેરણા મળી છે, આપણી ગતિશીલતાને લીધે નહીં. વીડિયો કૉન્ફરન્સથી દરેક મામલામાં ટ્રાયલ કરી શકાય નહીં. પરંતુ ઈ-ફાઇલિંગ બંને માટે છે.

અમદાવાદમાં રસ્તે ચાલતાં મજૂરનું મૃત્યુ

અમદાવાદમાં વતન પરત ફરી રહેલા એક કામદારનું મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, ભાડજથી આ મજૂર સાબરમતી રેલવેસ્ટેશન પર ટ્રેન પકડવા માટે જતો હતો. તેમની સાથે અન્ય સાત મજૂરો પણ હતા. પણ રસ્તામાં તેઓ બેભાન થઈ ગયા હતા અને તેમનું મૃત્યુ થયું હતું.

મૃતક 33 વર્ષીય ભોલા માલખાનની ઓળખ ઉત્તર પ્રદેશના બાંડા જિલ્લાના પાથરી ગામના વતની તરીકે થઈ હતી.

સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસે જણાવ્યું હતું કે, પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે માલખાનનું મૃત્યુ હીટસ્ટ્રૉકથી થયું હોઈ શકે છે, કેમ કે બપોરે તાપમાન પણ વધુ હતું.

કામદારનો મૃતદેહ તેમના કૉન્ટ્રાક્ટરને સોંપ્યો હતો અને તેમણે તેને ઉત્તર પ્રદેશ તેમના વતનમાં મોકલવાની વ્યવસ્થા કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો